: સંસ્કૃતિ : : જીવન અંજલી થાજો : મારું જીવન અંજલી થાજો :

કરુણાના અવતાર સમાન ભગવાન ઇસુની સ્મૃતિ નાતાલના આ પવિત્ર દિવસોમાં થવી સ્વાભાવિક છે. ભગવાન ઇસુ કે તથાગત બુધ્ધના ઉજવળ પરંતુ કંટકભર્યા માર્ગે ચાલનારા કેટલાક વીરલાઓનું સ્મરણ તહેવારોના આ પવિત્ર દિવસોમાં થાય છે. કરુણા અને સ્નેહના સંદેશને જીવનમાં ઉતારી કેટલાક મહામના અને ઉદારમના માનવીઓએ દુનિયાના લોકોને પોતાના ભાંડું માનીને તેમની સેવામાં જીવતર ખપાવી દીધું છે. આવા વ્યક્તિવિશેષનોના જીવન તરફ દ્રષ્ટિપાત કરીને જાતને “રીચાર્જ” કરવાની આ ક્ષણ છે.

      હિમાલયની વનરાજી અનેક સૈકાઓના સંભારણા અને સમૃધ્ધિ ધારણ કરીને ઉન્નત મસ્તકે ઉભી છે. આ વનરાજીઓની વચ્ચે એક સ્થળે નાના એવા સ્મારક પર યાદગાર શબ્દો લખ્યાં છે :

      “ અહીં સૂતા છે ભગિની નિવેદીતા, જેમણે ભારતને પોતાનું સર્વસ્વ અર્પણ કરેલું છે. દાર્જિલીંગમાં ૧૯૧૧ના વર્ષમાં ઓક્ટોબર માસની ૧૩મી તારીખે ભગિનીએ દેહ છોડ્યો. સામર્થ્યવાન ગુરુ વિવેકાનંદના આ જાજવલ્યમાન શિષ્યાએ જીવનના છેલ્લા શ્વાસ સુધી રામકૃષ્ણ  મિશનની પ્રવૃત્તિઓ સક્રિય રહીને કરી. આયર્લેન્ડના એક પાદરી કુટુંબમાં જન્મેલા માગૉરેટ નોબલે સ્વામી વિવેકાનંદના દર્શન અનુસાર ભારત વર્ષની નવજાગૃતિ માટે કાર્ય કર્યું. માર્ગારેટ નોબલ ૧૮૯૮ના જાન્યુઆરી માસમાં ભારત આવ્યાં. માર્ગારેટ સ્વામીજીની પ્રેરણાથી ભગિની નિવેદીતા બન્યા. તેઓ સંપૂર્ણપણે ભારતીય થઇને રહ્યાં માગૉરેટને મા શારદામણીદેવીના વ્યક્તિત્વમાં “માધુર્યની શાક્ષાતમૂર્તિ”ના દર્શન થયાં. જ્યાં જ્યાં સામાન્ય માનવીઓની પીડા તેમણે જોઇ ત્યાં કરુણામૂર્તિ ભગિનીએ જીવના જોખમે પણ રાહત આપવાની કામગીરી કરી. કલકત્તામાં ભિષણ પ્લેગના સમયે શહેરની ગંદી ગલીઓમાં જઇને પણ સેવા પૂરી પાડતા આ કરુણાની દેવીના લોકોએ દર્શન કર્યા. પોતે શાળા શરુ કરે તેમાં લોકો પોતાની દિકરીઓને મોકલતા થાય તેવા ભરપૂર પ્રયાસો તેમણે કર્યા. બાલિકાઓ માટેની પોતે શરુ કરેલી શાળાનું ઉદ્દઘાટન પણ તેમણે મા શારદામણીદેવીના હસ્તે કરાવીને રૂઢિચુસ્ત કુટુંબોને કેળવણી તરફ જવાનો સબળ સંકેત આપ્યો. રામકૃષ્ણ મિશનની સાપ્તાહિક સભાઓમાં ભાષણો આપીને નૂતન વિચારોના પ્રસારનું કાર્ય તેમણે એક લોકશિક્ષક જેમ સતત કર્યું. ભગિનીની શ્રધ્ધા તથા અર્ચનાના કેન્દ્રો એ પરમતત્વ ઉપરાંત ગુરુ વિવેકાનંદ તથા સમગ્ર ભારત દેશ હતા. કવિગુરુ ટાગોરે સિસ્ટરને “લોકમાતા” તરીકે ઓળખાવ્યા હતા તે યથાર્થ છે. ભગિની નિવેદિતા એ ભગવાન ઇસુ અને કરુણામૂર્તિ બુધ્ધના ખરા વારસદાર હતા. હજારો માઇલ દૂરથી તેઓ ભારતની ધરતી પર આવ્યાં અને સેવાકાર્ય કરતા કરતા અહીંજ તેમણે જીવનના અંતિમ શ્વાસ લીધા.

