મહાત્મા ગાંધીનું શાંતિનિકેતનમાં આગમન ૧૭ ફેબ્રુઆરી ૧૯૧૫માં થયું. આ બાબત સૂચવે છે કે દક્ષિણ આફ્રિકાથી આવ્યા બાદ બીજા જ માસમાં ગાંધીજી શાંતિનિકેતન જાય છે તે માટે એક ખાસ કારણ પણ હતું. ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી નીકળ્યા ત્યારે તેમણે ત્યાં શરુ કરેલા ફિનિક્સ આશ્રમના રહેવાસીઓને ક્યાં મુકવા તે એક પ્રશ્ન હતો. બાપુનો એવો મત હતો કે આશ્રમવાસીઓ સાથે રહી શકે તેમજ ફિનિક્સ આશ્રમમાં ગાળતાં હતાં તેવું જ જીવન અહીં હિન્દુસ્તાનમાં પણ ગાળે. પ્રથમ આ આશ્રમવાસીઓને મહાત્મા શ્રદ્ધાનંદજીના કાંગડી ગુરુકુળમાં મુકવામાં આવ્યા. અહીં આશ્રમવાસીઓની સારી મહેમાનગતિ કરવામાં આવી. ત્યાર બાદ આ લોકોને શાંતિનિકેતનમાં મુકવામાં આવ્યા. મહાત્મા ગાંધી પોતે દરેક બાબતમાં જાગૃત છે. આથી તેઓ આ ફિનિક્સના આશ્રમવાસીઓને સલાહ આપે છે કે કવિગુરુ તથા સૌ મોટેરાંઓની સેવા કરજો. પૂરતી મર્યાદા રાખીને ત્યાં રહેવા તેમજ સેવા કરવા ગાંધીજીએ તેમને સમજાવ્યા. ઉપરાંત શાંતિનિકેતનના રહીશો કરતા વહેલા ઉઠવા પણ આ વ્યવહાર કુશળ મહાત્માએ સૌને સમજાવ્યા હતાં. આથી ભારત આવ્યા બાદ વિવિધ કારણોસર ગાંધીજી કવિગુરુને મળવા ઉત્સુક હતા. શાંતિનિકેતન જવા માટે બોલપુર રેલવે સ્ટેશને ઉતરવું પડતું હતું. ગાંધીજીને સ્ટેશનથી આશ્રમ લાવવા માટે એક ખાસ બગી દેવેન્દ્રનાથ ટાગોરે મોકલી હતી. બંગાળના રહીશો-જમીનદારો સામાન્ય રીતે આવી ખાસ સજાવેલી બગીનો મુસાફરી માટે ઉપયોગ કરતા હતા. પરંતુ આ મહાત્મા તો જુદી માટીના બનેલા હતા. તેમણે બગીમાં બેસવાને બદલે ચાલીને આશ્રમ જવા નીકળ્યા. આચાર્ય ક્ષિતિમોહન સેન જેવા અગ્રણીઓએ મહાત્માનો ભાવથી સત્કાર કર્યો. બાપુ શાંતિનિકેતન પહોંચીને કહે છે: “મને અહીં આવીને ઘણો આનંદ થયો છે. ગુરુદેવ ટાગોર હાજર નથી. (ગુરુદેવ ત્યારે કલકત્તા ગયા હતા.) છતાં મારા દિલમાં તેમની હાજરીનો અનુભવ થાય છે. આપે મારો સત્કાર ભારતીય પધ્ધતિએ કર્યો તેનો આનંદ છે.” (‘કવિની ચોકી’-ત્રિદીપ સુહાદ.)
મહાત્મા ગાંધી આફ્રિકાથી આવે અને ત્યાર પછી થોડા જ સમયમાં શાંતિનિકેતનની મુલાકાત કરે તે મહત્વની ઘટના છે. ગાંધીજી તથા ગુરુદેવ બંને સમગ્ર સદીને શણગારનારા વ્યક્તિત્વ છે. બંનેના વિચારોમાં અનેક જગાએ ભિન્નતા પણ છે. આમ છતાં બંનેને એકબીજા માટે ભરપૂર આદર છે. ગાંધીજીને દેશમાં પરત ફર્યા પછી એક મજબૂત મહાસત્તા સામે સંઘર્ષ શરુ કરવાનો હતો. આથી તેઓ દેશ તથા દેશવાસીઓ સાથે શાંતિનિકેતન જેવા તીર્થોમાં પણ ગયા અને તેની કામગીરીનું આકલન કર્યું. ટાગોરને મળવાનો અને શાન્તિનિકેતનને નજીકથી જોવાનો આ ગાંધી ઉપક્રમ ભવિષ્યની વ્યૂહ રચનામાં ઉપયોગી થાય તેવો હતો. જો કે શાંતિનિકેતનની સ્વચ્છતા બાબત ગાંધીજીને બહુ આદર થયો નહિ. આથી તેમણે પોતાની આત્મકથામાં જ લખ્યું કે સફાઈકામ કરવાનો તેમનો એજન્ડા હિન્દુસ્તાનમાં મોટો અને મહત્વનો રહેશે. કવિગુરુ માટે ગાંધીજીના મનમાં હંમેશા ઊંચો આદરભાવ રહ્યો. કવિગુરુની વિચારસૃષ્ટિ હિન્દુસ્તાનના મૂળમાંથી આવે છે તે બાબત ગાંધીજીના મનમાં સ્પષ્ટ હતી. બાપુએ ૨૦ ઓક્ટોબર-૧૯૧૭ના રોજ ભરૂચમાં મળેલી કેળવણી પરિષદમાં કહ્યું પણ હતું. :”સર રવીન્દ્રનાથ ટાગોરનું ચમત્કારી બંગાળી તેમના અંગ્રેજીને આભારી નથી. તેમની ચમત્કૃતિ તેમના સ્વભાષાભિમાનમાં છે. તેમના વિચારો તેમણે ઉપનિષદોમાંથી દોહી કાઢેલા છે.”
