જીવનમંથનવિષ પોતે કરી પાન,
અમૃત જે ઉપન્યું કરી ગયા છો દાન.
જુલાઈની ૨૧મી તારીખ આવી અને ગઈ. હાલના વરસાદી માહોલમાં ૨૧મી જુલાઈએ કવિ ઉમાશંકર જેઠાલાલ જોશીનું સકારણ સ્મરણ થયું. આ દિવસે જ ૧૯૧૧માં કવિશ્રીનો જન્મ થયો હતો. આ લેખના મથાળે લખી છે તે પંક્તિ મહાકવિ કાળિદાસ વિશે વાત કરતા કવિગુરુ રવીન્દ્રનાથ ટાગોરે લખી હતી. તેનો ગુજરાતીમાં થયેલો સુંદર અનુવાદ છે. આ જ વાત આપણાં મૂર્ધન્ય કવિ ઉમાશંકર વિશે કરી શકાય. ઉમાશંકર તેમજ સુન્દરમનો પ્રભાવ તત્કાલીન સમય તેમજ સર્જકો પર પડ્યો છે. કવિ ઉમાશંકર ૧૯૮૮માં ગયા પરંતુ આજે પણ તેમની સ્મૃતિ અનેક સર્જકો તથા ભાવિકોના મનમાં સંગ્રહિત થયેલી છે.
૨૧મી જુલાઈ(૨૦૨૨)ના દિવસે કેટલાક અધ્યાપકો તેમજ વિદ્યાર્થીઓની વચ્ચે ગાંધીનગરની સમર્પણ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં બેસીને ઉમાશંકરને યાદ કરીને નમન કરવાની એક તક મળી તેનો સહજ આનંદ થયો. કેળવણી અને માનવમૂલ્યો જેવા વિષયને કેન્દ્રમાં રાખીને કવિ ઉમાશંકર જોશીના જીવનકવનને પણ યાદ કરવાનો પ્રસંગ થયો. ઓગણીસમી સદીના વિશાળ સમયપટ પર ગોવર્ધન રામ ત્રિપાઠીની છાપ દેખાય છે તે જ રીતે વીસમી સદીના મહત્વના ઐતિહાસિક અનુસંધાને સુન્દરમ તથા ઉમાશંકર દેખાય છે. ગાંધીનગરની કોલેજે કર્યું તેવું આયોજન કોઈ પણ શેક્ષણિક સંસ્થા કરે તો તે આવકાર તેમજ અભિનંદનને પાત્ર છે.
અમદાવાદ શહેરનું એ સદ્ભાગ્ય છે કે અનેક મહાનુભાવો માટે આ શહેર એક ગાંધીતીર્થ સમાન હતું. ઉમાશંકર પણ આ ગાંધીતીર્થમાં જ શિક્ષણતીર્થોની શોધ કરે છે. તેમને આવા તીર્થો આ ભાતીગળ શહેરમાં મળી પણ આવે છે. અમદાવાદની પ્રોપ્રાયર્રી હાઈસ્કૂલ તથા ગુજરાત કોલેજ જેવી પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણ પ્રાપ્ત કરવાનો સુખદ યોગ થયો. ગુજરાત યુનિવર્સીટી સાથે કવિ ઉમાશંકરનું જોડાણ એ સોનામાં સુગંધ જેવું થયું. આપણી નજર સામેની આ ગુજરાત યુનિવર્સીટીને ઉમાશંકર તથા પી.સી. વૈદ્ય જેવા સમર્થ કુલપતિઓ મળ્યા છે તે અમદાવાદના શિક્ષણ જગતની ગૌરવપ્રદ ઘટના છે. ક. મા. મુનશીએ પોતાના આશીર્વચન આપતા કવિ ઉમાશંકરને લખ્યું કે સાહિત્યના ક્ષેત્રે જેવા મહોરી ઉઠ્યા છે, તેવું જ આ શેક્ષણિક ક્ષેત્રમાં કરજો. મુનશીની અપેક્ષાથી કવિશ્રી સહેજ પણ ઉણા ઉતર્યા નથી.
