વાટે…ઘાટે:ગુજરાતના સૌથી ઊંચા સેવક તથા સર્વશ્રેષ્ઠ સાધક: રવિશંકર મહારાજ.

સ્વામી આનંદ લખે છે: “સવારે તથા સાંજે પ્રાર્થના કરતી વખતે પુણ્યશ્લોકો નલોરાજા,
પુણ્યશ્લોકો યુધિષ્ઠિર: સાથે જ હું પુણ્યશ્લોક રવિશંકર મહારાજનું સ્મરણ કરું છું. તેઓ ગુજરાતના સૌથી
ઊંચા સેવક છે.”
સ્વામી આનંદે જેમને ઉત્તમ તથા ઉમદા સેવક ગણાવ્યા તે રવિશંકર મહારાજની સ્મૃતિ
શિવરાત્રીના પર્વ ઉપર અનેક લોકોને થતી હશે. શિવરાત્રીના પવિત્ર દિવસે આ શિવત્વ ધરાવતા સેવકનો
જન્મ થયો હતો. સ્વામી આનંદે તેમને મુઠી ઉંચેરા માનવી’ યોગ્ય રીતે કહ્યા છે. ગઈકાલ સુધી આપણી
સાથે હતા તેવા રાજ વિનાના મહારાજ થકી ગુજરાતનું ગૌરવ વધ્યું છે. આપણાં ગુજરાત પ્રાંતના લોકોનું
એ સદ્ભાગ્ય છે કે રાજ્યની સ્થાપના મહારાજના આશીર્વાદ સાથે ૧૯૬૦માં કરવામાં આવી હતી.
મહારાજ તેમના અકિંચનપણા માટે સુવિખ્યાત હતા. પાંડુરંગ (આઠવલે) દાદાએ લખ્યું છે કે વૈરાગ્ય
એટલે ‘ઈદમ ન મમ’ (આ મારુ નથી) એવી વૃત્તિ. આ વૃતિ મહારાજમાં સાંગોપાંગ હતી. મહારાજે માત્ર
ધનની જ એષણાનો ત્યાગ કર્યો છે એટલું જ નથી. મહારાજ તો પોતાના અનેક સુકૃત્યો માટે પણ ‘ઈદમ
ન મમ’ની વૃતિ ધરાવે છે. પોતે કરેલા કામોનો પણ પોતાને સ્પર્શ ન થવા દેવો તેવો વૈરાગ્ય વિરલ છે.
શાસ્ત્રોનો અભ્યાસ ઘણાં કરે છે પરંતુ શાસ્ત્રોની ઉત્તમ વાતો જીવનમાં યથાતય ઉતારનાર મહારાજ એ
સેવકોમાં શ્રેષ્ઠ સેવક છે. મહીની કોતરોમાં જીવતા ધારાળા તથા પાટણવાડિયાઓ સરકારને ચોપડે ગુનેગાર
ગણાતા હતા. મહારાજે તેમનામાં પણ મનુષ્યની સારપના અંશના દર્શન કર્યાં. મહિના ભીષણ કોતરોની
વચ્ચે મહારાજ વિચરતા રહ્યા. મહારાજની ગાંધી વિચારધારાને અનુરૂપ રહીને સમાજના કહેવાતા
ગુનેગારોને જીવનનો સાચો માર્ગ દેખાડ્યો. મહારાજના આ અદ્વિતીય કહેવાય તેવા કામોની નોંધ
મહારાજના મુખેથી સાંભળીને સમર્થ સર્જક ઝવેરચંદ મેઘાણીએ ગ્રંથસ્થ કરી. મેઘાણીએ લખેલાં તમામ
પ્રસંગોમાં મહારાજ પોતે કેન્દ્રસ્થાને ન રહે તેની ખેવના તથા આગ્રહ મહારાજ રાખતા હતા તેમ
મેઘાણીભાઇએ લખ્યું છે.
રવિશંકર મહારાજની જેટલી વાતો સાંભળીએ તેટલો આત્મભાવ ઉન્નત થતો રહે છે. દેશ
આઝાદ થયો ત્યારબાદ ૧૯૪૮નો એક પ્રસંગ મગનભાઈ જો. પટેલ સંપાદિત પુસ્તક(સૌના દાદા)માં
જોવા મળ્યો. ૧૯૪૮માં ગુજરાતના ઘણાં ભાગોમાં વરસાદની અછત રહી હતી. બનાસકાંઠા તે વખતે
એક નવો જિલ્લો બન્યો હતો. આ જિલ્લામાં આમ પણ ભૂતકાળના ઘણાં વર્ષો દરમિયાન વરસાદની
અછત રહેવા પામી છે. મહારાજ પરિસ્થિતિનો જાત અભ્યાસ કરવા માટે બનાસકાંઠામાં ગયા. જાણીતા
શ્રેષ્ઠી કસ્તુરભાઈ પણ મહારાજની સાથે હતા. મહારાજે જોયું કે જિલ્લાના અનેક ઊંડાણના ગામોમાં
પાણી-ઘાસચારો તેમજ અનાજની પણ અછત છે. ભૂખમરો થાય તેવી સ્ફોટક સ્થિતિ છે. બનાસકાંઠા
જિલ્લાના રાધનપુરમાં મહારાજ હતા. મહારાજ આવ્યા છે તે સમાચાર સાંભળીને અનેક લોકો તેમને

