: સંસ્કૃતિ : : મદ ના કર મનમેં મિથ્યા ધનમેં જોર બદનમે જોબનમે :

લોકસાહિત્યના આજીવન ઉપાસક અને ભાતીગળ કથા-કાવ્યોના સંશોધક શ્રી ઝવેરચંદ મેઘાણી હમેશા એ વાતની ચિંતા કરતા કે વાત માંડનારા – વાર્તા કરનારા કસબીઓ ઓછા થતા જાય છે. મેઘાણીભાઇની ચિંતા સકારણ હતી. સમગ્ર શ્રોતાગણને પોતાની કહેણીની શૈલીથી ઝકડી રાખે તેવા મેઘાણંદબાપા જેવા વાર્તાકારો શોધવા જઇએ તો પણ મળે તેમ નથી. આથી આ ચિંતાની વાત તથા પોતાની લાગણી વ્યકત કરતા તેઓ પોતાના કવિ મિત્ર દુલાભાઇ કાગને કહે છેઃ

      ‘‘વાર્તા કહેનારાઓ જયારે લુપ્ત થતા જાય છે તેવા આ સમયમાં તમે જે જે ભાઇઓ અસલી પાતાળફૂટ કંઠ ધરાવો છો તો એ કળા સાચવો અને વિશેષ ખીલે તેમ કરો’’ કવિ શ્રી કાગે તરતજ આ વાતનો જવાબ આપતા મેઘાણીભાઇને કહયું :

      ‘‘વાર્તાકારની તો શી વાત કહું ? વાર્તા તો કરી જાણી માઇના એક પૂત પિંગળશીભાઇએ !’’ (પિંગળશીભાઇ નરેલા ભાવનગરના રાજયકવિ) વાતને લંબાવતા ભગતબાપુ (કવિ કાગ) કહે છે:  ગમે તેટલા મોટા કે નાના સમૂહ સમક્ષ, નજરને ધરતી પર સ્થિર કરી, ઊંચું કે આગળ પાછળ જોયા સિવાય એક અવધૂતની માફક વાગ્ધારા પિંગળશીબાપુ વહેતી મૂકતા. એ સર્જક-વાર્તાકારનું પૌરુષરૂપ કદી વિસરાશે નહિ.’’ કવિઓના કવિ અને સર્જકોના પણ વડેરા સર્જક એવા રાજયકવિ પિંગળશીભાઇના અવસાન (માર્ચ-૧૯૩૯) સમયે મેઘાણીભાઇએ પિંગળશીભાઇની ચિરવિદાય એટલે જાણે ગરવાનું ટૂક તૂટી પડ્યું હોય તેવી વ્યથા-લાગણીનો અનુભવ કર્યો અને જન્મભૂમિ તથા ફૂલછાબમાં તેની નોંધ કરી. કવિ શ્રી કાગે અનેક સાહિત્યપ્રેમી લોકોની લાગણીને શબ્દદેહ આપ્યો.

સઘળે સ્થાનકે દીઠો

પિંગળશીને સઘળે સ્થાનકે દીઠો

મહારાજાઓને ડાયરે ડાયરે

સાચું સંભળાવતો મેં દીઠો

ઝૂંપડીઓની વણીને વેદના

ગીતમાં ગાતો મેં દીઠો…

ભકતોના પાતળીઆ તંબુરના

તારમાં, છેવટ સમાતો મેં દીઠો,

કૃષ્ણના હાથમાં સોંપી

હરદાનને, હોડી હંકારતો

મેં દીઠો….પિંગળશીને….

ડેલીએ બેઠો અડિખમ

ડુંગરો, દેતાં દેતાં મેં દીઠો…

સઘળે સ્થાનકે દીઠો.

