: સંસ્કૃતિ : : ડૉ. લોહિયા : સામા પ્રવાહે તરનારા રાજપુરુષ :

૩૦મી જાન્યુઆરી ૧૯૪૮ ની સંધ્યાએ પૃથ્વી પરથી એક સાથે બે સૂર્યાસ્ત થયા. એક તો પ્રકૃતિના શાશ્વત ક્રમ પ્રમાણે ભાણ પોતાનું કર્તવ્ય પુરું કરીને પશ્ચિમ દિશામાં ગતિ કરી ગયા. બીજો સૂર્યાસ્ત દિલ્હીના બિરલા ભવનમાં થયો. બિરલા ભવનમાં થયેલા આકસ્મિક સૂર્યાસ્તના સમાચાર સાંભળીને જગત ખળભળી ગયું. તે દિવસનીજ સાંજે ગાંધીજી સાથે નક્કી  થયેલી મુલાકાત કરવા માટે ડૉ. રામમનોહર લોહિયા બિરલા ભવન પહોંચ્યા. બિરલા ભવનના રસ્તે જતાજ જાણ થઇ કે બાપુ હમેશ માટે ગયા ! માનવતાની હત્યા જગતે જોઇ – અનુભવી. લોહિયા આ સમાચાર પચાવી શકે તેમ ન હતા. આમ પણ ઉપરથી કઠોર દેખાતા લોહિયા ભીતરથી રુજુ અને ભાવુક હતા. ગાંધીજીની હત્યાના કલ્પનાતીત સમાચાર સાંભળીને હેબતાઇ ગયા. ઊંડી ગમગીની હૈયામાં ઢબુરીને સિગરેટ વહેંચાતી હતી તે નજીકની દુકાને ગયા. સિગારેટ લીધી અને વિચારમાંને વિચારમાં થોડા દમ ભર્યા. પછી સ્વગત બબડ્યા : ‘‘ એમણે મને દગો દીધો એટલે મેં એમને દગો   દીધો ! ’’ ૧૯૪૬ માં ગાંધીજીએ લોહિયાને સમાજવાદ અને સિગારેટના વ્યસન ઉપર એક લાંબું ભાષણ આપેલું. બાપુના શબ્દોને માન આપીને સિગારેટના શોખીન ડૉ. લોહિયાએ સિગારેટનું વ્યસન તત્કાલ છોડ્યું હતું. લોહિયાએ બાપુને આપેલા વચનની મર્યાદા જાળવી હતી. આજે બાપુ વચન આપીને મળવા કેમ ન રોકાયા ? અને આ અલગારી રાજપુરુષે બાપુની હત્યા પર પોતાનો શોક તથા ફરિયાદ આ રીતે સિગારેટ ફૂંકીને જૂદા ઢંગથી વ્યક્ત કર્યો. જેમનું જીવન સતત સંઘર્ષમાં ગયું  અને જેમને શાસનનો મોહ કદી લોભાવી ન શક્યો એવા જયપ્રકાશ નારાયણ અને ડૉ.રામમનોહર લોહિયા – એ બન્ને દેશના મુક્તિ સંગ્રામના ઝળહળતા પાત્રો હતા. દેશ આઝાદ થયા બાદ પોતાનાજ સાથીઓ કે જેઓ સત્તામાં આવ્યા હતા તેમની સાથે પણ દેશના છેવાડાના લોકોની સ્થિતિ તથા શાસનના મૂલ્યો બાબતમાં મતભેદ થતાં જયપ્રકાશ તથા લોહિયાનો અવિરત સંઘર્ષ ચાલુ રહ્યો. જીવનના છેલ્લા શ્વાસ સુધી સંઘર્ષરત રહેનાર ડૉ. લોહિયાની પ્રતિભાનો વિશેષ પરિચય મેળવવા ગાંધીજીએ તેમના માટે કહેલા શબ્દો ફરી યાદ કરીએ. ૧૯૪૧ માં ગાંધીજીએ મુંબઇની એક જાહેરસભામાં યાદગાર શબ્દો ડૉ. લોહિયા માટે કહ્યા. ડૉકટર સાહેબ તે સમયે બ્રિટીશ સરકારની જેલમાં હતા. ગાંધીજી કહે છે : ‘‘ જ્યાં સુધી ડૉ. લોહિયા જેલમાં છે ત્યાં સુધી હું શાંત ન બેસી શકું. એનાથી વધારે સરળ માણસ મેં જાણ્યો નથી. તેઓ (ડૉ. લોહિયા) જે કરે છે તેનાથી તેમનું માન ઓર વધે છે. ’’ હિન્દી કવિતાઓના સર્જક શ્રી સર્વેશ્વર દયાલ સકસેનાની નીચેની પંક્તિઓમાં ડૉ. લોહિયાની પ્રતિભાને કાવ્યાત્મક રીતે વણી લેવામાં આવી છે.

