વાટે…ઘાટે:માધવપ્રિયસ્વામીનીસરસ્વતીસાધનાનુંસન્માન: આપણુંગૌરવ:

   ગુજરાત તેના ઔદ્યોગિક તથા વ્યાપારિક વિકાસના મહારથીઓ માટે જાણીતું છે. આ સાથે જ ગુજરાત તેના ઉત્તમ વિદ્યારત્નો માટે પણ સુવિખ્યાત છે. સોનામાં સુગંધ ભળે તેમ ઉપરના બંને ક્ષેત્રોના વ્યક્તિવિશેષો ઉપરાંત સમાજને દોરવણી આપી શકે તેવા સમર્થ સંતો પણ આ ગાંધીની ભૂમિએ સમાજને આપ્યા છે. આ બધા સ્વનામધન્ય સાધુ-સંતોએ સમાજને સંસ્કાર તથા સૌજન્યના મજબૂત ધાગાઓમાં બાંધવાનો આકરો પ્રયાસ પુરી નિષ્ઠા સાથે કર્યો છે. ભિક્ષુ અખંડાનંદજીએ શિષ્ટ તથા જીવનના ઉત્તમ રસોનું પોષણ કરે તેવું વાંચન ઘેર ઘેર પરવડે તેવી કિંમતે મળે તે માટે સંસ્થાગત વ્યવસ્થા ઉભી કરી. આજે પણ તે કાર્યરત છે. સંત શ્રી મોટાએ ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં ખૂટતા રૂમ બાંધવા માટે ઝોળી ફેરવીને નાણાં એકઠા કર્યા. પૂજ્ય મોટાએ તો ગુજરાતી ભાષામાં ‘વિશ્વકોશ’નું નિર્માણ થાય તે માટે પણ ગુજરાત યુનિવર્સીટીને માતબર રકમની સખાવત કરી. આવી ઉજળી પરંપરાના બે જ્વલંત મણકા સમાન સાધુઓનું નામ પણ લોકહૈયે તથા લોકજીભે વસેલું છે. એસજીવીપી (સરખેજ-ગાંધીનગર હાઇવે) સંસ્થાના આ બે સમર્પિત સંતોને આપણે શાસ્ત્રી માધવપ્રિય સ્વામી તથા બાલકૃષ્ણ સ્વામી(બાલસ્વામી) તરીકે ઓળખીએ છીએ. ગુજરાતના અનેક સમાજના તથા અનેક પરંપરાના લોકોનો આદર આ બંને સંતોએ સહજ રીતે જ પ્રાપ્ત કર્યો છે. આ સંસ્થાના સંતોના વિકાસના મૂળમાં શાસ્ત્રી ધર્મજીવનદાસજી છે. પૂજ્ય ધર્મજીવનદાસજી સ્વામીના સચોટ ભાવિદર્શનના કારણે રાજકોટ ગુરુકુળનું નિર્માણ થયું. આ રીતે જ એસજીવીપી સંસ્થાનું નિર્માણ થયું તથા નિરંતર વિકાસ થયો. વડતાલ ગાદી સાથે શ્રદ્ધાથી જોડાયેલી એસજીવીપી સંસ્થા અમદાવાદની એક ઓળખ સમાન બની છે. એસજીવીપીને પોતાના જ્ઞાન તથા સૂઝથી દોરનાર માધવપ્રિયસ્વામીને જયારે પ્રતિષ્ઠિત ગણાતી ‘વેદાંતવિદ્યામાર્તન્ડ’ ની પદવી મળી ત્યારે ફરી ગુજરાતની આ ઉજળી સંતપરંપરાનું સન્માન થયું હોય તેવી લાગણી અનેક લોકોના મનમાં સહેજે થઇ. આ વાતની ઠોસ પ્રતીતિ ત્યારે થઇ કે જયારે માધવપ્રિય સ્વામીને અંતરના ભાવથી વધાવવા મેમનગર ગુરુકુળના પરિસરમાં તા. ૩૧-૦૮-૨૦૨૩ના દિવસે એક વિશાળ સમુદાય એકત્રિત થયો. અહીં એ બાબત નોંધપાત્ર હતી કે અનેક સમાજ અને સામાજિક સંસ્થાઓના અગ્રણીઓ અમદાવાદ શહેરના મેયરની સાથે જ સર્વને પ્રિય એવા માધવપ્રિયસ્વામીને અભિનંદન આપવા માટે અહીં ઉમંગથી ભેગા થયા હતા. આ ઉજવણી મૂળભૂત રીતે કોઈ સાંપ્રદાયિક વર્તુળની મર્યાદામાં ન હતી.        સ્વામિનારાયણ સંપ્રદાય સાથે સાંપ્રદાયિક રીતે જોડાયેલા ન હોય તેવા અનેક વ્યક્તિવિશેષો અને સંસ્થાઓ અહીં સ્વયંપ્રેરણાથી ઉપસ્થિત રહ્યા હતા. એક વિવેકી અને વિદ્વાન સાધુને સાધુવાદ આપવાનો આ ઉજળો અવસર હતો. સાધુતાનું આ સહજ સન્માન હતું. તેનું કારણ સ્પષ્ટ છે. આજના વિકટ યુગ અને સંજોગોમાં પણ કેટલાક સાધુ-સંતો સંસ્કારની દિપશીખાને સંકોરતા બેઠા છે. સંતો લોકહિતકારી છે. બ્રહ્માનંદ સ્વામીના શબ્દો આ સંદર્ભમાં યાદ આવે છે.

