: સંસ્કૃતિ : : રાજ્યની સ્થાપનાના મહીને સર પટ્ટણીનું પુણ્ય સ્મરણ :

ગોળમેજી પરિષદમાં ગાંધીજીને જવા માટે સર પટ્ટણી સમજાવે છે. ઉપરાંત બીજી ગોળમેજી પરિષદમાં પ્રભાશંકર ગાંધીજીની હાજરીમાં લંડન પણ જાય છે. તે સમયની એક ઘટના મુકુન્દભાઇ પારાશર્યે નોંધી છે. એક સમયે પ્રભાશંકર લંડનની બજારમાંથી પસાર થતા હતા ત્યારે અચાનક તેમણે અંગ્રેજ અમલદાર કીલીને જોયા. સર પટ્ટણીની સૂચનાથી તેમના સચિવે કીલીના ઘરનું સરનામું મેળવ્યું. પટ્ટણી સાહેબે ડીનર માટે બોલાવ્યા છે તેમ સચિવે કીલીને રૂબરૂ મળીને જણાવ્યું. કીલીએ આનાકાની કરતા કહ્યું કે તેઓ નિવૃત્ત થઇ ગયા છે. સર પટ્ટણીના સચિવે શાલીનતાથી ઉત્તર વાળ્યો કે પટ્ટણી સાહેબનો સબંધ કોઇ પદ કે હોદ્દાની મુદત સાથે જોડાયેલો નથી. આથી તેમને ડીનર પર આવવા ભારપૂર્વક વિનંતી કરી. કીલી ડીનર માટે આવ્યા. પ્રભાશંકરે બારણા સુધી સામા જઇને માનપૂર્વક તેમનું સ્વાગત કર્યું. સ્નેહ તથા ઉષ્માપૂર્વક પ્રભાશંકરે કીલીને તેમના કુશળ અંતર પૂછ્યા તથા કૌટુંબિક સ્થિતિની પૂછપરછ કરી. કીલીએ થોડી ગ્લાની સાથે સ્પષ્ટતા કરી કે ઓછી આવકને કારણે પુત્રના અભ્યાસક્રમને કદાચ છોડાવવો પડે તેવી સ્થિતિ છે. સર પટ્ટણીએ સારી એવી રકમનો ચેક કીલીને ભાવનગરના મહારાજા સાહેબ તરફથી ભેટ એમ કહીને આપ્યો. કીલીની આંખમાં પાણી ભરાઇ આવ્યું. પ્રયત્ન કરીને આભાર પ્રગટ કરતા કહ્યું કે તમે નિવૃત્તિ પછી પણ મને જાળવશો તેવી કદી કલ્પના પણ કરી ન હતી. પછી વાત લંબાવતા કીલી કહે છે : ‘‘ મેં તમને અન્યાયી રીત રસમ અજમાવી પરેશાન કર્યા હતા તેનો અફસોસ થાય છે. ’’ કીલીની વાતનો પ્રત્યુત્તર વાળતા સર પટ્ટણી માત્ર એટલુંજ બોલ્યા : ‘‘ અફસોસ હ્રદયને શુધ્ધ કરે છે. બાકી તો આપ આપની ફરજ સમજી કામ કરતા હતા અને હું મારી સમજ પ્રમાણે વર્તન કરતો હતો. ’’ મકાનના દરવાજા સુધી કીલીને સન્માનપૂર્વક વળાવવા જઇને પાછા આવતા સર પ્રભાશંકર પટ્ટણી ગૌરવ તથા ઔદાર્યના મેરૂ  શિખર સમાન દીસતા હતા. આવી પવિત્ર મનોવ્રત્તિ વાળા સર પટ્ટણીએ એક સ્વરચિત કાવ્યમાં નીચેના શબ્દો લખ્યા હતા જે તેમના વિચાર તથા વર્તનમાં પ્રગટ થતા હતા. 

મારી આખી અવનિ પરની

જિંદગાની વિશે મેં,

રાખી હોય મુજ રિપુ પરે

દ્રષ્ટિ જે રીતની મેં,

તેવીયે જો મુજ ઉપર તુ

રાખશે શ્રીમુરારિ !

તોયે તારો અનૃણી થઇને

પાડ માનીશ ભારી.