જહાં સબ સિર ઝુકાતે થે

વહાં ભી ઉસકા સિર

ઊંચા ઉઠા રહતા થા

જિધર રાહ નહિ હોતી થી

ઉધર ભી વહ પૈર બઢાતા થા.

      સકસેનાજી લખે છે કે આ વીર પુરુષની સમાધિ કેવી હોઇ શકે !

એક ચિનગારી ખાક કરદે

દુર્નીત કો, ઢોંગી વ્યવસ્થા કો,

જો મિટા દે દૈન્ય, શોક, વ્યાધિ

ઓ મેરે દેશવાસિયો

યહી હૈ ઉસકી સમાધિ.

      વસંતનો વાસંતી વૈભવ જ્યારે અલવિદા કહેવાની તૈયારી કરે છે તેવા માર્ચ મહિનામાં ડૉકટર સાહેબની સ્મૃતિ પુન: અનેક લોકોના મનમાં જીવંત થતી હશે. આ મહિનામાં બની રહેલી અનેક પ્રસંગોની ઘટમાળમાં ડૉ. લોહિયાનું સ્મરણ ન થાય તો એ આપણી સામુહિક ખોટ ગણાય તેમ કહેવામાં અતિશયોક્તિ નથી. ઉત્તર પ્રદેશમાં ૧૯૧૦ ના માર્ચની ત્રેવીસમી તારીખે (અખાત્રીજનો દિવસ) આ અલગારી જીવ આપણી વચ્ચે આવ્યો અને એક નિરાળુ અને નિ:સ્વાર્થ જીવન વ્યતિત કરીને ગયા. ૧૯૧૦ થી ૧૯૬૭ સુધીની તેમની જીવનયાત્રા એક સતત સંઘર્ષ તથા વૈચારિક જાગૃતિની અનોખી મીસાલ બનીને નિષ્ઠા અને નિસબત માટેના સંઘર્ષનું અમીટ સ્મારક બની ગયા. ડૉ. લોહિયાની જન્મશતાબ્દીના પ્રસંગે (૨૦૦૯-૨૦૧૦) આપણા જાગૃત પત્રકાર સ્વ.શ્રી દિગંત ઓઝાએ ‘‘શતાબ્દી વંદના’’ ના નામે એક સુંદર પુસ્તકનું સંકલન કરીને પ્રકાશિત કરેલું હતું. ડૉકટર સાહેબ સદેહે આપણી વચ્ચે ન હોવા છતાં તેમના વિચારો સાંપ્રતકાળમાં પણ પ્રેરણાદાયક તથા પથદર્શક બને તેવા છે.

      આપણાં મુક્તિ સંગ્રામના ઇતિહાસમાં મુખ્યત્વે મહાત્મા ગાંધી કેન્દ્ર સ્થાને રહેલા છે. કાળને જગાડવાનું કામ આ મહામના માનવી સિવાય કદાચ કોઇ કરી શક્યું ન હોત. વિશાળ જનસમુદાયનો કોઇ અવાજ તે સમયમાં હતો નહિ બ્રિટીશ સત્તાનું સંપૂર્ણ આધિપત્ય હતું. અનેક પ્રકારના જુલ્મો નાગરિકોને સહન કરવા પડે તેવી સ્થિતિ હતી. મેઘાણીભાઇએ તેમની યાદગાર તથા અમર રચનામાં આ સ્થિતિનુંવર્ણન સુપેરે કરેલું છે. ગાંધીજીની ચમત્કારિક ઉપસ્થિતિ તથા નેતૃત્વને કારણે ફુલ સમા હૈયા પણ સંઘર્ષની જ્વાળામાં કુદી પડવા તૈયાર થયા હતા તેમ કવિ કહે છે.