કવિ શ્રી નાનાલાલે રાજ્ય કવિ શ્રી પિંગળશીભાઇ પાતાભાઇ નરેલા (૧૮૫૬-૧૯૩૯)ના અવસાનના સમાચાર સાંભળીને પિંગળશીભાઇના પુત્ર શ્રી હરદાનભાઇને સાંત્વના આપવા માટે એક પત્ર લખ્યો. નાનાલાલ લખે છે કે   ‘‘ પિંગળશીભાઇના અવસાનથી ભાવનગરની કાવ્યકલગી ખરી પડી છે. ભાવનગર મહારાજાના મુગટમાંથી એક હીરો ખરી પડ્યો છે. ગુજરાતની જૂની કવિતાનો છેલ્લો સિતારો આજે આથમ્યો ’’ આવા કવિશ્રીનો જન્મ ભાવનગર જિલ્લાના સિહોર ગામમાં ઓકટોબર-૧૯૫૬ માં થયેલો. તેમના પિતા શ્રી પાતાભાઇ નરેલા પણ ભાવનગર રાજ્યના સુપ્રસિધ્ધ કવિ હતા. શ્રી ચંદ્રવદન મહેતાએ લખ્યું છે કે ભક્તિનો જે દોર નરસિંહ, મીરાં, ભોજલરામ ધીરા તથા દયારામની રચનાઓમાં વણાયેલો હતો એજ દોરમાં પરોવાયેલા હોય તેવા કાવ્યો પિંગળશીભાઇના છે. ઉપરાંત તેઓ પોતાની વાણીના અસ્ખલિત પ્રવાહથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરતા હતા તેનું સંભારણું પણ સ્વાનુભવેજ ચંદ્રવદન મહેતાએ લખેલું છે. પિંગળશીભાઇની કવિતાઓ શબ્દાડંબર વાળી નહિ પરંતુ મહદ અંશે સરળ ભાષામાં લખાયેલી હતી. કાવ્યની સરળતા તથા વિષય વૈવિધ્યતાને કારણે તેમની ઘણી રચનાઓ લોકપ્રિય થઇ છે. આવી રચનાઓ પાઠ્ય પુસ્તકોના માધ્યમથી આવતી પેઢી સુધી પહોંચી છે.

ગજબ હાથે ગુજારીને પછી કાશી ગયાથી શું ?

મળી દુનિયામાં બદનામી પછી નાસી ગયાથી શું ?

દુ:ખી વખતે નહિ દીધું પછી ખોટી દયાથી શું ?

સુકાયા મોલ  સૃષ્ટિના પછી વૃષ્ટિ થયાથી શું ?

વિચાર્યું નહિ લઘુવયમાં પછી વિદ્યા ભણ્યાથી શું ?

જગતમાં કોઇ નવજાણે જનેતાના જણ્યાથી શું ?

સમય પર લાભ આપ્યો નહિ પછી તે ચાકરીથી શું ?

મળ્યું નહિ દૂધ મહિષીનું, પછી બાંધી બાકરીથી શું ?

ના ખાધું કે ન ખવડાવ્યું દુ:ખી થઇને રળ્યાથી શું ?

કવિ પિંગળ કહે પૈસા મુઆ વખતે મળ્યાથી શું ?

