સમગ્ર ગુજરાત જેમને રાજ વિનાના મહારાજ તરીકે ઓળખે છે તેવા રવિશંકર વ્યાસ લોક હ્રદયના સિંહાસને બીરાજેલા મહામાનવ છે. ગાંધી તથા ગરીબીના નિભાડામાં ખરા થઇને આવેલા મહારાજ વીસમી સદીના બીજા દાયકામાં મહીકાંઠાના વિકરાળ પ્રદેશમાં અનેક પડકારો વચ્ચે ગાંધી મહાત્માના ખેપીયા તરીકે પ્રવેશ કરે છે. આ વિસ્તારનાજ સરસવણી ગામના રવિશંકર મહારાજ બારૈયા, પાટણવાડિયા ઇત્યાદિ લોકોને તેમની સંપૂર્ણતામાં જૂએ છે તેમજ સમજે છે. મહીકાંઠાના આ લોકોની નબળી બાજુને ઉત્તેજન આપનારા આ ગોર મહારાજ નથી. જાગૃત થવાની કે પરિવર્તન કરવાની કોઇ સૂફિયાણી સલાહ આપ્યા સિવાય મહારાજ આ સમાજ સાથે એકરૂપ થઇને જીવે છે. આ કોમના તમામ લોકો ગુનેગાર છે તેવી આંધળી સરકારી માન્યતા સાથે તમામ માનવીની જે હાજરી પોલીસ સ્ટેશનમાં લેવાય છે તેની ઊંડી વેદના મહારાજ અનુભવી શકે છે. પોતાની નિષ્ઠાના બળે અન્યાયી હોય તેવી કાનૂની પ્રથાઓ હડિયાપાટી કરીને દૂર કરાવે છે. આથી મેઘાણીના માણસાઇના દિવાની કથાઓ દરેક કાળમાં સંદર્ભયુક્ત બની રહે તેવી છે.
મહાત્મા ગાંધીની ઊંડી અસર મહારાજના દરેક નાના મોટા કામમાં સ્પષ્ટ રીતે જોઇ શકાય છે. બાપુને ૧૯૧૬માં મહારાજે અમદાવાદમાં જોયા. ગાંધીની સ્પષ્ટભાષિતા તેમજ અસાધારણ નિર્ભયતા મહારાજના મનમાં વસી ગઇ અને આજીવન જળવાઇ રહી. ૧૯૧૭ માં ગોધરામાં મળેલી રાજકીય પરિષદના અંતે ગાંધીના ભાથામાં સરદાર સાહેબ તેમજ મહામના મહારાજ જેવા ધારદાર શાસ્ત્રોનો ઉમેરો થયો. ‘માણસાઇના દીવા’ ની દરેક કથામાં મહારાજની નિર્ભયતા ચોતરફ વિસ્તરેલા ઘનઘોર તિમિરમાં વીજરેખાની જેમ ચમકે છે. જે બહારવટિયાના નામ માત્રથી લોક થરથરે તેમજ સરકારી તંત્ર બેચેન બની જાય તેવા બહારવટિયા નામદારિયાની ટોળી તથા મહારાજનો મેળાપ મેઘાણીભાઇએ આબેહૂબ શબ્દોમાં કંડાર્યો છે. મહારાજની નિર્ભયતાના ભાતીગળ શિખરનું દર્શક દરેક શબ્દમાં પ્રગટ થાય છે. મહીકાંઠાના આ ઉબડ ખાબડ પ્રદેશમાં અવિરત પ્રવાસી મહારાજનો ભેટો નામદારિયા સાથે થાય છે. વાલીયા લૂટારા તથા બુધ્ધની મુલાકાત અહીં સ્મૃતિમાં આવે છે. ખૂંખાર બહારવટિયાની ટોળી સામે નિર્ભય થઇને ખડકની જેમ ઊભેલા મહારાજને બહારવટિયો પૂછે છે :
‘ પેન્સીલનો ટૂકડો તમારી પાસે હશે ? ’
મહરાજ હા કહે છે.
‘ અને કાગળ ? ’’ બીજો પ્રશ્ન પૂછાય છે.
‘ એ પણ છે. ’
બહારવટિયો વાતનો દોર લંબાવતા કહે છે : ‘ કાગળ તથા પેન્સીલ આપો. તમારા (મહરાજના) ગામના સોમા માથુર પર અમારી ચિઠ્ઠી લખીને તમને આપીએ. સોમાએ અમને તાત્કાલિક રૂપિયા પાંચસો પહોંચાડવાના છે નહિતર તેની ખેર નથી. ચિઠ્ઠી તમે પહોંચાડજો ’
હવે ગાંધીના બહારવટિયા મહારાજનો સમથળ રહેલો સ્વર ઊંચો થાય છે.
