“ઝાલાવાડની વણકથી વાતો”નું પુસ્તક ભુપેન્દ્રભાઈ દવે(સુરેન્દ્રનગર) તરફથી મળ્યું. આમ તો ભાઈ ભુપેન્દ્ર દવે અમારા સહયોગી રહયા. લાંબો સમય સુધી તેઓએ થોડા પડકારરૂપ ગણાય તેવા માહિતી ખાતામાં કામ કર્યું. કેટલાક લોકો સરકારી સેવામાં પણ સક્રિયતા દાખવીને બે ડગલા વધારે ભરવાના પ્રયાસો કરતા હોય છે. આવા “સરકારી છતાં અસરકારી” અધિકારીઓ સરકારના વિભાગની કામગીરી પર પોતાની એક છાપ મૂકીને જાય છે. ભુપેન્દ્ર દવે આવા અધિકારીઓ પૈકીના એક હતા. માહિતી વિભાગમાં મારી નિમણુંક થઇ તે પહેલા જોકે તેઓ નિવૃત થઇ ગયા હતા. તેમના લઘુબંધુ જ્યોતીન્દ્ર દવે મારી સાથે ખંતપૂર્વક કામ કરતા હતા. ભુપેન્દ્રભાઈ તે સમયે નિવૃત થયા હોવા છતાં મને એક વાક્ય જુદા જુદા સહકર્મીઓ તરફથી વારંવાર સાંભળવા મળતું હતું. તેઓ કહેતા:
” દવે સાહેબ હતા ત્યારે તેઓ ઘણાં વિશિષ્ટ કહેવાય તેવા કાર્યક્રમો કરતા હતા. અમને બધાને તેમનામાંથી પ્રેરણા મળતી હતી.” ભુપેન્દ્રભાઈની નિષ્ઠાની આ કમાણી હતી. માણસના ગયા પછી પણ તેની સ્મૃતિ થયા કરે ત્યારે લાગે છે કે તેમણે જીવનના વર્ષો વહાવ્યા નથી પરંતુ વર્ષોમાં જીવન ભર્યું છે. શાયર ગની દહીવાલાનો વિખ્યાત શેર આ વાતના સંદર્ભમાં યાદ આવે છે:
જિંદગીનો એ જ સાચેસાચ
પડઘો છે ગની,
કે હોય ના વ્યક્તિ ને
તેનું નામ બોલાયા કરે.
આથી ભુપેન્દ્રભાઈએ એક સંશોધકને છાજે તેવી ચીવટથી ઝાલાવાડની વણકથી વાતો પુસ્તક સ્વરૂપે પ્રસિદ્ધ કરી છે. (વિશ્વગાથા પ્રકાશન, સુરેન્દ્રનગર. જાન્યુઆરી-૨૦૨૨). પુસ્તક જોઈને આનંદ થયો. તબિયત થોડી નરમગરમ રહેતી હોવા છતાં આવો પ્રશંસાને પાત્ર સાર્થક પ્રયાસ ભુપેન્દ્રભાઈએ કર્યો તેથી તેમના પ્રત્યેના આદરમાં વધારો થયો. આ રીતે પહેલ કરીને કામ કરવાની મોકળાશ સરકારમાં નથી હોતી તેવી માન્યતા સાવ સાચી નથી. ઘણાં સરકારી કર્મયોગીઓએ પોતાના કામમાં કંઈક નવું કે અલગ કરીને પોતાના કામને દીપાવ્યું છે. સરકારીની સુદીર્ઘ સેવાકાળમાં મારા ધ્યાનમાં આવા અનેક કિસ્સા આવેલા છે. ઉદાહરણ તરીકે ઘાયલ સાહેબ એક સરકારી કર્મચારી હોવા છતાં સમર્થ સર્જક તરીકે આપણી ભાષાને શણગારી ગયા છે. બીજા પણ આવા અનેક કિસ્સાઓ છે. અંતે તો આ બધી બાબતોનો આધાર વ્યક્તિગત પ્રકૃતિ તથા સૂઝ પર નિર્ભર હોય છે. ઝાલાવાડ પરનું પુસ્તક જોતાં જ ભુપેન્દ્રભાઈના સહયોગી એવા અનેરા માનવી તથા મર્મજ્ઞ અરવિંદભાઈ આચાર્યની સ્મૃતિ પણ થઇ. જવલ્લે જ જોવા મળે તેવું વ્યક્તિત્વ અરવિંદભાઈનું હતું તે આપણામાંથી ઘણાંને યાદ હશે. અરવિંદભાઈ તથા ભુપેન્દ્રભાઈએ સાથે પણ અનેક માણવી ગમે તેવી વાતો તથા સુંદર ચરિત્રો લખ્યા છે. ઝાલાવાડની ધરતીને નમન કરવાનું મન થાય તેવા ઉજળા આ ચરિત્રો છે. ઝાલાવાડને બિરદાવવા માટે કવિ મીન પિયાસીના અમૂલ્ય શબ્દો યાદ આવે છે:
ઝુલ ઝાલાવાડ ઝુલ !
વૈશાખમાં છો વરવો તો યે
અષાઢમાં અણમૂલ.
