ક્ષણના ચણીબોર:શ્રેયાર્થીનીસંઘર્ષકથા: જગદીશશાહ:

સુધારક કોને કહેવા તેની એક આજના સંદર્ભમાં વિશેષ ગમે તેવી વ્યાખ્યા કરતા જગદીશ શાહ લખે છે:

                        “લગ્નોમાં ફટાકડા, બેન્ડવાજા, લાઉડ સ્પીકર, ડી.જે. વગેરેને કારણે અન્ય લોકોને ખલેલ પડે. પર્યાવરણ દુષિત થાય. જે આવી પ્રવૃત્તિ ટાળે તે જ સુધારક. તે જ સમાજ હિતેચ્છુ ગણાય.”

                જગદીશભાઈનું જેવું સાદું જીવન એવું જ સાદું કાર્ય. સોનામાં સુગંધ ભળે તેમ વર્તન પણ જીવનના વિચારોને જ અનુરુપ. “શ્રેયાર્થીની સંઘર્ષકથા” (પ્રકાશક: વડોદરા જિલ્લા સર્વોદય મંડળ, ૨૦૧૨) વાંચતા જગદીશભાઈને પ્રત્યક્ષ મળ્યા હોઈએ તેટલો આનંદ થાય. પુસ્તકોના થોડા પ્રકરણો લખવાનો તેમનો ઉદ્દેશ સ્વાભાવિક રીતે જ કોઈ નામ કમાવા માટેનો નથી. શ્રેયાર્થી હોય તેને પ્રેરણા મળે તેવા નિર્ભેળ ઉદ્દેશ સાથે તેમણે આ થોડા શબ્દો લખ્યા છે. 

                         આજના સંદર્ભમાં જોઈએ તો લગાતાર સમાચારો મળ્યા કરે છે તેમાં જીવનનું ભાથું બંધાવે તેવા ઓછા હોય છે. જાતજાતની ઘટનાઓથી માનવમનમાં થતી ઉથલપાથલો સામે જીવવાની સ્વસ્થતા કેળવાય તેવું જીવન એ જ આ શ્રેયાર્થીની સંઘર્ષકથાનું છે. જીવન છે એટલે સંઘર્ષ તો છે જ. કવિ ઉમાશંકર જોશી કહે છે તેમ “જીવન છે ત્યાં સુધી છે જ યુદ્ધ”. પરંતુ આ સંઘર્ષમાં નીરક્ષીરનો વિવેક જાળવીને જીવે એવા નામોમાં જગદીશ શાહનું નામ હક્કથી મૂકી શકાય તેવું છે. સત્યના માર્ગે ચાલવાનું પ્રણ આ શ્રેયાર્થીનું છે. ગમે તે ભોગે તેમણે તે જાળવ્યું છે. વાચકોને ‘ગ્રંથીમુક્ત’ કરવા માટે તેમણે કલમ પકડી છે. જુગતરામ દવે(વેડછી) તથા બબલભાઈ એ જગદીશભાઈના આદર્શ પાત્રો-રોલ મોડેલ છે. સંત સમાગમ અને પુસ્તકો થકી તેમના જીવનનું ઘડતર થયું છે. ગ્રામ્ય જીવનનો કોઈ ખાસ અનુભવ નહિ. આમ છતાં ગાંધી-વિનોબાના માર્ગે ચાલીને તેઓ અનેક લોકોને ઉપકારક થાય તેવું જીવન જીવી ગયા. તેમના જીવન ઘડતરમાં વેડછી આશ્રમનો ફાળો મહત્વનો રહ્યો. આનંદીના મુવાડા (નાનું ગામ કે પરુ)માં તેમનું કામ દીપી ઉઠ્યું. કોઈ કામ નાનું કે ઓછું મહત્વનું નથી તેની પ્રતીતિ તેમના વર્તનથી બધાને થઇ હતી. 

                      ખરા અર્થમાં શિક્ષણનું કાર્ય મનમાં બંધાયેલી ખોટી ગ્રંથિઓને કાઢવાનું હોવું જોઈએ. આજે શિક્ષણનો વ્યાપ ઘણો વધ્યો છે. આમ છતાં મનમાં રહેલી ભય કે અતાર્કિક ગ્રંથિઓ આજે પણ જોવા મળે છે. કેટલીકવાર આવી અતાર્કિક માન્યતાઓ શિક્ષણનો પ્રસાર થવા છતાં ઘટવાને બદલે વધી હોય તેમ લાગે છે. જગદીશભાઈ પોતે જે મુવાડામાં રહેતા હતા ત્યાં ગામના બાળકોના મનમાંથી ખોટા ભયની ગ્રંથિ નીકળી જાય તે માટે તેમણે સફળ પ્રયોગ કર્યો. થોડા બાળકોને લઇ તેઓ કાળી ચૌદશની રાત્રીએ સ્મશાનમાં ગયા. બાળકોને જગદીશભાઈની હાજરીનો સધિયારો હતો. સ્વાભાવિક રીતે જ આવા એક નાના લાગતા પ્રયાસથી છોકરાઓ ભયમુક્ત થયા અને તેમના જીવનમાં આત્મવિશ્વાસનો ભાવ પ્રગટ થયો. આજના સંદર્ભમાં જોઈએ તો હજુ પણ અવિશ્વાસ તેમજ અંધશ્રદ્ધાનો ભાવ બાળકોના મનમાંથી નિર્મૂળ કરવાના કોઈ સુઆયોજિત પ્રયાસ શિક્ષણ સંસ્થાઓમાં થતાં નથી. આથી બાહ્ય ઠઠારાઓ વધતા ગયા છે પરંતુ કિશોરો યુવાનોમાંથી અનેકના જીવનમાં હતાશાના કે નિષ્ફળતાના ભાવ પ્રગટ થયા છે. અકાળે જ કેટલાક કુમળા પુષ્પો કરમાઈ જતા જોવા મળે છે. જગદીશ શાહ જેવા કસાયેલા લોકોની ખોટ આજની શિક્ષણ સંસ્થાઓમાં જોવા મળે છે. સ્વસ્થ સમાજનું નિર્માણ કરવા માટે જગદીશભાઈના જીવનમાંથી શિક્ષણના કાર્યમાં જોડાયેલા સૌએ ઘડો લેવા જેવું છે.

