સંસ્કૃતિ:’ઘાયલ’: ‘આઠોજામખુમારી’

શબ્દ આરપાર જીવ્યો છું

હુ બહુ ધારદાર જીવ્યો છું

મધ્યમાં જીવવું જ ના ફાવ્યું

હું સદા બરોબર જીવ્યો છું

આમ ‘ઘાયલ’ છું અદનો શાયર

સર્વથા શાનદાર જીવ્યો છું

                                  ૧૦૦ વર્ષથી પણ વધારે સમય પહેલા જેમનો જન્મ થયો હતો તેવા શાયરને શતાબ્દી પછી તેમના સર્જનો દ્વારા યાદ કરીએ તો આજે પણ તરોતાજા લાગે છે. ભર્તુહરિ મહારાજે કહ્યું છે તેમ આ કવિઓના સર્જનોને જરા-મરણનો ભય નથી. ઘાયલ સાહેબની પંક્તિઓનો ઉલ્લેખ ન થયો હોય તેવી કોઈ મહેફિલ ભાગ્યે જ જોવા મળે છે.  ઓગસ્ટ માસ એ શ્રાવણી ભીનાશ લઈને આવે છે. માટીની સુગંધનો પણ એક અનેરો મહિમા છે તેની પ્રતીતિ અષાઢ-શ્રાવણની મેઘવર્ષાથી થાય છે. ઓગસ્ટ માસનું દેશના ઇતિહાસમાં પણ અનોખું સ્થાન છે. પરંતુ આ માસમાં જ આપણાં બે દિગ્ગજ સર્જકોની સ્મૃતિ થાય છે. એ બંનેમાં એવી સમાનતા છે કે તેમણે તેમના પોતાના સર્જનોમાં ભાષાની એક આગવી શૈલીનો ઉપયોગ કર્યો છે. આ સ્વનામધન્ય સર્જકોમાં ઝવેરચંદ મેઘાણી તેમજ ઘાયલનો સમાવેશ થાય છે. ઘાયલના ભાષાપ્રયોગ અંગે સ્વામી આનંદે માર્મિક વાત કરી છે. સ્વામીદાદાએ આ વાત ઘાયલ સાથે થયેલા એક સંવાદના અનુસંધાને કરી છે. સ્વામીદાદા કહે છે કે ઘાયલ સાક્ષરી ચીલાઓની ઘુંસરી સ્વીકારીને ચાલનારા સર્જક નથી. ઘાયલની ગઝલ ચોખલિયા સાક્ષર વર્ગને કદાચ અણમાનીતી લાગે તેવી છે. પરંતુ આ કવિ તો પોતાના મનની અભિવ્યક્તિને અનુકૂળ આવે તેવી પોતોકી ભાષાનો છૂટથી પ્રયોગ કરે છે. તેમાં કોઈ ભાષાનો લગીરે છોછ નથી. હૈયે જે ઉગે તેને જ જોતરીને ધસી જવાનું આ શાયરનું વલણ છે. આવી ભાષાના સર્જનોની સ્વીકૃતિ એ લોકની પસંદ છે. અંતે તો જનતાની જીભે વસે તે જ સાચો તથા નરવો શબ્દ છે. એ જ પ્રાણદાયી ભાષા છે. આજ બાબત ઝવેરચંદ મેઘાણીમાં પણ જોવા મળે છે. લોકબોલી તથા તેની લઢણનું એક આગવું મૂલ્ય આ બંને સર્જકોએ સ્વીકાર્યું છે. આથી તેમના શબ્દોની નરવાઈ જુદી છે. ટકાઉ છે. જનજનને સ્પર્શ કરે તેવી છે. ઝવેરચંદ મેઘાણી આવી ભાવના સ્વને સંબોધન કરતા હોય તેવી શૈલીમાં મૂકે છે. તેઓ લખે છે:

તારી રે જણશુ વીરા

જુદીઉ, એજી એના

જુદા જાણણહાર.

જુઠા રે નામ એના

પાડીશ નહિ, ભલે ન મળે લેનાર

જી.જી.. શબદનો વેપાર.

                       આ શબદના વેપારીઓના શબદરંગે અનેક ભાવિકોને ભીના કર્યા છે. આ શબદરંગ ઝાંખો થાય એવો નથી. ઘાયલ કહે છે:

થાતાં તો થઇ ગયો તો

ઘડી સંગ શબ્દનો,

પણ આ જુઓ જતો જ

નથી રંગ શબ્દનો.

મરવાની અણી પર છું

છતાં જીવી શકું છું

સંદેહ તને હોય તો

આ પડખું ફર્યો લે.

                      સરળ અને બોલચાલની ભાષાનું આ પ્રભુત્વ રંગ લાવે છે. આ સંદર્ભમાં મરીઝ પણ યાદ આવે:

દુનિયામાં મને મોકલી

પસ્તાયો હતો તું,

મૃત્યુનું બહાનું કરી

જો પાછો ફર્યો લે.

