:સંસ્કૃતિ:: ગાંધી ગોળમેજી પરિષદ અને મેઘાણી :

ઓગસ્ટના ઐતિહાસિક માસ સાથે અનેક યાદગાર ઘટનાઓ સંકળાયેલી છે. દેશની મુક્તિના દ્વાર આ મહિનામાં જ ખુલ્યા. લાલ કિલ્લા પરથી એક નવલા પ્રભાતની ઘોષણામાં દેશના કરોડો માનવીઓની આકાંક્ષાઓનો પ્રતિભાવ પડઘાતો હતો. દેશના ભાગલાની લોહીયાળ ઘટના પણ આજ સમયમાં જગતે જોઈ. અનેક નિર્દોષ લોકોનો અકારણ ભોગ આ વિભિષિકાએ લીધો. આઝાદીનો ઉત્સવ દેશમાં ઉજવાતો હતો ત્યારે આ સોનેરી સ્વતંત્રતાના જનક ગાંધીજી બંગાળમાં ડહોળાયેલી સ્થિતિની વચ્ચે દુ:ખી ભાંડુઓની વચ્ચે જઈને ઊભા હતા. આ માસમાં જ ગુજરાતના સમર્થ સંશોધક-લેખક પત્રકાર તથા લોક સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીનો જન્મ ચોટીલામાં થયો. (તા.૨૮ ઓગસ્ટ-૧૮૯૬) આ માસની જ ૨૯ મી તારીખે (૧૯૩૧) બીજી ગોળમેજી પરિષદમાં ઈંગ્લેન્ડ જવા માટે ગાંધીજી ‘‘રાજપૂતાના’’ સ્ટીમરમાં બેસીને મુંબઈથી રવાના થયા. કેટકેટલી અસાધારણ ઘટનાઓની સ્મૃતિ ઉરમાં સંઘરીને કાળદેવતા ઊભા હશે!

ગોળમેજી પરિષદમાં બાપુ જતા હોય તેની કથાનો કડીબધ્ધ ઈતિહાસ લખવા સૌરાષ્ટ્રના તે સમયના નિષ્પક્ષ તથા નીડર પત્રકારત્વના મશાલથી અમૃતલાલ શેઠ તલપાપડ થતા હોય તે સ્વાભાવિક છે. તેમના ‘સૌરાષ્ટ્ર’ અખબારના માધ્યમથી ગોળમેજી પરિષદની ઘટના સાથે વણાયેલા અસંખ્ય રાજકીય તાણાંવાણાં ઉકેલીને તે રજૂ કરવાનો શેઠ સાહેબનો પ્રયાસ હતો. પરંતુ આ બધી ઘટનાઓ વચ્ચે સમગ્ર પ્રસંગના કેન્દ્ર સમાન ગાંધીજીના મનોજગતનું ચિત્રણ કોણ કરી શકે? તંત્રી અમૃતલાલ શેઠ જાણતા હતા કે આ કામ માત્ર મેઘાણી જ કરી શકે! મેઘાણીભાઈ કવિ હતા. દ્રષ્ટા હતા. તેમની તીક્ષ્ણ અને જાગૃત દ્રષ્ટિએ આ પ્રસંગને અનુરૂપ એક અમર રચનાનું સર્જન થયું. રચના એવી ધારદાર કે તે ગાંધીને પણ સ્પર્શી ગઈ તેની પ્રતિતિ મહાદેવભાઈના લખાણ પરથી થાય છે. બાપુની ગોળમેજી પરિષદના પ્રયાણના આખરી સમયે જ ગીત રચાયું. ગીતની કેટલીક પ્રતો કઢાવીને આ ગીતના શબ્દો તાબડતોબ મુંબઈ પહોંચાડવાનો અર્થપૂર્ણ પ્રયાસ થયો. મુંબઈ બંદર પરથી ગાંધીજીની વિદાયના ટાણે ગીતની પ્રતોની વહેંચણી થઈ. પ્રસંગનું ગાંભીર્ય તો હતું જ. પરંતુ આ ઉજળા પ્રસંગને ચાર ચાંદ લગાડવાનું  વિરાટ કાર્ય મેઘાણીની નીવડેલી કલમે કર્યું. રાષ્ટ્રપિતાના મનોભાવો તથા વેદનાનું આવું ચિત્રણ કદાચ કોઈ પણ ભાષાના પદ્ય કે ગદ્યમાં મળવું મુશ્કેલ છે. સમગ્ર હિન્દુસ્તાન પૂરા 

આદરથી ગાંધીને ‘ખુદા હાફીઝ’ કહે છે. સત્યની આફરી તાવણી માટે ઝેરનો કટોરો પી જવા માટે કવિ આગ્રહ કરે છે!

છેલ્લો કટોરો ઝેરનો! આ: પી જજો બાપુ

સાગર પીનારા! અંજલિ નવ ઢોળજો બાપુ

સુર અસુરના આ નવયુગી ઉદધિ- વલોણે

શી છે ગતાગમ રત્નના કામી જનોને !

તું વિના શંભુ ! કોણ પીશે ઝેર દોણે

હયા લગી ગરવા ગરલ ઝટ જાઓ રે બાપુ!

ઓ સૌમ્ય-રૌદ્ર! કરાળ-કોમલ! જાઓ રે બાપુ !

