સૂના સમદરની પાળે-સંસ્કૃતિ

:સૂના સમદરની પાળે: આઘા સમદરની પાળે:

                      યુદ્ધસ્ય કથા રમ્યા: એવી એક ઉક્તિ આપણે ત્યાં પ્રચલિત છે. એક રીતે જોઈએ તો યુદ્ધ મહાવિનાશ નોતરે છે. કેટકેટલા લોકો યુદ્ધમાં તેમનું સર્વસ્વ ગુમાવે છે તેની ગણતરી માંડવી પણ મુશ્કેલ બને છે. આથી એમ કહી શકાય કે યુદ્ધમાં કોઈ વિજેતા હોતા નથી. ઐતિહાસિક કલિંગાના યુદ્ધ પછી મહારાજા અશોકના વલણમાં ફેરફાર થયો. યુદ્ધ જીત્યા પછી પણ યુદ્ધની સમગ્ર પ્રક્રિયા તેને અતિશય પીડાદાયક લાગી. આવા અનેક દ્રષ્ટાંતો છે. આથી યુદ્ધમાં કોઈનું કલ્યાણ નથી. આમ છતાં એ ખરું છે કે યુદ્ધમાં કોઈ અસાધારણ વીરતા બતાવે તો તે વીરત્વની કે બલિદાનની કથા લોકમાનસમાં જીવંત રહે છે. ‘દસ દસ કો એકને મારા, ફિર ગીર ગયે હોશ ગવાંકે’ એ કવિ પ્રદીપજીના અમર શબ્દોમાં આપણા સૈન્યનું વીરત્વ પ્રદર્શિત થયું છે. આવા જ એક નેક-ટેકને ખાતર લડાયેલા યુદ્ધની કથાનું મનોહર દર્શન ઝવેરચંદ મેઘાણીએ તેમના દીર્ઘકાવ્ય ‘સૂના સમદરની પાળે’માં કર્યું છે. ૧૯૩૦માં જયારે મેઘાણી સ્વાતંત્ર્ય સંગ્રામની લડતમાં ભાગ લેવા માટે જેલમાં હતા ત્યારે તેમણે એક અંગ્રેજી કથાગીત વાંચ્યું હતું. તે કાવ્યનું શીર્ષક ‘બીન્જન ઓન ઘી રહાઈન’ હતું. આ કથાગીત વાંચ્યા પછી તેમના મનમાં જે ભાવ પ્રગટ્યા તે તેમણે ‘સૂના સમંદરની પાળે’ કાવ્યમાં ખુબ જ સુંદર તથા ભાવવાહી ઢબે ઉતાર્યું છે. આ ગીત ખુબ જ પ્રચલિત થયું છે.

              ગીતની કથાવસ્તુ ખુબ જ આકર્ષક છે. યુદ્ધની પૂર્ણાહુતિનો સમય છે. અનેક વીરો યુદ્ધભૂમિમાં સોડ તાણીને સુતા છે. યુદ્ધના સ્થળની વિનાશકતાનું દર્શન થાય છે. આવા સૂર્યાસ્તના સમયે એક યોધ્ધો પોતાના જીવનના છેલ્લા શ્વાસ ઘૂંટે છે.

સૂના સમંદરની પાળે રે

આઘા સમંદરની પાળે

ઘેરાતી રાતના છેલ્લા શ્વાસ

ઘૂંટે છે એક બાળુડો રે…

              સૂર્યાસ્તનો સમય છે. ગમે ત્યારે અંધકાર સમગ્ર શ્રુષ્ટિને ગળી જાય તેવો સંક્રાંતિ કાળ છે. જીવન તથા મૃત્યુ વચ્ચેની ક્ષણોમાં એક યુવાન રણમેદાનમાં ઘાયલ થઈને પડ્યો છે. તેના મનમાં ઊંડે ઊંડે ક્યાંયે કાયરતાનો ભાવ નથી. જીવનના છેલ્લા શ્વાસો લેવાના સમયે પણ તેના ગૌરવ તથા ગરિમા અખંડ છે. કેટકેટલા પ્રિય પાત્રોના રળીયામણા ચિત્રો તેના મનમાં ઉઠતા હશે તે કહેવું મુશ્કેલ છે. આમ છતાં આ છેલ્લી ક્ષણોમાં તેની પાસે કોઈ સ્વજન ન હતું.

નોતી એની પાસ કો માડી રે

નોતી એની પાસ કો બેની

વ્હાલાના ઘાવ ધોનારી રાત રોનારી

કોઈ ત્યાં નોતી રે..સૂના સમદરની પાળે.

