ફરી એક ગાંધી જયંતિ આવી અને ગઈ. મહાત્માને વિશ્વના અનેક લોકોએ શ્રદ્ધાથી યાદ કર્યા. વેરઝેરના સ્થાને સ્નેહ તથા સૌજ્ન્યનું સામ્રાજ્ય સ્થાપવાનું બાપુનું સ્વપ્ન સિદ્ધ થયું નથી તેમ કહી શકાય. વિશ્વના એક ભાગમાં બે દેશ લડી રહ્યા છે. લડતના કારણે જેમને હંમેશા સહન કરવાનું આવે છે તેવા બાળકો યુક્રેનના કાટમાળમાં બાળપણ ગુજારી રહ્યા છે. વિશ્વના કોઈ ભાગમાં સત્તા પર રહેલા લોકો મહિલાઓ સાથે અમાનવીય વ્યવહાર કરી રહ્યા છે. નિયંત્રણોના આકરા માળખામાં મહિલાઓ પોતાનું સ્વત્વ જાળવવા મથામણ કરી રહી છે. સંવાદના સ્થાને સંઘર્ષનો મહિમા વધી રહ્યો છે. પરિસ્થિતિ એક રીતે કહીએ તો અકળાવનારી લાગે છે. જો કે ભૌતિક સુખાકારીના સાધનો વધ્યા છે. જે સવલતો હમણાં સુધી સામાન્ય માણસ માટે દુર્લભ હતી તે તેને સુલભ થઇ છે. આમ થયું હોવા છતાં દરેકને જીવનમાં સતત કંઈક ખૂટતું હોય તેમ લાગ્યા કરે છે. સરેરાશ માનવીનું જીવન આયુષ્ય વધવા પામ્યું છે પરંતુ તે સાથે જ અનેક લોકોને એકલતા અને અભાવ કોરી ખાય છે. આ સ્થિતિમાં બદલાવ કરવા માટે બાપુનો પ્રેમ તથા કરુણાનો સંદેશ આજે પણ સાંપ્રત છે. સમાજ જીવનને પોષક બની રહે તેવો છે. પરંતુ તે તરફ જોવાની કે તેને પુનઃ અપનાવવાની આપણી સામુહિક મનોવૃતિ રહી નથી. આથી ગાંધીજીને યાદ આપણે જરૂર કરીએ છીએ પરંતુ તે મહદંશે ગતાનુગતિક એવો ઉપરછલ્લો ઉપક્રમ બની રહે છે. આવા કૃત્રિમ ઉપક્રમોથી મહાત્માના જીવનસંદેશને પામી શકાતો નથી. આથી ઉજવણીઓ થાય છે પરંતુ સમાજની સ્થિતિ જેમની તેમ રહ્યા કરે છે. આ ઉજવણીઓમાં ગાંધીનો જુસ્સો અને ગાંધીની નિષ્ઠા ક્યાં છે? જો મહાત્માના વિચારોમાં પૂર્ણ શ્રદ્ધા હોય તો તે બાબત આપણા વ્યક્તિગત કે સામાજિક જીવનના ઠોસ ભાગ તરીકે દેખાવી જોઈએ. ગાંધી વિચાર એ જીવન જીવવાની પદ્ધતિમાં વણાઈ જવો જરૂરી છે. આ સંદર્ભમાં કવિવર્ય ઉમાશંકર જોશીના શબ્દો સ્મૃતિમાં આવે છે.
અન્યાય નીચી મૂંડીએ ના
લીધ સાખી, દુર્ગંધ પર મુઠ્ઠી
ભરીને ધૂળ નાખી. ઉકરડા વાળી
ઉલેચી સૃજનનું ખાતર રચ્યું.
અબોલા ભંગાવવા એ વાતમાં
મનડું મચ્યું. કંઈક આમાનું બને
તિથિ ન જોશો ટીપણે ગાંધી જયંતિ તે દિને.
દાંડીકૂચ એ પણ એક સામ્રાજ્યવાદી વ્યવસ્થાના અન્યાયી પગલાંના પ્રતિકાર માટે હતી. અન્યાયી પ્રથાને અહિંસક માર્ગે પડકારવાની આ ગાંધી વિચારની પધ્ધતિ હતી. દાંડીકૂચ શરુ થવાની હતી તેના આગળના દિવસની સાંજે(૧૧ માર્ચ-૧૯૩૦) સાબરમતીના સંતે વિશાળ માનવ મેદનીને સંબોધન કર્યું. હાજર રહેલા લોકો સરળ શબ્દોમાં કહેવામાં આવેલી આ નિરાંડબરી વાત સાંભળીને અંદરથી હલી ગયા. ગાંધીજી કહે છે: “એવું સાવ સંભવિત છે કે આજે તમારી પાસે આ મારું છેલ્લું વ્યાખ્યાન હોય. આવતીકાલે સવારે જો સરકાર મને કૂચ કરવા દેશે તો પણ આ સાબરમતીના પવિત્ર કાંઠે તો આ છેલ્લું જ ભાષણ હશે અથવા મારી જિંદગીનું પણ આ છેલ્લું જ ભાષણ હોય.” ગાંધીના મુખેથી કોઈ આર્ષવાણીની જેમ આ શબ્દો સહજ રીતે જ નીકળ્યા હતા. જાણે બુદ્ધના મહાભિનિષ્ક્રમણનું પુનરાવર્તન થઇ રહ્યું હતું. માનવજાતના કલ્યાણ માટે બુદ્ધ નીકળ્યા હતા. આજે ૩૦ કરોડ લોકોની મુક્તિ માટે મહાત્મા ગાંધી નીકળ્યા હતા. ગાંધીજીએ માનવ મેદનીને સમજાવતા કહ્યું કે આજે આશ્રમ તથા સ્વગ્રહની વિદાયની વેળા છે. મા ભોમની મુક્તિ સિવાય પાછા આવવાનો પ્રશ્ન રહેતો નથી.