      આવું જ બીજું એક પુણ્યશ્લોક નામ નાતાલના આ પવિત્ર દિવસોમાં સ્મૃતિમાં અચૂક આવે છે. મધર ટેરેસાને કોણ ન ઓળખે ? તેમના યશસ્વી કાર્ય માટે મધરને ૧૯૭૯નો નોબલ શાંતિ પુરસ્કાર મળ્યો ત્યારે તેમણે કહ્યું :

      “કાર્યની પસંદગીમાં કોઇ આયોજન ન હતું નહોતો કોઇ પૂર્વ નિર્ધારીત વિચાર. લોકોની યાતના અમને બોલાવતી ગઇ, તેમ અમે અમારું કામ કરતા ગયા. શું કરવું તેનું માર્ગદર્શન ઇશ્વરે કરાવ્યું.”

      આજના  તહેવારો સાથે મોટા પ્રમાણમાં ભભકા જોવા મળે છે. લખલૂટ ખર્ચાઓ પણ અમૂક કિસ્સામાં થતાં જોવા મળે છે. કેટલાક આયોજનો પર્યાવરણ માટે જોખમી હોય તો પણ યોજવામાં આવે છે. આ સંદર્ભમાં મિશનરીઝ ઓફ ચેરીટીના સ્થાપના દિવસે યોજવાની થતી ઉજવણીના સંદર્ભમાં મધરે કહ્યું :

      “ ઉજવણીમાં સાદાઇ જરૂરી છે. ખર્ચ કે ઉત્સવ સુશોભન નહિ. કેવળ આભાર.. ઇશ્વરનો આભાર.. આપણી ઉજવણીના કેન્દ્રમાં ઇશ્વર હોવો જોઇએ. એથી સૌને પ્રતિતિ થશે કે આપણે કરીએ છીએ તે ઇશ્વરનું કાર્ય છે. ”

      સેવા અને પ્રાર્થના મધરના જીવનના અભિન્ન ભાગ હતા. વિદેશ પ્રવાસમાં એકવાર સીમા ઓળંગીને ગાઝા સ્ટ્રીપમા જઇ રહ્યા હતા ત્યારે સલામતીના કર્મચારીએ તેમને પૂછ્યું :

“ તમારી પાસે કોઇ હથિયાર છે ? ”

મધરનો ત્વરિત ઉત્તર :

“ હા, છે ને ! મારાં પ્રાર્થનાના પુસ્તકો છે. ”

આવા અનેક ઉદાર ચરિત અને સ્નેહસિંચન કરનારા વ્યક્તિઓએ માનવી પ્રત્યેની પોતાની સમગ્ર નિષ્ઠાનું દર્શન કરાવ્યું છે. જગત તરફથી જે અનેક અવરોધ ઉભા કરવામાં આવ્યા તેનો પણ તેઓએ સ્નેહથી સ્વીકાર કર્યો. ગાંધીજીએ “અવગુણ સામે જે ગુણ કરે તે જગમાં જીત્યો સહી” એ વાતની પૂર્તિ પોતાના આજીવન ઠોસ આચરણથી કરી.