બાપુની વિરાટ પ્રતિભા મેઘાણીભાઈના શબ્દોમાં કાળા વાદળોની વચ્ચે વિજ ચમકે તેમ આ કૃતિમાં ચમકી રહે છે. ‘રાજપૂતાના’ સ્ટીમરે પંથ ખેડવાનો પ્રારંભ કર્યો તે પછી મહાદેવભાઈ અનેક પત્રો સાથે મેઘાણીભાઈનું આ કાવ્ય પણ બાપુને વાંચવા આપે છે. આ રચના વાંચીને ગાંધીજીએ કહ્યું: ‘‘મારી સ્થિતિનું આમાં જે વર્ણન થયું છે તે તદ્દન સાચું છે.’’ આરપાર જોઈ શકવાની આવી કવિ દ્રષ્ટિ જગતે બહુ ઓછા કિસ્સામાં જોઈ હશે. ગાંધીજી સાથે મુસાફરી કરનારાઓમાં પંડિત મદનમોહન માલવીયા, સરોજિની નાયડુ, ઘનશ્યામદાસ બિરલા તથા મીરાંબહેન વગેરે હતા. ઘનશ્યામદાસજી બિરલાએ આ યાત્રાના પ્રારંભની સ્મૃતિને સંકોરતા લખ્યું હતું. (૨૯ ઓગસ્ટ ૧૯૩૧): 

‘‘મુંબઈ બંદરથી ગાંધી નીકળ્યા ત્યારે જ ઝરમર ઝરમર વરસાદ શરૂ થયો. જાણે ઈન્દ્ર વિદાયના આંસુ સારી રહ્યો હતો. પરંતુ બાપુને વળાવવા આવેલો વિશાળ માનવ સમુદાય પોતાની જગાએથી ખસતો ન હતો. ચારે બાજુ પાણી જ પાણી.. તેની વચ્ચે અમારી નાનકડી દુનિયા- ‘રાજપૂતાના આગબોટ’. હિન્દના હ્રદય સમ્રાટની ઐતિહાસિક યાત્રાનું આ દ્રષ્ય સાચે જ હ્રદય પિગળાવનારું છે.’’ યુરોપના દરિયાકાંઠે ગાંધી ઉતરે તે પહેલા જ ઈંગ્લેન્ડના છાપાઓમાં તેમને એક વિચિત્ર રીતે જીવતા અર્ધચક્રમ તરીકે ચીતરવાનો પ્રયાસ થયો હતો. બાપુના ખોરાકની ટેવ તથા બકરીના દૂધ અંગેનો તેમનો આગ્રહ તેમને  મજાકનું  પાત્ર બનાવવા માટેના સુલભ સાધનો હતા. લંડનની સડક પર 

શરદરૂતુની ટાઢમાં ખાદીની પોતડી પહેરીને તથા શાલ ઓઢીને લોકોએ ગાંધીને ફરતા જોયા હતા. જોકે ઈંગ્લેન્ડના સામાન્ય લોકોનો ગાંધી તરફનો પ્રતિભાવ સંપૂર્ણ સ્નેહોદરયુક્ત હતો. બ્રિટીશ સરકારની વ્યવસ્થા સ્વીકારીને તેમના મહેમાન બનવાનું ગાંધીએ પસંદ ન કર્યું. આમ પ્રજાની વચ્ચે તેઓ કિંગ્સલી હોલમાં રહ્યા તેની પણ એક મોટી અસર ઊભી થવા પામી.

ગોળમેજી પરિષદમાં કોઈ ચમત્કારી પરિણામ આવે તેવી આશા ભાગ્યે જ કોઈની હતી. પરંતુ બાપુએ ઈંગ્લેન્ડના વિશાળ માનવ સમુદાયની હિન્દુસ્તાનની મુક્તિ માટેની લડત માટે વ્યાપક સહાનુભૂતિ મેળવી હતી આ એક મોટી સિધ્ધિ હતી. બાપુ જ્યારે ગળમેજી પરિષદમાંથી હિન્દુસ્તાનમાં પાછા આવ્યા ત્યારે પણ મેઘાણીભાઈએ આ ઐતિહાસિક યાત્રાના નાયકને વધાવતી પંક્તિઓ લખી! શાયર ભાવુક થઈને ગાંધી જે માર્ગે આવતા હતા તે સાગરને જાગૃત થવા આહવાન કરે છે. દેશનો ‘પ્રાણધાર’ પાછો આવે છે તેની સુખ-સુવિધા માટે સાગરને ‘હૈયે હિંડોળા બાંધવાની’ વાત આ કવિજ કરી શકે!

સૂતો રે હોય તો જાગજે સાયર!

ઘેર આવે પ્રાણધાર

હૈયે તારે બાંધ હિંડોળા

મોભી મારો ખાય બે ઝોલા….

માતા ! તારો બેટડો આવે

આશાહીન એકલો આવે.

કાવ્યની અંતિમ પંક્તિઓમાં કવિએ મા-માતૃભૂમિના ગાંધી તરફના વાત્સલ્યનો ભાવ અતિ સુંદર તેમજ અર્થસભર શબ્દોમાં ગૂંથ્યો છે:

તારી કમાઈ ગુમાઈનો રે

મારે માગવો નોય હિસાબ

બેટા ! તારી ખાકની ઝોળી

માતા કરે મન અમોલી.

શ્રાવણની ભીનાશ લઈને જન્મેલા આપણા મહાકવિ મેઘાણીની ઓગસ્ટ માસમાં વિશેષ સ્મૃતિ થાય તે સ્વાભાવિક છે. કવિ કાગે તેમને ઉચિત અંજલિ આપતા શબ્દો લખ્યા છે:

હું ભમીયો ભાયાણી

સાતે સાયર ઉતર્યો

પણ મર્મી મેઘાણી

‘કાગે’ ન દીઠો કાળાઉત. 

Leave a comment

Blog at WordPress.com.

Up ↑