: ક્ષણના ચણીબોર : : સવ્યસાચી : ધીરુભાઇ ઠાકર : 

સંવેદના તેમજ આત્મીયતાના ભાવ એ તો કુદરતની દેણગી છે. માનવજીવન આવા ભાવથી વૈશાખના ગુલમહોરની જેમ મહોરી ઉઠે છે. મહાત્મા ગાંધીના મતે કહેવાતા ભણેલા લોકોની સમાજ પ્રત્યેની બીન સંવેદનશીલતા એ સૌથી મોટો ચિંતાનો વિષય હતો. આજે પણ આ મંતવ્ય એટલુંજ ઉચિત છે. આ સંદર્ભમાં વિશ્વકોશના જનક એવા ધીરુભાઇ ઠાકર (૧૯૧૮-ર૦૧૪) નું સ્મરણ એમની જન્મજયંતીના માસમાં થાય ત્યારે આ ધોમધખતા તાપમાં પણ મનમાં શાંતિ તથા શિતળતાની પ્રસન્નતા થાય છે. ધીરુભાઇ ઠાકર વિશેનો આવો યાદગાર અનુભવ જયદેવ શુકલએ લખ્યો છે. જયદેવ શુકલને મોડાસા કોલેજમાં અધ્યાપકની જગા માટેનો ઇન્ટરવ્યુ હતો. સાંજે તેમનો ક્રમ આવ્યો ઇન્ટરવ્યુની વિધી પૂરી થયા પછી જયદેવભાઇએ ઠાકર સાહેબેને પૂછયું :  ‘‘ વડોદરા તરફ જતી કોઇ બસ હવે સાંજના સમયે મળી શકશે ? ’’ ઠાકર સાહેબે સ્નેહથી જવાબ આપ્યો કે હવે આ સમયે વડોદરા તરફ જતી કોઇ બસ નથી. આટલો હકીકતલક્ષી પ્રત્યુત્તર આપીને સામાન્ય રીતે આપણે વાતચીતનો અંત લાવીએ. પરંતુ અહીં ઠાકર સાહેબ હતા જેમને સામા વ્યકિતની સગવડ – અગવડ તરફ એક સંવેદનાનો ભાવ હતો. ઠાકર સાહેબે જયદેવ શુકલને ચિંતામુક્ત કરતા ધરપત આપી કે મોડાસા કોલેજની હોસ્ટેલમાં તેમના રહેવાની તથા જમવાની સુવિધા થઇ જશે. હોસ્ટેલના રેકટરને ધીરુભાઇની સુચના હોવાથી રહેવા – જમવા વગેરેનો ચાર્જ લીધા સિવાય જયદેવભાઇની મહેમાનગત કરવામાં આવી ! સામાન્ય જણાતી આ ઘટનામાં ધીરુભાઇનું સંવેદનશીલ તથા રુજુ વ્યકિતત્વ પ્રગટ થાય છે. ઠાકર સાહેબ જેવા વિદૃવતજનોથી આપણે ભર્યા – ભાદર્યા છીએ એવી પ્રતિતિ થાય છે. ર૭ જુને ધીરુભાઇની જન્મજયંતી આવે છે. તેથી અનેક લોકોને તેમનું પુણ્યસ્મરણ થવું સ્વાભાવિક છે. સંસ્થાઓનું નિર્માણ કરનાર ધીરુભાઇ આવી સંસ્થાઓના અનેક કાર્યો થકી આજે પણ જીવંત છે, ધબકતા છે. 

સિંહગિરા સોરઠમાં ૧૯૧૮માં જન્મેલા સાક્ષર ડૉ. ધીરુભાઇ પ્રેમશંકર ઠાકર (તખલ્લુસ: સવ્યસાચી) ૨૦૧૪ ના જાન્યુઆરીની ૨૪મી તારીખે એક જીવનમાં અનેક જીવનના કામ નિપટાવીને મહાપ્રયાણ કરી ગયા. ભારત સરકારે ૧૯૧૪ ના વર્ષમાંજ ‘‘પદ્મભૂષણ’’ નો એવોર્ડ આપીને આ વિચારબીજના વાહકને વધાવ્યા. સુયોગ્ય સ્થળે પહોંચેલા એવોર્ડનો આનંદ અનેક લોકોના મનમાં હતો. એ સાથેજ ધીરુભાઇને ગુમાવ્યાનો ઊંડો રંજ હતો. તેજ-છાયાને તાણેવાણે આ જીવતરનું ગાડું વહેતું રહે છે. આથી આ ખુશાલી અને ખોટને સમાજે સ્વસ્થતાપૂર્વક સ્વીકારવાનો પ્રયાસ કર્યો. ધીરુભાઇ વિશ્વકોશનો ગુલાલ ઉડાડીને ગયા છે તેના રંગો કાળના વહેતા પ્રવાહમાં ઝાંખા પડે તેવા નથી. ‘‘મકરન્દી મીજાજ’’ માં પ્રગટેલા શબ્દો યાદ આવે. 

અમે તો જઇશું અહીંથી

આ અમારો ઉડાડ્યો ગુલાલ રહેશે.

ખબર નથી શું કરી ગયા

પણ કરી ગયા તેની કમાલ રહેશે.

