વાટે…ઘાટે:’રઢિયાળીરાત’નાપ્રણેતાજિતુદાનનેભાવાંજલિ:

  સુપ્રસિદ્ધ લોકસાહિત્યકાર જિતુદાન ગઢવીની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે તા. ૦૫–૨-૨૦૨૩ના રોજ  જિતુદાનને યાદ કરવાનો એક સુઆયોજિત કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી, ગુજરાતના સાંસ્કૃતિક સેલના ઉપક્રમે યોજવામાં આવ્યો. ભારત સરકારના વરિષ્ઠ મંત્રી માનનીય શ્રી પુરુષોત્તમ રૂપાલા આ નિમિત્તે ખાસ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. જિતુભાઈનું યોગદાન લોકસાહિત્યના પ્રચાર-પ્રસારમાં મહત્વનું હોવાથી આ કાર્યક્રમની યથાર્થતા સર્વસ્વીકૃત છે. સમાજ તેના કલાધરોને યાદ કરીને બિરદાવતા રહે તે કલાધરો માટે છોડ માટેના જળસિંચન જેવું છે. કલાકાર સાથે જ કલાનો પણ વિકાસ અને વૃદ્ધિ થતા રહે છે. આ બાબતનું એક ઉજળું તથા જાણીતું ઉદાહરણ પૂ. મોરારીબાપુ પ્રેરિત ‘કવિ કાગ મહોત્સવ’નું છે. છેક ૧૯૯૯થી બાપુના પાવન સાનિધ્યમાં ‘કાગના ફળિયે કાગની વાતું’ મરમીઓ દ્વારા માંડવામાં આવે છે. આજ રીતે અષાઢી કંઠના વાહક હેમુ ગઢવીની સ્મૃતિમાં પણ ૫૧ ભાવવંદનાના કાર્યક્રમો થયા. હેમતીર્થ સ્મારકનું પણ નિર્માણ થયું. આ રીતે જોઈએ તો સમાજ તેના સાહિત્યકારો તથા સાહિત્યની સ્મૃતિને જીવંત રાખવા જે પ્રયાસો કરે તે આવકારપાત્ર છે.

         સૌરાષ્ટ્ર-કચ્છ તથા સમગ્ર ગુજરાતમાં આજે પણ લોક્ડાયરાઓનો પ્રવાહ સતત ચાલતો રહે છે. ગઈ કાલે હેમુભાઈ-જિતુદાન કે પ્રાણલાલ વ્યાસ જેવા દિગ્ગજ કલાકારો હતા. આજે કિર્તીદાન, માયાભાઇ આહીર કે રાજભા જેવા લોકપ્રિય કલાકારો અનેક સ્થળોએ સાહિત્યનો પ્રવાહ સતત વહેવડાવતા રહે છે. લોકો તેમને માણતા તેમજ સતત વધાવતા રહે છે. પરંતુ ડાયરાઓની આ સમગ્ર વ્યવસ્થાનું સર્જન તથા સંવર્ધન કરવામાં જિતુદાનનો બહુમૂલ્ય ફાળો રહેલો છે. ડાયરાઓમાં નાવીન્ય આવે તથા ઉભરાતી પ્રતિભાઓને મંચ પર સ્થાન મળે તે માટે જિતુદાનના પ્રયાસો વિસરી શકાય તેવા નથી. કાર્યક્રમો મુંબઈમાં હોય કે ગુજરાતમાં હોય તે સર્વના આયોજનમાં જિતુદાનનો સિંહફાળો રહેતો હતો. અનેક ઉગતા કલાકારોને જિતુદાનનો સાથ અને સધિયારો રહ્યા છે. જિતુદાનના આ યોગદાનને એક સંસ્થાગત યોગદાન જેવું મૂલ્યવાન ગણી શકાય. 

                             ડાયરાઓમાં જિતુદાનભાઇની પ્રસ્તુતિ ઘણી જ પ્રભાવકારી હતી. તેમનું ડાયરાનું સંચાલન એક શિસ્તબદ્ધ આર્મી અધિકારી જેવું હતું. સાથે કામ કરનારા અનેક કલાકારોનું આથી ઘડતર થયું છે. કલાના વાહક ઉપરાંત જિતુદાન એક મહત્વના સર્જક પણ હતા. આ રીતે તેઓ ભગતબાપુ(કવિ કાગ) તથા કવિ દાદની પંક્તિમાં આવી શકે તેવા સર્જક હતા. હરિરસ કે દેવીયાણ જેવા ગ્રંથોનું સંપાદન તથા તેમના પરની ટીકા પ્રમાણભૂત ગણી શકાય તેવી છે. દરેક બાબતમાં તેમનો પોતાનો એક ચોક્કસ મત રહેવા પામ્યો છે. પોતાનો જે કંઈ અભિપ્રાય હોય તે રજુ કરવામાં તેઓ સ્પષ્ટ હતા. તેમની કેટલીક માન્યતાઓ સાથે કદાચ આપણે સંમત ન હોઈએ તો પણ તેમનો તર્ક વિચારવા પાત્ર છે તેમ લાગ્યા સિવાય રહેતું ન હતું.આ બાબતને વિશેષ સ્પષ્ટ કરતા તેઓએ લખ્યું છે કે “મારી સુઝને હું બીજા કોઈના ચશ્માથી જોવા-સમજવા માંગતો નથી. આ મારો જન્મસિઘ્ધ વાંક છે.” જિતુદાનની આ નિખાલસતાને બિરદાવવા જેવી છે.

