સંસ્કૃતિ:નિષ્ઠાતથામનોબળનોસમન્વય: મોરારજીદેસાઈ:

 એક રાજકીય પુરુષ કે જેમને દેશ કદી ભૂલી શકશે નહિ તેવા મોરારજીભાઈની સ્મૃતિ ૨૯ ફેબ્રુઆરી ૨૦૨૪ના દિવસે પુનઃ તાજી થાય છે. રાજઘાટની આસપાસ યમુના કિનારે દિલ્હીમાં તેમની સમાધિ કે સ્મૃતિ-ભવન નથી એ હકીકત છે. આમ છતાં અસંખ્ય દેશવાસીઓના મનમાં મોરારજી દેસાઈની સ્મૃતિ આજે પણ અકબંધ છે. 

               મોરારજીભાઈ અનેક રાજનેતાઓમાં એક વિશિષ્ટ સ્થાન ધરાવે છે. સમય આવે ત્યારે સત્તા છોડવી પડે તો છોડીને પણ પોતે માનેલા સિદ્ધાંતોને છોડવાની તેમની તૈયારી ન હતી. બહારથી રુક્ષ તથા અતડા અને કડક દેખાતા મોરારજીભાઈ વ્યક્તિગત જીવન વ્યવહારમાં ઘણાં લાગણીશીલ તથા સહાનુભૂતિ ધરાવનાર રાજપુરુષ હતા. મોરારજીભાઇના શતાબ્દી વર્ષ અભિનંદન ગ્રંથમાં એક પ્રસંગ લખવામાં આવ્યો છે. જે જોઈને મોરારજીભાઇના વ્યક્તિત્વના એક અલગ ભાગનું દર્શન થાય છે. ન્યુયોર્ક(USA) સ્ટેટના રોચેસ્ટર શહેરમાં સ્થાયી થયેલા ડો. અશોક શાહે વિખ્યાત સર્જક અને વક્તા ગુણવંતશાહને પોતાના સ્વાનુભવનો એક પ્રસંગ કહ્યો હતો. અશોકભાઈને M.B.B.S. કર્યા પછી આગળ અભ્યાસ કરવા માટે આર્થિક સહાયની જરૂર હતી. તેમણે ભારત સરકારના તત્કાલીન નાણામંત્રી મોરારજી દેસાઈને સરકારની કોઈ સ્કોલરશીપ મળે તે માટે વિંનંતી કરી. પત્ર મોરારજીભાઈને સંબોધીને લખવામાં આવ્યો હતો. થોડા દિવસોમાં જ અશોકભાઈને નાણામંત્રીના સેક્રેટરીનો પત્ર મળ્યો. તેમાં જણાવવામાં આવ્યું હતું કે નાણાં મંત્રાલયમાં આવી કોઈ સ્કોલરશીપની જોગવાઈ નથી. આમ છતાં માંગણી કરનાર ડોક્ટરની જરૂરિયાત તથા યોગ્યતા ધ્યાનમાં લઈને મોરારજીભાઈએ પોતાના અંગત ભંડોળમાંથી આર્થિક સહાય કરવાનું નક્કી કર્યું છે. અશોકભાઈને સહાયનો ચેક પણ મળી ગયો. ઘણાં વર્ષો પછી મોરારજીભાઈ અમદાવાદમાં હતા ત્યારે અશોકભાઈ તેમને મળવા ગયા. જે રકમ મોરારજીભાઈએ આપી હતી તે માટે ખુબ આભારની લાગણી વ્યક્ત કરી. મોરારજીભાઈએ સહજ રીતે જ જવાબ આપતાં કહ્યું કે તેમણે કશું કર્યું નથી. ઉપરાંત અશોકભાઈને જણાવ્યું કે તમે પણ કોઈ જરૂરિયાતમંદને સહાય કરીને શિક્ષણની જ્યોત જલતી રાખી શકો છો. કહેણી ઓછી પરંતુ કરણી વિશેષ એવી આ મોરારજી વૃતિ ઉજળી પ્રેરણાના સ્ત્રોત સમાન છે. દ્રઢતા અને પ્રામાણિકતાનો સંગમ એટલે મોરારજીભાઈ એવું પી. વી. નરસિંહરાવનું વિધાન સર્વથા ઉચિત છે. આધ્યાત્મિક ઉન્નતિ અને નિયમબધ્ધ જીવન એ તેમની ખાસિયત હતી. ભગવદ ગીતાના અઢાર અધ્યાય તેમણે જેલમાં સમય મળ્યો ત્યારે કંઠસ્થ કર્યા.

                    મોરારજીભાઇના જીવનના છેલ્લા પડાવે કવિ સુરેશ દલાલ તેમને મળ્યા. સુરેશભાઈએ લખેલી વાતોમાં મોરારજીના વિશાળ વ્યક્તિત્વના કેટલાક નાજુક પાસાનું દર્શન થાય છે. જૈફ ઉંમરે પણ ચહેરા પરની નિરામયતા અસામાન્ય હતી. અવાજમાં કંપ નહિ પરંતુ મૃદુતા ભારોભાર દેખાતી હતી. કોઈ વળ-વમળ પણ ન હતા. શાંત આભાનો પરિચય થતો હતો. સ્મૃતિને વાગોળવાનું પણ તેમને બહુ પસંદ હોય તેમ લાગતું ન હતું. એક નિયતિવાદી સાધક જેવા મોરારજી રાજકીય જીવનમાં એક અધ્યાત્મ પુરુષ જેવા હતા. વિરક્તભાવે જીવનની સંધ્યાએ નિશ્ચિન્ત બનીને જીવી જનાર મોરારજી લાખોમાં એક એવા વિરલ હતા. 

