વાટે…ઘાટે : નાતાલનીઉજવણીમાંહૈયાનોઉમંગ:

 ફરી એક વખત નાતાલનો પવિત્ર તહેવાર બારણે દસ્તક દઈ રહ્યો છે. પૃથ્વીના મોટા ભૂભાગ પર ઉજવાતા ઉત્સવનું અસંખ્ય લોકોના જીવનમાં આગવું મહત્વ છે. ભગવાન ઈસુના પ્રેમસંદેશને ફેલાવવા માટે આ ઉત્સવ ઉજવવામાં આવે છે. સ્નેહ, શાંતિ તેમજ કરુણાની આ ધારા અનેક સમયે નબળી પડતી લાગે પરંતુ એ કદી નિર્મૂળ થતી નથી તે વાતની કોરોના કાળમાં ફરી પ્રતીતિ થઇ. આ સંદર્ભમાં જોઈએ તો અનેક કપરી સ્થિતિ વચ્ચે પણ આજે એક માનવીનો બીજા માનવી વચ્ચેનો સ્નેહ વધતા ઓછાં અંશે કાયમ રહયો છે. જ્યાં માનવતા જોડે છે ત્યાં સાંપ્રદાયિક રૂઢિઓની માન્યતાઓ ટકી શકતી નથી. ખાસ કરીને સમગ્ર માનવજાત માટેનો કપરો કાળ સામે આવે ત્યારે ભગવાન ઇસુનો આ પ્રેમસંદેશનો ભાવ અનેક હૈયામાં આપમેળે પ્રગટે છે. આ વાતનો અનુભવ કોરોના મહાકાળના કપરા સમયમાં થયો. અસાધારણ પરિસ્થિતિનું નિર્માણ એ કાળમાં થયું. આપણાં દેશના જ નહિ પરંતુ સમગ્ર વિશ્વના ઇતિહાસમાં લાંબો એવો લોકડાઉનનો સમય આવ્યો. જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પણ ખરીદવાની સમસ્યા હતી. ખિસ્સામાં નાણાં હોય પરંતુ બજારો બંધ હોય. જેઓ રોજની આજીવિકા કમાઈને પેટ ભરતા હોય તેમના માટે તો કલ્પનામાં ન આવે તેવી કપરી સ્થિતિ ઉભી થઇ. અનેક વયસ્ક લોકો કે જેમના સંતાનો દેશ કે વિદેશોમાં કામ કરતા હોય તેવા સિનિયર સિટીઝન્સને વિશેષ સમસ્યા ઉભી થઇ. ઘેર કામ કરતા (domestic help) માણસો આવવા બંધ થયા. ઉંમર થતા અનેક શારીરિક મર્યાદાઓ પણ હોય તે સ્વાભાવિક છે. નિભાવ કેવી રીતે કરવો? રસોઈ માટેની તમામ સામગ્રી ઘરમાં છે પરંતુ શરીરની સ્થિતિ એવી નથી કે આ કામ કરી શકાય. ઉપરાંત માંદગી હોય તો સ્થિતિ વધારે કપરી બને. આ સ્થિતિમાં અનેક વ્યક્તિઓ-ટ્રસ્ટો તથા વ્યાપારી ધોરણે ચાલતી હોટલોએ સ્વેચ્છાએ જ ઘેર ઘેર જઈને જરૂર હોય ત્યાં ટિફિન પહોંચાડવાનું શરુ કર્યું. સરકારના કામમાં લોકોએ સ્વેચ્છાએ પરિપૂર્તિ હતી. સ્નેહ તથા કરુણાની આથી વિશેષ અભિવ્યક્તિ કઈ હોઈ શકે? અહીં એ વાતની ફરી પ્રતીતિ થઇ કે ભગવાન ઇસુનો કરુણાનો સંદેશ હજુ પણ માનવમનમાંથી લુપ્ત થયો નથી. આપણાં સંત સાહિત્યમાં એ વાતનું ફરી ફરી ઉચ્ચારણ કરવામાં આવ્યું છે કે ‘ટુકડો ત્યાં હરિ ઢુકડો’. આ વાતની અસર પણ સમાજ પર જોવા મળી. ટુકડો અન્ન પહોંચાડવાનું આ કામ પ્રભુને અન્નકૂટ ધરવાના કામ જેટલું પવિત્ર હતું. મંગલમય હતું. દુનિયા વિષે-સમાજ વિષે કદી માંડી વાળી શકાય નહિ. હજુ પણ કાળમીંઢ પથ્થરો નીચે માનવતાનું પાતળું પણ સ્થાયી ઝરણું વહ્યા કરે છે. ‘સ્નેહરશ્મિ’ એ લખ્યું છે:

હજુ છે આશ સૃષ્ટિની,

જ્યાં લાગી ખીલે છે ફૂલો.

વૃક્ષે વૃક્ષે વિહંગો ને

શીષુસોહ્યા મનુકુળો.