મળવા આવ્યા. લોકોએ પોતાની વ્યથાની વાતો મહારાજને સંભળાવી. સામાન્યજનની નાડ પારખનારા
મહારાજ સ્થિતિની ગંભીરતા પામી ગયા. નવા જિલ્લાનું સરકારી વહીવટીતંત્ર પણ હજુ પૂરેપૂરું ગોઠવાયું
ન હતું. તંત્રની પણ એક મર્યાદા હતી. દિવસે તથા મોડી રાત સુધી મહારાજને મળવા આવનારાઓનો
પ્રવાહ નિરંતર ચાલતો રહ્યો. બીજા દિવસે કસ્તુરભાઈએ નિયત થયેલા કાર્યક્રમ મુજબ અમદાવાદ પાછા
જવાની વાત કરી. મહારાજે કસ્તુરભાઈને જવાબ આપ્યો: “ગઈકાલે લોકોની મુશ્કેલીઓની વાતો
સાંભળીને મારી ઊંઘ ઉડી ગઈ છે. હવે તો હું અહીં જ લોકોની વચ્ચે રહીશ.” કસ્તુરભાઈના અમદાવાદ
આવવાના આગ્રહ સામે મહારાજ મક્કમ રહ્યા. લોકોની સાથે જ રહીને તેમના પ્રશ્નો સમજીને
સંવેદનાથી ઉકેલવા તે મહાત્મા ગાંધીનું શિક્ષણ હતું. મહારાજ તથા જુગતરામ દવે જેવા અનેક લોકોએ
તે વાત સમજીને સ્વીકારી હતી. દૂર રહીને વ્યવસ્થા કરનાર વ્યવસ્થાપકો તેઓ ન હતા. તેઓ તો વેદના
સહન કરનાર વર્ગના ભાગીદારો હતા. જરૂરિયાતમંદ લોકોને સહાયનું માત્ર વિતરણ કરનારા ન હતા.
આવા લોકોમાં પણ જીવનનું જોમ પ્રગટાવવાના તેમના પ્રયાસો હતા. સમાજના સંપન્ન લોકોને આ
કામમાં જોડવાનો તેમનો પ્રયાસ હતો. સામાન્ય લોકો ક્યારે જિલ્લા કે રાજ્યની રાજધાનીમાં જઈને
રજૂઆત કરી શકે? કદાચ કરે તો પણ તેની કેટલી તથા ક્યારે નોંધ લેવામાં આવે તે પણ એક અલગ પ્રશ્ન
છે. લોકોની સાથે તથા તેમની વચ્ચે રહીને જ લોકોના પ્રશ્નોનું નિવારણ કરવાની આ મહાત્મા ગાંધીની
પદ્ધતિ હતી. ભાલના ગુંદી ગામમાં નવલભાઈ શાહ બેઠા હોય. મહેસાણાના અંતરિયાળ ગામમાં
શંભુભાઈ યોગી બેઠા હોય. બબલભાઈ કે નાનાભાઈ ભટ્ટ પણ લોકચેતનાને પ્રગટાવીને જાગૃત રાખવાનો
પ્રયાસ કરતા હોય તેવો એક વ્યાપક માહોલ હતો. પોતાને સાંભળનાર કોઈ નજીકમાં છે તેની હૈયાધારણ
સામાન્ય જનને હતી. જનમાનસનું ધડતર પણ આ ધૂળધોયા સેવકો કરતા હતા. ગઈકાલ સુધી
ઝીણાભાઈ દરજી કે મણીભાઈ સંઘવી જેવા લોકો આપણી વચ્ચે હતા. આવી આખી વ્યવસ્થા લગભગ
નામશેષ થવા પામી છે તેનો ઊંડો વસવસો સનત મહેતાએ અનેક સ્થળોએ કહ્યો છે અને લખ્યો છે. આમ
છતાં આજે પણ કેટલાક સુખદ અપવાદો જેવી સંસ્થાઓ કાર્યરત છે. લોકોની વચ્ચે રહીને જ સેવા કરતી
સેવા રૂરલ(ઝગડીયા) એ તેનું એક ઠોસ ઉદાહરણ છે. મહારાજ ભલે આપણી વચ્ચે રહ્યાં નથી. પરંતુ
તેમની સેવાનું મોડેલ હંમેશા પ્રેરણા તથા બળ પુરા પડે તેવું મજબૂત છે. ગુજરાત વિદ્યાપીઠનો
ગ્રામશિલ્પીનો પ્રોજેક્ટ એ પણ લોકો સાથે રહીને જ લોક ઉન્નતિનું કામ કરનારા કસાયેલા કાર્યકરો તૈયાર
કરે છે. લોક જાગૃતિ તથા લોક ભાગીદારી સિવાય માત્ર સરકારના પ્રયાસો પૂર્ણ સફળતા મેળવી શકતા
નથી. મહારાજનું સમગ્ર જીવન આ વાતનું એક ઉજળું ઉદાહરણ છે. રવિશંકર મહારાજની ફરી સ્મૃતિ
થાય છે. મુરલી ઠાકુરની પંકિતઓ યાદ આવે છે:

તમે મહારાજ !
રાજ વિનાના રાજ… મહારાજ
માનવી મનના મહારાજ.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