: સંસ્કૃતિ : : દીપોત્સવના પર્વમાં તેજોમય દીપ સમાન મહર્ષિ દયાનંદની અનંતયાત્રા :

દીવાળીના શુભ દિવસે મહર્ષિ દયાનંદની ચિર વિદાયથી દેશના અનેક લોકો દિગમુઢ થયા હતા. ગુજરાતની ધરતી પર જન્મ ધારણ કરનાર આ વીર સન્યાસીની સિંહ હાકથી દેશના અનેક ભાગોમાં નવ જાગૃતિની લહેર પ્રગટ થઇ હતી. ધર્મ કે સંપ્રદાયના નામે ઢોંગ આચરીને અનેક નિર્દોષ ભાવિકોનું શોષણ કરનારો વર્ગ સ્વામી દયાનંદના તેજોમય વ્યક્તિત્વ તથા તર્કશુધ્ધ વાણીથી ભયભીત થયો હતો. સ્વામીજી છ દાયકાથી પણ ઓછું જીવન જીવ્યા – પરંતુ પોતાની ચિરકાળ છાપ છોડીને ગયા.  કોઇ પ્રાચીન સમયમાં નહિ પરંતુ પ્રમાણમાં નજીકના ભૂતકાળમાં આપણાં દેશમાં થયેલા બે સન્યાસીઓએ પોતાના ભગવા વસ્ત્રો ખરા અર્થમાં ઉજાળ્યા છે. આ બે સન્યાસીઓમાં સ્વામી દયાનંદ તથા કર્મઠ સન્યાસી વિવેકાનંદનો ઉલ્લેખ વિના સંકોચે કરી શકાય તેવો છે. સ્વામી દયાનંદનો જન્મ ઇ.સ. ૧૮૨૫ ના ફેબ્રુઆરી માસમાં મોરબી રાજ્યના ટંકારા નામના ગામમાં થયો. ૧૮૮૩ના ઓક્ટોબર માસમાં દીપોત્સવ –દીપાવલીના પર્વના દિવસે આ તેજોમય દીપનો પ્રકાશ અનંતમાં ભળી થયો. સમાજમાં નવ જાગૃતિનો શંખ ફૂંકનાર આ સન્યાસી સમાજને જાગૃત કરીને સીધાવી ગયા. પોતાના કાળના સમર્થ વિચારક તથા સાધક ઋષિ તરફ અનેક લોકો અંતરથી ધન્યતાનો – આભારવશતાનો અનુભવ કરે છે.

ધન્ય હૈ તુજકો ઐ રિષિ,

તુને હમે જગા દીયા,

સો સો કે લૂટ રહેથે હમ,

તુને હમે બચા લીયા,

અંધોકો આંખે મીલ ગઇ,

મુરદોમેં જાન આ ગઇ,

જાદુસા ક્યા ચલા દીયા,

અમૃતસા ક્યા પીલા દીયા.

