વાટે…ઘાટે: જવલ્લે જ જોવા મળે તેવા ભજનાનંદી :

સંતવાણી કે ભજનનો પ્રવાહ કદી ઝાંખો થયો નથી. આજે પણ ભજન સાંભળવા માટેનું આકર્ષણ બરકરાર રહેલું છે. સદીઓથી ગુંજતો રહેલો આ સૂર તથા સ્વરનો નાદ એ અનેક ભજનીક સંતોની આજીવન તથા અખંડ ઉપાસનાનું ઉજળું પરિણામ છે. ભજન એ સંતોની કવિતા છે. એ કવિતામાં કોઇ પંથનો આગ્રહ નથી. કોઇ એકજ દેવની સ્તુતિ નથી. તેમાં તો માત્ર ‘‘શરણાગતિ, મસ્તી તેમજ પ્રભુવિરહના પદો ગવાયા છે. ગુરુભક્તિ છે. જીવનની લોલુપતા, સ્વાર્થાંધતા તથા જડતા ઉપર મર્મ –પ્રહારો છે.’’ (ઝવેરચંદ મેઘાણી : સોરઠી સંતો) ભજનવાણી મુખ્યત્વે અનુભવ, નિરીક્ષણ તેમજ જીવનના વાસ્તવિક વહેવારમાંથી પ્રગટતી હતી. આથીજ તેમાં અનુભૂતિનું દર્શન થતું હતું. ભજન એ આપણી સાર્વજનિક સંપત્તિ છે.

ભજનની લોકપ્રિયતા ઓછી ન થવાના અનેક કારણો છે. સામાન્ય રીતે ગ્રામ્ય પરિવેશમાં તેમજ માહોલમાં મનોરંજનના જે કેટલાક સહજ – સરળ તથા ઓછા કે બીન ખર્ચાળ સાધનો છે તેમાં ભજનનો સમાવેશ થાય છે. ભજનની પ્રથા કદાચ ગામડાઓમાં ઓછી થઇ હોય તેમ બનવા સંભવ છે છતાં પણ તે નામશેષ થઇ હોય તેવું નથી. ચેનલોની ભરમાર છતાં ભજનનો એક વિશાળ ચાહક વર્ગ છે. કચ્છ – સૌરાષ્ટ્રના કોઇ ગામડામાં આજે પણ મોટાભાગે અજવાળી બીજ કે કેટલીકવાર પૂનમની રાત્રીએ ઊંઘ ઊડી જાય તો દૂરથી કોઇ ભજનનો સ્વર તથા સંગીતના મધુરા સૂરો હવાને શણગારતા હોય તેવા કાને પડે છે.

ભજનનો વેપાર

ધણી ! તારા નામનો આધાર

કરમન ! ભજનનો વેપાર જી !

‘‘લોકવાણીનો અંતિમ પરિપાક એ આ ભજનવાણી’’ છે. (મેઘાણી : સોરઠી સંતવાણી) ખરેખર બાર બીજના ધણીના સ્મરણની આ દિવ્ય પળો છે. શાસ્ત્રોનું દોહન કરીને આ સંતવાણીનું પ્રાગટ્ય થયું છે. નારાયણસ્વામી આ ઉજળી પરંપરાના મજબૂત વાહક હતા. દાસ સત્તાર જેવા અનેક મર્મી કર્તાઓની સરળ છતાં ચિત્ત વેધક વાણી નારાયણના માધ્યમથી વિશાળ લોકસમૂહ સુધી પહોંચતી હતી.

ચેત સમજ મન હરિકા ભજન કર

ભજન કરે સુખ થાય

રામને શીદ ને ભુલી જાય.

મનુષ્ય દેહ મળ્યો અતિ દુર્લભ

શીદને તું ગભરાય..

રામ ભરોસો રાખ હ્રદયમાં

સુખ દુ:ખ આવે ને જાય…

રામને શીદને ભુલી જાય..

માનવીને માનવ હોવાનું ગૌરવ અપાવે તેવું કાર્ય મહાત્મા ગાંધીએ નજીકના ભૂતકાળમાં કર્યું. પરંતુ માનવ જીવનના ઊંચા મૂલ્યોને ઉજાગર કરવાનું આવુંજ કાર્ય આપણાં સંતો – ભક્તોએ સાત આઠ સદીથી અવિરત રીતે કરેલું છે. આમ કરવા પાછળ કોઇપણ પ્રકારની દુન્વયી અપેક્ષા તેમને ન હતી. આથી વિનોબાજી સંત સાહિત્યને વિશ્વાનુભૂતિ તેમજ સકલાનુભૂતિના સ્પર્શ સાથેનું સાહિત્ય ગણાવે છે. સંત સાહિત્યના આપણાં ઉત્તમ ઉપાસકોમાં મીરાં, ભાણ સાહેબ તેમજ નહસિંહ જેવા મોટા ગજાના સર્જકો તથા અલખના આરાધકો હતા. સંત સાહિત્યની આ ધારા ગંગોત્રીની પવિત્ર ધારા જેમ અખંડ તેમજ વેગીલા પ્રવાહથી ચાલતી રહી છે. સંતવાણીના આ સાધકો – ધારકોની સ્મૃતિ કરીએ ત્યારે ગુજરાતમાંથી નારાયણ સ્વામીની સ્મૃતિ થયા સિવાય આ યાદી પૂરી થતી નથી. (૧૯૩૮ થી ૨૦૦૦)