           જિતુભાઈના સર્જનોમાં મેઘધનુષી રંગોનું દર્શન થાય છે. જિતુદાનના વ્યક્તિત્વનો અભ્યાસ કરીએ તો ગતિશીલતા એ તેમના સમગ્ર જીવનનો એક અભિન્ન ભાગ હતો. જિતુદાનને મળીએ કે વાત કરીએ ત્યારે આ ગતિશીલ સ્વભાવને માર્ક કરવાનું કોઈ ચુકી શકે નહિ. તેમને જોઈને મનમાં ઘણીવાર મરીઝનો શેર યાદ આવે:

જીવનમાં છે લહાવો

કદમ પર કદમ પર,

શરત ફક્ત એટલી કે

ગતિમાન રહેવું.

                    જિતુદાન સતત ગતિમાન રહેનારા હતા. જિતુદાનની આ ગતિમાં દિશા અને સૂઝ બંને હતા. તેમના જીવનની ગતિ સુરેખ હતી. સુઆયોજિત હતી. સૌથી અગત્યની વાત કે તેમાં સચોટતા હતી. તેમના અનેક સંપાદનો તથા સર્જનોમાંથી આ બાબતનો સ્પષ્ટ અણસાર આવે છે. તેમણે જેટલી ઉત્કટતા તેમજ કાળજીથી ઇસરદાસજીને પોતાના શબ્દદેહમાં ઉતાર્યા છે તેટલી જ કાળજીથી સમર્થ ભક્ત કવિ સાંયાજી ઝુલાને આપણી સમક્ષ રજુ કર્યા છે. એક સુંદર દોહામાં જિતુદાન લખે છે:

ઇડર કહાં મરધર કહાં

ઝૂલા બારઠ ફેર,

ઇસર ઈક સાંયા દુજો

પથ ઈક ચલે સુપેર

      સાંયાજી ઝૂલા તથા ભક્ત કવિ શિરોમણી ઇસરદાસજી પર જિતુદાને કરેલું કામ ખૂબ જ નોંધપાત્ર છે. તેમના ૪૦ થી વધારે સર્જનો આપણી સમક્ષ મુકાયા છે. એ વાત ખરી છે કે આ બધા દસ્તાવેજ સમાન પુસ્તકો વિશાળ વર્ગ સુધી પહોંચી શક્યા નથી. આ બાબત એ સાહિત્યપ્રેમીઓ માટે પડકાર સ્વરૂપ છે. પુસ્તકો પહોંચે તો જ વિશાળ વાચક વર્ગ જિતુદાનની મહેનતની ખરી કદર કરી શકશે. જિતુભાઈના લખાણોની એક મહત્વની ખૂબી એ તેમની કલાત્મકતા છે. તેમની સહી કરવાની પદ્ધતિ પણ તેનો એક પુરાવો છે. જિતુદાન પદ્ય ઉપરાંત નાના-મોટા ગદ્યમાં પણ એટલા જ ખીલી ઉઠ્યા છે. શબ્દોનો સુંદરતાપૂર્વકનો ઉપયોગ વાચક જોઈ શકે છે, અનુભવી શકે છે. એક જગાએ જિતુદાન પોતાના પુસ્તકમાં લખે છે: “ચારણી સાહિત્ય એ વેદની રૂચાનું વ્યવહારુ દર્શન છે.” આગળ લખે છે: “ચારણી સાહિત્ય એ પૌરાણિક ઘટનાઓનું કાવ્યાત્મક કુંજન છે.” જિતુભાઈના સાહિત્ય ખેડાણમાં વ્યાપકતા છે. ચંડીપાઠને સરળતાથી સમજાવનાર આ કલાધર કવિગુરુ ટાગોરને પણ આપણા લોકસાહિત્યની ધરતી પર લઈને આવે છે. લોક ગીતાંજલિનો તેમનો પ્રયોગ એ જિતુદાનની સર્વસમાવેશક્તાની શક્તિનો પરિચય કરાવે છે.

            સામાન્ય રીતે રાજકીય પક્ષો સાહિત્યની કોઈ મહત્વની ઘટનાને એક સંસ્થાગત રીતે અપનાવે તથા ઉજવે તેવી ઘટનાઓ ઓછી બને છે. સમગ્ર આયોજનમાં ભારતીય જનતા પક્ષના સાંસ્કૃતિક સેલનું મહત્વનું યોગદાન આ કાર્યક્રમને મળ્યું છે તેમ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. ગુજરાતના મોટાભાગના જિલ્લાઓના કલાકારોને પણ આ વ્યવસ્થામાં સાંકળી લેવાનો પ્રયાસ નોંધપાત્ર છે. જિતુદાનભાઈ ટાપરીયાની સ્મૃતિને જિવંત રાખવાનો આ એક મહત્વનો પ્રયાસ હતો જે બીજા કલાકારોની બાબતમાં પણ સુયોગ્ય રીતે અનુકરણ કરવા પાત્ર છે.

વસંત ગઢવી

તા. ૬ ફેબ્રુઆરી ૨૦૨૩  

Leave a comment

Blog at WordPress.com.

Up ↑