                    ફારસીમાં એક કહેવત છે: 

           ‘શાયરી જુઝવસ્ત પયગંબરી’ શાયરી એ વસ્તુતઃ પયગંબરી છે. શેર એ આપણાં માત્ર સાહિત્યિક જીવનનો જ નહિ પરંતુ સાંસ્કારિક જીવનનો પણ અમૂલ્ય ભાગ છે. કોઈ પણ એક શેર એક સંપૂર્ણ અને સ્વતંત્ર કાવ્ય હોય તેમ લાગે છે. પ્રેમીજન સાથેની વાતચીત, દોસ્તો સાથેની મહેફિલોમાં ગુફ્તેગુ તથા જગતના પાલનકર્તા સાથેના સંવાદમાં આપણાં અનેક શેર માધ્યમનું ઉત્તમ સાધન બન્યા છે. કેટલીક ગઝલના જાણીતા શેરો લોકહૈયે દીર્ઘકાળ સુધી વાસ કરે છે. મત્લાનો શાબ્દિક અર્થ સૂર્યાસ્ત થાય છે તેવું આ વિષયના જ્ઞાતાઓ પાસેથી જાણ્યું છે. ગઝલની અનુભૂતિનું વિશ્વ એ વ્યાપક છે. ઉર્દુને આમપ્રજા સુધી પહોંચાડવામાં ગઝલનો મુખ્ય ફાળો છે. આપણી ગઝલોના કેટલાક શેર એ જનજનના હ્ર્દયમાં સ્થાયી થયા છે. 

                        ગઝલોના કેટલાક શેરોની વૈચારિક ઊંચાઈ શાસ્ત્રોની વાણી સમાન દીસે છે. મરીઝ કહે છે:

એકત્વ એવું જોઈએ

માનવતાવાદમાં, કોઈ

ગુનો કરે અને લાગે

શરમ મને.

                   કલાપીના કેકારવની જાણીતી રચના “આપની યાદી” ગઝલનું જ સ્વરૂપ છે. કલાપી આપણાં પૂર્વસૂરિઓની વાત કરતા કહે છે:

હતાં મ્હેતો અને મીરાં

ખરા ઈલ્મી ખરા શૂરા

અમારા કાફલામાં એ

મુસાફર બે હતાં પૂરાં.

                            ઘાયલ પણ આ ઉજળી પરંપરાના જ એક વાહક. આપણી વચ્ચે આ ગેબના ગાયક હવા જમાવીને બેઠા હતા.

અમે તો ગેબના ગાયક

જમાવીને બેઠાતા, અહીં નહિ તો

હવાને જામતા બહુ વાર લાગે છે.

                ગઝલોનો વિસ્તાર વ્યાપક થવામાં મુશાયરાઓનો ફાળો મહત્વનો છે. લોકસાહિત્યની પહોંચ ડાયરાઓ થકી વ્યાપક થઇ છે તેવું જ ગઝલોનું મુશાયરાઓ થકી થયું છે. સદ્ભાગ્યે ટીવીના માધ્યમથી આ વ્યાપક્તામાં અનેકગણી વૃદ્ધિ પણ થવા પામી છે. મુશાયરામાં ઘાયલ આવે ત્યારે જાહેર થાય કે ઘાયલ સાહેબ પધાર્યા છે. આ હળવાફૂલ જેવા સર્જક કહે છે: “પધારે તો ઠાકોરજી, અમે તો ગુડાયા”. કેવી બાળસહજ નિર્દોષતા તથા નિખાલસતા આ શાયરમાં ભરી હશે તે જોઈને આદરસહ આશ્ચર્ય થાય છે.

                        રજવાડાઓના એકીકરણ પછી રાજવીઓ સાથે રહેતા અને જીવતરનો નિભાવ  કરતા અનેક લોકો માટે કસોટી ઉભી થઇ. અમૃત ઘાયલ માટે પણ પાજોદ દરબાર અને શાયર રુસ્વા મઝલૂમી પાસેથી અન્ય જગાએ જવાનો નિયતિનો સંકેત હતો. હિસાબનીશ-Acoountant ની સરકારી નોકરી મળી અને તેમાં જ નિવૃત્તિ સુધી સેવાઓ આપી. મકરંદભાઈ લખે છે કે ઘાયલે માત્ર ગઝલો ગાઈ એટલું જ નથી પરંતુ પોતાના લોહીમાં ઘૂંટીને તેને જીવી બતાવી છે. આર્થિક વિટંબણાઓ કે શારીરિક વેદનાઓ વચ્ચે પણ આ કવિનો કંઠ કરમાયો કે નબળો થયો નથી. શાયરીના આધારે જીવ્યા છે. જીવી જાણ્યું છે.

એના જોરે જ ચાલું છું ‘ઘાયલ’

શાયરી મારી કાંખઘોડી છે.

વસંત ગઢવી

તા. ૨ સપ્ટેમ્બર ૨૦૨૩

Leave a comment

Blog at WordPress.com.

Up ↑