: વીરવદરકાની મોંઘેરી સોગાત: કવિ બાપુભાઈ ગઢવી : ક્ષણના ચણીબોર :

     પ્રિય બાપુભાઈ હવે આ દુનિયા માં રહ્યા નથી તેવા સમાચાર જાણવા મળ્યા ત્યારે ઊંડો અફસોસ થયો. તેઓ રહ્યા હોત તો આપણી ભાષાના ઉત્તમ કવિઓમાં તેમની ગણના થઇ હોત તેમ કહેવામાં અતિશયોક્તિ નથી. તેઓનો માત્ર એક જ કાવ્યસંગ્રહ થઇ શક્યો. પરંતુ તે કાવ્યસંગ્રહની રચનાઓનું સાહિત્યીક મૂલ્ય જોતાં આ કવિ જનમાનસની લાગણીઓને ઓળખનારા જણાયા. તેઓ અકાળે ગયા તેથી વિશેષ દુઃખ થયું. તેમના આ દુઃખદ સમાચાર સાંભળીને કવિ ઉમાશંકર જોશી ની અર્થપૂર્ણ કાવ્યપંક્તિઓ સ્મૃતિઓ માં અનાયાસે આવી.

કવિ ઉમાશંકર જોશી લખે છે:

કાળને તે કહીએ શુ?

જરીકે નવ ચૂકીઓ

પાંચ આંગળીઓમાંથી

અંગુઠે વાઢ મુકીયો.

                            કાળની ગતિ ન્યારી છે. બાપુભાઈને મળવાના અનેક પ્રસંગો થયા છે. તેમનું વતનનું ગામ વીરવદરકા એ મોરબી વિસ્તારમાં જાણીતું ગામ છે. રાજકોટ જિલ્લામાં જયારે સરકારી સેવામાં હતો ત્યારે વદરકા જવાનું થયું હતું. બાપુભાઈ વીરવદરકાના ખરા પ્રતિનિધી હતા તેમ કહેવું ઉચિત ગણાશે. બાપુભાઈ એક નખશીખ સજ્જન વ્યક્તિ હતા.તેથી જ એક સજ્જન તથા સરળ પ્રકૃતિના માનવીના ગધ્ય કે પધ્ય વાટેના ઉદગારો વિશેષ અસરકારક બને છે. ઉદાહરણ તરીકે જોઈએ તો મીરાં, કબીર કે નરસિંહની રચનાઓમાં આ સરળ માનવીઓના ઉત્તમ જીવનનું દર્શન અનાયાસેજ થાય છે. બાપુભાઈનો સ્મિત સાથેનો ચહેરો મનમાં ઊંડે સુધી કોતરાઇને પડેલો છે. પ્રસંગોપાત ઘરે આવેતો વાતોની મજાનો એક નાનોશો કાર્યક્રમ ગોઠવાઈ જતો હતો.

                           કવિ બાપુભાઈના કાવ્યોમાં કોઈ આડંબર હોવાનો સંભવ નથી. તેમ થવાનું મુખ્ય કારણ એ છે કે તેમના જીવન અને રહેણી – કહેણી માં કોઈ આડંબર નથી. જો તેમ ન હોતતો આવા સ્પષ્ટ શબ્દો બાપુભાઈ ની કલમેથી અવતર્યા ન હોત.

કવિ લખે છે:

                         ” આમ તો ૧૯૭૪ થી લખ-વા લાગુ પડેલો. વચ્ચે વચ્ચે સ્થિતિ -પરિસ્થિતિવશ કલમની જગાએ દાતરડું, પાવડો, છોરીયું આવતા રહ્યા ” કોઈપણ સ્થિતિ હોય અને હોય તેવી જ સ્વીકારીને નિર્ભયતાથી કહેવી તે જીવનની નાની સિધ્ધિ નથી. કવિ ના હૃદય ની વીશાળતાએ જીવનની કડવી વાસ્તવિકતાઓના ઘૂંટને મીઠો કરી માણ્યો તથા મમળાવ્યો છે. કોઈ ના તરફ ફરિયાદ નથી તેમ કોઈની સાડીબાર પણ નથી. કવિના જીવનની ખુમારીએ તેમને ઝઝૂમવાનું બળ આપેલું છે.

                            કવિ બાપુભાઈનું આયુષ્ય ઓછું રહ્યું. ઓછા આયખા માં પણ જીવનના અનેક ઝંઝાપતો સામે સંઘર્ષ કરવાનું થયું. આમ છતાં તેમનો એકમાત્ર કાવ્ય સંગ્રહ ( કે નદી વચ્ચે છીએ? ) ખૂબ જ  નોંધપાત્ર રહ્યો. માત્ર એક જ પ્રકાશિત કાવ્યસંગ્રહ હોવા છતાં તેમની એક કવિ તરીકેની છાપ ખૂબ જ મજબૂત છે. જીવન અનેક લોકોની કસોટી કરતું રહે છે. અનેક લોકોના જીવનમાં તેનાથી કદાચ કડવાશ પણ આવતી હશે. પરંતુ એક સર્જક તરીકે અનેક સુપ્રસિધ્ધ સર્જકોએ જીવનના આ ઉતાર – ચઢાવને પચાવીને જગતને અમૃતપાન કરાવ્યું છે. કવિ કુલગુરૂ કાલિદાસ માટે કવિગુરુ રવિન્દ્રનાથ ટાગોરે આ સંદર્ભમાં  એક કાવ્યપંક્તિ લખી હતી. આ સુંદર પંક્તિનો આપણી માતૃભાષામાં અનુવાદ કવિ ઉમાશંકર જોશીએ કર્યા છે તે માણવા યોગ્ય છે.