‘‘ એવી ચિઠ્ઠી લખવા મારી પાસે કાગળ નથી. હું તો મારા ગામ જઇને ગામલોકોને સમજાવીશ કે બહારવટિયાના જૂલમો સામે આપણે લડવાનું છે.બહારવટિયા ગામ પર હૂમલો કરે તો સામી છાતીએ સામનો કરી અવરસ આવ્યે મર્દાનગીથી મરવાનું છે. ’’
ગાંધીની ટોળીના આ ધોળી ટોપીવાળા મહારાજનો સ્પષ્ટ તથા નિર્ભય સંદેશ બહારવટિયાઓની ટોળી પર સોંસરવો ઉતર્યો હોવો જોઇએ. નામદારિયાની ટોળીએ મહારાજના ગામ સરસવણીના પાદરે પછી કદી દેખા દીધી ન હતી. મહારાજ જેવા ગતિશીલ વાહકોએ ગાંધી વિચારની ચીનગારી પ્રગટાવી હતી. ‘મૂઠી ઊંચેરા’ મહારાજ ગાંધીની આકાશગંગાના તેજસ્વી તારક સમાન હતા. સ્વામી આનંદે રવિશંકર મહારાજ માટે લખેલા શબ્દોમાં મહારાજના વિરાટ વ્યક્તિત્વની ઝલક જોવા મળે છે. સ્વામીદાદા લખે છે :
‘‘ હું તો રોજ સવાર – સાંજ માળા – પ્રાર્થના વખતે ‘પુણ્યશ્લોકો નલોરાજા, પુણ્યશ્લોકો યુધિષ્ઠિર’ સાથે મહારાજનું નામ વર્ષોથી લેતો હોઉં છું. પુણ્યશ્લોક એટલે પુણ્યનો પહાઙ મહારાજ ગુજરાતના સૌથી ઊંચા સેવક તથા સર્વશ્રેષ્ઠ બ્રાહ્મણ છે. ’’
રવિશંકર મહારાજના મુખમાંથી અમૃત સ્વરૂપે સહજ રીતે સરેલા શબ્દો મેઘાણીભાઇ કાળજીથી નોંધે છે. ‘મૂઠી ઊંચેરા’ મહારાજની અનુભવજન્ય વાતો સામાન્ય નથી. સરળ તથા સહજ શબ્દો અને કર્તાભાવનો સદંતર અભાવ એ રવિશંકર મહારાજની વાણીના ભૂષણ સમાન છે. મહારાજની વાણીમાં માનવીય મનની અમીરાત ટપકતી દેખાય છે. આપણે સમાજનાજ કેટલાક લોકો તરફનો પૂર્વગ્રહ બાંધી લઇએ છીએ. ત્યારબાદ તે વર્ગ તરફ આવા પૂર્વગ્રહના ચશ્મા પહેરીનેજ નજર કરીએ છીએ. મહાસાગરના મથાળે કદાચ કૂડો – કચરો દેખાતા હોય તેમ બને. પરંતુ તેને અતીક્રમીને મહાસાગરના તળિયા તપાસનારને મોંઘામૂલા મોતીની પ્રાપ્તિ થાય છે. મહાસાગરની એ યુગો પર્યન્તની વેદના રહી હશે કે લોકો તેનો તોલ તથા મોલ ઉપર દેખાતા કૂડા કચરાને જોઇને કરે છે. રામજી વાણીયાએ સાગરના હૈયાની આ વ્યથા સુંદર શબ્દોમાં વ્યક્ત કરી છે. મરજીવાને સાગર કહે છે :
જળ ખારા જાણી કરી
મરજીવા ફેરવીશ નહિ મોં,
અમારા તળિયા તપાસી જો
તને કુબેર કંગાળ લાગશે.