નારાયણ સ્વામીની સંતવાણીમાં વિશાળ જનમેદનીની હાજરી રહેતી હતી તે વાત આપણાં સૌની નજર સામે છે. સંતવાણીના કાર્યક્રમો થવા એ કોઇ નવી કે અજાણી બાબત નથી. પરંતુ આટલી વિશાળ માનવ મેદનીની ઉપસ્થિતિ એ નારાયણસ્વામીની વાણીનો પ્રવાહ તેમજ તેમની વિશિષ્ટ શૈલિને કારણે હતો તેવો સાહિત્ય રસીકોનો મત છે. ભજનો જે રીતે અગાઉ રજૂ થતા હતા તેનાથી એક જુદીજ શૈલિ નારાયણબાપુએ અપનાવી અને ભજન પ્રેમીઓએ રજૂઆતની આ રીતને હૈયાના ઉમળકાથી વધાવી લીધી. ભજનોની વિવિધતા એ તેમની ખૂબી હતી. અનેક સર્જકોને નારાયણની વાણીના મજબૂત માધ્યમથી વિશાળ ભાવકવર્ગ સુધી પહોંચવાની તક મળી છે. તેમાના કેટલાક નામી તથા સુપ્રસિધ્ધ સર્જકો છે. પરંતુ કેટલાક ઓછા જાણીતા એવા સર્જકો પણ નારાયણની રજૂઆતમાં સ્થાન પામ્યા છે. કેટલાક ખ્યાતનામ સર્જકો તેમજ અભિવ્યક્તિના પણ દિગ્ગજો એવા ધન્યનામ વ્યક્તિઓએ લોકસાહિત્ય – ચારણી સાહિત્યમાં રજૂઆતની વિશિષ્ટ આભાનું દર્શન કરાવ્યું છે. જેમકે કવિ દુલા ભાયા કાગ (ભગતબાપુ)ની પ્રસ્તુતિ માણીએ ત્યારે કોઇ ઠાકર મંદિરની ઝાલર જેવો નક્કર છતાં મધુર સ્વર કાન સાથે અથડાય છે. મેરૂભા ગઢવીને સાંભળીએ ત્યારે જાણે કે અરબી સમુદ્રનો મધ્યરાત્રીનો શાંત, ગંભીર છતાં ઘેઘૂર લય સાંભળતા હોઇએ તેમ દીસે છે. પ્રાણલાલ વ્યાસ કે મુગટલાલ જોશી તેમના સ્વર થકી એક જુદી અને આકર્ષક છટાનું દર્શન કરાવે છે. જેની ગળાની મીઠી તથા અદ્વિતીય મીઠાશથી રાજકોટનું રેડિયો સ્ટેશન શોભી ઊઠતું હતું તેવા હેમુ ગઢવીની શૈલિ તો અનેક નવલોહીયા કલાકારો માટે અનુકરણીય રહી છે. આજ પ્રકારે નારાયણસ્વામીની ભજન પ્રસ્તુતિની શૈલિ સંતવાણીના અસંખ્ય ચાહકોએ આકંઠ માણી હતી તેમજ પ્રમાણી હતી. સ્ટેજ પર નારાયણની હાજરી માત્રથી શ્રોતાઓમાં એક ઊંડી પ્રસન્નતા તેમજ પ્રશંસાના ભાવ સહજ રીતેજ પ્રગટ થતા હતા. બાપુના એક એક શબ્દને દાદ આપનારો એક મોટો વર્ગ હતો અને આજે પણ છે. નારાયણસ્વામી તેમના હ્રદયના સિંહાસન પર આજે પણ જીવંત છે. ગંગાસતી, પ્રીતમ, નાઝીર, ભોજો ભગત, કવિ દાદ, અમરદાસ, નરસિંહ, દાસ સતાર, મીરા, દાસ મીઠો જેવા અનેક સ્વનામ ધન્ય સર્જકોની અમૃતવાણી બાપુના કંઠે વહેતી રહી છે.   

નારાયણ સ્વામીના ભજનોએ કચ્છ – સૌરાષ્ટ્રના અનેક લોકોને ઘેલું લગાડ્યું હતું તેમ કહેવામાં સહેજ પણ અતિશયોક્તિ નથી. નારાયણ એકજ બેઠકે અખંડ ધણીની આરાધના સમગ્ર રાત્રી દરમિયાન પૂરા ભાવ તેમજ ભક્તિ સાથે કરતા હતા. સમગ્ર કાર્યક્રમનું એક આભામંડળ રચાતું હતું. રાત્રીના પ્રહરો જાણે ક્ષણોમાં પસાર થઇ જતા હતા. ગણેશ વંદનાથી શરૂઆત કરીને જુદા જુદા પ્રહરોમાં રાગ – રાગીણીના ખૂબીપૂર્વકના ઉપયોગથી સમગ્ર કાર્યક્રમને ચાર ચાંદ લાગી જતા હતા. જવલ્લે જ જેમનો જોટો મળે તેવા નારાયણસ્વામી એ ભજનપ્રેમીઓના હ્ર્દય સિંહાસન પર દીર્ઘકાળ સુધી બિરાજેલા રહેશે.

વસંત ગઢવી 

તા. ૧૨ ફેબ્રુઆરી ૨૦૨૪

Leave a comment

Blog at WordPress.com.

Up ↑