ક્ષણના ચણીબોર:ચારણીલોકકાવ્યસૌંદર્યનોભાતીગળપરિચય:

  ‘મોરના ઈંડા ચીતરવા ન પડે’ તેવી એક કહેવત આપણે ત્યાં જાણીતી થઇ છે. જીવનની અનેક સારી બાબતો કુટુંબના સંસ્કારના કારણે સહેજે ઉમેરાય છે. આવી બાબતો વ્યક્તિની પ્રકૃતિનો સહજ ભાગ બની રહે છે. આ બાબત મારા સાથી અને સાહિત્ય સર્જક-ભાઈ પ્રવીણ ગઢવીને લાગુ પડે છે. પ્રવીણભાઈના પિતા ખેતસીંહજી ચારણી સાહિત્યના સમર્થ વિદ્વાન હતા. તેમની પ્રતિભા એવી હતી કે ગુજરાત તેમજ રાજસ્થાનના તત્કાલીન કવિઓ-સાહિત્ય સર્જકો સ્નેહબંધનથી ખેંચાઈને ખેતસીંહજીના મહેમાન થતા હતા. આથી પ્રવિણભાઈનું ઘડતર સાહિત્યના આ વટવૃક્ષ હેઠળ થયું. સર્જનના સંસ્કાર ત્યાંથી જ પાંગર્યા અને સતત વિકસતા રહ્યાં. સાહિત્યના અનેક પુસ્તકો તથા ચારણી સાહિત્યની હસ્તપ્રતોથી ખેતસિંહજીનું ઘર શોભતું હતું. બાળક કે કિશોરના માનસ પર સ્વાભાવિક રીતે જ આ ઉજળા વારસાનો પ્રભાવ ઉભો થાય છે. પ્રવીણભાઈના મોટાભાઈ બનેસિંહજી એક અભ્યાસુ તથા સક્રિય અધ્યાપક અને તેથી શિક્ષણના મહત્વની વાત પણ પ્રવિણભાઈને અનાયાસે જ સમજવા મળી. 

                        પ્રવીણભાઈના જીવનનો એક મહત્વનો હિસ્સો એ સરકારી સેવાનો રહ્યો. મહેસુલી તંત્રની આંટીઘૂંટીઓ તેઓ સારી રીતે સમજી શક્યા અને તેમાં નામના પણ પ્રાપ્ત કરી. આ સંદર્ભમાં તેમનું એક મહત્વનું કાર્ય જે હંમેશા યાદ આવે છે તે સરકારી કામોની વ્યસ્તતા વચ્ચે અમરેલીમાં ઉભું કરેલું કવિ કલાપીનું સ્મારક-સંગ્રહાલય છે. ગુજરાત જે સર્જક માટે ગૌરવનો ભાવ અનુભવે છે તેવા કવિ કલાપીની સ્મૃતિને વિશેષ ઉજાગર કરવા પ્રવિણભાઈએ આ કાર્ય સ્વયં પ્રેરણાથી કર્યું. તેઓ અમરેલી જિલ્લા કલેક્ટર હતા ત્યારે તેમને આ કવિ તર્પણના ઉમદા કાર્યનો વિચાર આવ્યો. ‘સ્વાંત: સુખાય’ થયેલું આ કામ પણ રાજ્યના અનેક આગેવાનો તથા અધિકારીઓએ બિરદાવ્યું છે. બહુ ઓછા સરકારી અધિકારીઓ આવું નિર્માણનું કાર્ય કરવા ભાગ્યશાળી થતાં હોય છે. આ કાર્ય પોતે કર્યું છે તેનો કોઈ ઉલ્લેખ પણ કરતા તેમને જોયા નથી. એ તેમના વ્યક્તિત્વની ખૂબી છે. 

                     પ્રવીણભાઈના એક પુસ્તક “ચારણી લોકકાવ્ય સૌંદર્ય”માંથી પસાર થવાની તક મળી. આ પુસ્તક પ્રવિણભાઈએ લખેલા તેમજ સામયિકોમાં છપાયેલાં રુચિપૂર્ણ લેખોનો સંગ્રહ છે. ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્રના સહયોગથી આ પુસ્તક પ્રસિદ્ધ થયું છે. (રન્નાદે પ્રકાશન:૨૦૨૦) ચારણી લોકકાવ્યની એક વિશિષ્ટ સૌંદર્યદ્રષ્ટિનો પરિચય આ પુસ્તકમાંથી વાચકને થાય છે. રજૂઆત સરળ તથા સુયોગ્ય દ્રષ્ટાંતોથી ભરપૂર છે. દેશમાં મહાત્મા ગાંધી પ્રેરિત જે સ્વાતંત્ર્ય સંગ્રામ ચાલ્યો તેમાં કવિઓનું વિશેષ પ્રદાન રહ્યું છે. પરંતુ બ્રિટિશરો સાથે ગાંધીજી આવતા પહેલા થયેલા અનેક ઘર્ષણોમાં કેટલાક નેકટેકની ખેવનાવાળા ચારણ કવિઓએ સમાજના નૈતિક જુસ્સાને જાગતો રાખ્યો છે. તેમનો હેતુ નિ:સ્વાર્થભાવે વીરત્વને બિરદાવવાનો હતો. આવું કાર્ય કરવામાં શાસકની ખફગીનો ભોગ બનવું પડે તેવો પણ દેખીતો ભય હતો. આમ છતાં રાષ્ટ્ર પ્રત્યેની નિષ્ઠાના કારણે આ કવિઓએ પોતાની મુશ્કેલીઓની અવગણના કરી. મેવાડના રાજ્યકવિ કેશરીસિંહજી બારહઠ્ઠ તેનું એક ઉજળું ઉદાહરણ છે.  કેશરીસિંહજીએ મહારાણા પ્રતાપની પ્રશંસા કરતા લખ્યું હતું:

પગ પગ ભમ્યા પહાડ,

ધરા છાંડ રાખ્યો ધરમ.

