રામપ્રસાદ બિસ્મિલ-ક્ષણના ચણીબોર

:મોત જેવા મોતને પડકારનારા શહીદ અને શાયર રામપ્રસાદ બિસ્મિલ:

                   ૧૯૨૫ના વર્ષની એ નવમી ઓગસ્ટનો દિવસ હતો. કેટલાક દ્રઢ નિશ્ચય તેમજ ભરપૂર નૈતિકબળ ધરાવતા યુવાનો બ્રિટિશ સરકાર સંચાલિત એક ટ્રેઈનમાં અન્ય મુસાફરો સાથે જ સહજ રીતે બેસી ગયા. તેમની અંદર કે બહાર કોઈ ભય કે આશંકા ન હતા. આ માથા ફરેલ યુવાનોમાં અશફાક ઉલ્લા ખાન, રાજેન્દ્રનાથ લાહિડ઼ી તેમજ શમીચન્દ્રનાથ બક્ષી હતા. ત્રણે યુવાનોએ માતૃભૂમિની સ્વતંત્રતા માટે તે સમયના સૌથી તાકાતવાળા બ્રિટિશ શાસન સામે બાંયો ચઢાવી હતી. માં ભારતીની આઝાદી માટે પોતાની જાનફેસાની કરવાનો તેમનો નિર્ણય હતો. આ ત્રણ ઉપરાંત તેમના સાથીઓ રામપ્રસાદ ‘બિસ્મિલ’ તેમજ ચંદ્રશેખર આઝાદ સહિતના સાત સાથીઓ આજ ટ્રેનના જુદા જુદા કમ્પાર્ટમેન્ટમાં બેસી ગયા હતા. સાંજના થોડો અંધકાર થયો ત્યારે ટ્રેનની સાંકળ ખેંચવામાં આવી(Chain Pulling). માણસનો આકાર દેખાય પણ ઓળખી ન શકાય તેવો આ ઉજાસ-અંધકાર મિશ્રિત સમય હતો. ટ્રેઈન ઉભી રહેતા જ આ બધા મિત્રો બહાર આવી ગયા. ટ્રેઇનના ગાર્ડને પકડીને તેને જમીન તરફ મોં રાખીને સુવડાવવામાં આવ્યો. મુસાફરો બારીમાંથી બહાર જોવાની કોશિષ કરતા હતા. આ સાથીઓમાંથી એક યુવાને મોટા અવાજ સાથે મુસાફરોને કહ્યું:

                          “અમે તમને કોઈ નુકસાન કરવા માંગતા નથી. અમારી લડાઈ અન્યાય તથા જોહુકમીના આધારે સત્તામાં રહેલા બ્રિટિશ રાજ્યકર્તાઓ સામે છે. ટ્રેઈનમાં રહેલો સરકારી ખજાનો અમે લૂંટવાના છીએ. તમે સૌ ઉતારુઓ તમારી જગાએ બેસી રહેજો.” પ્રવાસીઓએ તમામ ઉત્સુક્તાને દબાવીને શાંતિથી બેસવાનું નક્કી કર્યું. આ ટ્રેઈનમાં જે સરકારની ટ્રેઝરીમાંથી નાણાકીય ખજાનો જતો હતો તેની ભારે લોખંડની પેટી ક્રાંતિકારીઓએ ટ્રેઈનની બહાર જમીન પર મૂકી. નક્કી કર્યા મુજબ લોખંડની મજબૂત પેટીને તોડવાનો કાર્યક્રમ શરુ થયો. ટ્રેઇનના રક્ષણ માટે પોલીસબળ નગણ્ય હતું. આથી તેઓ નિષ્ક્રિય રહ્યાં. લોખંડની પેટીને તોડવામાં ધાર્યા કરતા વિશેષ સમય ગયો. ટીમના એક મજબૂત સાથી અશફાકે પેટી તોડવા હથોડો હાથમાં લીધો. પેટીનો ઉપરનો ભાગ તૂટી ગયો. અંદર રહેલો ખજાનો દેખાવા લાગ્યો. તે સમયે જ એક તકલીફના એંધાણ થયા. કોઈ ટ્રેન સામેથી સમાંતર ટ્રેક પર આવતી હતી. જે પંજાબ મેઈલ હોવાની સંભાવના હતી. એ ટ્રેઈન અન્ય ટ્રેઇનને જોઈને ઉભી રહે તો શું થાય? તેમને ગડબડની શંકા જાય તો મુશ્કેલી વધે તે પણ સ્પષ્ટ હતું. “જે થાય તે ખરું” એમ માની તેઓ સ્વસ્થ રહ્યાં. ક્રાંતિકારીઓ જમીન પર સુઈ ગયા. પંજાબ મેઈલ ગતિથી આગળ ધસી જતા તેમને શાંતિ થઇ. ક્રાંતિકારીઓની આ મુશ્કેલી અનાયાસે ટળી ગઈ. સરકારી ખજાનો લઈને ક્રાંતિકારીઓ ખેતરાઉ રસ્તે અંધારામાં જાણે કે લખનૌની દિશામાં ઓગળી ગયા. બીજા દિવસની સવારે લખનૌના લોકો ઉત્સુકતા તેમ જ આશ્ચર્ય સાથે જાગ્યા. સરકારી ખજાનો કાકોરી(ગામ) પાસેથી કોઈ સિફતપૂર્વક લૂંટી ગયું તેવા સમાચાર તેમને વર્તમાનપત્રોના ફેરિયાઓના ઊંચા અવાજમાં સંભળાયા. રામપ્રસાદ બિસ્મિલ તથા અશફાક ઉલ્લા ખાનના નેતૃત્વમાં આ કાર્ય પાર પડ્યું હતું. વિસ બાવીસ વર્ષના આ યુવાનો કોણ હશે તેની ચોરેને ચોંટે ચર્ચા થવા લાગી. ‘કાકોરી રેલ ધાડ’ તરીકે આ ઘટના સરકારી દફ્તરોમાં રહી. હાર્ટન નામના અંગ્રેજ અધિકારીને ઘટનાની તપાસ સોંપવામાં આવી. સમગ્ર ઉત્તર ભારતમાંથી ક્રાંતિકારી ગણાતા યુવાનોની આડેધડ ધરપકડો શરુ થઇ. મળેલા કેટલાક સાંયોગિક પુરાવાઓને આધારે બ્રિટિશ પોલીસની શંકા બિસ્મિલ તેમજ અશફાક ઉપર વિશેષ થઇ. રામપ્રસાદના આસ્થાના સ્થળ સમાન આર્યસમાજ મંદિર તરફ પણ પોલીસનું ધ્યાન ગયું. કેટલીક ભાવિ યોજનાઓના પત્રો બ્રિટિશ સરકારના હાથમાં આવ્યા. બિસ્મિલ ગિરફ્તાર થયો. સરકારના અમલદારો મજબૂત મનના બિસ્મિલ પાસેથી કોઈ માહિતી કઢાવી શક્યા નહિ. બિસ્મિલ એટલે કે ઘાયલ લોખંડી પુરુષ હતા. એક સાથીની મદદથી શાયર બિસ્મીલના કેટલાક શેર ભગતસિંહને પત્ર દ્વારા મોકલવામાં આવ્યા.

