વાટે…ઘાટે:એકઆંબોભાંગીપડ્યો: અષાઢનીભીનાશમાંમેઘાણીનીસ્મૃતિ:

એક વાવાઝોડું મચ્યું

એમાં એક આંબો ભાંગી પડ્યો.

કોઈ કહે કે અમારે વિશ્રાંતિ

લેવાની છાંયડી ગઈ,

અનેક બીજાઓને એના ફળ ગયા

તેનો પરિતાપ થયો.

એમ અંબાના જુદા જુદા આશ્રિતો

કે આશકો જુદી જુદી હાનિ પર રડ્યા.

પરંતુ કોઈને જ યાદ આવ્યું

અગર યાદ આવ્યું હોય તો

વસમું લાગ્યું કે

એ આંબાની ઘટામાં

એક કોયલ ટહુકતી હતી

તેના સૂરો ખોવાયા.

                         ઝવેરચંદ મેઘાણીની ઉપરની રચના પ્રમાણમાં ઓછી જાણીતી છે. પરંતુ તેમાં વ્યક્ત થયેલી વેદના ભાવકને પણ અકળાવે તેવી છે. આપણે પણ સામાન્ય રીતે સમાચાર પત્રોમાં વાંચતા રહીએ છીએ કે વાવાઝોડાને કારણે કેટલાક વૃક્ષો પડી ગયા. નજીકના ભૂતકાળમાં જ કચ્છ-સૌરાષ્ટ્રમાં વાવાઝોડાને કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા. મુન્દ્રા વિસ્તાર ખારેકના ઉત્પાદન માટે જાણીતો છે. ત્યાં પણ લગભગ તૈયાર થયેલી ખારેક સાથે અનેક વૃક્ષો ધરાશાયી થયા તેની વ્યથા ખેડૂતોના મુખ પર જોઈ શકાય તેવી સ્પષ્ટ હતી. આ બધું તો ખરું જ પરંતુ તે સિવાયની પણ એક બાબત છે. જે યાદ કરીએ તો વસમું લાગે તેવું છે. કોઈ પંખીએ આ વૃક્ષ પર ઘર બનાવ્યું હોય તેનો સ્વર કે ટહુકો હંમેશ માટે વિલાઈ ગયા. આ વ્યથા પણ એક અલગ ખિન્નતાનો ભાવ મનમાં જગાવી જાય છે. શાયર રાજેશ રેડ્ડીનો એક શેર આ વાતના સંદર્ભમાં સ્મૃતિમાં આવે છે:

યું તો આંધી મેં એક શઝર ગયા,

પર યે તો સોચો કે કિતને

પરિન્દોકા ઘર ગયા.

                     આમ તો સાદી સીધી વાત છે. વાવાઝોડાની તીવ્રતાને કારણે કેટલાક વૃક્ષો પડી ગયા તે લગભગ દરેક વર્ષે પુનરાવર્તિત થતી ઘટના છે. તેની નોંધ લેવાય તે પહેલા તે વાત ભૂલી પણ જવાય છે. પરંતુ જે પંખીઓએ પોતાનો માળો આવા વાવાઝોડાનો ભોગ બનેલા વૃક્ષો પર બાંધ્યો હોય તે તો થોડી ક્ષણોમાં જ બેઘર થયા છે. તેમનો કલબલાટ વિસ્મૃતિની ઊંડી ખાયમાં ગરકાવ થાય છે. ઝવેરચંદ મેઘાણી પોતાને પહાડના બાળક તરીકે ઓળખાવે છે. કુદરતના ભાતીગળ સ્વરૂપો એમણે નાનપણથી જ જોયા છે. આથી આ વૃક્ષના જવાની ઘટના કવિના દિલને ઊંડો આઘાત આપી જાય છે. વેદનાની આ વાત અહીં શબ્દોમાં પ્રગટ થઇ છે. વૃક્ષો તથા પક્ષીઓ એકબીજાની શોભા છે. આ સંદર્ભમાં મેઘાણીભાઇના મિત્ર કવિ દુલા ભાયા કાગનું ખુબ જાણીતું થયેલું ભજન “ઉડી જાઓ પંખી પાંખુવાળા” પણ આ સંદર્ભમાં યાદ આવે છે. જંગલમાં લાગેલી ભયાનક આગ ગમે ત્યારે એક વિશાળ વટવૃક્ષને પોતાની લપેટમાં લેશે તેવી સ્પષ્ટ સ્થિતિ દેખાય છે. વૃક્ષને પક્ષીઓ તરફ અંતરની લાગણી છે. બંને એકબીજાને પૂરક છે. એકબીજાની શોભા છે. આથી વૃક્ષ ઈચ્છે છે કે પંખીઓ હવે ઉડીને બીજા કોઈ સ્થળે જતા રહે. આમ કરે તો પંખીઓ બચી જાય. વડલાના અંતરની આ ઈચ્છા છે. પોતાના યુગ યુગ જુના મિત્રો માટેની આ ભલી લાગણી છે. પરંતુ પક્ષીઓ જુદું જ વિચારે છે. તેમને લાગે છે કે મુશ્કેલીના સમયે વૃક્ષનો સાથ છોડીએ તો એ સ્વાર્થનો સંબંધ ગણાય. હવે મૃત્યુના ડરથી આ સાથ છોડવા તેમનું મન માનતું નથી. કવિ કાગ(ભગતબાપુ) લખે છે:

આશરે તારે ઈંડા ઉછેર્યા

ફળ ખાધાં રસવાળા,

મરવા વખતે સાથ છોડે

ઈ મોઢા હોય મશવાળા…

ઉડી જાઓ પંખી પાંખુવાળા,

ભેળા મરશું ભેળા જનમશુ

અને તારી માથે કરશું માળા,

‘કાગ’ કહે આપણે ભેળા બળશું

ભેળા ભરશું ઉચાળા…

ઉડી જાઓ પંખી પાંખુવાળા…

              આવા ભીના તથા રસાળ શબ્દ સાથે મેઘાણીનો આજીવન નાતો રહ્યો. “શબ્દ પણ જે અંતરમાં ઉગે તે જ બ્રહ્માંડને ઉગાડે તથા ઉજાળે એવો.” (સોરઠી સંતવાણી) બ્રહ્માંડની ઉત્પત્તિ પણ આ શબ્દમાંથી જ થયા છે.

પેલે પેલે શબ્દે હુવા રણુંકારા,

ત્યાંથી રે ઉપજ્યાં જમી-આસમાના.

              આવા શબ્દની ઉપાસના મેઘાણીએ જીવનપર્યંત કરી. શબ્દ એ જ અસીમ આત્માનંદના પ્રાકટ્યની ક્રિયા છે તેવું મેઘાણીનું વિધાન છે. આવા પ્રગટ આનંદની તેમજ અપાર ઊર્મિના દર્શનની ઝાંખી તેમના અનેક સર્જનોમાં સતત થતી દેખાય છે. રવિ સાહેબનું ભજન પણ આવા શબ્દબાણથી જે ઘાયલ થયા છે તેમને જ અર્પણ કરી શકાય તેવું છે. રવિ સાહેબ કહે છે: 

બાણ તો લાગ્યા જેને

પ્રાણ રે વીંધાણા એના

નેણમાં ઘૂરે રે નિશાણ

જીવો જેને લાગ્યા ભજનુંના બાણ

જીવો જેને લાગ્યા શબદુના બાણ.

                મેઘાણીના ગદ્યમાં તથા પદ્યમાં લોકવાણીની બળકટતા તેમજ ઉત્કટતાનો અનુભવ થાય છે. લોકસાહિત્યને મેઘાણી તેના સર્વ રુપરંગમાં પામ્યા છે. જયંત મેઘાણી આ વાતની પ્રતીતિ કરાવે છે. મેઘાણી જ કરી શકે એવું અને એક મહત્વનું કાર્ય એ એમણે ઉભી કરેલી લોકસાહિત્યની એક ભિન્ન શૈલી છે. ગદ્યની ગરિમાને તેનાથી વિશેષ ઉંચાઈ પ્રાપ્ત થઇ છે. પ્રસિદ્ધ વિદ્વાન ડો. વાસુદેવ શરણ મેઘાણી સ્મૃતિ વ્યાખ્યાન આપતા ઉચિત રીતે કેટલીક વાતો કરે છે. તેઓ કહે છે તેમ ઝવેરચંદ મેઘાણી એ ગુજરાતના વિશાળ ક્ષેત્રોમાં ફેલાયેલા લોકસાહિત્યના એક પ્રતીક બની ગયા છે. તેઓ સાચા અર્થમાં પૃથ્વીપુત્ર હતા. “માતા ભૂમિ: પુત્રોંહ પૃથિવ્યાં” એ અથર્વવેદનો મંત્ર તેમના જીવનમાં સાકાર થતો દેખાય છે. મેઘાણીએ પોતાની આંખે લોકનું દર્શન કરેલું છે. આ સાક્ષાત દર્શન એ જ તેમનું પૂર્ણદર્શન છે.

           પ્રત્યક્ષદર્શી લોકાનાં સર્વદર્શી ભવેન્નર:

              વ્યાસમુનિના આ વિધાન મુજબ જે લોકને પોતાની આંખે જુએ છે તે જ તેનું પૂરેપૂરું દર્શન કરે છે. લોકનું પ્રત્યક્ષ દર્શન એ જ મેઘાણીભાઇના સમગ્ર દર્શનની ચાવી છે.

વસંત ગઢવી 

તા. ૧૮ જુલાઈ ૨૦૨૩  

Leave a comment

Blog at WordPress.com.

Up ↑