ગીતાકારે પ્રબોધેલી ‘‘કર્મણ્યેવાધિકારસ્તે, મા ફલેષુ કદાચિન્’’ એ વાત સાંભળવા તો અવારનવાર તથા અનેક પ્રસંગોએ મળે છે. આ વાત કરવી સહેલી છે પરંતુ વાસ્તવમાં તેને જીવી જાણવી મુશ્કેલ છે. આથી  કેટલાક વીરલાઓ જે આ વાતને પોતાના જીવતર થકી ઉજાળે છે તેમના જીવન સમક્ષ સમાજ અહોભાવપૂર્વક નતમસ્તક થાય છે. નિરંતર કર્મની જ્યારે વાત કરીએ ત્યારે શ્રી ધીરૂભાઇ ઠાકરની સ્મૃતિ થવી સ્વાભાવિક છે. આપણી નજર સમક્ષ હજુ ગઇકાલ સુધી ઉન્નત તથા અર્થસભર જીવતર જીવી જનાર ઠાકર સાહેબ નવા ચિલા પાડીને ગયા. થાક તથા નિરાશાનો ઓછાયો પણ તેમના જીવનમાં પડ્યો હોય તેમ લાગતું નથી. વિશ્વકોશના આ જગનન્નાથના રથને ખેંચવા જેવું કપરું કામ નહિતર કેવી રીતે થયું હોત ? ઇન્દુલાલ યાજ્ઞિકજેવા ઝંઝાવાતી કર્મવીર જેના સર્જન સાથે સંકળાયેલા છે તેવી ‘‘ મોંઘેરી ગુજરાત ’’ ની એક અલગ રાજ્ય તરીકે ૧૯૬૦ માં રચના થઇ. ગુજરાતની સ્થાપના પછીના પાંચ દાયકામાં થયેલા ઐતિહાસિક કાર્યોની સૂચિ તૈયાર કરીએ તો તેમાં વિશ્વકોશની સ્થાપના અને તેના યોગદાનની વાત અચૂક આવે તેમ કહેવામાં સહેજપણ અતિશયોક્તિ નથી. એક હજાર પૃષ્ઠનો એક એવા પચીસ ગ્રંથોની વિપુલ સામગ્રી તૈયાર કરીને જગતના ચોકમાં મૂકવી તે ગુજરાત રાજ્યની સ્થાપના પછીના વર્ષોની એક જ્વલંત ઘટના છે. વિશ્વના કોઇપણ ખૂણે વસનાર ગુર્જર આ યશસ્વી કાર્ય માટે ગૌરવનો ભાવ અનુભવી શકે છે. ઠાકર સાહેબે જાતે તો કાર્ય કર્યુ જ પરંતુ આ કામની અવિરત પ્રગતિ માટે મજબૂત ટીમવર્ક તથા સંસ્થાગત માળખું પણ ઉભુ કર્યુ. વિશ્વકોશનું ભગીરથ કાર્ય સતત ચાલતું રહે તથા અનેક વિષયોના સંદર્ભમાં જ્ઞાનઉપાસનાનો યજ્ઞ જ્વલંત રહે તે માટે આવા સંસ્થાકીય માળખાની અનિવાર્યતા ઠાકર સાહેબની દ્રષ્ટિ બહાર ન હતી.

ધીરુભાઇ જીવનની છેલ્લી ક્ષણ સુધી સક્રિય રીતે કાર્યરત રહ્યા. શ્રી નારાયણ દેસાઇ ધીરુભાઇને ચિરયુવા કહેતા તે યથાર્થ છે. સાહિત્યના સર્જન વચ્ચે પણ ધીરુભાઇમાં રમૂજવૃત્તિ અને હળવાશ કાયમ રહ્યા તે વાત ધીરુભાઇના પુત્રી હીનાબહેને કરી છે તે  ઠાકર સાહેબના ભાતીગળ વ્યક્તિત્વને ઉજાગર કરે છે. વિશ્વકોષ તેમજ હવે ખાસ બાલ વિશ્વકોષના આ અમૂલ્ય ગ્રંથો આપણાં ગ્રંથાલયની શોભા વધારે તેવા છે. કોલેજો તેમજ માધ્યમિક શાળાઓના વ્યાખ્યાતાઓ તેમજ વિદ્યાર્થીઓને સંદર્ભ ગ્રંથ તરીકે ખૂબજ ઉપયોગી બને તેવા છે. પડકાર આપણી સામે એ છે કે આપણે તેનો કેટલો ઉપયોગ કરવાની આદત કેળવીએ છીએ. આવી આદત કેળવવાની જવાબદારી આપણી સૌની છે – સામુહિક છે. શ્રી ધીરૂભાઇ ઠાકર જેવા કર્મયોગીનું  જીવન ગુજરાતની આજની તથા આવતી કાલની પેઢીઓને ચરૈવેતી….ચરૈવેતી….નો અર્થસભર સંદેશ ચિરકાળ માટે સંભળાવતું તથા પ્રેરણા આપતું રહેશે તે નિર્વિવાદ છે. જ્ઞાન ઉપાસનાનું આ કાર્ય ગુજરાતને એક નવી ઓળખ આપે તેવું છે.

વિશ્વકોશના આ મહાયજ્ઞમાં આહૂતિ આપનાર પૂજ્ય મોટા, સાંકળચંદ પટેલ (વિસનગર) તથા ધીરુભાઇ ઠાકરના આપણે સૌ ગુજરાતીઓ સદાકાળ ઋણી રહીશું. મહારાજા ભગવતસિંહજીએ તેમજ ધીરુભાઇ ઠાકરે કરેલી ગુજરાતી ભાષાની સેવા આ વિષયમાં કામ કરતાં દરેક લોકો માટે સદાકાળ પ્રેરણારૂપ બની રહે તેવી છે.

વી.એસ.ગઢવી 

ગાંધીનગર. 

તા.૩૦/૦૫/૨૦૧૮.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