સંસ્કૃતિ:દક્ષિણઆફ્રિકાનાસત્યાગ્રહનોઇતિહાસઅનેમહાત્માગાંધી:

    દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ મહાત્મા ગાંધીએ જાતે લખ્યો એ મહત્વની વાત છે. આ સમગ્ર લડતની વિચારણા, સ્વરૂપ તથા અમલમાં ગાંધીજી કેન્દ્રસ્થાને રહ્યા છે. “દક્ષિણ આફ્રિકા સત્યાગ્રહનો ઇતિહાસ” (ગાંધીજી)એ પુસ્તક 1924માં પ્રકાશિત થયું. આથી આ ઐતિહાસિક પુસ્તકની આ શતાબ્દીનું વર્ષ છે. જયારે આ ઇતિહાસ લખાયો ત્યારે ‘નવજીવન’માં શ્રેણીબઘ્ધ રીતે પ્રકાશિત થતો રહ્યો હતો. એક પુસ્તક સ્વરૂપે તેને સો વર્ષ થયા છે. આ ઇતિહાસ ઘણો જ રસપ્રદ છે. અનેક ઘટનાઓથી ભરપૂર છે. આમ છતાં તે જોઈએ તેટલો પ્રસિદ્ધિને વર્યો નથી. આ પુસ્તક લખવામાં પણ ગાંધીજીને પૂનાની યરવડા જેલનો જેલવાસ સહાયરૂપ થયો. યરવડા જેલમાં ગાંધીજી જયારે સજા ભોગવતા હતા ત્યારે તેમણે આ ઇતિહાસ લખાવ્યો. અહીં તેમને ઇન્દુલાલ યાજ્ઞિક જેવા સુસજ્જ લહિયા મળ્યા હતા. ગાંધીજી બોલતા ગયા અને ઇન્દુલાલ લખતા ગયા. ઇતિહાસના 30 પ્રકરણો આ રીતે લખાયા. ગાંધીજી આ પુસ્તકની પ્રસ્તાવનામાં લખે છે: “જેલમાં મારી પાસે આધારો માટે પુસ્તક ન હતા…જો કે આધાર વિના લખેલી વસ્તુ છે તો પણ તેમાં એક પણ હકીકત બરાબર નથી અથવા અતિશયોક્તિવાળી છે એમ કોઈ ન સમજે તેવી વિનંતી છે.” એક સંતુલિત લખાણ થાય તેવી બાપુની શૈલી હતી. આ બાબત તેમના દરેક લખાણોમાં પણ જોઈ શકાય છે. આફ્રિકામાં રોજીરોટી રળવા ગયેલા હિંદીઓની સ્થિતિનો વાસ્તવિક ચિતાર આ પુસ્તકમાંથી મળે છે. 

                          દુનિયાભરમાં લોકોના સ્થળાંતર કે MIGRATIONની એક પધ્ધતિ રહેલી છે. લોકોને પોતાના પ્રદેશમાં રોજી રોટીની પૂરતી સુવિધા ન મળે ત્યારે તેઓ સ્થળાંતર કરે છે. આજે પણ આ સ્થિતિ જોવા મળે છે. આપણાં દેશનો એક મોટો વર્ગ ગામડાઓમાંથી મોટા શહેરો તરફ રોજીરોટી મેળવવા સ્થળાંતર કરે છે. સમગ્ર દેશના અનેક યુવાનો અમેરિકા તેમજ યુરોપના કેટલાક દેશો તથા ઓસ્ટ્રેલિયામાં લાંબા ગાળા માટે અથવા કાયમી ધોરણે સ્થાયી થવા માટે સતત પ્રયત્નશીલ રહે છે. કાનૂની નથી તેવા રસ્તે પણ લોકો બહાર જવા તત્પર છે. આ રીતે જ દક્ષિણ આફ્રિકાના ગોરા શાસકોની મજૂરોની જરૂરિયાતને પહોંચી વળવા માટે અનેક હિંદીઓ 19મી સદીમાં આફ્રિકામાં ગયા. અંગ્રેજોએ તેમના શાસનને વિસ્તૃત કરવાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને મજૂરોને કામ આપવાનું શરુ કર્યું. અંગ્રેજોને આ મજૂરીના કાર્ય માટે દક્ષિણ આફ્રિકાના સ્થાનિક ‘કાળા લોકો’ કામ લાગે તેમ ન હતા. હબસી તરીકે ઓળખાતા આ લોકો સખત મજૂરી કરવા ટેવાયેલા ન હતા. તેની સામે હિંદીઓ સખત કામ કરી શકતા હતા. આથી હીન્દથી મજૂરોને લાવવાનું તેમણે વિચાર્યું. આફ્રિકાની જેમ હિન્દુસ્તાન પર પણ બ્રિટિશરો રાજ્ય કરતા હતા. આથી દક્ષિણ આફ્રિકાના ગોરા શાસકોનું કાર્ય સરળ થયું. આથી હિંદના મજૂરોને સાઉથ આફ્રિકામાં લાવવા માટે એક Agreement  તૈયાર થયું. 1860થી આ મજૂરો લાવવાની પ્રથા શરુ થઇ. હિન્દુસ્તાનના મજૂરોને એગ્રીમેન્ટ પર આફ્રિકામાં લાવવામાં આવતા હોવાથી એગ્રીમેન્ટથી આવેલા લોકો તરીકે તેઓ ઓળખાવા લાગ્યા. ક્રમશઃ વાતચીતની ભાષામાં એગ્રીમેન્ટ શબ્દનું અપભ્રંશ ગિરમીટ થયું. આથી આફ્રિકામાં આવતા હિન્દી મજૂરો ગિરમીટિયા તરીકે ઓળખાવા લાગ્યા. 