              ઈસુ-બુદ્ધ અને મહાવીરનો આ સંદેશ હંમેશા આપણાં મનમાં લીલો-છમ્મ રહે તેવી પ્રાર્થના નાતાલના શુભ પર્વ ઉપર ફરી કરવા દિલમાં ઝંખના થાય છે. કવિગુરુ રવીન્દ્રનાથના અમર શબ્દો જુગતરામ દવેના ભાષાંતરથી આપણી સુધી પહોંચ્યા છે. પરમકૃપાળુ પરમાત્માનો વાસ ક્યાં છે તેનો સ્થાયી રોડ-મેપ કવિગુરુએ આપણી સમક્ષ મુક્યો છે. આ ભાવથી જ અનેક લોકો તેમજ સંસ્થાઓ હજુ ગઈકાલે જ બનેલી મોરબીની દુર્ઘટનામાં હતપ્રભ થયેલા કુટુંબોની વહારે ચડ્યા. તન-મન-ધનથી અનેક લોકોએ પોતાનું યોગદાન તત્ક્ષણ આપ્યું. કવિગુરુના શબ્દોમાં પ્રગટ થયેલો આ સ્થાયી ભાવ દિલમાં કાયમ રહે તો એક માનવી હોવાનું ગૌરવ વધે છે. 

ચરણ આપના ક્યાં વિરાજે,

ચરણ આપના ક્યાં?

સૌથી દલિત, સૌથી પતિત,

રંકના ઝુંપડા જ્યાં

પાછામાં પાછાં, નીચમાં નીચા

દુબળા બાપડા જ્યાં-

વિરાજે, ચરણ આપના ત્યાં

હું હું કરતો લટક્યો,

મારો હું ન પહોંચ્યો ત્યાં-

તાજ વિનાના, સાંજ વિનાના

આપ રમો છો જ્યાં !…પાછાંમાં પાછાં…

                ઈશ્વર કે આપણી શ્રદ્ધામાં જેનું સ્થાન હોય તે પરમ તત્ત્વ જ્યાં ભાગ્યે જ હોય તેવા ધનના ધામો કે રાજના માનોમાં શોધવાનું આપણું વલણ હોય છે તે કવિગુરુ કહે છે. પરંતુ ઈશ્વર તો કૃપાળુ છે. તેની કૃપા તો સર્વત્ર છે પરંતુ જે દુણ્યા -દુભાયેલા છે તેમના તરફ વિશેષ છે. માં ને જેમ નબળા કે દુબળા બાળકની વિશેષ ચિંતા રહે છે તેમ જગતપિતાને પણ ભેરુહીના ભેરુ થઈને રહેવું ગમે છે. એક પ્રાચીન દોહો છે.

મોતી કણ મોંઘો કિયો, સોંધો કિયો અનાજ,

તબ તુને મેં જાણિયો, તું હે ગરીબ-નવાઝ.

              પરમ તત્વને પામવાની ગતિમાં હું પદના અવરોધની વાત પણ કવિગુરુએ તેમાં ઉપરના પદમાં કરી છે. હું પદનું મિથ્યાભિમાન તથા આપણે સ્વેચ્છાએ બાંધેલી ગ્રંથિઓ પ્રભુ સ્મરણના માર્ગમાં અવરોધ ઉભો કરતી રહે છે. આથી શ્રદ્ધાપુર્વકના સમર્પણનો ભાવ જાગૃત થતો નથી તે આપણું દુર્ભાગ્ય છે. જેમનામાં શ્રદ્ધા તથા સમર્પણનો ભાવ જાગ્યો તેમને હું પદનો અવરોધ નડ્યો નથી. નરસિંહ મહેતા તથા મધ્યયુગના આપણાં સંતોની દ્રષ્ટિ સ્પષ્ટ હતી અને તેથી તેમની દિશા પણ સ્પષ્ટ બની શકી. માનવ માત્રના કલ્યાણના ભાવથી તેમને સાચી દિશા તથા ગતિ બંને મળ્યાં. ગાંધીયુગમાં પણ ઠક્કરબાપા કે છોટુભાઈ દેસાઈ(મહાદેવ દેસાઈના મોટાભાઈ)ને પરમેશ્વરના બેસણાં છેવાડાના માનવીઓમાં જ જોવા મળ્યાં. આથી તેમનું જીવન આ વર્ગોની સેવાને સમર્પિત થયું. તેમાં જ તેમને ખરા અર્થમાં પ્રભુભક્તિનો મહિમા સાર્થક થતો જણાયો. વાત સંવેદનશીલતાને જીવનમાં પ્રગટાવવાની છે. બાહ્ય દેખાવો કે તેની સાથે જોડાયેલા બજારુ ભપકાઓથી શક્ય તેટલા અલિપ્ત રહીને ઈસુ મસીહાના પ્રેમ તથા કરુણાના સંદેશાને હૈયામાં ધારણ કરવાના છે. જો તેમ થાય તો જ નાતાલની ઉજવણી સાર્થક બને. છેવાડાના માનવી તરફ સ્નેહ તથા કરુણામય નજર રાખવાનો સંકલ્પ કરીને તે દિશામાં એક નાનું પણ નક્કર પગલું ભરવાના નિર્ણય સાથે નાતાલનો દિપક હૈયામાં પ્રગટાવીએ.

વસંત ગઢવી

તા. ૮ ડિસેમ્બર ૨૦૨૨ 

Leave a comment

Blog at WordPress.com.

Up ↑