વાટે…ઘાટે:પ્રજાવત્સલરાજવીનીપ્રતિમાનુંઅનાવરણ: રાજધાનીનુંગૌરવ:

 ૧૦મી માર્ચ ૨૦૨૪નો દિવસ ગાંધીનગરના ઇતિહાસમાં સદાકાળ જીવંત રહેશે. આ દિવસે જ ભાવેણાની ભાવભૂમિના છેલ્લા રાજવી કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાનું અનાવરણ ગાંધીનગરમાં થયું. એક પ્રજાવત્સલ રાજવીનું શિલ્પ પાટનગરમાં હોય તે શાસકો માટે સૂચક તથા માર્ગદર્શક છે. ગાંધીનગરમાં રહેતા માત્ર ભાવનગર નિવાસીઓ જ નહિ પરંતુ પ્રજાને પ્રિય એવા રાજવીના અસંખ્ય ચાહકોના મનમાં અપાર ઉમળકાના આ સમારંભ પ્રસંગે દર્શન થયા. ગાંધીનગરની શોભા અનેક સ્થાનો તથા વ્યક્તિઓમાં છે કે જેમને આ શહેર સાથે નાતો રહ્યો. આ નગરમાં રહીને જેમણે રાજ્યની તથા દેશની પ્રગતિમાં મહત્વનું પ્રદાન કર્યું. ગાંધીનગરના મહત્વના સ્થાનોમાં ગણીએ તો અક્ષરધામ જેવું એક એવું સ્થાનક આ શહેરમાં છે જ્યાં દેશ તથા વિદેશના થોકબંધ લોકો ભાવવંદના માટે નિરંતર આવ્યા કરે છે. આ શહેરના પ્રકૃતિ સાથે તાદાત્મ્ય ધરાવતા વનો-બગીચાઓ અનેક લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. અહીં જ મહાત્મા મંદિરના વિશાળ સંકુલમાં સાંપ્રત કાળની આધુનિકતા તથા મહાત્મા ગાંધીના સંભારણાંની આકર્ષક ઇમારતો છે. આ શહેરે જ બા. જ. પટેલ જેવા સાધુ ચરિત જાહેર જીવનના લોકોને જોયા છે. નજરોનજર નિહાળી શકાય તેવી તેમની સાદગી છતાં વહીવટમાં ઉચ્ચ ક્ષમતા જોઈ છે. શોભાની આ પરંપરા સતત ચાલતી જ રહી છે. અનેક રાજ્ય સરકારો તથા તેમના દીર્ઘદ્રષ્ટા અગ્રણીઓએ આ પરંપરા આજ પર્યંત જાળવી રાખી છે. આ ઉજળી ધરોહરને વિશેષ ઉજળી કરી બતાવે તેવી આ ઘટના ૧૦ માર્ચ, ૨૦૨૪માં બની તેનું ગૌરવ છે. મહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમા શાસકો તથા વહીવટકર્તાઓને સામાન્ય નાગરિકો તરફની સંવેદનશીલતાનો ઉજળો મંત્ર સંભળાવતી રહેશે. ભાવનગરના અંતિમ રાજવી કૃષ્ણકુમારસિંહજી સંવેદનશીલતાની સાક્ષાત મૂર્તિ સમાન હતા.

                    પ્રજાના સુખ અને સમૃદ્ધિમાં જ પોતાનું હિત જોનારા રાજવીઓમાં કૃષ્ણકુમારસિંહજીને અગ્રસ્થાને મૂકી શકાય. તેમણે જવાબદાર રાજ્યતંત્રનો વિચાર સંયુક્ત સૌરાષ્ટ્ર રાજ્યનું ગઠન થયું તે પહેલા કર્યો. જવાબદાર રાજ્યતંત્રમાં લોક્ભાગીદારીનો આ વિચાર તે સમયમાં ક્રાંતિકારી ગણી શકાય તેવો હતો. તા. ૧૫-૧-૧૯૪૮ના દિવસે બળવંતરાય મહેતાની આગેવાની હેઠળ પ્રજાને જવાબદાર રાજ્યતંત્ર અસ્તિત્વમાં આવ્યું હતું. સરદાર સાહેબની આ સમયે ભાવનગરમાં ઉપસ્થિતિને કારણે એ સમગ્ર ઘટના ગૌરવશાળી પણ બની હતી. પ્રજાહિતનો આ નિર્ણય સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય થયો હતો. અનેક રાજવીઓ માટે તે પ્રેરણાદાયક બન્યો હતો. કૃષ્ણકુમારસિંહજીનો રાજ્યાભિષેક થયો ત્યારે જ તેમણે પ્રજાને વાયદો કર્યો હતો કે લોકોની ઉન્નતિ એ જ મારો ધર્મ છે. “મારી પ્રજા સુખી રહો” એ તેમનો જીવનમંત્ર હતો. દિલ્હીમાં જઈને મહાત્મા ગાંધીના ચરણોમાં પોતાનું રાજ્ય સમર્પિત કરી તેઓ યુગપ્રવર્તક બન્યા હતા. આ રીતે જોઈએ તો રાષ્ટ્રનો મજબૂત પાયો નાખવામાં ભાવનગર તથા કૃષ્ણકુમારસિંહજી કારણભૂત બન્યા હતા. રાજવીના આ સમર્પણના ગેરુઆ રંગને મહાત્મા ગાંધીજીની પ્રસન્નતા મળી હતી તે એક ઐતિહાસિક તથ્ય છે. મહાત્મા ગાંધી એ પણ ઉચ્ચ શિક્ષણ માટેનો થોડો સમય ભાવનગરમાં ગાળ્યો હતો. તેમનો ભાવનગર સાથેનો સંબંધ હંમેશા જીવંત રહ્યો હતો.