જીવન મંથન વિષ

પોતે કરી પાન,

અમૃત જે ઉપન્યુ

કરી ગયા છો દાન.

                             કવિ બાપુભાઈએ જીવનમાં વિવિધ અનુભવો મેળવ્યા.જયારે મળે ત્યારે તેમના સ્વભાવ મુજબ તે બાબતમાં ખુલીને વાતો કરે. એમને કાવ્ય રચવાની પ્રેરણા પણ અંતરાત્માના સાદે થઇ. અનેક સુપ્રસિધ્ધ સર્જકો પોતાની રચનાઓ થકી અમર થઈ ગયા. આ દેવીપુત્રને થાય કે આપણે પણ આ દિશામાં કઈંક કરીએ તો કેવું? જગતને ઉત્કંઠા તેમજ  વિસ્મયથી જોનારની કલમે ઘણી વખત આપોઆપ જ કાવ્ય કંડિકાઓ ખરી પડતી હોય છે. બાપુભાઈએ સંકોચ સાથે થોડી પંક્તિઓ લખી. કવિના નસીબે તેમ જ તેમની આંતરીક સર્જન શક્તિએ અહીં મદદ કરી. કવિતાનો હોંકારો પણ આપણી ભાષાના એક દિગ્ગજ સાહિત્યકાર ભગવતીકુમાર શર્મા તરફથી મળ્યો. કવિ માટે આ એક મોટું પ્રોત્સાહન હતું ‘ ગુજરાત મિત્ર ‘ જેવા સૂરતના લબ્ધ પ્રતિષ્ઠિત દૈનિકમાં કવિ બાપુભાઈ ની રચના પ્રગટ થઈ. અનેક લોકોએ તેને હર્ષભેર આવકારી. અનેક કવિની રચનાઓ તે જે કંઠેથી રજૂ થાય છે તેના કારણે વિશેષ પ્રસિધ્ધિને વરે છે. પ્રસ્તુતિ કરનાર કલાકારની શક્તિ પણ કવિતામાં ભળે છે. સારી કવિતા વિશેષ રુડી બને છે. કવિ બાપુભાઈ ની એક સર્વાંગ સુંદર રચનાને મનહર ઉધાસ જેવા પ્રસ્તુતકર્તાનું ગળું મળ્યું. ગુજરાતના લોકોએ આ રચનાને ખોબે અને ધોબે વધાવી લીધી.

આ જાણીતી લોકપ્રિય ગઝલના શબ્દો સ્મૃતિમાંથી ખસે તેવા નથી.

તમને સમય નથી અને

મારો સમય નથી,

કોણે કહ્યું કે આપણી વચ્ચે

પ્રણય નથી !

વિસરી જવું એ વાત

મારા હાથ બહાર છે

ને યાદ રાખવું એ

તમારો વિષય નથી !

                         એક અચ્છા પ્રૂફ રીડર તરીકે પણ કવિ બાપુભાઈ મિત્ર વર્તુળમાં ખૂબ જાણીતા હતા. કવિએ ૧૯૭૪ થી લખવાનું શરું કર્યું. વચ્ચે ઘણો સમય ગયા પછી ૨૦૦૩ માં તેમના પ્રથમ કાવ્યસંગ્રહ ‘ કે નદી વચ્ચે છીએ? ‘ પ્રસિધ્ધ થયો. અનેક સાહિત્યના જાણકારોએ તેને આદરથી વધાવી લીધો. કવિ ગયા પછી ઘણા વર્ષો બાદ આજે પણ તેમની સ્મુર્તિ અનેક લોકોના મનમાં તાજી છે. કવિના એકમાત્ર કાવ્યસંગ્રહ ની ગઝલો વિશે સાહિત્યના ઉપાસકો વાત કરે તે સુંદર વિચાર છે. ‘ ચરજ ‘ મેગેઝીન અને તેના સંપાદકો તે પ્રસંગના આયોજન માટે અભિનંદનને પાત્ર છે. બાપુભાઈના જીવન તેમજ કાવ્યો વિશેના ‘ ચરજ ‘ ના વિશેષાંકનું સ્વાગત છે. તા. ૨૧-૧૨-૨૦૨૪ ના દિવસે ગુજરાતના જાણીતા સાહિત્યકારોની ઉપસ્થિતિમાં સાહિત્ય પરિષદના આંગણે યોજવામાં આવેલા કવિ બાપુભાઈની સ્મૃતિવંદના માટેના આ કાર્યક્રમ માટે હાર્દિક શુભેચ્છાઓ છે.

કવિના શબ્દો સ્મૃતિમાં આવ્યા કરે છે: 

અમને ભૂલી જવું નથી અઘરું

કોણ ગઈ – ગુજરી કાલ પૂછે છે?

વસંત ગઢવી 

તા. ૧૨ નવેમ્બર ૨૦૨૪

Leave a comment

Blog at WordPress.com.

Up ↑