વાટે…ઘાટે:બાવન વર્ષના આયખામાં એકત્રીસ વર્ષનો જેલવાસ: નરગીસ મોહમ્મદી:

જેણે સપનાઓ વાવ્યા,

એને તો ભઈ !

આ દુનિયાએ ખરાખરીના તાવ્યા.

                             સાંઈ મકરંદ દવેની આ પંક્તિઓ ઇરાનના નરગીસ મોહમ્મદીને અર્પણ કરવા જેવી છે. એપ્રિલ-૧૯૭૨માં ઇરાનના જંજાન શહેરમાં જન્મેલા નરગીસને તેમના જન્મદિવસે વિશ્વના અનેક દેશોના જાગૃત નાગરિકો શુભેચ્છાઓ પાઠવતા હશે. મહિલાઓને જીવવા માટેના મૂળભૂત અધિકારો હક્કની રૂએ પ્રાપ્ત થાય તે તેમની માંગણી છે. સ્વમાનભેર જીવન જીવવા મથતી અને સતત લડતી અસંખ્ય મહિલાઓના પ્રતિનિધિ જેવી  નરગીસ વિશ્વના અનેક સન્માન મેળવી ચુક્યા છે. ૨૦૨૩ના વર્ષનું શાંતિ માટેનું નોબેલ પારિતોષિક નરગીસને ફાળવવામાં આવ્યું છે. નોર્વેની નોબેલ પારિતોષિક સમિતિએ ૨૨ વર્ષની દીકરી મહસા અમીનીનું પોલીસ કસ્ટડીમાં મૃત્યુ થયું તેનો ઉલ્લેખ કરીને “મહિલા-જિંદગી અને આઝાદી” માટે લડતા ઇરાનના નરગીસ મોહમ્મદીને શાંતિ માટેના નોબેલ પારિતોષિક માટે પાત્ર ગણ્યા છે. મહિલાઓના ઉત્થાનની અનેક વાતો થાય છે. મહિલાઓની પરિસ્થિતિમાં પહેલા કરતા સુધારો થયો હશે તેમ માનવાને પણ કારણ છે. આમ છતાં આજે પણ વિશ્વના કોઈ ભાગમાં મહિલાઓએ કેવો પહેરવેશ પહેરવો તેના પણ નિયમો સરકાર નક્કી કરતી હોય તો તે પરિસ્થિતિ દુઃખદ છતાં વાસ્તવિક છે. અફઘાનિસ્તાન જેવા દેશમાં મહિલાઓ શિક્ષણથી પણ વંચિત રહે તો તે સમગ્ર વિશ્વ માટે ક્ષોભજનક ઘટના છે. આપણાં દેશમાં પણ લોકસભા કે વિધાનસભાઓમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ તેમના સંખ્યાબળના પ્રમાણમાં આજે પણ ઘણું ઓછું છે. જો કે ભારત સરકારે મહિલા અનામત અંગે નવો ધારો અમલમાં મુક્યો છે તે પ્રગતિ તરફનું મહત્વનું કદમ છે. પંચાયતોમાં કાયદાને કારણે મહિલાઓનું પ્રતિનિધિત્વ વધ્યું છે પરંતુ વ્યવહારમાં વાસ્તવિક સત્તા હજુ પુરુષોએ ઘણા કિસ્સાઓમાં છોડી નથી. હજુ પણ બહેન સરપંચ હોય તો તેમના પતિ પંચાયત ઓફિસોમાં મળે છે. ‘સરપંચ પતિ’ એવું એક નવું નામાભિધાન કોઈ જગાએ સાંભળવા મળે છે. એટલે કે બહેનોના નામે ભાઈઓ વહીવટ કરે છે. ટૂંકમાં મહિલાઓના સશક્તિકરણની દિશામાં ઘણા પ્રયાસો હજુ પણ કરવા પડશે તેમ લાગે છે. દર વર્ષની આઠમી માર્ચના રોજ મહિલા સશક્તિકરણની વાતો થાય છે. આ દિવસ વિશ્વ મહિલા દિવસ તરીકે ઉજવી સંકલ્પો પણ થાય છે પરંતુ વ્યવહારમાં તેમાંથી બહુ થોડું પરિવર્તિત થાય છે. મહિલાઓની આ સ્થિતિમાં નરગીસ મોહમ્મદીને ૨૦૨૩નો નોબેલ શાંતિ પુરસ્કાર ૬ ઓક્ટોબર, ૨૦૨૩માં જાહેર થયો એ ઘણાં મહત્વના સમાચાર છે. નરગીસ ઈરાનમાં મહિલાઓના સ્વાતંત્ર્યના અધિકારો મેળવવા જોખમ ઉઠાવીને કામ કરે છે. સ્ત્રીઓ પરના ઘરેલુ હિંસાના બનાવો સામે પણ નરગીસે બગાવતનું રણશિંગુ ફુક્યું છે.