                  વિનોબાજીની ભૂદાન માટેની યાત્રા ૧૯૫૮માં ગુજરાતમાં થઇ હતી. ચારેક મહિના બાબા ગુજરાતમાં રહ્યા. આદિવાસી વિસ્તારમાં હરિવલ્લભભાઈ પરીખનો તેમાં મહત્વનો ફાળો રહ્યો. રંગપુરમાં વિનોબાજી થોડું રોકાયા. બાબાનું સાહિત્ય રંગપુરમાં જે સ્ટોલમાંથી વેચાતું હતું ત્યાં બાબા ગયા. વિનોબાજીના સાહિત્યમાં અભણ પ્રજાને રસ ન પડે. આથી ઘણા આદિવાસી ભાઈઓ બાબા તરફની શ્રદ્ધાને કારણે તેમનો ફોટો ખરીદીને લઇ જાય. બાબાના ધ્યાનમાં આ વાત આવી કે તરત જ તેમણે પોતાના ફોટાનું વેચાણ બંધ કરાવ્યું. ગાંધી વિચારના સંતને આવી વ્યક્તિપૂજા ગમે નહિ તેથી તેમણે આવું વેચાણ બંધ કરાવ્યું. આજના સંદર્ભમાં જોઈએ તો અનેક બાબાઓ પોતાના ફોટા-સાહિત્ય કે ઘણીવાર તાવીજ આપીને પોતાનું વિશેષ મહત્વ ઉભું કરવા માંગે છે. આવા સમયમાં વિનોબાજીનું આ વલણ એક સ્વસ્થ અને વિચારનિષ્ઠ જીવન પદ્ધતિનું સમર્થન કરતી જણાય છે. કદાચ આવી વાતો વ્યાપક રીતે સમજવામાં સમય જતો હશે. કેટલીક વાર તેમાં નિષ્ફળતા મળ્યાની અનુભૂતિ પણ થતી હશે. છતાં આવી સ્વસ્થ વિચારધારાને અનુસરનારા લોકો સમાજે જોયા છે. ક્ષણિક સફળતા માટે તેમણે પોતાના વિચારોનો રાજમાર્ગ છોડ્યો નથી.

               જગદીશભાઈ વિનોબાનું સાનિધ્ય પામીને સાર્થક જીવન જીવ્યા છે. તેમને વિનોબાજીનું સાનિધ્ય મળ્યું તે તેમના જીવનની મહત્વની તથા મૂલ્યવાન મૂડી છે. પંડિત જવાહરલાલ નહેરુ જેવા લોકો આ પદયાત્રામાં બાબા સાથે થોડા સમય માટે જોડાઈને પણ વિચારોનું આદાનપ્રદાન કરતા હતા તે વાતનો ખાસ ઉલ્લેખ જગદીશભાઈએ પોતાના સંભારણાઓમાં કર્યો છે. વિનોબાજી તથા નહેરૂજીનો એકબીજા માટેનો સ્નેહાદર જોઈ શકાય તેવો સ્પષ્ટ હતો. 

                  દેશમાં ૧૯૭૪માં કટોકટી લાદવામાં આવી તેની સામેનો ‘ભૂમિપુત્ર’નો સંઘર્ષ એ કથા જાણીતી છે. ગૌરવપ્રદ પણ છે. ‘ભૂમિપુત્ર’ના સંપાદક ચુનીભાઈ વૈદ્યની ધરપકડ થયા પછી ફનાગીરીની તમન્ના સાથે ભૂમિપુત્ર ચાલુ રાખવામાં આવ્યું. આ કામ સાથે જગદીશભાઈના જોડાણથી તેમની ધરપકડ થઇ. વડોદરા સેન્ટ્રલ જેલમાં તેમને ખસેડવામાં આવ્યા. અનેક બૌધિકોની હાજરીથી આ જેલવાસ તેમને ઉપયોગી લાગ્યો. જયપ્રકાશ નારાયણના કામને આગળ વધારવાનો સંકલ્પ આ સૌ લોકોએ કર્યો. નાના મોટા કોમ કોમ વચ્ચેના સંઘર્ષમાં પણ તેમણે સ્વસ્થતાથી પરિસ્થિતિ સુધારવાના પ્રયાસો કર્યા. એક દીપકની જેમ પોતાનો ખૂણો ઉજાળીને જગદીશભાઈ પ્રેરણાનો સંદેશ આપતા ગયા.

વસંત ગઢવી

તા. ૨૬ જુલાઈ ૨૦૨૩  

Leave a comment

Blog at WordPress.com.

Up ↑