ક્ષણના ચણીબોર : વ્યાયામવીર અને સ્વાતંત્ર્ય સેનાની: અંબુભાઈ પુરાણી:

        મહર્ષિ અરવિંદના વિચારોને ભૂમિગત કરનાર વ્યાયામવીર અંબુભાઈ પુરાણીને ભૂલી જવા તે ગુજરાતને પરવડે તેવું નથી. યુવાનો વ્યાયામ તરફ વળે તે માટે અંબુભાઈ પુરાણીએ કરેલા પ્રયાસો અદ્વિતીય છે. આજે પણ ગુજરાતના કિશોરો તથા યુવાનોના સ્વાસ્થ્યનો પ્રશ્ન એ સરકાર તથા સમાજ  માટે ચિંતાનો વિષય છે. થોડા દિવસો પહેલા જ ગુજરાતમાં જે ઠંડીનું પ્રમાણ હતું તે અસાધારણ ન હતું. આટલી ઠંડક એ ડિસેમ્બર-જાન્યુઆરી માસમાં હોય તે સ્વાભાવિક પણ છે. આમ છતાં, ઠંડીને કારણે અનેક કિશોરવયના કે બાળવયના યુવાનોમાં હાર્ટની તકલીફોનું પ્રમાણ વધ્યું તેવા અહેવાલો ઠોસ આંકડાઓ સાથે પ્રસિદ્ધ થયા હતા. સમગ્ર વિશ્વમાં વધતી સ્થૂળતામાં આપણો દેશ પણ ૨૦૩૦ સુધીમાં અગ્રક્રમે હશે તેવા અનેક અભ્યાસ લેખો મીડિયામાં પ્રસિદ્ધ થતાં રહે છે. શાળા આરોગ્ય ચકાસણીના સુઆયોજિત પ્રયાસ છેલ્લા થોડા વર્ષોથી થાય છે. તે પ્રક્રિયામાં પણ બાળકોના આરોગ્યને સ્પર્શતા નવા પ્રશ્નો ઉત્તરોઉત્તર વધતા જોવા મળે છે. નાની ઉંમરથી જ આંખને દૂરના કે નજીકના ચશ્માની જરૂર રહે તેવા બનાવો વધ્યા છે. જો કે આ બધી ઘટનોમાં આરોગ્યની સુવિધાનો વ્યાપ તેમજ તે બાબતમાં સમાજની જાગૃતિ પણ અમુક અંશે કારણભૂત ગણી શકાય. આમ છતાં આપણું યુવાધન વ્યાયામની પ્રવૃત્તિથી મહદઅંશે વિમુખ થયું છે તે બાબત સ્વીકારવા પાત્ર છે. મહાનગરોની અનેક મોંઘીદાટ ખાનગી શાળાઓમાં પણ સ્કૂલ સાથે અભિન્ન રીતે જોડાયેલી મેદાનની સુવિધાનો અભાવ છે. આ બધી વિષમતાઓનો જાણે કે અંબુભાઈ પુરાણીએ તથા તેમના મોટાભાઈ છોટુભાઈ પુરાણીએ લગભગ સવાસો વર્ષ પહેલા વિચાર કર્યો હોય તેમ તેમનું જીવનકાર્ય જોતાં જણાય છે. ૧૮૯૪માં તેમનો જન્મ સુરતમાં થયો. ૧૮૯૪થી ૧૯૧૮ સુધીની  અંબુભાઈની જીવનયાત્રા એ અનેક સિધ્ધિઓના સરવાળા સમાન છે. કવિ પુજાલાલે અંબુભાઈના જીવનની આનંદયાત્રા સુંદર તથા અર્થસભર શબ્દોમાં આલેખી છે.

સૌંદર્ય સૃષ્ટિભરનું સુખ સાથ સેવ્યું.

રંગો ધર્યા હ્ર્દયમાં કુશલા કલાના.

