વાટે…ઘાટે:દાનઅલગારી: ભાતીગળ વ્યક્તિત્વ તથા કવિત્વ:

લોક સાહિત્યના નામી કલાકારોમાં કવિ ‘દાન અલગારી’ એક જુદી ભાત પાડનારા છે.  દાન અલગારી સંબંધોની મૂડી તથા સજ્જનોની હૂંફ મેળવીને અલગારી આયખું જીવી ગયા. પૂજ્ય મોરારીબાપુ તથા શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલાના સ્નેહનો નિરંતર પ્રવાહ દાન તરફ હંમેશા વહેતો રહ્યો. નાગેશ્રીના સુરગભાઇ વરુ તથા તેમના સુપુત્ર પ્રતાપભાઈ વરુ તથા તે વિસ્તારના સમગ્ર કાઠી ડાયરાના સ્નેહથી દાન ભીંજાતા રહ્યા. લોકસાહિત્યના જાણતલ તથા માણતલ અને આપણાં એક સુવિખ્યાત સર્જક દોલતભાઈ ભટ્ટનો જાગતો હોંકારો દાનના શબ્દોને તથા દાનની ઉર્મિઓને સદા વધાવતો રહ્યો. અનેક સાહિત્ય પ્રેમીઓને “હમણાં દાન દેખાયા નથી.” તેવી ફરિયાદ કરતા સાંભળ્યા છે. અચાનક દાન અલગારી મળે ત્યારે આવા સ્નેહીઓને અષાઢી મેઘની વાદળીના દર્શન થયા હોય તેવો ભાવ થતો હતો. સંબંધોની આ મૂડી ઉભી કરવી અને તેને જીવન પર્યંત સાચવવી તે કોઈ નાની સુની સિદ્ધિ નથી. આમ થવા પાછળનું એક કારણ કદાચ એવું પણ હોઈ શકે કે દાન અલગારી નામની આ હસ્તીને બરાબર ખબર હતી કે તે શબ્દના સોદાગર છે. એ જે કરે છે તે તો હીરાનો વેપાર છે. આથી જ ભગતબાપુએ લખ્યું છે તેમ દાને કદી “બકાલીને બાર” જઈને શબ્દનો અસબાબ ખુલ્લો કર્યો નથી. હીરાના આ વેપારીને તેના ઝવેરીઓ તરફ આજીવન શ્રદ્ધા રહી હતી. આવા ઝવેરીઓએ તેમની પરખ પણ સુપેરે કરી જાણી છે.

વીરા તારે હીરાનો વેપાર

ભાઈ ! તું તો ઝવેરાતનો જાણનાર…

કંઈક મફતિયા ફરે બજારે

બેસશે રોકીને બારજી

મોઢું જોઈને ખોલજે

તારી તિજોરીના દ્વાર… વીરા તારે…

                 અલગારી દાને જે ઉજળા આંગણે જઈને પોતાના હૈયાની ઊર્મિ વહાવી છે તેમાં હેતુ વિનાના હેતનું દર્શન થાય છે. દાન મહારાજની પવિત્ર જગા(ચલાળા) તરફ દાન અલગારીની વિશેષ આસ્થા છે. એક અનોખી તથા આગવી પરંપરાને સાચવીને ઝળહળી રહેલી દાન મહારાજની દોઢીએ કવિની દિલની મોજ સહેજે છલકાય છે. કવિને આ જગાના અનેક જ્યોતિર્ધરોની ટુકડો આપીને હારીને ઢુકડો કરવાની પરંપરાનું ભારે ગૌરવ છે. ચલાળાના આંગણે ઉગેલા તથા મહોરેલા આંબાને કવિ વધાવે છે. 

ટુકડો આપીને ઢુકડો કીધો

અવિનાશીને એણે રે

અલગારી કહે આંચ ન આવે

નિરખ્યાં દેવળ જેણે રે…

                 સર્જક ક્યારેક કાળના કપરા પ્રવાહમાં મૂંઝારો પણ અનુભવતો હોય છે. સાધન સગવડ ભલે કદાચ ઓછા હોય તો પણ સર્જકને-કવિને તેનો રંજ નથી. દાન જેવા રંગદર્શી જીવો માણસ ભૂખ્યા હોય છે. વાતને સમજીને તથા માણીને દાદ આપી શકે તેવા લોકો તરફ કલાકારની મીટ મંડાય છે. પરંતુ “વાત માંડવાના ઠેકાણા” જયારે ઓછા થતા જાય ત્યારે કવિની વેદના તેના શબ્દોમાં પ્રગટી જાય છે.

ખૂટી ગયા છે ખલકમાં

સમજુને શાણા

નબળાને કેવાય નહિ

રીડ રુદિયે રાણા.

પરવારી ગયા પુણ્યને

કરમના કાણાં

એના દલને ઓરતા

રયા રુદિયા રાણા.

મરદ પટાધર નો મળ્યા

ન રળ્યા નાણાં

અલગારીને આટલી

રાવ રુદિયા રાણા.

