:કાગધામમાં મધુરાં માનસગાનની પાવનસ્મૃતિ:
કાળનો પ્રવાહ નિરંતર તથા વેગવાન છે. કાગધામ(મજાદર)માં પૂ. મોરારીબાપુએ કરેલા માનસગાનને ૧૦ વર્ષ પુરા થયા. રામકથાના આ ઐતિહાસિક પ્રસંગની મધુરી સ્મૃતિ આગામી કાગચોથના તા. ૦૩-૦૩-૨૫ના કાર્યક્રમ સંદર્ભે ફરી થાય તે સ્વાભાવિક છે. કોઈ કવિ માટે આવું વિશાળ તેમજ અર્થપૂર્ણ આયોજન જવલ્લે જ જોવા મળે તેવી ઘટના છે. કાગ પરિવારનો અને સમગ્ર મજાદર તથા આસપાસના ગામોનો સહયોગ એ આ પ્રસંગની નોંધપાત્ર ઘટના હતી. પૂ. બાપુના આશીર્વાદ તથા સ્નેહના તાંતણે આયોજકો તેમજ કથાનો વિશાળ શ્રોતાગણ બંધાયેલો હતો. પૂ. બાપુ જ્યાં જ્યાં તુલસીકૃત રામાયણની જીવન દર્શક તથા જીવન પોષક વાતો કરે છે તે દરેક પ્રસંગ અનન્ય છે. પરંતુ જ્યાં કાગના સાહિત્ય સર્જનની સુગંધ હજુ પણ માટીમાં મહોરે છે-મહેકે છે ત્યાં બેસીને રામકથાનું શ્રવણ કરવું તે માણવા જેવો પ્રસંગ હતો. કાગધામમાં રામકથા કહીને પૂજ્ય બાપુ આ “ફાટેલ પિયાલાના કવિ”ના કાળજયી સાહિત્યને સુવર્ણ તિલક કરતા હોય તેવી લાગણી સહજ રીતે થાય છે. કવિ શ્રી દુલા ભાયા કાગના સાહિત્ય અંગે ગુજરાતના અદ્વિતીય એવા લોક સેવક પૂજ્ય રવિશંકર મહારાજની વાત કાન માંડીને સાંભળવા તથા સમજવા જેવી છે. ૧૯૫૬ના ફેબ્રુઆરી માસમાં પૂ. દાદા લખે છે:
“હું તો તમારા મોઢામાંથી નીકળતી પંક્તિઓનો પ્રવાહ જોઈને દંગ થઇ જાઉં છું. વિચારું છું કે ક્યા અભ્યાસને અંતે આવો પ્રવાહ વહેતો હશે? કઈ સમજાતું નથી. એટલું સમજાય છે કે તમારા જેવા કવિઓ થતા નથી પણ જન્મે છે. ઈશ્વરનો એ આશીર્વાદ છે કે ઢોર ચારતાં, જંગલોમાં ફરતાં ફરતાં કાવ્યો સૂઝે અને પવિત્ર નદીઓનો પ્રવાહ વહે તેમ વહેવા માંડે. આ સામાન્ય વાત ન કહેવાય.”
પૂ. રવિશંકર દાદા ખરા અર્થમાં ઝવેરી હતા. તેમની પરખ તથા સૂઝના નિચોડ સ્વરૂપે અંતરની ઊર્મિથી ભીંજાયેલા આ શબ્દોને ઉજાળે તેવું ધન્યનામ સર્જન ભગતબાપુનું છે. શ્રી હિંગોળભાઈ નરેલા લખે છે તેમ આ કવિ સમગ્ર સમાજ માટે પુષ્પોની ચિરંજીવી સૌરભ પાથરીને વિશાળ લોક સમુદાયમાં હૃદયસ્થ થયા છે.
મધમધતો મૂકી ગયો બાવન ફૂલડાંનો બાગ.
અમ અંતરને આપશે કાયમ સૌરભ કાગ.
કવિ શ્રી કાગ સતત વિકસતા વિચારપુરુષ હતા. કોઈ એક રાજ્યના રાજ્યકવિ થઈને મળી શકતી મબલખ સુવિધાઓ સ્વીકારવાનું તેમણે સમજપૂર્વક ટાળ્યું હતું. લોકના થોકમાં જઈને આ કવિ પ્રગટ્યો છે. પગ મને ધોવાધ્યો રઘુરાય કે આવકારો મીઠો આપજે જેવા ભજનો આજે પણ વિશાળ લોક સમૂહના હૈયામાં જીવે છે અને ધબકતા રહે છે. કાગની કળાના પ્રશંસક તથા સાહિત્યના ઊંડા અભ્યાસી શ્રી વિનુભાઈ મહેતા કાગવાણીને લોકભાષાના ગ્રંથ સાહેબની ઉપમા આપીને નવાજે છે તે થોડામાં ઘણું કહી જાય તેવી સ્નેહાંજલિ છે. કવિને જગદંબાની કૃપાથી શબ્દની અમૂલ્ય સોગાત સાંપડી છે પરંતુ તેમની વાણીમાં ભારોભાર વિવેક તથા વિનયના દર્શન થાય છે.