      સ્વામી આનંદે લખ્યું છે કે સન્યાસીને સમાજ પાસેથી ફક્ત ‘‘દો રોટી ઔર એક લંગોટી’’ મેળવવાનો હક્ક છે. પરંતુ સ્વામીદાદા કહે છે કે સાધુએ સમાજ પાસેથી આટલુંજ ગ્રાહણ કરીને સહસ્ત્રગણું સમાજને પરત આપવાનું હોય છે. સ્વામીદાદા કહે છે તેવા અનેક જ્યોતીર્ધર સન્યાસીઓ પોતાના અમૂલ્ય પ્રદાન દ્વારા ઇતિહાસમાં અમર થયા છે. સન્યાસીના બાહ્ય પહેરવેશ થકી નહિ પરંતુ તેના આચરણ થકી સમાજે તેને સ્નેહ તથા આદર અઢળક માત્રામાં પૂરા પાડેલા છે. ભીક્ષુ અખંડાનંદ જેવા સંતે સમાજમાં ઉત્તમ પ્રકારના પુસ્તકોની ઉપલબ્ધી સામાન્ય લોકોને પણ પરવડે તેવી કિમ્મતે થાય તેની ચિંતા આજીવન કરી. આ હેતુ પાર પાડવા માટે ટ્રસ્ટની રચના કરીને એક ચોક્કસ વ્યવસ્થા પણ ઊભી કરી. આવી પ્રવૃત્તિમાં ભીક્ષુ અખંડાનંદજીને પ્રભુની પ્રસન્નતાની અનુભૂતિ થઇ શકતી હતી. પૂજ્ય મોટાએ મઠ-મંદિરોના બદલે બાળકો અભ્યાસ કરી શકે તે માટે શાળાઓના ઓરડા બાંધવાની ચિંતા કરી. તેમને આ કાર્યમાં ઉત્તમ પ્રકારની પ્રભુ ભક્તિનો અનુભવ થયો. મુની સંતબાલજીને પણ માનવ સેવાના કાર્યોમાંજ ઇશ્વરની આરાધનાનો પદરવ સંભળાયો. સંતોની આવી ઉજળી પરંપરાના એક અગ્રજ સમાન સ્વામી દયાનંદ હતા. અનેક પ્રકારની અંધશ્રધ્ધાઓમાં ઘેરાયેલા સમાજને તંદ્રામાંથી બહાર લાવીને જાગૃતિના માર્ગે દોરી જવાનો મહર્ષિ દયાનંદનો પ્રયાસ હતો. ધર્મના નામે ધતીંગ ચલાવનારાઓ અનેક સ્વાર્થી લોકોની ધમકીઓ તથા પડકારોનો સમાનો આ વીર સન્યાસીએ સામી છાતીએ કર્યો હતો. એકથી વધારે વખત સ્વામીજીની હત્યા કરવાના પ્રયાસ નિષ્ફળ ગયા હતા. જગતનું હિત સાધવા માટેજ જાણે કે આ ખુદાના ફરીશ્તાઓએ જગતમાં નિર્ભયતાથી વિચરણ કરીને લોકહીતના અગણિત કાર્યો દ્રઢતાપૂર્વક કર્યા હતા. જગતનું કલ્યાણ નજર સામે રાખીને આપણા સંતો જે માર્ગે ચાલ્યા તે વીરતાનો માર્ગ હતો. ભીરુ કે અધૂરીયા લોકો સંતોના નિર્ભયતાના માર્ગે ડગલા માંડી શકતા નથી. હરિનું કાર્ય કરવાની પહેલી શરત એ નિર્ભયતા તેમજ વીરતાની છે. ભક્તિ અને વૈરાગ્યના ઊંડા સંસ્કારોવાળા કવિ પ્રીતમદાસના શબ્દો આ સંદર્ભમાં યાદી આવે તેવા અર્થસભર છે.

હરિનો મારગ છે શૂરાનો,

નહિ કાયરનું કામ જોને

પરથમ પહેલું મસ્તક મૂકી

વળતી લેવું નામ જોને

માથા સાટે મોંઘી વસ્તુ

સાંપડવી નહિ સ્હેલ જોને

મહાપદ પામ્યા તે મરજીવા

મૂકી મનનો મેલ જોને.