મોહન (ગાંધીજી)ના સાથી ચાર્લી (દીનબંધુ એન્ડ્રુઝ) પણ આવા એક વિશ્વ નાગરિક હતા. જ્યાં જ્યાં પિડિતોનો સાદ સંભળાયો ત્યાં ત્યાં તેઓ ગયા. સહજભાવે અને પૂરી સંવેદનશીલતાથી તેમના સુખદુખમાં સહભાગી થયા. ભારત હોય, દક્ષિણ આફ્રિકા હોય કે ફિઝી હોય, એ દરેક સ્થળે આ સાંતાક્લોઝ પ્રેમ, આનંદ તથા સાહનુભૂતિની ભેટ લઇને ફર્યા. નાતાલના પવિત્ર તહેવારોના સમયે આ પાવનકારી સંતનું સ્મરણ થવું સ્વાભાવિક છે. તેઓ આપણાં ઠક્કરબાપા કે રવિશંકર મહારાજની હરોળમાં બેસે તેવા મહામના સેવક હતા. જ્યાં માનવતા જોડે છે ત્યાં સંપ્રદાયો કદી પણ વિચ્છેદ કરતા નથી. દીનબંધુના સ્મરણ સાથેજ ગુજરાતના સંદર્ભમાં વિચાર કરીએ તો ફાધર વાલેસની પવિત્ર સ્મૃતિ પણ તાજી થાય. સ્પેનના આ પાદરીએ સવાયા ગુજરાતી થઇને ગુજરાતી સાહિત્યમાં કેટલું મોટું તથા નોંધપાત્ર પ્રદાન કર્યું ! તેમાંયે યુવાનો માટેનો તેમનો વિશેષ સ્નેહ તથા યુવાનોને દિશા ચિંધનારા તેમના તરોતાજા વિચારો ગમે તે કાળે પ્રાસંગિક લાગે તેવા છે.

      દીનબંધુ એન્ડ્રુઝ આવ્યાં એક મીશનરી તરીકે પરંતુ તેમની દ્રષ્ટિની વિશાળતા તેમજ હિન્દ પ્રત્યેના વિશેષ ભાવને કારણે તેઓ જુદા પડતા હતા. હિન્દનો તેમજ હિન્દની સમસ્યાઓનો વિશેષ પરિચય મેળવવામાં તેમને તે વખતના સ્વાતંત્ર્ય માટેની ચળવળના નેતાઓ સાથેનો પરિચય વિશેષ ઉપયોગી થયો. તેમની લંડનની સારવાર માટેની મુલાકાત દરમિયાન તેઓને ગુરૂદેવ ટાગોરને મળવાનું થયું. દરમિયાન એન્ડ્રુઝને દક્ષિણ આફ્રિકાની મુલાકાતે જવાનું બન્યું. ગાંધીજી સાથે તેમની મુલાકાત થઇ અને ગાંધીજીના આફ્રિકાના આશ્રમમાં રહેવાનું થયું. દક્ષિણ આફ્રિકાની લડાઇમાં ગાંધીજીને તેમનો પૂર્ણ સહયોગ મળ્યો. ગાંધીજી સાથેની તેમની ગાઢ દોસ્તી હતી. ગાંધી તેમને ‘‘ચાર્લી’’ કહેતા. એન્ડ્રુઝ ગાંધીજીને ‘‘મોહન’’ કહીને સંબોધન કરતા. ગાંધીજીએજ તેમને ‘‘દીનબંધુ’’ કહ્યા અને આ યથાર્થ સંબોધન ચલણી સિક્કા જેવું પુરવાર થયું. તેઓ દીનબંધુ એન્ડ્રુઝ તરીકે સુવિખ્યાત થયા. વિચારો તથા દીન-દુખીયારા પ્રત્યેની અપાર સંવેદનમાંથી પ્રગટેલું ગાંધી – એન્ડ્રુઝનું સાયુજ્ય કદી ભૂલાશે નહિ.