ચાબૂક જપ્તી દંડ દંડા મારના

જીવતાં એ કબ્રસ્તાન કારાગારના

થોડાં ઘણાં છંટકાવ ગોળીબારના

એ તો બધા ઝરી ગયા, કોઠે પડ્યા બાપુ !

ફુલ સમા અમ હૈયા તમે

લોઢે ઘડ્યા બાપુ !

      ગાંધીજીના તમામ વિચારો સાથે સહમત ન હોવા છતાં જેમનો સ્નેહ તથા આદર ગાંધીજી પ્રત્યે સતત રહેલા હતા તેવા કેટલાક ઉજળા પાત્રો પણ ઇતિહાસમાં ગૌરવભેર નોંધવામાં આવેલા છે. ગાંધીજી પણ માનવીનું હીર પારખી શકે તેવા ઝવેરી હોવાથી આવા લોકોની શક્તિ બરાબર પારખી શકતા હતા. સુભાષચન્દ્ર બોઝ કે જયપ્રકાશ નારાયણની હરોળમાં બેસી શકે તેવા ડૉ. લોહિયા પણ આવાજ એક વીર પુરુષ હતા. વિચાર પુરુષ હતા. ડૉકટર સાહેબને ગાંધીજી તરફ અંધશ્રધ્ધા ન હતી કે ગાંધી વિચાર તરફ અણગમો પણ ન હતો. બાપુ તરફ તેમનો ગુરુ સમાન સન્માનભાવ હતો. આમછતાં બાપુની અમૂક વાતો સાથે તેમની તેમની સંમતિ સકારણ ન હતી. ડૉ. લોહિયાએ સ્વવિવેકથી પોતાના નિર્ણય કર્યા અને કપરી સ્થિતિમાં પણ વિચાર દ્રઢતા સાથે સાર્થક જીવન જીવી ગયા.

      કોઇપણ પ્રદેશના લોકો કોઇના આધિપત્ય હેઠળ જીવન જીવે તે વાત ડૉકટર સાહેબના ગળે ઉતરે તેવી ન હતી. ગોવાની પરાધિન જનતા સાથે પણ ડૉ. લોહિયા ઊભા રહ્યા અને બદલામાં આકરો જેલવાસ ભોગવ્યો. ગોવામાં જેનું શાસન હતું તેવી પોર્તુગલ સરકારના અમાનવીય વહીવટ સામે તેઓએ જનતાને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો. પોતાને ગેરકાયદેસર રીતે જેલમાં ગોંધી રાખવા બદલ તેમણે ગોવના ચીફ જસ્ટીસને ઐતિહાસિક પત્ર લખ્યો. પોર્તુગલ સરકારે પોતાને ગેરકાયદેસર રીતે પકડેલા છે અને તેથી સરકારે માફી માંગવી જોઇએ તેવી બુલંદ વાત ડૉકટર સાહેબે કરી. ગાંધીજીએ આ સંદર્ભમાં લખ્યું કે ડૉ. લોહિયાની રાજનીતિ તેમનાથી અલગ છે. આમ છતાં ગોવાની પરાધિન જનતા માટે ડૉ. લોહિયાએ હાથ ધરેલા સંઘર્ષની બાપુએ પ્રશંસા કરી. ડૉકટર સાહેબે ગોવાની પરાધિન જનતામાં આઝાદીની જ્યોત જલાવી હતી.