      સ્વામી દયાનંદ બાળપણથીજ જીજ્ઞાસુ વૃત્તિ ધરાવનારા એક વિચારશીલ વ્યક્તિ હતા. તેમનું નામ મૂળશંકર હતું. માતા પિતાના સંસ્કાર તથા પોતાના ઘરના માહોલને કારણે તેઓ શિવરાત્રીના પર્વે નિરાહાર રહ્યા અને પ્રભુપ્રાપ્તિ માટે રાત્રિનું જાગરણ પણ તેમણે કર્યું. અન્ય સાધકો જ્યારે નિંદ્રાધિન થયા ત્યારે કિશોર મૂળશંકર પ્રયત્નપૂર્વક જાગતો રહ્યો. બાળવયની આવી નિષ્ઠાપૂર્વકની આરાધનામાં શ્રધ્ધા તથા ભક્તિનો સમન્વય થયેલો હતો. પરંતુ રાત્રિના શાંત સમયે શિવલિંગ પર દોડાદોડી કરતા ઉંદરોને જોઇને કિશોર મૂળશંકરના મનમાં અનેક પ્રશ્નો થયા. વિચારોના વાવાઝોડાથી બાળકનું મન ઘેરાવા લાગ્યું. આવી બાળ સહજ ઉત્સુક્તા તથા પ્રશ્નો થવા તે સ્વાભાવિક પણ છે. શક્તિશાળી દેવ મહાદેવના લિંગ પર ઉંદરોની આવી આવી ગુસ્તાખી કેમ થઇ શકે તેનો કોઇ પ્રતિતિકર જવાબ બાળકને કોઇ પાસેથી મળ્યો નહિ. આ રીતે સંસારમાં બનતા અન્ય પ્રસંગો જેવા કે નાની ઉમ્મરની બહેનનું મૃત્યુ કે પોતાને પ્રિય એવા કાકાનું મૃત્યુ જેવા પ્રસંગો જોઇને પણ મૂળશંકર વ્યથિત થયા. તેમને થયેલા પ્રશ્નો કે તેમણે અનુભવેલી સમસ્યાઓનું સમાધાન જાતેજ શોધવા માટે મૂળશંકરે નિર્ણય કર્યો. આ હેતુ માટે ગ્રહત્યાગ કરી સંસારના બંધનોથી મુક્ત થવું તેમને જરૂરી લાગ્યું. મુક્તિના આવા અજાણ્યા તથા જોખમી માર્ગે ડગ ભરતા મૂળશંકરને સાંસારીક મોહ-મમતા નડી શક્યા નહિ. સંસારમાં જે વ્યક્તિઓને અંતરના ઊંડાણથી આવા પ્રશ્નો થયા છે તેમના જીવનમાં નવો વળાંક આવેલો છે તે જગતે જોયેલું તથા અનુભવેલું છે. રાજકુમાર સિધ્ધાર્થને જરા-મરણના અણગમતા દ્રષ્યો જોઇને તેના ઉકેલ માટે જીવન હોડમાં મૂકવાની મહેચ્છા થઇ આવી. આવી દ્રઢ તથા કાર્યશીલ મહેચ્છાને કારણે જગતને બુધ્ધ મળ્યા. બુધ્ધત્વના કરુણા સાગરે દુનિયાને થોડી વધારે જીવવા લાયક બનાવી. જીવનના આવા અનુભવો એ સુખચેન તથા આરામની ઉંઘમાં ખલેલ પહોંચાડનારા હોય છે. અહીં મહર્ષિ દયાનંદ પણ સંસારની ઘટમાળના આ પ્રસંગોથી વ્યથિત થયા. સમાજના અનેક લોકોના સર્વાંગિ હિત માટે કંઇક કરી છૂટવાની તમન્ના સાથે તેઓ બુધ્ધના પગલે ચાલ્યા. અડગ મનના આ યુવાન પથિકને કડવા મીઠા અનુભવો થયા પરંતુ આખરે તેમણે અથાક પ્રયાસો તેમજ વ્યાપક ભ્રમણ કરીને પોતાને યોગ્ય ગુરુ શોધી કાઢ્યા. જીવનનાઆઠ દાયકા જેમણે વિતાવી દીધા હતા તેવા મથુરાના વિરજાનંદ સ્વામીના અગાધ શાસ્ત્ર જ્ઞાનનો લાભ સ્વામીજીએ પૂર્ણ વિવેકથી શિષ્યભાવે લીધો. જ્ઞાનપ્રાપ્તિના આ પર્વ પછી મહર્ષિએ પૂર્ણ આત્મવિશ્વાસથી સમાજમાં ફેલાયેલી અનેક નિર્બળતાઓ સામે ગાંડીવનો ટંકાર કર્યો. સંસરના જીવોને ઉત્તમ કોટીના બનાવવા માટે      ‘‘ કૃણવંતો વિશ્વમાર્યમ્ ’’ ની હાક મારીને આ તેજસ્વી સન્યાસી સંસારમાં વિચર્યા અને થોડા સમયમાં છવાઇ ગયા.