                   વડાપ્રધાન કાર્યાલયમાં એક વિદ્યાર્થીનો પત્ર આવે છે. પત્ર લખનાર વિદ્યાર્થીએ વડાપ્રધાન પાસે સ્કોલરશીપ મેળવવા માટે વિનંતી કરી છે. પ્રધાનમંત્રી પત્ર ઉપર જ સૂચના લખે છે. પોતાના અંગત ટ્રસ્ટમાંથી સહાય આપવા માટે પોતાના સચિવને સૂચના આપે છે. સચિવ એક સરકારી અધિકારી હોવાથી દરેક બાબતમાં ખરાઈ કરવાનો અને જરૂરી પુરાવા મેળવવાનો મત ધરાવે છે. પ્રધાનમંત્રીને તેઓ કહે છે: “સહાયની માંગણી કરી છે તે વિદ્યાર્થીએ કોઈ પ્રમાણપત્રો મોકલ્યા નથી. આપણે એ પહેલા મંગાવીએ. વિદ્યાર્થી જે શાળામાં ભણે છે તેના આચાર્યની ભલામણ પણ લઈએ તો સારું.” પ્રધાનમંત્રી સત્વરે જવાબ વાળતા કહે છે: “વિદ્યાર્થીનો કાગળ પૂરતો છે. આપણે વિશ્વાસ રાખવો તેમાં જ લાભ છે. ” પછી ઉમેરે છે: “તમે સાંભળ્યું છે ને કે વિશ્વાસે વહાણ ચાલે !” બે ગુજરાતીઓ વચ્ચેનો આ સંવાદ કેવો અર્થસભર છે ! કહેવાની ભાગ્યે જ જરૂર હોય કે વિશ્વાસની નજરે જગતને જોનારા આ મૂલ્યનિષ્ઠ પ્રધાનમંત્રી મોરારજી દેસાઈ હતા. તેમના સચિવ એવી જ નિષ્ઠા તથા સૂઝ ધરાવતા હસમુખ શાહ હતા. હસમુખભાઈએ પોતાના સંભારણામાં આ વાત લખી છે. ફેબ્રુઆરી માસની ૨૯મી તારીખે હંમેશા ટટ્ટાર રહેનાર ગુજરાતના પનોતા પુત્રની સ્મૃતિ તાજી થાય છે. કુતુબમિનાર પર જાણે ગાંધીટોપી ! મોરારજી દેસાઈના વ્યક્તિત્વની આવી ઓળખ કોઈ વિદ્વાને આપી છે તે યથાર્થ છે. અપ્રિય થવાનો ડર મોરારજીભાઈને કદી ડગાવી ન શક્યો. સફળતા મેળવવા માટે કદી ટૂંકા રસ્તા આ મહામાનવે લીધા નહિ. બદલામાં જે નુકસાની ભોગવવાની આવી તે સ્થિર મનથી ભોગવી લીધી. મોરારજી દેસાઈ આપણાં નજીકના ભૂતકાળનું એક ઉજળું તેમજ અવિસ્મરણીય પાત્ર છે. ભારત તથા પાકિસ્તાન એમ બંને દેશોના સર્વોચ્ચ નાગરિક સન્માન આ અનોખા ‘અનાવલા’ ને મળેલા છે. વલસાડ જિલ્લામાં વલસાડથી ત્રણેક માઈલ દૂર આવેલા ભદેલી ગામમાં મોરારજીભાઈનો જન્મ ૧૮૯૬ના ફેબ્રુઆરી માસની ૨૯મી તારીખે થયો હતો. બાળપણના ઘણાં વર્ષો મોસાળમાં વીત્યા હતા. પિતા સૌરાષ્ટ્રના ભાવનગર રાજ્યમાં શિક્ષકની નોકરી કરતાં હતા. પિતા સાથે નાનપણમાં ભાવનગર તથા કુંડલામાં તેઓ રહેલા તેવું નોંધાયું છે. પિતા ઘણાં શિસ્તપ્રિય હોવાથી મોરારજીભાઈમાં શિસ્તપાલનના ગુણ ભારોભાર ઉતરેલા હતા. અભ્યાસમાં તેઓ આગળ રહેનારા હતા. મેટ્રિકમાં તેમણે બે વર્ષ કરવા પડ્યા કારણ કે પંદર વર્ષે તેઓ મેટ્રિકની પરીક્ષામાં બેસવા તૈયાર હતા અને સોળ વર્ષ પહેલા તત્કાલીન નિયમો અનુસાર મેટ્રિકનું ફોર્મ ભરી શકાતું નહતું. પંદર વર્ષની ઉંમરે માતા મહે વેવિશાળ કરી નાખ્યું. ૧૯૧૧ના ફેબ્રુઆરીમાં લગ્ન સંપન્ન થયું. એક અનોખા રાજપુરુષ મોરારજી દેસાઈ જાહેર જીવનમાં પડેલા તમામ લોકો માટે નિરંતર પ્રેરણાના સ્ત્રોત સમાન છે.

વસંત ગઢવી

તા. ૭ ફેબ્રુઆરી ૨૦૨૪

Leave a comment

Blog at WordPress.com.

Up ↑