:ગ્રંથગોષ્ટિનો અનેરો ઉપાસના યજ્ઞ:
દક્ષિણ આફ્રિકામાં રેલવેમાં મુસાફરી કરી રહેલા બેરિસ્ટર ગાંધીને જ્હોન રસ્કિન લિખિત ‘Un to this last ‘ નામનું પુસ્તક તેમના મિત્ર તરફથી આપવામાં આવે છે. બેરિસ્ટર ગાંધી આ પુસ્તક રસથી વાંચી જાય છે. પુસ્તકને વાંચ્યા પછી ગાંધીના જીવનમાં મોટું પરિવર્તન આવે છે. ધીકતી વકીલાત છોડીને ગાંધીજી સીધું સાદું તથા સ્વાશ્રયી એવું આશ્રમનું જીવન જીવવાનું નક્કી કરે છે. એક જ પુસ્તકને કારણે જીવન પરિવર્તનની આ ઘટના પુસ્તકની મહત્તા માટે ઘણું કહી જાય છે. કહેવાતા કાળા લોકો અથવા Native Americans ગુલામી પ્રથાને કારણે ભીષણ યાતનાભર્યું જીવન જીવતા હતા. આ ગુલામોની દશાનું વર્ણન ‘Uncle Tom ‘s Cabin ‘ નામની નવલકથામાં વિસ્તૃત રીતે કરવામાં આવ્યું. આ પુસ્તકની એક મોટી અસર દબાયેલા લોકોના અવાજને જાગૃત કરનારી હતી. તેનો ઉલ્લેખ સ્વયં અબ્રાહમ લિંકને કર્યો હતો. આ રીતે જ જગતની અનેક મહાન વ્યક્તિઓ કે ઘટનાના સંદર્ભમાં પુસ્તકોનું એક મોટું યોગદાન છે તે સર્વ સ્વીકૃત બાબત છે. પુસ્તકોનો કેફ જેને લાગે છે તેને જીવનનો એક નવો માર્ગ નજરે પડે છે. પુસ્તકોની મૈત્રીને ઉત્તમ ગણવામાં આવી છે. આપણી અનેક પેઢીઓનો આ અનુભવ રહ્યો છે. વ્યક્તિનો પોતાનો વિકાસ પુસ્તકોના માધ્યમથી થાય છે. આપણા શાયર ઘાયલે કહ્યું હતું.
‘આશરો છે, પુસ્તકો છે, ખાટ છે.
આપણે બોલો, બીજું શું જોઈએ?’
મહેન્દ્રભાઈ મેઘાણી એક સરસ વાત કરતા હતા. તેઓ કહેતા કે પુસ્તક એવું હોવું જોઈએ કે જે આપણી અંદર થીજી ગયેલી હિમશીલાનું છેદન કરી શકે. લોકોને પુસ્તકો ઉપલબ્ધ થાય તે માટે મહેન્દ્ર મેઘાણીએ કરેલા પ્રયાસો ઐતિહાસિક પ્રયાસો છે. મહેન્દ્ર મેઘાણી અને લોકમિલાપના અનોખા સારસ્વત યજ્ઞથી ‘અર્ધ સદીની વાચનમાળા’ના ચાર ભાગ થયા. ગામડાઓના ગ્રંથાલયો સુધી આ વાંચનમાળાના પુસ્તકો પહોંચી શક્યા. વડોદરાના મહારાજા સયાજીરાવને આ બાબતમાં યાદ કરવા પડે. તેમણે પોતાના રાજ્યમાં એક વ્યવસ્થા ઉભી કરીને જ્યાં ગામ ત્યાં શાળા અને ગામ ત્યાં પુસ્તકાલયની વ્યાપક પ્રથા ઉભી કરી હતી. પુસ્તકાલય મંડળ પણ મહારાજાએ એકસો વર્ષ ઉભું કર્યું હતું જે આજે પણ સક્રિય છે. આજ બાબતને સમર્થન આપે તેવી એક ઘટના પણ તાજેતરમાં ધ્યાનમાં આવી. કેળવણીના ક્ષેત્રમાં પડેલા કે સામાજિક ક્ષેત્રમાં પડેલા કોઈપણ વ્યક્તિએ રાજકોટના ગુલાબભાઇ જાની અને ઉષાબેન જાનીનું નામ ન સાંભળ્યું હોય તેવું બનવાની સંભાવના બહુ ઓછી છે. વર્ષો પહેલા મારે જયારે રાજકોટમાં કામ કરવાનું થયું ત્યારે ગુલાબભાઇ તેમ જ ઉષાબેન સાથે પરિચય થયો. સિસ્ટર નિવેદિતા સંકુલની કામગીરી નજીકથી જોવાની તક મળી. ત્યારબાદ પણ તેઓ જયારે સંનિષ્ઠ શિક્ષકોનું સન્માન કરે ત્યારે પણ ગુલાબભાઇ તથા ઉષાબેનના આગ્રહથી એ સુઆયોજિત કાર્યક્રમોમાં ભાગ લેવાની તક મળી. આથી ગુલાબભાઇ જાનીએ સુંદર તથા દળદાર એવું ગ્રંથગોષ્ટિ પરનું પુસ્તક મોકલ્યું તે જોઈને આનંદ થયો.