સંસ્કૃતિ:અમેશિંગડામાંડતાશીખવીએછીએ

ગાંધીજીએ આફ્રિકાથી મુંબઈ બંદરે ઉતરી હિન્દુસ્તાનમાં પ્રવેશ કર્યો તે ૨૦૧૫નું વર્ષ છે. ભાવનગરના તખ્તેશ્વર મંદિર પાસેના એક બોર્ડિંગ હાઉસના દરવાજા પર ભરબપોરે ધમાલ મચી છે. શસ્ત્રસજ્જ શિકારીઓની ટોળી બંધ બોર્ડિંગ હાઉસના બંધ દરવાજા બહાર ઉભા છે. 

          “માસ્તર ક્યાં છે?”

      “નાનાભાઈ ઘરે નથી. બંદરે ગયા છે.”

       અંદરથી છોકરાઓ જવાબ આપે છે.

      “તમારી કુતરી ક્યાં છે? લાવો, મહારાજ સાહેબે મંગાવી છે.”

         “કુતરી તો ક્યાંય રખડતી હશે. સાહેબ આવે પછી આવજો”

 છોકરાઓ બનાવટી જવાબ આપે છે.

  “અમે હમણાં તો એને ઝાંપમાં જતી જોઈ છે. અંદર જ છે. બારણાં ઉઘાડો, અમારે તપાસ કરાવી છે.”

        છોકરાઓ બારણાં આડા ઉભા છે. બહારથી શિકારીઓ બારણાં ખખડાવે છે. ધમકીઓ તથા ગાળો પણ બોલે છે. છોકરાઓ એકના બે થતા નથી. આ કાળુડી કુતરી તથા તેના ગલૂડિયાં એમને જીવ જેવાં વહાલાં છે. એમની બુમાબુમ સાંભળી પડખેના ઓરડાની બારીમાંથી ડોકું બહાર કાઢી એક આધેડ બાઈ શિકારીઓને ધમકાવે છે.: “એમ પરાણે ઘરમાં પેસતાં લાજશરમ નથી આવતી?”

         બરાબર એ જ સમયે જેમની રાહ જોવાતી હતી એ માસ્તર આવે છે. માસ્તરના મોં પર ખડકની દ્રઢતા અને પ્રતિમાની નિશ્ચલતા છે-પણ પ્રતિમાની નિર્જીવતા નથી. સન્યાસીના દંડ જેવું સીધું શરીર અને માથું પર્વતના શિખર પેઠે ઊંચું રહ્યું છે.

        “નાનાભાઈ, નાનાભાઈ, આપણાં ફળિયામાં શિકારીઓ પેઠા છે.” એક વિદ્યાર્થી દોડતો આવી ફરિયાદ કરે છે.

          શિકારીઓમાંથી એક ઘરડો શિકારી આગળ આવી વાત સમજાવે છે: “માસ્તર, વાત એમ બની છે કે કાલે સાંજે મહારાજા સાહેબની ગાડી અહીંથી નીકળેલી. તેમણે અહીં બે ગલૂડિયાં રમતા ભાળ્યા. ગલુડિયા રૂપાળા હતા. એમને થયું કે, આપણે એ કુતરી રાજમહેલમાં રાખીએ તો તેની ઓળખ સરસ થાય એટલે અમને આજ કુતરી લેવા મોકલ્યાં.” 

      “પણ કૂતરીને લઇ જાઓ તો ગલુડિયા મરી જાય. ધાવે કોને?” છોકરાઓ બોલ્યાં.

  ” એ તો દૂધ પાવાય.” શિકારી કહે. “લ્યો માસ્તર, હવે કુતરી લાવો.”

       “કુતરી તો નહિ મળે.” માસ્તર દ્રઢતાથી બોલ્યા.

        “તમે શું બોલો છો તેનું કઈ ભાન-બાન છે? અમે તમારી હારે માથાઝીક કરવા નથી આવ્યા. કુતરી આપો નહીંતર ઝાંપો તોડી અંદર આવીશું.”

         માસ્તર એક વિદ્યાર્થીને મોકલી બોર્ડિંગમાં કોઈ બળજબરીથી પ્રવેશ કરવા માંગે છે તેની પોલીસ ચોકીમાં ફરિયાદ નોંધાવવા સૂચના આપે છે. માસ્તરને સૌ ઓળખે. માસ્તરે કોલેજની મોટા પગાર તથા મોભા સાથેની પ્રોફેસરી છોડીને બાળકોને ચકાચકીની વાતો કહેવાનું કામ સ્વેચ્છાએ સ્વીકાર્યું છે. પોલીસ ઉપરી તેના માણસો સાથે સ્થળ પર આવે છે. પરંતુ અહીં આવીને રાજ્યના શિકારીઓને જોઈને સહેજ ખચકાય છે. પુરી વાત સમજ્યા પછી મામલત વગરની કુતરી માટે ઝગડો છે તેમ તેઓ સમજ્યા. આથી માસ્તરને કહે છે: “કુતરી આપી દો ને ! “

              “કુતરી તો શું પણ આ ફળિયાની કાંકરી પણ આપવી કે ન આપવી એ મારી મુનસફીની વાત છે.” માસ્તરની દ્રઢતા કાયમ રહી છે.