ગાંધી તેમજ વિનોબા અને લોક સેવક રવિશંકર મહારાજ માણસના ભીતરની માણસાઇને તાગનારા તેમજ જગાડનારા હતા. આવા લોકોની તટસ્થ કથનીને કારણેજ મહરાજ કથિત અને મેઘાણી આલેખિત ‘માણસાઇના દિવા’ ની કથા જગતના સાહિત્યમાં સ્થાન તથા સન્માન મેળવી શકે તેવી ભવ્ય છે. મહારાજ એક પ્રસંગ ટાંકતા કહે છે કે પાટણવાડિયાની પુત્રી અને જાજરમાન માતા સ્વરૂપ જીબા પોતાના પતિ મથુરના મૃત્યુ નીમિત્તે ગામલોકોને ભેગા કરે છે અને મથુરની સ્મૃતિમાં ગામના હિતમાં હોય તેવું કોઇ કાર્ય કરવાનો સંકલ્પ વ્યક્ત કરે છે. સીધા સાદા ગામલોકો કહે છે : ‘‘ ગામમાં પંખીઓ માટે કાયમી ચણની વ્યવસ્થા થાય તો સારું ’’ લોહી અને પરસેવો એક કરીને બચાવેલી તથા અથાક શ્રમ કરીને જાળવેલી પોતાની સૌથી સારી અને ફળદ્રુપ ચાર વીઘા જમીન પંખીઓના ચણ માટે જૈફ ઉમ્મરના જીબા બેજીજક અર્પણ કરે છે. આમાં માંગણી કરનાર ગ્રામજનોનું મંગળમય દર્શન તથા આપનારની અસાધારણ ગરવાઇના એવેરેસ્ટનું તેજોમય દર્શન થાય છે. બ્રિટીશ સત્તાધિશોએ ગુનાહિત જાહેર કરેલા સમાજના આ ઉજળા પાત્રોની સારી તથા નબળી વાતો મહારાજ અને મેઘાણી થકી જગત સમક્ષ પહોંચી શકી. સ્નેહયુક્ત સદ્દભાવના તમામ ચૈતન્યયુક્ત જીવો માટે હોય તેવો એક અમૂલ્ય અભિગમ માનવતા અને માનવીય મૂલ્યો તરફની આપણી શ્રધ્ધાને ટકાવી રાખે છે તથા દ્રઢ કરે છે. આથીજ કદાચ મહારાજે આ અંધારી રાતના તારલાઓની વાતો કહેવા તેમજ લખવા સર્જક અને સંશોધક મેઘાણીએ સંમતિ આપી હશે. સદ્દભાવના – સહિષ્ણુતા તેમજ નિર્ભયતાનુ સિંચન લોકમાનસમાં તથા વિશેષ કરીને બાળમાનસમાં થાય તો એક સ્વસ્થ દ્રષ્ટિકોણ ધરાવતા સમાજનુ નિર્માણ કરવુ તે અશક્ય કાર્ય નથી.
ખાસ કરીને ‘માણસાઇના દિવા’ જેવી તકલીફોમાં વણાતા માનવગરીમાના તાણાવાણાની કથાઓ બાળમાનસને વિશેષ પ્રભાવિત કરવાની ક્ષમતા ધરાવે છે. પોરબંદરના બાળક મોહનને પણ હરિશ્ચંદ્ર તથા શ્રવણની કથાઓ સાંભળીને પોતાનું જીવન પણ તે દિશામાં વાળવાની મહેચ્છા જાગે છે. જેમની જન્મશતાબ્દીનું વર્ષ ચાલે છે તેવા ડૉ. પી. સી. વૈદ્યનો પણ આવોજ અનુભવ છે. વૈદ્ય સાહેબ કહે છે કે બાળપણમાં તેમણે પિતાને સંભળાવવા વાંચેલી ગાંધીજીની આત્મકથા તેમના જીવનમાં સદાકાળ પ્રેરણારૂપ બની રહી હતી.
ગાંધી – લીંકન – મંડેલા કે મહારાજ જેવા દિગ્ગજ નેતાઓ વિશ્વને મળ્યા તે લોકનું સદ્દભાગ્ય છે. આ બધા વચ્ચે પણ જગતે બે ભિષણ મહાયુધ્ધ જોયા તે માનવમનની અનેક મર્યાદાઓ અને મલિનતાને આભારી છે. વિનોબાજીની દ્રષ્ટિએ સંત તુકારામની હરોળમાં બેસી શકે તેવા મહારાજનો વિચાર વારસો અંધારામાં પણ અજવાળું ફેલાવે તેવો છે. નવી પેઢી સુધી મહામૂલા મહારાજની વાતો લઇ જવા જેવી છે. અમદાવાદની સીવીલ હોસ્પિટલમાં સારવાર લેતાં મહારાજની સ્વાનુભવની વાતો મેઘાણીએ આકંઠ પીધી હશે. આ સંવાદને કારણે ‘માણસાઇના દીવા’ ની કથાઓએ જગતમાં નૂતન પ્રકાશ પાથર્યો. આ એક ઐતિહાસિક મિલન હતું જેના થકી મહીકાંઠાના જનોની તેજ તિમિર મિશ્રિત વાતોનું સોંસરવું દર્શન જગતને થયું. ‘માણસાઇના દીવા’ કાળની ઝાપટમાં વિલાય તેવા નબળા નથી. ‘શબદ’ માં જેની શ્રધ્ધા છે તેવી મેઘાણીની ધીંગી કલમ થકી મહારાજની અનુભવી વાણીનું ગંગાવતરણ અહીં થયેલું છે. આ શબદ તણખાનું સત્વ અલગ તરી આવે તેવું છે.
આતમની એરણ પરે
જે દી અનુભવ પછડાય જી
તે દી શબદ તણખાં ઝરે
રગરગ કડાકા થાય..
જી જી શબદના વેપાર.
વી. એસ. ગઢવી
ગાંધીનગર.
તા.૩૦/૦૭/૨૦૧૮.
Leave a comment