                            નરગીસના આવા અવિરત પ્રયાસોથી મહિલાઓ જાહેરમાં સડક પર ઉતરી આવી. ‘Girls of Revolution Street’ તરીકે લોકો આ ખમીરવંતી બહેનોને ઓળખવા લાગ્યા. ૨૦૨૨માં ઈરાનમાં એક યુવતી જેનું નામ મહસ ઝીના અમીની હતું તે પોલીસ કસ્ટડીમાં મૃત્યુ પામી. મહસાનું પોલીસ કસ્ટડીમાં હોવાનું કારણ એ હતું કે સરકારે નક્કી કરેલા ડ્રેસકોડનું તેણે પાલન કર્યું ન હતું. રાજ્યની Morality Police આ બાબતો પર ચાંપતી નજર રાખે છે. મહસાનું સાહસભર્યું પગલું અંતે તો તેના બલિદાનમાં પરિણમ્યું હતું. જો કે સમાજના અનેક લોકોને મહસાનું અકાળ તથા અકારણ મૃત્યુ હલબલાવી ગયું. તે સમગ્ર ઈરાનમાં નરગીસે ફેલાવેલી જાગૃતિને કારણે આ ઘટનાની સામે વિરોધનો વંટોળ ઉભો થયો.

                એપ્રિલ-૧૯૭૨માં ઈરાનમાં જન્મેલી નરગીસ એક અભ્યાસુ તથા નીડર પત્રકાર પણ છે. ૧૯૯૯માં તેનું લગ્ન પત્રકાર તાગી રહેમાની સાથે થયું. તાગીને પણ સુધારાવાદી પ્રવૃત્તિને કારણે ૧૪ વર્ષની કેદની સજા થઇ હતી. સજા પુરી થયા પછી તાગી રહેમાની તેના તથા નરગીસના બે સંતાનો સાથે ફ્રાન્સમાં રહે છે. બાળકો પણ માતાના સતત જેલવાસને કારણે તેના વાત્સલ્યથી વંચિત રહે છે. નરગીસના જીવનનો મહત્વનો ભાગ જેલમાં ગયો. આ બાબતમાં તેને નેલ્સન મંડેલા સાથે સરખાવી શકાય. નરગીસે જેલવાસ ભોગવતા લોકોની સ્થિતિ નજારોનજર જોઈ હતી. જેલમાં સબડતા લોકોની કેવી દુર્દશા હોય છે તેની માહિતી આપતું ‘White  Torcher’ પુસ્તક તેણે લખ્યું. જેલમાં મહિલાઓનું જે જાતીય શોષણ થાય છે તેની અનેક કડવી છતાં નક્કર વાસ્તવિકતાઓ નરગીસે પોતાના લખાણોમાં પ્રગટ કરી છે. નરગીસને નોબેલ પુરસ્કાર એ મહિલાઓના મૂળભૂત રક્ષણ માટેની સમગ્ર હિલચાલનું સન્માન છે. નોબેલ શાંતિ પુરસ્કાર મેળનાર તે ૧૯મી મહિલા છે. નરગીસને ૮.૩૩ કરોડ રૂપિયાનો વિશ્વનો સર્વોચ્ચ પુરસ્કાર તેમજ તે સાથે સુવર્ણ ચંદ્રક મળ્યો છે. ઈરાનની સરકારને પોતાના દેશની એક જાગૃત મહિલાને નોબેલ પુરસ્કાર મળ્યો તેનું સહેજ પણ મહત્વ નથી. તેનાથી ઉલ્ટું ગુનેગાર વ્યક્તિને આ પુરસ્કાર પક્ષપાતના ધોરણે આપવામાં આવ્યો છે તેવું ઈરાનની સરકારનું નિવેદન ઉચિત નથી. ૧૫૪ કોરડાની સજા ભોગવનાર આ મહિલાનું મનોબળ અસામાન્ય છે. ન્યુક્લિયર ફિઝિક્સ ભણેલી આ મહિલા અનેક લોકો માટે દીવાદાંડી સમાન છે. પોતાની નાદુરસ્ત તબિયતની પરવા કર્યા સિવાય નરગીસ સતત કાર્યશીલ રહી છે. જગતના દુભ્યા અને દબાયેલાઓની વહારે જનારા વિરલા ઓછા હોય છે. આવા લોકોને નોબેલ પુરસ્કારથી પુરસ્કૃત કરવામાં આવે તે સમગ્ર વિશ્વના લોકો ગૌરવ લઇ શકે તેવી અસામાન્ય ઘટના છે. જો કે આ પારિતોષિકની જાહેરાત કરવામાં આવી ત્યારે નરગીસ જેલમાં જ હતા. 

                 મહાત્મા ગાંધી, નેલસન મંડેલા તેમજ અબ્રાહમ લિંકન જેવા અનેક લોકોએ જીવનભર સમાજની અન્યાયી રસમો સામે લડત ચલાવી. સાવિત્રીબાઈ ફૂલે જેવી સબળ પ્રતિભાઓએ સમાજની બેધારી નીતિ સામે ઠોસ કામ કરીને લડત ચલાવી. આપણે ત્યાં ગુજરાતમાં શ્રમજીવી બહેનોના સર્વાંગી ઉત્થાન માટે ઇલાબેન ભટ્ટ આજીવન સક્રિય રહ્યા. થોડું થયું છે પરંતુ ઘણું કરવા જેવું બાકી છે તેવી લાગણીમાં વાસ્તવિકતા છે. જે મરજીવાઓ ભેખ લઈને આવા કર્યો કરે છે તેનો ખરા અર્થમાં પોતાનો યુગધર્મ નિભાવી જાય છે. 

વસંત ગઢવી

તા. ૯ માર્ચ ૨૦૨૪

Leave a comment

Blog at WordPress.com.

Up ↑