       “બે દોક્ડાની કુતરી માટે મહારાજા સાહેબ સાથે….રાજ્યના હજાર કામ તમે સંસ્થા લઈને બેઠા છો એટલે પડશે” પોલીસ અધિકારીએ વ્યવહારુ સલાહ આપી. 

         “કુતરીનો સવાલ નથી. જબરજસ્તીનો સવાલ છે. જબરજસ્તીને હું નમતું નહિ આપુ” નાનાભાઈ ફરી એ જ દ્રઢતા સાથે કહે છે.

      પોલીસ અધિકારી સજ્જન છે. મુંઝાય છે. અંતે સમસ્યાનો ઉકેલ કરવા માટે ખુદ મહારાજ સાહેબ સાથે ફોન પર માસ્તરની હાજરીમાં વાત કરે છે. આ તો ભાવનગરના સંસ્કારી મહારાજા છે. તેઓ નિર્ણય આપે છે.

          “શિકારીઓ ગાળો કાઢતા હોય તો મારીને કાઢી મુકો એમને “

   પ્રશ્ન કુતરી બચાવવાનો કદાચ ગૌણ હતો. નાગરિકનું સ્વમાન સાચવવાનો વિશેષ હતો. આવા દાખલા વર્તનના બળે તમામ જોખમ ઉઠાવીને સમાજ સામે પ્રસ્તુત કરનાર નાનાભાઇના હાથે મનુભાઈનું ઘડતર થાય તેમાં શી મણા રહે ? કોના વખાણ કરીએ ?

હાલાજી તારા હાથ વખાણું….

કે પટી તારા પગ વખાણું.

        આ પુરી વાતમાંથી સ્વાભાવિક રીતે જ કેટલાક મહત્વના તારણ નરી આંખે જોઈ શકાય છે. બાળકોને અભ્યાસ કરાવવાની સાથે જ તેમનામાં નિર્ભયતાના ગુણનું સિંચન થવું જોઈએ. સત્તાધીશો સામે બાળકો પોતાના ન્યાયયુક્ત વલણમાં સ્પષ્ટ તથા મક્કમ રહે તેવા સઁસ્કાર તેમને બાળપણમાં જ મળે તેવી આ વ્યવસ્થા હતી. આસપાસની જીવસૃષ્ટિ સાથેનું બાળકોનું જોડાણ પણ એટલું જ મહત્વનું છે. રાજ્ય તરફથી સંસ્થા ઉભી કરવા માટે જમીન આપવામાં આવી છે. તેનો સ્વીકાર છે. પરંતુ આજ કારણસર રાજ્યના અધિકારીઓના કોઈ અન્યાયી નિર્ણય સામે માથું ઝુકાવવાનો રજમાત્ર અભિગમ નથી. આથી જ દર્શક એક સરસ વાત કહેતા હતા તે યાદ આવે છે. તેઓ કહેતા કે ખેડૂતોના સંતાનો છાત્રાલયમાં આવે. ખેતીકામ આ છોકરાઓને શીખવવાનો ક્રમ હતો. આથી ક્યારેક વિદ્યાર્થીઓના વાલીઓ ફરિયાદ કરે કે ખેતીકામ તો અમે છોકરાને ઘેર પણ શીખવીએ છીએ. તેમાં નવું શું છે? દર્શકદાદા હસીને જવાબ આપતા હતા:

          “હા, અમે ખેતીકામ ઉપરાંત તમારા સંતાનોને શીંગડા મારતા શીખવીએ છીએ ! ” નિર્ભયતા જેવાં ગુણોનું સંચાલન દર્શક તથા નાનાભાઈની સંસ્થાઓએ કરીને સમાજને સમર્પિત પેઢીનું નિર્માણ કર્યું. કેળવણીની સંસ્થાઓ આજે પણ ચાલે છે. સાધનો-સુવિધાઓમાં વધારો થયો છે. કેળવણી મોંઘી પણ થઇ છે. ટેક્નોલોજીનો પણ મહત્વનો ફાળો શિક્ષણને વ્યાપક તથા અસરકારક બનાવવા માટે થયો છે. આ બધું હોવા છતાં, શિક્ષણ બાળકો કે કિશોરોમાં ખમીર પ્રગટાવવામાં ઉણું ઉતરતું હોય તેમ સતત લાગ્યા કરે છે. નવી શિક્ષણ નીતિ (NEP)માં શિક્ષણમાં મૂલ્યવર્ધન લાવવાની વાત કરવામાં આવી છે. આપણે ફરી આ દિશામાં પ્રયાસ કરીએ.

વસંત ગઢવી

તા. ૯ જાન્યુઆરી ૨૦૨૪

Leave a comment

Blog at WordPress.com.

Up ↑