દુનિયાભરના લોકોની નજર હિન્દુસ્તાનમાં બનતી આ ઘટના તરફ મંડાયેલી હતી. ગાંધીજીના સાથીઓ કે જેઓ શરૂઆતમાં દાંડીકૂચનાં વિચારોથી ખાસ પ્રભાવિત થયા ન હતા. તેઓ પણ બાપુની દીર્ઘદ્રષ્ટિ હવે જોઈ શક્યા હતા. પ્રચંડ જનજાગૃતિનું મોજું હિન્દુસ્તાનના દરેક ખૂણે પ્રસરી ગયું હતું. અન્યાયી કર સામેની આ લડત સમગ્ર વિશ્વના સામાન્ય લોકોની લાગણીઓના પડઘા સમાન હતી. આથી બાપુએ સમગ્ર જગતને આ વાતની પ્રતીતિ થાય તેવા પ્રયાસ કર્યા. વિશ્વભરના લોકોની સહાનુભૂતિ આ ન્યાયની લડત માટે મળે તે માટે ગાંધીજીએ તા. ૦૫/૦૪/૧૯૩૦ના રોજ લખ્યું:
“I want sympathy in this battle of right against might .”
ઓક્ટોબર મહિનામાં ગાંધીજીની અનેક સ્મૃતિઓ મનમાં આવવી સ્વાભાવિક છે. દાંડીકૂચની વાત કરીએ ત્યારે પણ અનેક ઘટનાઓ નજર સામે આવે છે. ગાંધીજી દક્ષિણ ગુજરાતમાં આપવામાં આવેલા એક પ્રવચનમાં કહે છે કે “મારે હવે ૬૧ વર્ષે કૂચ કેવી? જવું જ હોય તો હિમાલયની જાત્રાએ જવાય કે મોક્ષ તો મળે. પણ હું તો ઉલટો ધર્મ શીખ્યો છુ. મારે તો દર્શન કૂચ કરીને કરવા છે. પરમેશ્વરના દર્શન તો દોહ્યલા છે પ્રભુ તો ત્રીસ કરોડ દેશવાસીઓના હ્ર્દયમાં બેઠા છે. તેથી એ હ્ર્દયો સાથે ઓતપ્રોત થવું જોઈએ. આથી ૬૧ વર્ષે પણ શાંતિ લેવાની નથી તેમ વિચારેલું છે.”
દાંડીકૂચ શરુ કરતા પહેલા બાપુએ લોર્ડ ઇરવીનને એક પત્ર લખ્યો હતો. આ પત્ર તા. ૦૨/૦૨/૧૯૩૦ના રોજ લખવામાં આવ્યો હતો. ગાંધીજી જે લડાઈ લડ્યા તે દરેકમાં જે સામા પક્ષે હોય તેને સમજાવવાની કોશીષ કરતા હતા. મોરચો માંડતા પહેલા સમાધાન થાય તો તે કરવાની તેમની રણનીતિ હતી. ગાંધીનો લોર્ડ ઇરવીનને લખવામાં આવેલો આ પત્ર ઐતિહાસિક હોવા ઉપરાંત સાંપ્રત મૂલ્ય પણ ધરાવે છે. ગાંધીજી વાઇસરોયને લખે છે કે અંગ્રેજોનું શાસન એ ભારત માટે એક આફત કે બલા છે. ગાંધી કહે છે કે રાજ્યે એક એવા પ્રકારનું તંત્ર ગોઠવી દીધું છે કે દેશ તેથી સદૈવ ચુસાયા જ કરે. આ તંત્રનો દીવાની તથા લશ્કરી ખર્ચ પણ દેશની ગરીબ જનતા પર અસહ્ય પ્રમાણમાં છે તેમ મહાત્માએ લખ્યું છે. અહિંસક પ્રતિકારથી અન્યાયી પ્રથા સામે લડતના મંડાણ કરવાની બાપુની આ પધ્ધતિ આજે પણ પ્રેરણાત્મક છે.
વસંત ગઢવી
તા. ૯ ઓક્ટોબર ૨૦૨૩
Leave a comment