સંત પરમ હિતકારી

જગતમાં સંત પરમ હિતકારી

બ્રહ્માનંદ કહે સંત કી સોબત

મીલત હૈ પ્રગટ મુરારી

જગતમાં સંત પરમ હિતકારી.

               લોક કલ્યાણ માટે શાસ્ત્રી ધર્મજીવનદાસજીએ ૭૫ વર્ષ પહેલા કેળવણી માટેનો યજ્ઞ પ્રગટાવ્યો. રાજકોટ ગુરુકુળ એ આ મહાન સંતનું સમાજને અમૂલ્ય પ્રદાન છે. માધવપ્રિયસ્વામી કે બાલસ્વામી જેવા સંતોનું ઘડતર અહીં જ થયું છે. એ બાબત પણ અહીં નોંધપાત્ર છે કે સાડા સાત દાયકા પહેલા કોઈ સાધુને શિક્ષણ સંસ્થાનું નિર્માણ કરવાની ઈચ્છા થાય છે. આ બાબત પણ સામાન્ય નથી. આર્થિક રીતે સામાન્ય લોકોના બાળકોને પણ અહીં પરવડે તેવી સાચારૂ વ્યવસ્થા હતી. સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલા હોય તેને જ સવલત મળે તેવો કોઈ વિચાર અહીં દૂર દૂર સુધી પણ ન હતો. સર્વસમાવેશક્તાનું આ જીવંત ઉદાહરણ છે. કિશોર વયે જ સન્યસ્ત ભણી વળેલા માધવપ્રિયસ્વામી આ ઐતિહાસિક ગુરુકુળની ઓળખ સમાન બન્યા છે. માધવપ્રિય સ્વામીએ આ સન્માન સમારંભમાં જે વાણી વિવેકનું દર્શન કરાવ્યું તે સન્યસ્ત જીવનને ઉજળું કરાવે તેવું છે. જે કઈ સિદ્ધિ મળી છે તે હરિનારાયણ દેવની કૃપા થકી જ શક્ય બન્યું છે તેવું તેમણે સ્પષ્ટ કર્યું. “મહારાજ ! તમને ગમતું થાજો” એવી સંતોક્તિનું અહીં ઠોસ પ્રમાણ મળે છે. ઉપરાંત માધવપ્રિયસ્વામીએ ધર્મ સહિતના જીવનના તમામ ક્ષેત્રોમાં સંવાદનું મહત્વનું સ્થાન છે તેમ કહી પોતાની ગુરુ પરંપરાને ઉજળી કરી. સાધુતા શીલ, સૌજન્ય તથા સહનશીલતાથી દીપી ઉઠે છે તેનું અહીં દર્શન થાય છે. તુલસીદાસજીએ લખ્યું છે:

શીલ ગહની, સબ કી સહની,

કહની હીય મુખ રામ.

તુલસી રહીએ ઐસી રહની

સંત જનન કે કામ

                    સરકારની સેવા અને સંતોના સ્નેહના કારણે એસજીવીપી સંસ્થા સાથે લગભગ તેના પ્રારંભથી જોડાવાની મને તક મળી છે. તેનો સતત વિકાસ એ પણ એક અદ્વિતીય ઘટના છે. કુદરતી સંકટોના સમયે આ સંસ્થા સરકારી તંત્ર સાથે ખભેખભા મેળવીને અસરગ્રસ્ત લોકોને સહાય કરવા હંમેશા ઉભી રહી છે. પ્રમાણમાં રાજ્યના અંતરિયાળ વિસ્તારના કન્યા ગુરુકુળની સ્થાપના કરીને જરૂરિયાત ધરાવતી દીકરીઓ માટેનો પવિત્ર જ્ઞાનયજ્ઞ પણ આ સંસ્થાના પ્રયાસોથી શરુ થયો છે. આરોગ્યની સુવિધાઓ પુરી પાડવા SGVP સંકુલમાં State of the art Hospital જેવી સુસજ્જ વ્યવસ્થા કાર્યરત છે. કપરા કોરોના-કાળમાં અનેક લોકોને આ વ્યવસ્થા ઉપકારક થઇ છે તેના આપણે સાક્ષી છીએ. આરોગ્ય સેવાઓમાં એક મહત્ત્વી પૂર્તિ આ સંસ્થાએ કરી છે.  

                    માધવપ્રિય સ્વામીના કેટલાક લખાણોમાંથી પસાર થવાની તક મળી છે. દરેક પ્રસંગે તેમાં નવીનતા સાથે જ અર્થસભરતા જોવા મળી છે. સ્વામી સતત લખતા રહ્યા છે. તેમનો વાકયજ્ઞ પણ સાતત્યપૂર્ણ રહ્યો છે. શાસ્ત્રોએ કહ્યું છે: ‘સ્વાધ્યાય પ્રવચનાભ્યાં મા પ્રમદીત્વયં’ આ વાતને માધવપ્રિય સ્વામી વાસ્તવિક જીવનમાં જીવી રહ્યા છે. કાશીની અનેક વિદ્વાનોની સભામાં સ્વામીનું સન્માન એ વાતનો સાર્વત્રિક તથા સાર્વજનિક પડઘો છે. સંતોની ઉજળી જ્ઞાનપરંપરાનું આ સન્માન છે. માધવપ્રિય સ્વામીના જ્ઞાનને નમન કરવાનો આ ઉચિત અવસર છે.

વસંત ગઢવી

તા. ૨૧ સપ્ટેમ્બર ૨૦૨૩

Leave a comment

Blog at WordPress.com.

Up ↑