      કવિ ખૂબ સરળ છતાં માર્મિક રીતે યોગ્ય સમયે કે સમયસર નિર્ણય કરવામાંજ માનવજીવનની યથાર્થતા છે તે તરફ ધ્યાન દોરે છે. ગંગાસતી પાનબાઇને કહે છે તેમ વીજળીના ચમકારે મોતી પરોવી લેવાની સલાહ કવિશ્રીએ દાખલા – દલીલ સાથે આપી છે. જો સમય ચૂકી જવાય તો કરેલા કાર્યનું મૂલ્ય કે મહત્વ રહેતું નથી. જીવતર જીવવામાં જો સહાનુભૂતિ કે સંવેદનાને બદલે સંઘર્ષ કે પરપિડન વૃત્તિને તાબે થઇને જીવન વ્યતિત કર્યું હોય તો પછી કાશીની યાત્રા કરવી નિરર્થક છે. મધ્યયુગના કવિઓની જેમ કવિ પિંગળશીભાઇએ કથની નહિ પરંતુ કરણી ઉપર વિશેષ ભાર મૂક્યો છે. કવિનો પોતાનો આવકાર પણ ખૂબ ઉજળો હતો. મેઘાણીભાઇએ લખ્યું છે તેમ ભાવનગરની ડેલી (કવિનું રહેવાનું મકાન) કદી સુની જોવા મળતી ન હતી. કવિ હમેશા મહેમાનોની વચ્ચેજ જીવતા હતા, શોભતા હતા. સમાજ દ્વારા કવિને તેમના કાવ્ય સર્જન ઉપરાંત એક ઉદાર તથા સાધુ ચરિત માનવી તરીકે સ્નેહ તથા આદરથી નવાજવામાં આવતા હતા. જો સમાજને ખપમાં ન આવે તેવું સ્વકેન્દ્રી જીવન જીવાય તો પછી જનેતાએ જન્મ આપ્યો તે સાર્થક થતું નથી. તે સાથેજ કવિને લાગે છે કે પરોપકારનું કોઇપણ કૃત્ય તેની જરૂર હોય તે સમયેજ કરવામાં આવે તો હેતુસચવાયછે. એકવાર ખેતરોમાં મોલ (પાક) સુકાઇ જાય તો પછી અતિવૃષ્ટિ થાય તો પણ તેનો અર્થ સરતો નથી. સૃષ્ટિના ક્રમ અનુસાર ઋતુ પ્રમાણે મેઘસવારી આવે તોજ તે પૂર્ણત: ઉપયોગી છે. દરેક બાબતને પોતાના નિશ્ચિત ક્રમ હોય છે અને તેથી તે ક્રમ અનુસારજ સૃષ્ટિનું ચક્ર ચાલે તો સૌનું શ્રેય છે, કલ્યાણ છે. જીવન જીવાય તે ‘‘ ઘસાઇને ઉજળા થવાની ’’ રવિશંકર મહારાજની કલ્પના મુજબનું ઉજળું હોય તથા  કોઇ નાલેશીયુક્ત ન હોય તેની કવિને ખેવાના છે. એકવાર જો બદનામી કે નાલેશી થાય તો પછી દૂર જવાથી કે નાસી જવાથી પ્રતિષ્ઠા સાચવી શકાતી નથી. કવિએ ઉજળા જીવતર તેમજ સમયના મહત્વની વાત સહેલાઇથી ગળે ઉતરે તેવા દ્રષ્ટાંતો આપીને આ કાવ્યમાં કરી છે. કવિની આ એક લોકપ્રિય રચનાઓ પૈકીની રચના છે અને આપણાં પાઠ્ય પુસ્તકોમાં પણ તેને સમાવી લેવામાં આવી છે.

રાજસ્થાન એ ચારણી સાહિત્ય સર્જકોનો ઉજ્વળ તથા ભાતીગળ પ્રદેશ ગણાય. આમ છતાં ભૂજની ‘‘રાઓ લખપતજી પાઠશાળા’’ જેવી કવિઓનું ઘડતર કરવાની પ્રભાવી વ્યવસ્થા કચ્છ-ગુજરાત સિવાય બીજે કયાંય જોવા મળતી નથી. લગભગ ૩૫૦ થી વધારે હિન્દી-વ્રજભાષાના સુવિખ્યાત કવિઓની અમૂલ્ય ભેટ કચ્છની આ પાઠશાળાએ આપી છે તેની સાક્ષી ઇતિહાસ પૂરે છે. શ્રી રતુભાઇ રોહડિયાએ નોંધ કરી છે તેમ ડિંગળ ભાષામાં લખાયેલું સાહિત્ય જ ચારણી સાહિત્ય છે તેવું નથી. જે રચના ચારણી છંદશાસ્ત્ર તથા કાવ્યરીતિને અનુસરતી હોય તે ચારણી સાહિત્યની રચના છે. તેમાં કોઇ જાતિવિશેષ કરતા શૈલીવિશેષનું પ્રાધાન્ય છે. આખરે તો સાહિત્ય એ કોઇ પ્રદેશકે જાતિના જે તે સમયના વિચારો તથા લાગણીઓનું પ્રતિબિંબ ઝીલતું હોય છે. આથી ગાંધીયુગના સાહિત્ય પર ગાંધીયુગની અસર જોઇ શકાય છે. ચારણી સાહિત્યના દિગ્ગજ સર્જક રાજ્યકવિ પિંગળશીભાઇએ મહારાજા તખ્તસિંહજીના સમયમાં ડિંગળમાં તેમજ વ્રજભાષામાં કાવ્યોની રચના કરેલી. મહારાજા તખ્તસિંહજીનું મૃત્યુ થયું તે પછી કવિની કલમે જૂદોજ વળાંક લીધો હોય તેવું કવિશ્રીના પૌત્ર બળદેવભાઇનું અવલોકન ઉચિત છે. મહારાજાના નિધનથી કવિની લાગણીઓને ઠેસ પહોંચી છે. કવિ વિશેષ અધ્યાત્ય ભાવ તરફ વળ્યા છે. આ ભાવ નીચેના કવિતમાં વ્યકત થયો છે.