                દક્ષિણ આફ્રિકાની આ પુર્વભુમિકામાં બેરિસ્ટર ગાંધીનું આગમન 1893માં થયું. યુવાન બેરિસ્ટર નાતાલ પ્રદેશના મુખ્ય નગર ડર્બનની અદાલતમાં કેસ લડવા ઉપસ્થિત થયા. ગાંધીજીએ તે સમયે તેમનો સામાન્ય હિન્દુસ્તાની પોશાક પહેર્યો હતો. તેઓ કાઠિયાવાડની પાઘડી બાંધીને અદાલતમાં હાજર થયા. ન્યાયધીશે યુવાન બેરિસ્ટરને પાઘડી ઉતારીને અદાલતમાં હાજર થવા કહ્યું. બેરિસ્ટર ગાંધીએ પાઘડી ઉતારવાની સ્પષ્ટ ના પાડી. આ અન્યાયી પ્રથા સામે તેઓ અદાલતનું સ્થળ છોડીને ચાલી ગયા. વિકટ સ્થિતિમાં દ્રઢ મનોબળને પ્રદર્શિત કરવાનો આ પ્રથમ પ્રસંગ દક્ષિણ આફ્રિકમાં થયો. સમગ્ર વિશ્વને દોરી શકે તેવા વ્યક્તિત્વની એક આછી ઝલક અહીં જોવામાં આવી. પરંતુ વાત અહીંથી અટકી ન હતી. નાતાલથી ટ્રાન્સવાલ પરગણાના મુખ્ય શહેર પ્રિટોરિયા જવા માટે રેલવેમાં નીકળ્યા. પ્રથમ વર્ગની ટિકિટ હોવા છતાં એક કાળો માણસ ગોરા નાગરિક સાથે પ્રવાસ કરી શકે નહિ તે વણલખી અન્યાયી પ્રથા હતી. બેરિસ્ટર ગાંધીને પીટરમેરિત્સબર્ગના સ્ટેશને ધક્કો મારીને પ્લેટફોર્મ પર ઉતારી દેવાયા. તેમના સામાનને પણ પ્લેટફોર્મ પર ફંગોળી દેવામાં આવ્યો. જગતભરમાં આજે પણ પ્રસિદ્ધ એવા આ બનાવથી એક વકીલ પડ્યો પરંતુ એક સત્યાગ્રહી ઉભો થયો. જો કે બેરિસ્ટર ગાંધી મૂળભૂત રીતે તેમના જાણીતા અસીલ દાદા અબ્દુલાની પેઢી માટે કેસ લડવા આફ્રિકા ગયા હતા. એકાદ વર્ષમાં જ હિન્દુસ્તાન પાછા જવાની તેમની ગણતરી હતી. પરંતુ નિયતિનું નિર્ધારણ અલગ હતું. સ્થાનિક હિંદીઓની જરૂરિયાત તથા તેમની લાગણીને ધ્યાનમાં રાખી ગાંધીજી આફ્રિકામાં વધારે સમય રહ્યા. 1896માં નવયુવાન ગાંધી આફ્રિકા ફરી જવાના નિર્ણય સાથે હિન્દુસ્તાન આવે છે. દક્ષિણ આફ્રિકાની સ્થિતિથી તેમણે દેશમાં સૌને વાકેફ કરવાનું કાર્ય કર્યું. ગાંધીજીએ હિંદીઓને આફ્રિકામાં થતાં અન્યાય અંગે પુસ્તિકા પ્રકાશિત કરી. દસેક હજાર નકલો છપાવીને તમામ જાણીતા અખબારો તેમજ અગ્રણીઓને મોકલી આપી. જો કે દક્ષિણ આફ્રિકાના ગોરા લોકોને બેરિસ્ટર ગાંધી માટે તેમના સત્યકથનને કારણે તિરસ્કાર થયો. આ ગુસ્સાનો સામનો ગાંધીજીએ ફરી દક્ષિણ આફ્રિકામાં જતા કરવો પડ્યો. તેમના પર જીવલેણ હુમલો પણ થયો. 

                      સત્યાગ્રહનો ઇતિહાસ એક સદી પછી જોઈએ તો પણ જગતના અનેક ખૂણાઓમાં અન્યાયી પ્રથાઓ આજે પણ હયાત જોવા મળે છે. અન્યાયી વ્યવસ્થાઓને કારણે જગતની વિશાળ જનસંખ્યા પાસે સંપત્તિનો નાનો હિસ્સો છે. સંપત્તિ અને સત્તાના કેન્દ્રીકરણની વાતો સતત ચર્ચામાં રહે છે. ગાંધી જેવા નેતૃત્વની સતત ઉણપ વરતાયા કરે છે. દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહની શતાબ્દીના આ સમયે ફરી બાપુની અમોઘ શક્તિની પાવન સ્મૃતિ થાય છે.   

વસંત ગઢવી

તા. ૪ મે ૨૦૨૪

Leave a comment

Blog at WordPress.com.

Up ↑