રંગ રે વતન રતન મારાં
વ્હાલ તારાં વણમૂલ…ઝુલ…
આપણાં દેશના દરેક પ્રદેશનો એક આગવો ઇતિહાસ હોય છે. ભૂતકાળના લોકજીવન સાથે વણાયેલી કથાઓ તથા ચિરંજીવી પાત્રો હોય છે. વિશ્વના ભિન્ન ભિન્ન પ્રદેશોને પણ આ વાત સરખી જ લાગુ પડે છે. પ્રદેશ તો બરાબર પરંતુ દરેક ગામને પણ પોતાનો એક ઇતિહાસ હોય છે. ઝવેરચંદ મેઘાણી-દુલેરાય કારાણી-ગોકુલદાસ રાયચુરા કે જયમલભાઈ પરમાર જેવા અનેક લોકોએ પુરી નિષ્ઠા અને અથાક મહેનતથી આવી વાતો એકઠી કરી છે. અનેક પુસ્તકો રૂપી રસથળોમાં આ વાતો પીરસાઈ છે. વાતોના મર્મી કાનજી બારોટ કે વાત માંડીને સમયને બાંધી લે તેવા વાર્તાકાર બચુભાઈ ગઢવીએ આવી અનેક વાતો લોકો સુધી વાર્તાકથન સ્વરૂપે સફળતાથી પહોંચાડી છે. આ વાતોમાં સત્વ હશે જ નહીંતર આ બધી કથાઓ ક્યારનીયે મહાકાળના ગર્ભમાં લુપ્ત થઇ જવા પામી હોત. આવી જ થોડી વિશેષ કથાઓ ભુપેન્દ્રભાઈએ સૂઝપૂર્વક તથા ચોક્સાઈથી આ પુસ્તકમાં સમાવી છે. બર્ગર તથા પિઝાના કાળમાં લાપસી પીરસવાના આ પ્રયાસનું સ્વાગત છે. જયમલ પરમારે લખ્યું છે તે સુયોગ્ય છે. તેઓ કહે છે:
“…..પ્રજાજીવનમાં જયારે સંસ્કાર-શૂન્યતા વ્યાપે ત્યારે તે અતીતને ઢંઢોળે છે. તેમાંથી ખોવાયેલા જીવનતત્વની ભાળ મેળવે છે.” અતીતને ઢંઢોળવાનું આ પુણ્યકાર્ય દવે સાહેબે કર્યું છે. પુસ્તકનું અર્પણ રામકુભાઇ ખાચર તેમજ ભવાનીસિંહ મોરીને કર્યું છે. આ સુયોગ્ય વ્યક્તિઓને આ પુસ્તક અર્પણ કર્યાથી ભક્તકવિ ઇસરદાસજી કહે છે તેમ “સોના ઔર સુગંધ” જેવો ઘાટ થયો છે.
વિશાળ લોક સમુદાયને શાંતિ તથા સુવિધા આપવા જાતનું પણ બલિદાન આપવાના પ્રસંગો ઇતિહાસમાં અનેક જગ્યાએ જોવા મળે છે. આપણાં સૌરાષ્ટ્ર-કચ્છના ઇતિહાસમાં પણ સ્વાપર્ણના આવા અનેક પ્રસંગો નોંધાયેલા છે. આ પુસ્તકમાં પણ આવી એક સુવિખ્યાત કથાનું સુંદર બયાન છે. અનેક ઉજળી કથાઓ પૈકીની આ એક કથા છે. બારમા સૌકામાં રાજ્યના કુંવર તથા તેમના અર્ધાંગનાએ સ્વઈચ્છાએ પાણી માટે પોતાની જાતનું બલિદાન કર્યું. માધાવાવની આ કથાનું ગીત હેમુ ગઢવીના કંઠે ગવાઈને અમર થયું છે. બલિદાનની એક પરાકાષ્ઠારૂપ આ પ્રસંગ છે. “બાર બાર વરસે નવાણ ગળાવ્યાં”ની આ વાત લોકહૈયે કોતરાઇને પડી છે. પૂર્વ ભારતમાંથી વિહાર કરીને ઝાલાવાડમાં આવેલ યુગપુરુષ સમાન સન્યાસી સ્વામી વિવેકાનંદ સાથેના ઝાલાવાડ(લીંબડી)ના પ્રસંગો વાંચતા એક જુદા જ ગૌરવનો ભાવ થાય છે. ‘આવળ-બાવળ-કેર-બોરડી’ના આ ઐતિહાસિક પ્રદેશની વાતો વાંચતા મનમાં ઊંડી પ્રસન્નતા તથા ગૌરવનો ભાવ થાય છે. ઝાલાવાડની ધરતીની અનેક પાણીદાર વાતો જે આ પુસ્તકમાં જોવા મળે છે તે ગૌરવનો ભાવ મનમાં ઉભો કરે તેવી સત્વશીલ છે. આ બધું લખાય અને સંગ્રહિત ન થાય તો ક્રમશઃ વિસ્મૃત થવાની પુરી સંભાવના છે. વણકથી વાતુંના રસથાળનું સ્વાગત છે. ભુપેન્દ્રભાઈ આપણાં અભિનંદનના અધિકારી છે.
વસંત ગઢવી
તા.- ૧૪ એપ્રિલ ૨૦૨૨
Leave a comment