સતગુરુ ! હું તો વગડાનું ફુલડું રે…
સાધુ ! તમે કેડે ચાલ્યા જાઓ…
વેલેથી ઉતારી મને હૈયે ધરો રે…
વાંચો મારા ભીતર કેરો ભાવ.
અનેક સાધુ પુરુષોના હ્ર્દયમાં સ્નેહનું સ્થાન મેળવનાર આ વગડાનું ફૂલ કદી ઝાંખું-પાંખું થાય તેવું નથી.
કવિ શ્રી દુલા ભાયા કાગ કે જેમને સમાજ ભગતબાપુના વહાલસોયા નામથી ઓળખે છે તેમની અમદાવાદની મુલાકાત બાબતમાં સુવિખ્યાત સર્જક શ્રી જયભિખ્ખુએ (શ્રી બાલાભાઈ વીરચંદ દેસાઈ) એક મજાની વાત લખી છે. શ્રી જયભિખ્ખુને ત્યાં કવિશ્રીનો ઉતારો રહેતો અને બંનેને પરસ્પર અનન્ય સ્નેહ હતો. શ્રી જયભિખ્ખુ કહે છે કે કવિ કાગ જેવા સર્જકો સમાજના આભૂષણ સમાન છે. કાગના માળામાંથી કવિતા રેલાવી જનારો આ દાઢીવાળો કવિ કાવ્ય મોહિની પાથરીને ફેબ્રુઆરી-૧૯૭૭માં આ જગતના ચોકમાંથી ઉડાણ ભરી ગયો. કચ્છના મર્મિ કવિ શ્રી દુલેરાય કારાણીએ પણ લગભગ આવા જ ભાવ સાથે કવિ કાગને અંજલીના પુષ્પો સમર્પિત કર્યા.
કાગના દેશમાં આજ આ વેશમાં
માન સરવર તણો હંસ આવ્યો
મધુર ટહુકારથી રાગ રણકારથી
ભલો તે સર્વને મન ભાવ્યો
લોકના થોકમાં લોક સાહિત્યની
મુક્ત મનથી કરી મુક્ત લ્હાણી
શારદા માતનો મધુરો મોરલો
કાગ ટહુકી ગયો કાગવાણી.
ભગતબાપુનું વ્યક્તિત્વ પ્રભાવી હતું. તેમના જીવનકાળના આખરી તબક્કામાં તેમની તબિયતના કારણે તેઓ કેટલોક સમય ભાવનગરની ચારણ બોર્ડિંગમાં રહેતા હતા. તેમની ઉપસ્થિતિ વિદ્યાર્થીઓ માટે પ્રેરણા તેમજ પ્રોત્સાહક રહેતી હતી. ભારતના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી મોરારજીભાઈ દેસાઈ તેમને મળવા આવ્યા ત્યારે જે વાતો થઇ તે બંને મહાનુભાવોની પીઢતા તથા ઊંડી સમજની સાક્ષી સમાન છે. મોરારજીભાઈએ આપણાં સાહિત્ય તેમજ વિશેષ કરીને લોકસાહિત્યની ઉમદા બાબતો ભાવિ પેઢીઓ સુધી કેવી રીતે પહોંચાડી શકાય તે બાબતને એક પડકારરૂપ ગણાવી હતી. ભગતબાપુએ કહ્યું કે તેમની ચિંતા સાથે તેઓ પૂર્ણતઃ સંમત છે. માત્ર સરકારના પ્રયાસો પર આધાર ન રાખતા સામાજિક તેમજ શૈક્ષણિક સંસ્થાઓ પણ આ કાર્ય કરવા સ્વેચ્છાએ આગળ આવે તે બાબત બંને અગ્રણીઓ એકમત હતા. બોર્ડિંગના વિદ્યાર્થીઓને આ વાતચીતના વિષય અંગે કેટલીકવાર ભગતબાપુ પોતે સમજાવતા હતા. આમ છતાં આવી અનેક મહત્વની મુલાકાતોનું અધિકૃત રેકોર્ડ ન રહ્યું તે અફસોસ કરાવે એવી બાબત છે. આવા મહાનુભાવોના વિચારબિંદુનું પણ એક મૂલ્ય રહેતું હોય છે.
કવિ કાગ આવા એક ધરતી સાથે જોડાયેલા કવિ હતા. પૂ. મોરારીબાપુ યથાર્થ રીતે તેમને ઉંબરથી અંબર સુધીના કવિ તરીકે પૂર્ણ ભાવથી ઓળખાવે છે. અક્ષરજ્ઞાન ઓછું પરંતુ અંતરજ્ઞાનના મહાસાગર જેવું તેમનું પ્રભાવી વ્યક્તિત્વ હતું. રાજસ્થાનમાં સાહિત્યના ઉપાસકો-સર્જકોની મળેલી બેઠકમાં કવિ શ્રી કાગ વિષે બોલાયેલા શબ્દો શ્રી શક્તિદાનજી કવિયા પાસેથી સાંભળવા મળ્યા હતા.
બોલે કોયલ બાગ સું, મીઠપ સું મનડા હરે,
થારી કેવી વાણી કાગ, દુનિયા વશ કી દુલીયા.
વસંત ગઢવી
તા. ૧૦ ફેબ્રુઆરી ૨૦૨૫
Leave a comment