      ગાંધીજીના આવા ઉજળા સહયોગીઓનો સંક્ષિપ્ત પરિચય મીરાબહેન ભટ્ટે એક નાનુ પુસ્તક લખીને કર્યો છે જે એક સમાજ ઉપયોગી પ્રયાસ છે. શ્રી નારાયણ દેસાઇના માધ્યમથી પણ દીનબંધુના ઉજ્વળ જીવનના અનેક પાસા સ્પષ્ટ થઇને નજર સમક્ષ આવે છે. ગાંધીજીના કાર્યોને જીવનના છેલ્લા શ્વાસ સુધી દીનબંધુએ સમર્થન આપ્યું. તેમની ઊંડી ધર્મભાવના ગરીબો તરફના તેમના વર્તાવમાં પ્રગટ થતી હતી. એન્ડ્રુઝના નિધન બાદ ગાંધીજીએ યાદગાર શબ્દોમાં તેમના જીવનને બીરદાવ્યું. ગાંધીજી લખે છે : ‘‘ઇંગ્લાંડ પ્રત્યેનો તેમનો પ્રેમ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ અંગ્રેજ કરતા કોઇપણ રીતે ઊતરે તેવો ન હતો. પરંતુ એ પણ એટલુંજ નિ:સંદેહ છે કે હિન્દ પ્રત્યેનો તેમનો પ્રેમ પણ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ હિન્દીના પ્રેમની બરોબરી કરે તેવો હતો. અંગ્રેજોના દુષ્કૃત્યો ભૂલાઇ જશે પણ દીનબંધુના વીર સુકૃત્યો ઇંગ્લાંડ તથા હિન્દની હસ્તી હશે ત્યાં સુધી નહિ ભૂલાય.’’ ૧૯૪૦ માં તેઓએ વિરવિદાય લીધી ત્યારે સમસ્ત માનવજાતીએ એક ઉત્તમ વિશ્વ નાગરિક ગુમાવ્યો હોય તેવી અનુભૂતિ કરી. પૂર્વ અને પશ્ચિમ વચ્ચેના સેતુરૂપ જીવનને દીપાવીને તેઓ ગયા. આવા લોકોના જીવનની સુગંધ શાશ્વત રહે છે. અનેક સમસ્યાઓની સામે પણ આવા લોકો જીવનમાં કદી ન થાક્યા કે ન હાર સ્વીકારી છે.

થાકે ન થાકે છતાંયે હો માનવી,

 ન લેજે વિસામો.

તારે ઉલ્લંઘવાના મારગ ભુલામણાં,

તારે ઉધ્ધારવાના જીવન દયામણાં,

હિમ્મત ન હારજે તું ક્યાંયે,

 હો માનવી ન લેજે વિસામો !

     છેલ્લા થોડા વર્ષોમાં સમગ્ર વિશ્વમાં જે ઘટનાઓ બની છે તેમાં જોડાણના સ્થાને વિચ્છેદનું બાહુલ્ય જોવા મળે છે. માનવી વિશેષ સ્વકેન્દ્રી થતો જાય અને સરવાળે પોતાના કુટુંબ કે પડોશીથી પણ વિમુખ થઇને જીવતરનો માર્ગ અપનાવે તો સાધન સુવિધા વધ્યા હોવા છતાં પણ સ્વસ્થ સમાજનું નિર્માણ થઇ શક્તું નથી. સંવેદનશીલતાનો  વ્યક્તિગત ગુણ સમાજના વિવિધ અંગોને જોડી શકે છે. જે બનાવો રોજ રોજ જોઇએ અને અનુભવીએ છીએ તેમાં આવી વિમુખતા કે અકર્મણ્યતાનું કારણ એ આપણામાં રહેલી સંવેદનશીલતા ઝાંખી પડી હોય તેમ સૂચવતા રહે છે. નાતાલનું પર્વ આવા સમયમાં સ્નેહ તથા સંવેદનશીલતાનો સંદેશ આપીને જાય છે. જેમને આપણાં helping hand ની જરૂર છે તેમના તરફ આપણી સહેજ પણ દ્રષ્ટિ રહે તો નાતાલની ઉજવણી સાર્થક બને છે.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