            ગાંધીજીના ચરણોમાં સર્વસ્વનું અર્પણ કરનારા રાજવી ત્યારબાદ દિલ્હીમાં પંડિત જવાહરલાલ નહેરુ તથા સરદાર સાહેબને મળ્યા હતા. પંડિતજી તથા કૃષ્ણકુમારસિંહજી બંને લંડનની હેરો સ્કૂલના છાત્રો હતા. આથી ઉંમરના તફાવત છતાં બંને વચ્ચેની ગોષ્ઠી રસપ્રદ તથા સ્નેહપૂર્ણ રહી હતી. પોતાના પૂર્વજોના ૯૦૦ વર્ષના શાસનની અનેક ઉમદા વાતો કૃષ્ણકુમારસિંહજીએ પંડિત નહેરુને કરી. ઇતિહાસના પ્રખર અભ્યાસુ એવા પંડિત નહેરુએ ઉત્સુકતાથી આ ઇતિહાસ સાંભળ્યો. નહેરુજીએ પોતાનો અનહદ આનંદ વ્યક્ત કર્યો. રાજવીના સમર્પણની ભારોભાર પ્રશંસા કરી.

                      દિલ્હીના રોકાણ દરમિયાન કૃષ્ણકુમારસિંહજી સરદાર સાહેબને પણ મળ્યા. રાજ્યોના એકીકરણનો અઘરો પ્રશ્ન સરદાર સંભાળતા હતા. તેથી આ દિગ્ગજ રાજનેતાને મળવું તે સ્વાભાવિક પણ હતું. સરદાર સાહેબે રાજવીનું અભિવાદન કરતા કહ્યું કે કૃષ્ણકુમારસિંહજીના રાજ્ય સમર્પણના આ સ્વૈચ્છીક તેમજ ઐતિહાસિક નિર્ણયથી તેમનું કાર્ય સરળ થયું છે. કેટલાક રજવાડાઓ પોતાનું જૂથ બનાવીને સત્તામાં ચાલુ રહેવાના મરણિયા પ્રયાસો કરતા હતા. આ બાબતની સામે ભાવનગરનો નિર્ણય એક શીલાની જેમ સ્વાર્થની તમામ ગણતરીઓને અવરોધે તેવો પવિત્ર તથા નિર્મળ હતો. સરદાર સાહેબ તથા કૃષ્ણકુમારસિંહજી સ્પષ્ટ રીતે સમજતા હતા કે જો રાજવીઓનો એક વર્ગ સત્તામાં વળગી રહેવા સંઘર્ષનો માર્ગ અપનાવે તો દેશના સુગ્રથિત એકીકરણ સામે પડકાર ઉભો થાય. અંગ્રેજોની નીતિ પ્રમાણે દેશના બે ભાગ તો થયા જ હતા. આથી આ ભાગલાવાદી પ્રયાસો જો આગળ વધે તો દેશ માટે એક બીજો મોટો ખતરો ઉભો થઇ શકે છે. ભાવનગરના રાજવીના સત્તા સોંપણીના આ નિર્ણયથી એક વ્યાપક અને લાંબાગાળાની અસર હતી તે એક ઐતિહાસિક તથ્ય છે. મહારાજાને હવે શું કરશો તેવો પ્રશ્ન સરદાર સાહેબે કર્યો. આ સંદર્ભમાં “ખેતી કરીશ” તેવા મહારાજાના જવાબમાં વિવેક અને સજ્જનતાના ભારોભાર દર્શન થતા હતા. સરદાર સાહેબ આ મુલાકાત પછી સૌરાષ્ટ્રની આગવી પ્રથા મુજબ કૃષ્ણકુમારસિંહજીને આગ્રહપૂર્વક ભોજન કરાવે છે. હિન્દુસ્તાનના ગવર્નર જનરલ લોર્ડ અને લેડી માઉન્ટબેટને પણ મહારાજાને ભોજન માટે બોલાવ્યા. એક ‘મોટા દિલના રાજવી’ કહીને માઉન્ટબેટને તેમનો આદર સત્કાર કર્યો.

                મહારાજા કૃષ્ણકુમારસિંહજી તમામ પ્રકારની કલાઓ અને કલાકારોને પ્રોત્સાહન તથા હૂંફ પુરી પાડતા હતા. કવિ દુલા ભાયા કાગ સાથે ભાવનગર રાજ્યનો એક વિશેષ સંબંધ રહ્યો હતો. કવિ કાગે મહારાજા કૃષ્ણકુમારસિંહજીને નજીકથી જોયા હતા. મહારાજાના ઉમદા વ્યક્તિત્વનો કવિને પરિચય હતો. મહારાજાનો વિવેક અને સાદી-સરળ રીતભાત કવિને સ્પર્શી ગયા હતા. કવિ કાગ લખે છે:

કૈંક રાજ્યમાં સત્ય હું ‘કાગ’ કહુ

હડતાલ પડે નર નાથ તણી

ત્યારે એક અવાજે પ્રજા કહે

નૃપ કૃષ્ણ ધણી એ અમારો ધણી.

                  પ્રાધ્યાપક ગંભીરસિંહજી ગોહિલે ‘પ્રજાવત્સલ રાજવી’ નામનો અભ્યાસુ ગ્રંથ (પ્રકાશન:૨૦૧૨) લખીને આપણાં પર ઋણ ચઢાવ્યું છે. એપ્રિલમાં મહારાજાની પુણ્યતિથિ છે. ગાંધીનગરમાં યોજવામાં આવેલ આ આયોજનથી નગરની ગરિમા વધી છે.

વસંત ગઢવી

તા. ૨૬ માર્ચ ૨૦૨૪

Leave a comment

Blog at WordPress.com.

Up ↑