મહારાણા અરુ મેવાડ

હ્ર્દયે બસિયા હિન્દરે.

           કવિના યુવાન પુત્રને બ્રિટિશ સત્તાએ રાજદ્રોહના ગુના માટે કસૂરવાર ઠેરવી આકરા કારાવાસની સજા કરી. ગુલાબનું આ ફૂલ અકાળેથી જ કરમાઈ ગયું. કવિ આ ઝેરનો ઘૂંટડો પણ સ્વસ્થતાથી ઝીરવી ગયા. આવું જ એક અન્ય ઉદાહરણ કવિ દુરશાજી આઢાનું છે. બાદશાહ અકબરના દરબારમાં પ્રતિષ્ઠાભર્યું સ્થાન ભોગવતા કવિ દુરશાજી આઢા શહેનશાહની ઉપસ્થિતીમાં જ મહારાણા પ્રતાપની પ્રશંસા પોતાની કાવ્યબાનીમાં કરે છે તે ચમત્કારથી ઉતરતી ઘટના નથી. કવિરાજ શહેનશાહ અકબરને  કહે છે.

અકબર ઘોર અંધાર,

ઊંઘાણા હિન્દૂ અવર

જાગે જગતાધાર

પહોરે રાણ પ્રતાપસી

                    બાદશાહને કવિ સંભળાવે છે કે આપના શાસનના પ્રભાવ હેઠળ હિન્દુસ્તાનના અનેક રાજવીઓ નિષ્ક્રિય થઈને ચુપચાપ બેઠાં છે. પરંતુ દિવસ-રાત્રી જાગ્રત રહીને સંગ્રામના ભીષણ ક્ષેત્રમાં મહારાણા પ્રતાપ તમારી સામે ઉભો છે. હિન્દુસ્તાનના અનેક રાજવીઓની નેકટેક આ નરવીરે જાળવી છે.

             ચારણી કવિતાઓનો ધસમસતો પ્રવાહ રાજા-રજવાડાઓ તરફ ગયો છે. આમ છતાં તેનો વ્યાપ તેટલામાંજ મર્યાદિત રહ્યો નથી. સમાજના અનેક સામાન્ય જનોના ગુણોને આ સાહિત્ય દ્રારા બિરદાવવામાં આવ્યા છે. વીરતા એ ઈશ્વરનો મળેલો આશીર્વાદ છે.વીરતાના ગુણને કોઈ નાત જાત કે જાતિ સાથે સબંધ નથી,  આથી જ લાજ અને ધર્મ જાળવવા માટેની લડાઈમાં જોગડાના સ્વૈચ્છિક બલિદાનની વાત લોકકવીએ કરી છે:

આગે છેલ્લી ઉઠતો,

પેલો ઉઠ્યો પાંત.

ભુપોમાં પડી ભ્રાન્ત,

જમણ અભડાવ્યું જોગડા.

      કવિ કહે છે કે જોગડાની ગણતરી સમગ્ર સમાજ છેલ્લે કરતો હતો. પરંતુ જયારે વીરતા દાખવીને બલિદાન આપવાનો આકારો સમય સામે આવ્યો ત્યારે વીર જોગડો સૌને પાછળ રાખીને આગળ ચાલ્યો. પોતાની શહીદીથી વીરત્વની પ્રતિષ્ઠા કરી. ચારણ કવિઓને વર્ષાઋતુના સૌંદર્ય સાથે એક વિશેષ નાતો રહ્યો છે. અહીં આ સંદર્ભમાં એક સુંદર દોહાનો ઉલ્લેખ થયો છે.

બરખા રીતુ આઈ જસુ

મંગળ ગાવત મોર

સાવન ભાદો  કે દિના

ચપલ ચમંક ચહુઓર

       ઇતિહાસની ખૂટતી કડીઓ પણ ચારણી સાહિત્યમાંથી મળી રહે છે. કર્નલ ટોડે પોતાના વિસ્તૃત સારસ્વત કાર્યમાં આ સાહિત્યને ઉપયોગી ગણાવ્યું છે. પ્રવીણભાઈના અધ્યયન થકી ચારણી સાહિત્યની અનેક બાજુઓ પ્રકાશનમાં આવે છે. પ્રવીણભાઈ એટલા જ ઊંડા કમિટમેન્ટ સાથે સમાજના ઉપેક્ષિત વર્ગોની સમસ્યાઓ અંગે પણ સતત લખતા રહે છે. સમાજમાં જન્મ આધારિત કે જ્ઞાતિના ધોરણે કોઈ બેવડા માપદંડ હોય તો આવા સમાજને સ્વસ્થ ગણી શકાય નહિ. પ્રવિણભાઈનું આ વિષયમાં યોગદાન પણ અનેક લોકો આદર સાથે સ્વીકારે છે. સમસ્યા સામે શાહમૃગવૃત્તિ કેળવવાને બદલે આવી વાસ્તવિક સ્થિતિને સમજીને તેમજ તેનો સ્વીકાર કરીને ઉકેલવી વધારે યોગ્ય છે. પ્રવિણભાઈની શબ્દ-ઉપાસના સતત ચાલતી રહે તેવી શુભેચ્છા વ્યક્ત કરીએ.

વસંત ગઢવી

તા ૧૩ જૂન ૨૦૨૩

Leave a comment

Blog at WordPress.com.

Up ↑