ગઇકાલ સુધી જ્યારે ચૂંટણીના માહોલમાં એક બીજા પક્ષ કે વ્યક્તિ પરત્વેનો સહજ વિવેક કે આદર લગભગ ભૂંસાતા જતા હતા ત્યારે સર પ્રભાશંકર પટ્ટણીની આ રાજહંસ સમાન નીરક્ષિર તારવવાની વૃત્તિ અંતરમાં પ્રસન્નતાનો ભાવ ભરીને જાય છે. સમાજમાં જ્યારે વિવેક વૃત્તિનો ક્ષય થાય છે ત્યારે અનેક પ્રકારની સામાજિક વિષમતાઓનો ઉદય થાય છે. મે મહીનો આપણી રાજ્યની સ્થાપનાનો માસ છે. આથી આ માસમાં ફરી એક વખત સામાજિક સદભાવ પ્રગટાવવાના સંકલ્પનો પુનરોચ્ચાર કરવાની સમયની માંગ છે. સદ્દભાવ તેમજ એકબીજા તરફની સહાનુભૂતિ એ સ્વસ્થ અને મજબૂત સમાજજીવનના પાયા સમાન છે. ગાંધીની આ ભૂમિ છે. રાજ્યની શુભ શરૂઆતનું દીપ પ્રાગટ્ય રવિશંકર મહારાજ જેવા ‘‘ઘસાઇને ઉજળા થનાર’’ મહામાનવના કરકમળોથી થઇ છે. મહારાજ અને પ્રભાશંકર પટ્ટણીના વિચારમાર્ગે ચાલવાનો પુન: સંકલ્પ કરવા જેવો છે. ગાંધીના પગલે ચાલવાની વાત કવિ ઉમાશંકરે કરી છે તે ભૂલવા જેવી નથી.

ગાંધીના પગલે તું

ચાલીશને ગુજરાત ?

સત્ય અહિંસાની આંખે

તું ભાળીશને ગુજરાત ?

બિરદ વિવેક બૃહસ્પતિનું જે

તું પાળીશને ગુજરાત ?

સર પ્રભાશંકર પટ્ટણીના સમગ્ર જીવનમાં કર્મઠતા સાથેજ ઉદારતાના ઉમદા ગુણોનું દર્શન થાય છે. જન સામાન્ય તરફની સંવેદના એ પ્રભાશંકરના જીવનનું ઉજળું પાસુ હતું. પટ્ટણી સાહેબ શબ્દોના પણ શિલ્પી છે. તેમના અંતરની સંવેદના તેમના શબ્દોમાં પ્રગટ થાય છે.

દુ:ખી કે દર્દી કે કોઇ

ભૂલેલા માર્ગ વાળાને

વિસામો આપવા માટે

ઉઘાડી રાખજો બારી.

ભાવનગરને સંસ્કારના સર્વોચ્ચ શિખર પર લઇ જનારા અનેક મહામાનવીઓ છે. આ ઉજ્વળ આકાશગંગામાં ગગા ઓઝા તથા સર પ્રભાશંકર પટ્ટણી જેવા ઉમદા ચરિત્રના વહીવટકર્તાઓનો સમાવેશ થાય છે. કૃષ્ણકુમારસિંહજી જેવા ફકીરી વૃત્તિ ધરાવનારા રાજપુરુષો તો ખરાજ. રાજવીઓ તથા વહીવટનો દોર સંભાળતા અધિકારીઓ થકી ભાવનગર રાજ્યની ખ્યાતિ ચોમેર પ્રસરી હતી. આમ પણ ઇતિહાસ એ વાતની શાક્ષી પૂરે છે કે જ્યાં રાજવી તથા વહીવટદારો સંયુક્ત રીતે પ્રજા કલ્યાણના કાર્યોમાં રત હોય તેમજ સંવેદનશીલ હોય ત્યાં નમૂનેદાર શાસનકાળનું સર્જન થાય છે. અહીં આવીજ સ્થિતિ ધરાવતા વડોદરા રાજ્યનું સ્મરણ થાય છે. સરી ટી. માધવરાવે ગોપાલકમાંથી બાળ રાજવી બનેલા સયાજીરાવ (ત્રીજા)ની કેળવણી સંપૂર્ણ સુચારુ તથા આયોજનબધ્ધ કરી હતી. સર સયાજીરાવ ગાયકવાડના વટવૃક્ષ જેવા ઘેઘુર તથા ભવ્ય વટવૃક્ષના મૂળમાં સર ટી. માધવરાવના ગંજાવર પ્રયાસોનો પસીનો પડેલો છે. દેશ આઝાદ થયો ત્યારબાદ પણ નવા રાષ્ટ્રની પ્રારંભિક અનેક કટોકટીની ક્ષણોએ એચ. એમ. પટેલ, એચ. એમ. ચાગલા જેવા સ્થિરમતી વહીવટદારોએ તત્કાલિન પ્રધાનમંત્રી તથા ઉપ પ્રધામંત્રીને વહીવટની ઉચિત પધ્ધતિ તેમજ પ્રણાલી તરફ દોર્યા છે. જ્યાં વહીવટદારો સત્ય માર્ગ કે સન્માર્ગને ચૂક્યા છે તેમજ સમાજ જ્યારે સારાસારનો વિવેક ચૂકે છે ત્યાં તેના માઠા પરિણામો પણ પ્રજા તથા શાસન બન્નેએ ભોગવ્યા છે. ગુજરાતના વિકાસની દિશા રવિશંકર મહારાજની કલ્પના મુજબની હોય તેમાંજ સાર્વત્રિક કલ્યાણ છે. 

વી. એસ. ગઢવી

ગાંધીનગર.

તા.૨૨/૦૪/૨૦૧૯.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