શિલ્પી બન્યા સુભગ શિલ્પ ઉપાસનાથી,

આત્માપર્ણે ચરમ ધામ ચિદાત્મચારિ.

              અંભુભાઈ તથા તેમના ભાઈ છોટુભાઈની શિરમોર સમાન પ્રવૃત્તિ એ વ્યાયામની પ્રવૃતિ હતી. આ પ્રકારની પ્રવૃત્તિ શરુ કરવા માટેનું માર્ગદર્શન તેમજ પ્રેરણા તે કાળે વડોદરામાં નિવાસ કરતા શ્રી અરવિંદ તરફથી મળી હતી. છોટુભાઈએ પોતાના ભાઈ અંબુભાઈ પર વ્યાયામના કાર્ય માટે પસંદગી ઉતારી હતી. વડોદરાનું એક ખાસ મહત્વ અંબુભાઈના જીવનમાં છે. વ્યાયમમંડળનો આરંભ પણ વડોદરામાં જ થયો હતો. મહર્ષિ અરવિંદની તે માટે પ્રેરણા હતી. વડોદરાથી મુંબઈ જઈને અંબુભાઈએ સ્નાતકની પદવી મેળવી. જો કે અખાડાની પ્રવૃતિ સાથે મુંબઈમાં પણ સંકળાયેલા રહ્યા. ગુજરાતના પ્રથમ અખાડાનો પ્રારંભ નડિયાદથી કરવાનું શ્રેય અંબુભાઈને જાય છે. અંબુભાઈના જીવનમાં એક મોટું પરિવર્તન ૧૯૧૮માં આવ્યું. અંબુભાઈ શ્રી અરવિંદના દર્શન માટે પોન્ડિચેરી ગયા હતા. આ મુલાકાત પછી અંબુભાઈના જીવનમાં આમૂલ પરિવર્તન આવ્યું. મહર્ષિ અરવિંદ પ્રેરિત આધ્યાત્મિક જીવનની શરૂઆત મહર્ષિ સાથેની મુલાકાત પછી થઇ.  

                  સર્વ પ્રથમ નડિયાદમાં અખાડા પ્રવૃત્તિ શરુ કર્યા બાદ સમગ્ર ચરોતરમાં વ્યાયામશાળાનું કાર્ય વિસ્તૃત થવા પામ્યું હતું. નોંધપાત્ર બાબત એ છે કે અંબુભાઈ યુવાનોના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતાં. ગુજરાતની વ્યાયામ પ્રવૃત્તિના સ્ત્રોત સમાન અંબુભાઈનું વ્યક્તિત્વ હતું. અમદાવાદમાં પણ આજથી ૧૦૦ વર્ષ પહેલા વ્યાયામપ્રવૃત્તિ શરુ કરવાનું શ્રેય અંબુભાઈને જાય છે. અખાડાઓનું કામ ક્રમશઃ વધતું હતું. શહેરોમાં વધી રહેલા મોંઘાદાટ જિમ સામેનો અખાડાનો વિકલ્પ એ સામાન્ય નાગરિકના ખિસ્સાને પરવડે તેવો છે. આમ છતાં ક્રમશઃ અખાડા પ્રવૃતિથી આપણે વિમુખ થતાં રહ્યા છીએ. તે બાબતને પુનઃ સક્રિય કરવાની જરૂર છે. તેના ફોર્મેટ તથા પદ્ધતિ બાબતમાં જરૂર પુનઃ વિચારણા કરી શકાય. આધુનિક યુગને અનુરુપ વ્યવસ્થા ગોઠવી શકાય.