           જીવનના છેલ્લા શ્વાસો લેતો વીર યુદ્ધ દરમિયાન ગંભીર રીતે ઘવાયો હતો. શરીર પર પડેલા અગણિત ઘાવના કારણે લોહી વહી જતા હતા. સંકટની આ કસોટીની ક્ષણોમાં નજીકના સ્નેહીઓ યાદ આવે. માતા અને બહેન તો સૌ પહેલા જ સ્મૃતિમાં આવે. પરંતુ અહીં રણના મેદાનમાં વતનથી દૂર એવા સ્થળે પ્રિય લોકો કેવી રીતે પહોંચી શકે? એમ લાગે છે કે જીવન મરણ વચ્ચે ઝોલા ખાતી આ ક્ષણોએ વ્હાલાનું સ્મરણ પણ એક સુખદ ક્ષણની પ્રતીતિ કરાવી જતી હશે. અઝીમ ટંકારવીનો શેર યાદ આવે:

સ્મરણ, લીલું કપૂરી પાન જેવું

હવામાં ચો તરફ લોબાન જેવું.

 જીવનની આ છેલ્લી ક્ષણોમાં ઘવાયેલા યોદ્ધા પાસે સ્મરણ સિવાય કોઈ સાધન ન હતું.

વેગે એના લોહી વહેતાતા રે

વેગે એના લોહી વહેતાતા

બીડાતા હોઠના છેલ્લા બોલ

ઝીલંતો એક ત્યાં ઉભો રે …

સાથી સમદરની પાળે.

                તમામ આપત્તિઓ વચ્ચે પણ ઈશ્વર એકાદ બારી તો ઉઘાડી રાખે છે. ઘવાયેલા આ યોદ્ધાની વાત કાન દઈને સાંભળવા એક સાથી બચ્યો છે. તે પણ મોટી રાહત છે. આથી ગેબના માર્ગે જતા વીરનો સંદેશો આ સાથી ઝીલે છે:

વીરા મારો દેશડો દૂર રે

વીરા મારું ગામડું દૂરે

વાલીડા દેશ વાસીને સોંપજે

મોંઘી તેગ આ મારી રે…

                     વીરત્વના માર્ગે સ્વધામ સંચનારા આ યોદ્ધાની આખરી અમાનત તલવાર છે. આ અનામત મોંઘી છે કારણ કે તે સદાકાળ માટે વીરત્વ તથા બલિદાનનું દર્શન કરાવે છે. સ્વાપર્ણની ઉજળી પરંપરાનું આ દર્શન છે.

લીલુડાં લીંબડા હેઠે રે

લીલુડાં લીંબડા હેઠે

ભેળા થઈને પૂછશે ભાડું

રણઘેલૂડો કેમ રોકાણો રે…

            યોદ્ધાને ખબર છે કે પોતાનો સાથી તલવારની સોંપણી ગ્રામજનોને કરશે. આમ થશે એટલે તરત જ પોતાના ગામના ભલા ભાંડુઓ થોડી ચિંતા અને થોડી આતુરતાના ભાવ સાથે સંદેશો લઈને જનાર સાથીદારને પ્રશ્ન કરશે. “ભાઈ !  અમારો પ્રિય ભેરું જે સંગ્રામમાં જવા હંમેશા તત્પર રહે છે તે ક્યાં રોકાઈ ગયો?” છેવટે વીરનો સાથીદાર ભીના અવાજે સ્પષ્ટતા ગામના લોકો સમક્ષ કરશે.

કે જે ભાઈ આરતી ટાણે રે

કે જે ભાઈ ઝાલરું ટાણે

લાખેણા વીરની સો સો લોથ

સૂતી સંસાર વિસામે રે…

સૂના સમદરની પાળે

            વીરતાની મહાગાથા સમાન આ સંવેદનાભર્યા કાવ્યમાંથી પસાર થતાં મનમાં ગૌરવ સાથે જ થોડા ખિન્નતાના ભાવ પેદા થાય છે. કેટકેટલા મીઠા માનવીઓના મોંઘેરા રક્ત આ સંગ્રામઓની હારમાળાએ પીધા હશે? અહીં બલિદાન આપનારની ગરવાઈનું પણ મંગલ દર્શન દરેક શબ્દમાં થયા કરે છે. ઓગસ્ટ માસની ૨૮મી તારીખે ચોટીલામાં જન્મ લેનાર સમર્થ સર્જક ઝવેરચંદ મેઘાણીની આ માસમાં પુનઃ સ્મૃતિ થાય છે. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના લગભગ છેલ્લા બે દાયકા દરમિયાન મેઘાણીના ગીતો સંગ્રામની પ્રક્રિયાને બળ આપતા રહ્યા. મેઘાણીભાઈની આવી રચનાઓ કાળજયી પુરવાર થઇ છે.

વસંત ગઢવી

તા. ૧૮ ઓગસ્ટ ૨૦૨૫

Leave a comment

Blog at WordPress.com.

Up ↑