આ પુસ્તક જોઈને આનંદ એટલા માટે થયો કે પુસ્તકનું વાંચન તો સારું છે જ પણ કોઈ પુસ્તક વાંચીને તે વિશે વાત કરે એટલે કે પુસ્તક ગોષ્ઠી થાય તો તે સોનામાં સુગંધ ભાળ્યા જેવું થાય છે. કોઈક વ્યક્તિ કે સંસ્થા પ્રસંગોપાત આવું કરે પણ ખરા પરંતુ તે લાંબાગાળા સુધી ન ચાલે તેમ પણ બને તેવો આપણો અનુભવ છે. જયારે અહીં ગુલાબભાઈનું પુસ્તક જોયા પછી થયું કે ગ્રંથ ગોષ્ઠિની યાત્રામાં આજ સુધીમાં ૩૦૦ મણકા થયા છે. ૩૦૦ મણકા થયા પછી પણ યાત્રા અવિરત રીતે ચાલુ રહી છે. ગુલાબભાઇ અને ઉષાબેનનો આ સરસ્વતી યજ્ઞ ૩૦૦ મણકા વટાવી ચુક્યો છે તે જાણીને ખુબ આનંદ થયો. ગ્રંથ વાંચવા માટે કે અન્ય ગ્રંથો વાંચવા માટે પણ અનેક લોકોને આ સુઆયોજિત ઉપક્રમથી પ્રેરણા મળે છે. સુવિખ્યાત સામયિક કુમારના તંત્રી શ્રી બચુભાઈ રાવતે દર બુધવારે સાહિત્યલક્ષી પ્રવૃતિઓ માટે બુધ સભા શરુ કરી. આ વિચારને કેન્દ્રમાં રાખીને ડી પી જોશી સાહેબની સ્મૃતિમાં એક ગ્રંથ ગોષ્ઠી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. જુલાઈ ૧૯૯૭થી યાત્રા શરુ કરવામાં આવી અને ૨૦૨૪માં તેને ૨૫ વર્ષ પુરા થયા. સતત ચાલતી આ સરસ્વતી સાધનાના ૩૦૦થી વધારે મણકા થયા. અહીં વિવિધ ક્ષેત્રોના તજજ્ઞોની જ્ઞાનવાણીથી શ્રોતાઓ લાભાન્વિત થયા. કોઈપણ પ્રવૃતિમાં સાતત્ય ખુબ જ મહત્વનું છે. પરંતુ સાતત્ય જાળવવાનું કાર્ય પડકાર ભર્યું છે. પરંતુ ગુલાબભાઇ અને ઉષાબેન પડકારને પહોંચી વળે તેવી નિષ્ઠા ધરાવે છે. આથી અહીં નિયમિતતાનો ક્રમ જળવાયો છે. છેલ્લા ૨૫ વર્ષથી નિયમિત રીતે ગ્રંથ ગોષ્ઠી થાય તે સામાન્ય બાબત નથી. આ માટેની વ્યવસ્થા પણ ખુબ અસરકારક છે. દરેક શ્રોતાજનને ૭ થી ૧૦ દિવસ પહેલા કાર્યક્રમની જાણ કરવામાં આવે છે. સમયની જરૂરિયાત ધ્યાનમાં રાખીને ગ્રંથ ગોષ્ઠીના વિષયો પણ સતત સમીક્ષા કરીને બદલાવવામાં આવે છે. સિસ્ટર નિવેદિતા સંકુલ આજે રાજકોટમાં એક એવી જગ્યા છે કે જેના વિશે ભાગ્યે જ કોઈ રાજકોટવાસી કે સૌરાષ્ટ્રવાસી અજાણ હોય. સ્કૂલ ઓન વહીલ્સ શરુ કરીને તેમણે દૂર સુદૂરના ગામો સુધી શિક્ષણ પહોંચાડવાનો સફળ પ્રયાસ કર્યો છે. ૫૧મી ગ્રંથગોષ્ટિમાં આપણા સુવિખ્યાત સર્જક દિનકરભાઇ જોશીએ સુંદર વાત કરી. તેમણે કહ્યું કે મહાભારતના નાયક કૃષ્ણ ભીષ્મ કે અર્જુન નથી. મહાભારતનો નાયક એ મહાકાળ છે. કાળ કોઈની પરવા કરતો નથી કાળનો પોતાનો એક યુગધર્મ હોય છે. મહાકાળની મહત્તા એ જ મહાભારતનો સંદેશ છે. આપણી જોડે સમગ્ર વિશ્વમાં વાંચનનો પ્રશ્ન છે. વાંચન ઘટતું જાય છે તેથી વાતમાં પણ ઊંડાણ આવતું નથી. ગ્રંથનું વાંચન તથા તેના પર ગોષ્ઠિનો આ ઉપક્રમ એ નિરંતર ચાલતો સરસ્વતીની ઉપાસનાનો અનોખો ઉપક્રમ છે.
વસંત ગઢવી
તા. ૩૦ જૂન ૨૦૨૫
Leave a comment