             વ્યાયામવીર અંબુભાઈના જીવનમાં મહર્ષિ અરવિંદનું આગમન એ તેમના જીવનનું મહત્વનું પાસું છે. મહર્ષિના આશ્રમમાં પોન્ડિચેરી જવાનું નિમંત્રણ એ અંબુભાઈના જીવનનો મહત્વનો વળાંક હતો. અંબુભાઈ ૧૯૨૩માં પોન્ડિચેરી ગયા. સતત પ્રવૃત્તિના માહોલમાં તેમના જીવનનો એક નૂતન અધ્યાય શરુ થયો. મહર્ષિના આશ્રમમાં અંબુભાઈને આનંદના સામ્રાજ્યના દર્શન થયા. પોન્ડિચેરી આશ્રમના સમગ્ર વહીવટમાં અંબુભાઈનો ફાળો મહત્વનો રહ્યો છે. અંબુભાઈ આશ્રમના નિત્ય વિકાસ સાથે સતત જોડાયેલા રહ્યા. સતત કામગીરી એ પોતાનું અહોભાગ્ય છે તેવી વાત વારંવાર કરતા હતાં. ‘હું પણા’નો ભાવ તેમનાથી અનેક જોજન દૂર હતો.

                  અંબુભાઈ વ્યાયામશાળાના માધ્યમનો ફક્ત શારીરિક ખડતલપણા સાથેના સંબંધથી જ સંપૂર્ણ ગણતાં ન હતાં. સમગ્ર વ્યક્તિત્વનો વિકાસ તેમજ એક જાગૃત નાગરિક સમાજના નિર્માણનો તેમનો સંકલ્પ હતો. નાગરિક ધર્મ વિશે અખાડામાં ખાસ સમજાવવામાં આવતું હતું. ગામમાં કોઈ કુદરતી આપત્તિની ઘટના બને તો વ્યાયામશાળાના વિદ્યાર્થીઓ સૌથી પહેલા પહોંચી જતા હતાં. લોકોના બચાવ તેમજ રાહતકામ માટે  આ યુવાનો સૌથી આગળ રહેતાં હતાં. સેવાનો આદર્શ દરેક યુવાનમાં જાગૃત થાય તે આ અખાડા પ્રવૃત્તિનું ધ્યેય હતું. વડોદરાની લક્ષ્મીનાથ વ્યાયામશાળાથી શરુ થયેલી આ પ્રવૃત્તિ સમગ્ર ગુજરાતમાં પ્રસરી હતી. ઇન્દુલાલ યાજ્ઞિક જેવા અનેક તત્કાલીન સમાજ-સેવકો આ પ્રવૃત્તિને વેગ આપનારા રહ્યા છે. ગુજરાતમાં અંબુભાઈએ શરુ કરેલી વ્યાયામ પ્રવૃત્તિને કારણે અનેક યુવાનો દેશની સ્વાતંત્ર્ય ચળવળના કાર્ય માટે મળી શક્યા. યુવાનોને સત્યાગ્રહની ચળવળ દરમિયાન સત્તાધીશોના અત્યાચાર સહન કરવાની શક્તિ અંબુભાઈના વ્યાયામમંડળો થકી પ્રાપ્ત થઇ છે તેવી નોંધ ઇન્દુલાલ યાજ્ઞિકે પોતાની આત્મકથામાં કરી છે. શ્રી કિરીટ ઠક્કરના પુસ્તકમાંથી પણ આ મહાન સાધકના ભવ્ય જીવનનો ભાતીગળ અણસાર આવે છે. (પ્રકાશન: શ્રી અરવિંદ મેમોરિયલ ટ્રસ્ટ) કુપોષિત તથા નબળા કિશોરો તેમજ યુવાનો સાથે દેશનો સ્વસ્થ વિકાસ થવો અશક્ય છે. પુરાણી બંધુઓનું આ વિષયમાં ચિરસ્થાયી યોગદાન છે. તેનું અનુકરણ કરવું તે સમાજના હિતમાં છે.

વસંત ગઢવી

તા. ૨ ફેબ્રુઆરી ૨૦૨૩       

Leave a comment

Blog at WordPress.com.

Up ↑