      લોકસભામાં ડૉ. લોહિયાનો પ્રવેશ તથા લોકસભાની કાર્યવાહીમાં તેમનું યોગદાન કદી વિસ્મૃત થાય તેવા નથી. ગૃહની ચર્ચામાં ભાગ લેતા પહેલા તેઓ જે તે વિષયનો ઊંડો અભ્યાસ કરતા હતા. પ્રભાવશાળી વક્તૃત્વ એ તેમની પ્રતિભાનું એક વિશેષ સ્વરૂપ હતું. વિચારપ્રેરક વાત કરવાની કળા તેમને ઇશ્વરદત્ત હતી. જો કે અભ્યાસુ સ્વાભાવ તેમજ જનસમુહ માટેની નિસબત તેમાં કારણભૂત હતા. ડૉ. લોહિયા અન્યાય સામે આજીવન લડવૈયા તેમજ કોઇ ડંખ વગરની ટીકા કરનારા હતા. સેવામાં નિ:સ્વાર્થપણુ તેમજ અનન્ય નિષ્ઠા ડૉકટર સાહેબને વરેલા હતા. ઇતિહાસને પારખવાની તેમજ તેનું મૂલ્યાંકન કરવાની ડૉ. લોહિયાની વિશિષ્ટ દ્રષ્ટિ હતી. તેમણે ઘણું સાહિત્ય લખ્યું છે એ તેમની અભ્યાસુ દ્રષ્ટિ તથા નિર્ણયાત્મક દ્રષ્ટિને આભારી છે. પાકિસ્તાન સાથેના યુધ્ધ બાદ જાણીતા થયેલા કચ્છ-કરારનો વિરોધ કરવા તેમણે કચ્છની મુલાકાત કરી હતી તથા સભાઓ ગજાવી હતી.

      લોહિયાજીના પરિચયમાં આવેલા અનેક મહાનુભાવો તેમના વિશે પૂરા આદરથી વાત કરે છે. એક સમયે પંડિત નહેરુના પ્રિયપાત્ર ગણાતા લોહિયા પંડિતજીના સખત ટીકાકાર પણ બની શક્યા હતા. ટીકામાં કડવાશની જગાએ દેશના હિત માટેના તર્કનું પ્રાધાન્ય હતું. લોકશાહીમાં આવા સ્વસ્થ મતભેદ આવકાર્ય પણ ગણાય છે. સુચેતા કૃપલાણીએ લોહિયાજીની અસ્તવ્યસ્ત જીવનશૈલી વિશે વિગતવાર લખ્યું છે. સુચેતાજીએ ડૉકટર સાહેબના બાળસહજ સ્વભાવ વિશે સ્નેહપૂર્વક લખેલું છે. સંસદમાં ડૉકટર સાહેબના પ્રવચનો તર્કબધ્ધ તથા સશક્ત રહેતા હતા તેની નોંધ સુવિખ્યાત સાંસદ તારકેશ્વરી સિંહાએ કરી છે. અટલબિહારી વાજપેઇ લોહિયાજીને ‘‘ફક્કડ અને મસ્તમૌલા’’ તરીકે ઓળખાવે છે. કટ્ટરપંથને તેમણે કદી ઊછરવા દીધો ન હતો તેમ પણ અટલજીએ નોંધેલું છે. લોહિયાજીનો જન્મ ર૩મી માર્ચે (૧૯૧૦) થયો હતો. ૨૩ માર્ચ (૧૯૩૧)ના રોજ બ્રિટીશ સરકારે ભગતસિંહ, રાજગુરુ તેમજ સુખદેવને ફાંસી આપી હતી. આથી આ દિવસે કદી ડૉકટર સાહેબે પોતાનો જન્મદિવસ મનાવ્યો ન હતો. ચીલા ચાતરનારા તથા સામા પ્રવાહે તરનારા ડૉકટર રામમનોહર લોહિયાને હિન્દુસ્તાન કદી વિસરી નહિ શકે. આવા લોકોને યાદ કરીએ ત્યારે કેટલાક પ્રસંગોએ તેમની ખોટ સાલ્યા કરે છે.

મોત જેવા મોતને

પડકારનારા ક્યાં ગયા ?

શત્રુના એ શૌર્ય પર

વારી જનારા ક્યાં ગયા ?

Leave a comment

Blog at WordPress.com.

Up ↑