અય દિલે નાદાન મીટજા

અબ તું કુએ-યાર મેં,

ફિર મેરી નાકામિયોં કે બાદ,

કામ આયા તો ક્યા.

મીટ ગયા જબ મિટનેવાલા

ફિર સલામ આયા તો ક્યા.

             ભગતસિંહ બીસ્મિલની અર્થસભર ગઝલ વાંચીને ઊંડા વિચારમાં પડી ગયા. સમયનો તકાજો એ બીસ્મિલની જેમ તેમનો પણ પડકાર હતો. સમય ઓછો હતો. બ્રિટિશ શાસનની પક્કડ મજબૂત થઇ રહી હતી છતાં પણ આ સરફરોશીની મહેચ્છા લઈને નીકળેલા યુવાનો જાનના જોખમે સંઘર્ષ કરી રહ્યાં હતા. ‘સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ’ એ શબ્દોવાળુ ફનાગીરીનું બિસ્મિલ રચિત સુપ્રસિદ્ધ ગીત જેલમાં તથા જેલ બહાર સંભળાવ્યા લાગ્યું.

             સરકારે ક્રાંતિકારીઓ સામેના અનેક બનાવટી કેસો પણ ઉભા કર્યા. અદાલતમાં તેમના બચાવ માટેની કોઈ ચોક્કસ તથા મજબૂત વ્યવસ્થા ન હતી. ચુકાદાનો દિવસ આવ્યો. સત્તાધારી લોકો બીસ્મિલ અંગ્રેજ સરકારના કારાવાસમાં પણ જીવતો રહે તેમ ઇચ્છતા ન હતા. આ વીર ચિનગારી સમાન હતો. આથી રામપ્રસાદ, રાજેન્દ્ર તથા રોશનસિંહને ફાંસીની સજા થઇ.

                   મિત્રો એકબીજાને ભેટ્યા. શાયર બિસ્મીલના શબ્દો હવામાં લહેરાવા લાગ્યા.

દર-ઓ-દીવાર પર હસરત સે

નજર કરતે હૈ, ખુશ રહો અહલે-વતન

હમ તો સફર કરતે હૈ.

             જીવનના છેલ્લા દિવસોમાં ‘બિસ્મિલ’ ઉપનામ ધરાવતા પંડિત રામપ્રસાદ આધ્યાત્મિકતાના ઉંચા વિસ્તારમાં વિચરણ કરે છે. સર્વ કર્મો દેવ આધીન છે તેવું માને છે તથા કહે છે. સવારની પોતાની નિયમિત પૂજામાં ગીતાનું પઠન કરતા પરમેશ્વરને કહે છે:

“જો કુછ કિયા સો તે કિયા

મેં કુછ કીન્હા નાહી,

જહાં કહીં કુછ મેં કિયા

તુમ હી થે મુજ માહી”

                            ‘હું બ્રિટિશ સત્તાનું પતન ઇચ્છુ છું.” એ આખરી શબ્દો આ જાંબાઝ યુવક બોલ્યો. બિસ્મિલ ગયા. ભગતસિંહ ભારે હૈયે શ્રદ્ધાંજલિ લખે છે:

                         ” મેં તેમનું અંતિમ દર્શન ફાંસીના આગલા દિવસે કાળ-કોઠડીમાં કર્યું. એ સૌમ્ય મૂર્તિની મસ્તીભરી અદા ભૂલી શકતો નથી. હું બિસ્મીલનો તે સમયથી પૂજારી છું.”

વસંત ગઢવી

તા. ૬ માર્ચ ૨૦૨૫

Leave a comment

Blog at WordPress.com.

Up ↑