કવિ શ્રી ઉમાશંકર જોશી આજીવન અધ્યાપક રહ્યા છે. સ્વાધ્યાય કે પ્રવચનમાં પ્રમાદ ન કરવો તે ઉપનિષદનો સંદેશ તેમના જીવનમાં ગુંથાઇને પડેલો છે. અધ્યાપકનું કાર્ય એ માત્ર વર્ગખંડો પૂરતું સીમિત હોતું નથી. અધ્યાપક પોતે જ જેમ જેમ વિસ્તરતો તથા વિકસતો રહે છે તેમ તેમ સમગ્ર સમાજ તેનાથી લાભાન્વિત થતો રહે છે. ૧૯૪૭થી તેમણે ‘સંસ્કૃતિ’ માસિક શરુ કર્યું. ‘બુધ્ધિપ્રકાશ’ના પણ તેઓ સંપાદક રહ્યા હતા. સામયિક ચલાવવું તે અઘરું કામ છે. પાયાના મૂલ્યો સાથે બાંધછોડ કર્યા સિવાય ચલાવવું તે વિશેષ અઘરું છે. છતાં આવા એક વ્યાપક અર્થમાં અધ્યાપકીય કાર્ય માટે ઉમાશંકર જોશીએ સફળ પ્રયાસ કર્યો. આપણી ભાષા તેમજ સાંપ્રત સમાજ તેનાથી લાભાન્વિત થયા. એકલા હાથે ‘સંસ્કૃતિ’ ચલાવવું અઘરું હોવા છતાં તેમણે હૈયાના ઉમળકાથી તે કામ કર્યું. ગ્રાહકોના સરનામાં પણ જાતે કરવા પડે તો કરીને સામયિક ચલાવવાનો આ ઉપક્રમ એક તપશ્ચર્યા સમાન હતો. અનેક સર્જકોની કલમની માવજત સંસ્કૃતિના માધ્યમથી થઇ શકી. ડિસેમ્બર-૧૯૮૪ સુધી ‘સંસ્કૃતિ’ની સફર એ આપણાં સાહિત્ય સર્જન-સંવર્ધનનો ઉજળો આલેખ છે. કુમાર કે સંસ્કૃતિમાં પોતાનો લેખ કે કોઈ રચના પ્રગટ થાય તો કોઈપણ સર્જક માટે તે ગૌરવનો વિષય ગણાતો હતો. તત્કાલીન ભારત સરકારે તેમની નિમણુંક રાજ્યસભામાં કરી. આપણી ગૌરવયુક્ત રાજ્યસભામાં તેમની નિમણૂંક એ સર્વથા ઉચિત પસંદગી હતી. જયારે જૂન-૧૯૭૫માં દેશમાં કટોકટી લાદવામાં આવી ત્યારે અનેક વિચારકો કે જાગૃત નાગરિકોના મન દુભાયા હતા. પ્રાધ્યપક પુરુષોત્તમ માવળંકર તેમજ કવિ ઉમાશંકર જોશીએ પોતાની આ બાબતમાં અસમંતિ લોકસભા તેમજ રાજ્યસભાની આ વિષયની ચર્ચા દરમ્યાન સ્પષ્ટ તેમજ તર્કબદ્ધ રીતે કરી હતી. વિચાર સ્વાતંત્ર્ય બાબતમાં કોઈ નિયંત્રણો સ્વીકારે તેવી મનોદશા આ કવિની ન હતી. ઉમાશંકર એ ગુજરાતના સંસ્કાર-જીવનના ઉદગાતા હતા. કવિના જીવનમૂલ્યોનું દર્શન તેમના સર્જનોમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. કવિના એક વિખ્યાત સર્જન ‘પ્રાચીના’માં સાત રચનાઓ છે. કવિ આ રચનાઓમાં પણ મૂલ્યોની સતત ખેવના તેમજ ઉપાસના કરતા રહે છે. ‘કર્ણકુંતિસંવાદ’માં કવિના યાદગાર શબ્દો પ્રગટે છે. જન્મના આધારે જ જેમને હીણાં કે ઉતરતા ગણવામાં આવે તેવી કોઈ સામાજિક પરંપરાને કવિના બળુકા શબ્દોમાં પાયામાંથી જ પડકારવામાં આવી છે. ‘કર્ણકુંતિસંવાદ’ કાવ્ય એ કવિની અમર રચનાઓમાં એક ગણી શકાય તેવી પ્રબળ છે. કવિ લખે છે:
કે હીન જન્મે
નવ હીન માનવ
કે હીન કર્મે કરી
હીન માનવ.
આપણાં ધન્યનામ વિચારકો તથા સર્જકો જે મૂલ્યોની વાત કરીને ગયા તેનું મહત્વ આજના સંદર્ભમાં પણ એટલું જ છે. આથી કેળવણી તથા માનવમૂલ્યોને કેન્દ્રમાં રાખીને આયોજિત થયેલી કોલેજની આ વ્યાખ્યાનમાળા કવિ શ્રી ઉમાશંકર જોશીની સ્મૃતિને વંદન કરતા આનંદ થાય છે.
વસંત ગઢવી
તા. ૨૭ જુલાઈ ૨૦૨૨
Leave a comment