                     દાન અલગારીની એક ઓળખ એ તેમનો સ્વમાની સ્વભાવ છે. કવિ કોઈને ઉતાવળે નમી પડે તેવા નથી. સામા પુરે તરવાની હામ હૈયામાં સાચવીને તેઓ ઉન્નત શિરે જીવ્યા છે. આમ છતાં નમન કરવાના ઠેકાણા પણ કવિએ હૈયા ઉકલતથી તથા અંતરની શ્રદ્ધાથી બરાબર પારખ્યા છે. આથી જ કવિ સાળંગપુરના દેવને સહેજમાં જ નમી પડે છે.    

સાળંગપુરના દેવ સત્ય છો

સાંભળજો આ વાતલડી

કષ્ટભંજન તમે દુઃખડા કાપો

અરજી છે બસ આટલડી

               દાન અલગારી સદેહે આપણી વચ્ચે રહ્યા નથી તે ગમે નહિ તેવી વાસ્તવિકતા છે. છતાં એ વાતનો વિશ્વાસ પણ છે કે દાન તેમના મોંઘામૂલા સર્જનો થકી આપણી વચ્ચે કાયમ જીવતાં અને ધબકતા રહેવાના છે. કાળના વહેતા પ્રવાહમાં તેમનું વ્યક્તિત્વ ઝાંખું પડે તેવું નથી. ભર્તુહરિ મહારાજે કહેલું છે તેમ કવિઓ-સર્જકો જરા-મરણના ભયને પરાજિત કરીને ગયેલા છે.

                દાનને મળવાના અનેક પ્રસંગો થયા છે. તેમના વ્યક્તિત્વમાં જ અનોખું આકર્ષણ હતું. એક વખત કોઈ તેમને મળે તો મળનારની ઈચ્છા દાનને ફરી મળવાની રહેજ. દાન અલગ મિજાજના માનવી હતા. મેઘાણીએ ચારણ કવિઓને મળવા બાબતે લખ્યું હતું. તેમણે આ સંદર્ભ અડીખમ વ્યક્તિત્વ ધરાવતા ઠારણબાપુને કેન્દ્રમાં રાખી આપ્યો હતો. ઝવેરચંદ મેઘાણી કહે છે કે આવા ભાથી કવિઓને અલગ પ્રકારના વિવેક તથા આદર સાથે મળવું જોઈએ. મોટરોના ધુમાડા ઉડાડવાથી એટલે કે બાહ્ય દેખાવથી કે ઠઠારાથી અંજાય તેવા આ લોકો નથી. અંતરના સ્નેહથી આ મર્મીઓના દિલ જીતવા જોઈએ. તેમ થાય તો જ અનોખી વાતોનો ધોધ તેઓ વહાવે છે. ભગતબાપુ(કવિ દુલા ભાયા કાગ) તેમજ મેરૂભાની પ્રતિભા સાહિત્યપ્રેમીઓના વર્તુળમાં વ્યાપક હતી. તેમની વિદાય પછી જે કલામર્મજ્ઞોએ લોકસાહિત્યની તેમજ ચારણી સાહિત્યની મશાલ પકડી તેમાં ઘણાં ઉજળા નામ હતા. તેમણે ભગતબાપુ તેમજ મેરૂભાનો વારસો જાળવ્યો તેમજ દીપાવ્યો હતો. દાન અલગારી આ પેઢીના એક મહત્વના મણકા સમાન હતા. 

          દાન અપાર સંઘર્ષ વચ્ચે જીવ્યા અને ઝળહળતા રહ્યા. સંઘર્ષ એ તેમના જીવનક્રમનો જ એક સહજ ભાગ હતો. દરેક સ્થિતિમાં તેમના મનની મોજ બળુકા શબ્દોમાં ઉતરતી રહી છે. આજે પણ તેમના પદો વખતોવખત મંચ પરથી રજુ થતા રહે છે. તેમના માતૃશ્રી કરણી બા સાથે તેમનો નાતો જીવનભર લીલો છમ્મ રહ્યો. કદાચ માં તેમનું પ્રેરણાસ્થાન હતા. દરબાર પુંજાવાળા જેવા અનેક સાહિત્યપ્રેમીઓ તેમના વાત માંડવાના ઠેકાણા સમાન હતા. દાનનું સાહિત્ય “અલગારીની ઓળખ” પુસ્તકમાં સચવાયું છે. તેના પ્રકાશક શ્રી અભેસિંહ રાઠોડ છે. આ પુસ્તકનું સુંદર સંકલન તથા સંપાદન દોલત ભટ્ટ, ભરત કવિ, ડો. નિરંજન રાજ્યગુરુ તથા ડો. અંબાદાન રોહડિયાએ સુંદર રીતે કરેલું છે. દાન અલગારી આપણાં લોક સાહિત્યના ક્ષેત્રમાં હંમેશા ઝળહળતું રહે તેવું નામ છે.

                  વસંત ગઢવી

તા. ૧ ૩ સપ્ટેમ્બર ૨૦૨૪

Leave a comment

Blog at WordPress.com.

Up ↑