૧૮૬૩માં કવિગુરુના પિતા મહર્ષિ દેવેન્દ્રનાથે પોતાના મનમાં રહેલા એક ઉમદા સ્વપ્નને સાકાર કરવા કલકત્તાથી આશરે ૧૦૦ માઈલ દૂર શાંતિનિકેતનની સ્થાપના કરી. વેરાન એવી આ જગામાં મોટા પાયે વૃક્ષારોપણ કર્યું. એક એવી સંસ્થા કે જ્યાં શાળા તથા સમૃદ્ધ પુસ્તકાલય હોય તેના નિર્માણ માટેની આ શુભ શરૂઆત હતી. ૧૯૦૧માં અહીં શાળા શરુ કરવામાં આવી. પાશ્ચાત્ય ઢબની કેળવણીના સ્થાને આપણાં દેશના પ્રાચીન ગુરુકુળો હતા તેવી સંસ્થાનું નિર્માણ કરવાની કવિવર ટાગોરની ઈચ્છા હતી. બંધિયાર રૂમોમાં અપાતા નીરસ પુસ્તકિયા શિક્ષણ સામે કવિગુરુને પ્રકૃતિના સાયુજ્યમાં બાળકોને કેળવણી આપવાનો આ પ્રયાસ હતો. “આપણે આપણાં વારસાને શોધીને વિશ્વમાં સ્થાન મેળવીએ” તેવો કવિગુરુનો પવિત્ર સંકલ્પ હતો. વિશ્વભારતીનો ખ્યાલ પણ કવિને આ વૈશ્વિક સંદર્ભમાં જ આવ્યો હતો.
ગુરુદેવ તેમજ શાંતિનિકેતનના અન્ય અગ્રણીઓની ઈચ્છા હતી કે ગાંધીજી વિશ્વભારતીના પ્રમુખપદનો સ્વીકાર કરે. તેમ થયું નહિ પરંતુ શાન્તિનિકેતનને પાંચ લાખ રૂપિયાનું ફંડ ઇકઠું કરી આપવા ગાંધીજીએ વચન આપ્યું હતું, મહાત્મા કહેતા: “પાંચ લાખ ભેગા ન થાય ત્યાં સુધી મારાથી જંપીને બેસી શકાય નહિ.” ગાંધીજીના મિત્ર એન્ડ્રુઝના આગ્રહથી ૧૯૨૦માં કલકત્તામાં મળેલા કોંગ્રેસ અધિવેશનમાં ગાંધીજી શાંતિનિકેતનમાં રહ્યા. વિદ્યાલયની પ્રાર્થના સભામાં એક નાના આસાન પર બેઠેલાં મહાત્મા ગાંધી સમક્ષ શાંતિનિકેતનના વિદ્યાર્થીઓએ સુંદર પંક્તિઓ ગાઈ સંભળાવી. ખુબ જ પ્રસિદ્ધ થયેલા આ કાવ્યનો સુંદર અનુવાદ પણ થયો છે.
અંતર મમ વિકસિત કરો
અંતરતર હે !
નિર્મળ કરો, ઉજ્વળ કરો
સુંદર કરો હે !
૧૯૩૦માં કવિગુરુ એક સપ્તાહ અમદાવાદમાં રહ્યા. અંબાલાલ સારાભાઈના તેઓ યજમાન હતા. કવિગુરુ અને ગાંધીજી એ બંનેનો અમદાવાદ સાથેનો સંબંધ મજબૂત રહ્યો. ૧૯૩૦ની કવિવરની મુલાકાત સમયે તેમણે ગાંધીજીને કહ્યું કે તેઓ હવે સિત્તેર વર્ષના થયા. કવિગુરુ થોડા થાકેલા પણ જણાતા હતા. મહાત્મા એ તરત જ જવાબ આપ્યો: ” આપ સિત્તેર વર્ષના થયાં એ સાચું પરંતુ ૬૦ વર્ષનો વૃદ્ધ (ગાંધીજી) નાચી શકતો નથી ત્યારે ૭૦ વર્ષનો યુવાન કવિ નાચી શકે છે.” હસતા રહીને કવિશ્રીએ ગાંધીજીની વાતમાં સંમતિ બતાવી. જીવન પરત્વેના અભિગમમાં સૌંદર્ય તથા હળવાશના તત્વો આ બંને મહાનુભાવોમાં ભરપૂર જોવા મળે છે.
વસંત ગઢવી
તા. ૪ એપ્રિલ ૨૦૨૪
Leave a comment