પિતાને સિખાયો કાવ્ય ગ્રંથકો

બતાયો પંથ, ઇનકી કૃપાતે

કછુ રીતિ પર આયો મૈં,

સખે સુખ પાયો નૃપ સેવામેં,

લગાયો ચિત્ત, કવિ મહારાજ

તખ્તસિંહકો કહાયો મૈં,

બહુત અકુલાયો ફીર ઇનકે

વિયોગ હું તે, સ્નેહ ઔર મિથ્યા

ઐસો મનકું સમજાયો મૈં,

સાર ના દિખાયો સબ જૂઠ

દરસાયો જક્ત, ગોવિંદકો,

પિંગલ કે યાતે ગુન ગાયો મૈં.

ભાવનગરના છેલ્લા અને સુવિખ્યાત રાજવી કૃષ્ણકુમારસિંહજીના પુત્ર ર્ડા.વીરભદ્રસિંહજીએ લખ્યું છે કે કવિ પિંગળશીભાઇ જેવી કહેણી ભવિષ્યમાં સાંભળવા મળે તેમ લાગતું નથી કાવ્યત્વ અને કહેણીનો અનુપમ સંગમ કવિશ્રીના વ્યકિતત્વને શોભાવતો હતો. તેઓ રાજય અને પ્રજા બંન્નેનું હિત પારખીને સલાહ આપનારા નિડર અને સત્યવકતા માનવ હતા. કવિશ્રીની પેઢીઓએ ભાવનગર રાજ્યની નિષ્ઠાપૂર્વક સેવા કરવાની સાથે સાહિત્યમાં પણ વિશિષ્ટ યોગદાન આપેલું છે. હમણાં સુધી કવિના પૌત્ર તથા વિવેકમૂર્તિ સમાન બળદેવભાઇ નરેલાએ પોતાની કહેણી તથા કરણીથી સમગ્ર સમાજનો સ્નેહ તથા આદર મેળવ્યા હતા. બળદેવભાઇની પણ રજૂઆતની એક અનોખી તથા પ્રભાવી શૈલી હતી.

ઝવેરચંદ મેઘાણીએ લોકસાહિત્યના ક્ષેત્રમાં ધૂળધોયાનું કામ કર્યું હતું. આથી તેમને આ ક્ષેત્રના હીરાની પરખ એક અનુભવી ઝવેરી જેવી હતી. ચારણી સાહિત્યના જૂના તથા જર્જરિત ચોપડાઓ-દસ્તાવેજોની ભાષા ઉકેલવી અઘરી હતી. મેઘાણીભાઇએ અનુભવના આધારે નોંધ કરી છે કે ચારણી સાહિત્યની આવી અમૂલ્ય હસ્તપ્રતો ઉકેલવાની સૂઝ તથા શકિત કવિરાજશ્રી પિંગળશીભાઇ તથા એ સમયના બીજા એક દિગ્ગજ  વિદ્દવાન ઠારણભાઇ મહેડુને હતી. આવી જાણકારી ધરાવનારા વિદ્દવાનો ઝૂઝ હતા. મેઘાણીભાઇએ સર્જક પિંગળશીબાપુની સ્મૃતિને વંદન કરતા એક માર્મિક ચિંતા પણ વ્યકત કરી છે. મેઘાણીએ અવલોકન કરેલું છે કે પિંગઇશીભાઇ જેવા મેરુ પુરુષની વિદાય પછી વિદ્યાનો આ ભવ્ય વારસો નવી પેઢીના લોકો જાળવી શકે તો એ ઉપકારક બાબત થશે. અંતે તો સ્વસ્થ સમાજના નિર્માણ-નિભાવ માટે સ્વસ્થતા પ્રેરક સાહિત્યનું નિર્માણ કરવું પડશે. પિંગળશીભાઇનું સાહિત્ય સમાજને સ્વસ્થતાના માર્ગે દોરી જઇ શકે તેવું સમૃધ્ધ હતું.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