      સ્વામીજી દેશાટન કરતા હતા ત્યારે ગુરુ વિરજાનંદના શબ્દો સતત યાદ આવતા હતા. ગુરુએ શિક્ષાની સમાપ્તી સમયે લાગણીથી પોતાના સમર્થ શિષ્યને કહ્યું હતું : ‘‘ વત્સ ! આજે દીન-હીન બનેલા દેશનો ઉધ્ધાર કરો. મત-મતાંતરોના કારણે ફેલાયેલી સાંપ્રદાયિક્તાની અવિદ્યાઓનું નિવારણ કરો. લોકકલ્યાણમાં સમર્પિત બનીને ખરા ધર્મનો પુનરુધ્ધાર કરો. ઇશ્વર તમને સુખ તથા સફળતા પ્રદાન કરે. ’’ ગુરુદક્ષિણા તરીકે ગુરુએ જે માર્ગે જવાની શિષ્યને સલાહ આપી તે માર્ગ કંટકયુક્ત હતો. પરંતુ પ્રજ્ઞાચક્ષુ ગુરુને શિષ્યની અગાધ શક્તિમાં પૂર્ણ વિશ્વાસ હતો. સ્વામીજીની ઐતિહાસિક યાત્રાનો શુભારંભ થયો. ઇ.સ. ૧૮૬૭ ના કુંભમેળામાં મહર્ષિ ગયા તેમ નોંધાયું છે. સ્વામીજીએ હરિદ્વારમાં પોતાની રાવટી નાખી. કહેવાય છે કે આ રાવટી (પર્ણકુટી) પર એક ધ્વજા ફરકાવી હતી. મેળામાં આવેલા અસંખ્ય લોકો દૂરથી પણ આ ધ્વજા જોઇ શકે તેવી હતી. ધ્વજા પર સ્વામીજીએ ‘‘ પાખંડખંડન ’’ એવા શબ્દો લખ્યા હતા. અનેક લોકો આવા લખાણવાળો ધ્વજા જોઇને કુતુહૂલતાથી પણ સ્વામીજીની ઝૂંપડીએ આવતા થયા. સ્વામીજી લોકોને તમામ પ્રકારના વહેમ, ઢોંગ તેમજ અંધશ્રધ્ધામાંથી મુક્ત થવા સમજાવતા હતા. સ્વામીજી પ્રખર વક્તા હતા. તેમની ભાષા તથા સમજાવટમાં તાર્કીકતા હતી. તેમના દ્રષ્ટાંતો બુધ્ધિગમ્ય તથા વ્યવહારુ હતા. લોકોને સ્વામીજી તરફ એક અલગ પ્રકારનું આકર્ષણ થવા લાગ્યું. અનેક લોકોના પ્રશ્નો તથા શંકાઓનું તેઓ ધીરજ તથા સમજાવટથી સમાધાન કરતા હતા. સમાજમાં પ્રવર્તતા માનવ માનવ વચ્ચેના ભેદભાવને તેમણે હાસ્યાસ્પદ તથા વિચારહીન જણાવ્યો. લંગોટ ધારી આ પ્રતિભાશાળી સન્યાસીને ખુલ્લા આસમાન હેઠળ નદીની રેતીમાં રાત્રિ નિવાસ કરતા જોઇને લોકોને આશ્ચર્ય થતું હતું. સ્વામીજીનું શરીર તેજોમય હતું. ખડતલ તથા કસાયેલું હતું. સ્વામીજીએ વિશાળ જનસમુહને કર્મનું મહત્વ સમજાવ્યું. એક ભાવિકે સ્વામીજીને પોતાની હથેળી બતાવી અને પોતાનું ભવિષ્ય શું છે તે જણાવવા મહર્ષિને પ્રાર્થના કરી. સ્વામીજીએ માર્મીક ઉત્તર આપ્યો : ‘‘ હથેળીમાં અસ્થિ, ચામડી તેમજ લોહી છે. બીજું કશું નથી. ’’ જન્મપત્રી અંગે સ્વામીજી   કહેતા :   ‘‘ જન્મપત્ર કિમર્થ કર્મપત્રં શ્રેષ્ઠમ્ ’’ રૂને પીંજવાનું કામ કરતાં એક પીંજારાએ પોતાના કલ્યાણ માટે ધર્મ સમજાવવા કહ્યું. સ્વામીજીએ ત્વરીત ઉત્તર આપ્યો : ‘‘ નામ સ્મરણ કરો. વ્યવહાર સાચો રાખો. જેટલું રૂ તમને કોઇ પીંજવા માટે આપે તો તેટલુંજ રૂ પીંજીને પાછું આપો. જીવનમાં સાચો વ્યવહાર એજ ધર્મમાર્ગ તથા કલ્યાણમાર્ગ છે. ’’ ધર્મ માત્ર તેના રટણમાં નહિ પરંતુ આચરણમાં છે તે વાત સ્વામીજીએ અનેક વ્યવહારુ ઉદાહરણો આપીને સમજાવી છે. પુરુષોની જેમ મહીલાઓ પણ ગાયત્રી જપ કરવાનો સમાન અધિકાર ધરાવે છે તે વાત તેઓ વખતોવખત ભારપૂર્વક કહેતા હતા. સ્ત્રીઓના સમાન અધિકાર તેમજ નારીગૌરવના મહર્ષિ સમર્થક હતા. તે સમયની સામજિક સ્થિતિમાં આ હકીકત તેમને અન્ય સન્યાસીઓથી જૂદા પાડતી હતી. સ્વામીજી તેમના કલકત્તાના પ્રવાસ દરમિયાન(૧૮૭૩) મહાકવિ રવીન્દ્રનાથ ટાગોરના પિતા દેવેન્દ્રનાથ તેમજ સુવિખ્યાત વિદ્વાન કેશવચન્દ્ર સેનના સંપર્કમાં આવ્યા હતા. કેશવચન્દ્ર સેને સ્વામીજીને સંસ્કૃતના બદલે દેશભાષા હિન્દીમાં પ્રવચન કરવા સમજાવ્યા હતા. સંસ્કૃત ન સમજી શકનારો વર્ગ પણ સ્વામીજીના શબ્દો ઝીલી શકે તથા ગ્રહણ કરી શકે તેવો સેનનો મત હતો. સ્વામીજીએ આ બન્ને સુચનોની ઉપયોગીતા જોઇ તેનો સ્વીકાર કર્યો હતો.

      સ્વામીજીએ સમાજ નિર્માણનું કાર્ય કોઇ વ્યક્તિ આધારીત ન રહે અને આ કાર્યમાં સાતત્ય જળવાય તે હેતુથી આર્યસમાજની સ્થાપના એપ્રિલ-૧૮૭૫ માં કરી. સ્વામીજી આજીવન વિચારોના બંધિયારપણાના વિરોધી રહ્યાં. સ્વામીજી આ સંસ્થાના સ્થાપક હોવા છતાં તેના પ્રમુખ ન થયા. માત્ર સામાન્ય સભ્યપદ ગ્રહણ કર્યું. આર્યસમાજ મંદિરમાં પોતાનો ફોટો પણ મૂકવાની સ્વામીજીએ પરવાનગી ન આપી. સ્વામીજીએ આ બાબતમાં વિશેષ સ્પષ્ટતા કરતાં સમજાવ્યું કે ભવિષ્યમાં તેમના ફોટાની પણ લોકો અંધવિશ્વાસથી પૂજા કરે તેવી સ્થિતિ તેઓ કદી ઇચ્છતા ન હતા. આર્યસમાજની સ્થાપનાના ઐતિહાસિક કાર્ય ઉપરાંત રાષ્ટ્રીય કેળવણીના પ્રચાર-પ્રસાર માટે સ્વામીજીએ શૈક્ષણિક સંસ્થાઓ –ગુરુકુળની સ્થાપના કરીને રાષ્ટ્રીય કેળવણીના કાર્યમાં પોતાનો સિંહફાળો આપ્યો હતો.       એક તેજસ્વી દીપનો અકાળ અસ્ત દીપોત્સવીના તહેવારના દિવસેજ થયો તે ઘટના આજે પણ ગ્લાની ઉપજાવનારી લાગે છે. મહર્ષિ દયાનંદની પ્રતિભા તથા વીરવાણી દરેક કાળમાં પ્રાસંગિક તથા માર્ગદર્શક બને તેવી છે.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