જોહાનિસબર્ગથી ડરબન જતા બેરીસ્ટર ગાંધીની આમ તો આ એક રૂટીન મુસાફરી જ હતી. તે મુસાફરી શરૂ થઇ ત્યારે તેની સાથે કોઇ વિશેષ ઘટના કે વિચાર સંકળાયેલા ન હતા. પરંતુ ભાવીના ગર્ભમાં આ મુસાફરી એક અજોડ તથા અદ્વિતીય ઘટના બની રહે તેવા છૂપા સંકેત હતા. કાળની ગતિ આમ પણ ન્યારી છે તે વાતની અહીં પ્રતિતિ થાય છે. મુસાફરી જોહાનિસબર્ગથી શરૂ થતી હતી. રેલ્વે સ્ટેશને એક સામાન્ય પ્રથા છે તે મુજબ ગાંધીજીના મિત્ર પોલાક સફર પર જતાં ગાંધીને વળાવવા માટે આવેલા હતા. સ્ટેશને પોલાકે એક નાની પુસ્તિકા ગાંધીજીના હાથમાં મૂકી. મુસાફરી દરમિયાન આ પુસ્તિકા વાંચી જવા પોલાકે ગાંધીજીને સલાહ પણ આપી. અહીં સુધીની બધી વાત તો નોર્મલ કે ચીલાચાલુ જણાય છે. પરંતુ તોફાન હવે આવવાનું હતું. મિત્ર પોલાકે આપેલા આ પુસ્તકને વાંચ્યા પછી ગાંધી એક નવા વિચારોની આંધીમાં ઘેરાઇ ગયા. પુસ્તકના પ્રતાપે રાતની ઊંધ પણ બગડી. વૃધ્ધ અને અશકત વ્યકિત તથા મૃત વ્યકિતને જોઇને બુધ્ધે જેમ મહાભિનિષ્ક્રમણ કર્યું તેમ સુખી-સંપન્ન તથા સફળ બેરિસ્ટર ગણાતાં ગાંધી પણ એક નૂતન તથા મંગળમય યાત્રા માટે તૈયાર થઇ ગયા. માર્ગ અજાણ્યો હતો. સાધનો અને શકિત હજુ એકઠા કરવાના હતા. પરંતુ લક્ષ સ્પષ્ટ હતું. નિરધાર અડગ હતો. સત્ય-અહિંસા અને સ્વાર્પણના દુનિયાએ જોયા કે અનુભવેલા નહિ તેવા આયુધો સાથે ગાંધીએ વિશ્વકલ્યાણ માટે જીવનના એક નૂતન માર્ગે ડગલા માંડ્યા. રસ્કિનની પોલાકે આપેલી પુસ્તિકામાં પ્રબોધેલા વિચારો અનુસારનું જીવન વ્યતિત કરવાનો ગાંધીનો નિર્ણય મહાભારતની કથાના ભિષ્મ પ્રતિજ્ઞા જેવો છે. ગાંધીજીએ આત્મબળના ભાથે અને આત્મદીપના અજવાળે આ નૂતન માર્ગ પર ડગલા માંડ્યા અને તેના આ નૂતન પ્રયાણથી દુનિયાની અનેક બાબતો બદલી. આ બદલાવની શરૂઆતનું પ્રથમ વિરાટ પગલું એટલે ફિનિકસના નામ સાથેની નવી વસાહત. પોતાની રાખમાંથી પણ પેદા થવાની શકિત ધરાવતા પક્ષી ફિનિકસના નામ સાથે આ નવી વસાહતને જોડીને ગાંધીએ સમગ્ર વિશ્વને મજબૂત સંદેશ આપ્યો. કદાચ બળીને રાખ થઇ જઇએ તો પણ અમારું અસ્તિત્વ ભૂંસાઇ જવાનું નથી તેવી ગગનભેરીનો નાદ દક્ષિણ આફ્રિકાની ભૂમિ ઉપર ગાંધીએ ગજાવ્યો. જગતના કાન અને આંખ આ નૂતન પ્રયાણને નીરખવા અને આંકવા સચેત થયા. સાદું મજૂરીનું ખેડૂતનું જીવન વ્યતિત કરવા માથે કફન બાંધીને નીકળેલા પોરબંદર રાજયના આ દિવાનના દિકરાના વધામણાં કાળ દેવતાએ પણ કદાચ કર્યા હશે. મોહનમાંથી મહાત્મા બનવાની પ્રક્રિયાનો શુભારંભ ફિનિકસથી થયો. ગાંધી વિચારના આજીવન ઉપાસક રામનારાયણ નાગરદાસ પાઠકે મોહનમાંથી મહાત્મા તરીકે પ્રસ્થાપિત થતા મોહનદાસ ગાંધીની કથા કાળજીપૂર્વક લખીને આપણા પર ઋણ ચડાવેલું છે. સુવિખ્યાત વાર્તાકથક તથા સર્જક રામનારાયણભાઇના સાદા, ઘરાળુ અને છતાં વિચારવાહી ગદ્યથી ગાંધી જીવનની વિવિધ છટાઓ પ્રગટ થવા પામી છે તેવું આચાર્ય યશવંત શુકલનું વિધાન સકારણ છે. આપણી ભાષાના સમર્થ સર્જક રામનારાયણ (રામભાઇ) પાઠકે પોતાની સાદી, સરળ પરંતુ સચોટ શૈલીમાં લગભગ એંસી જેટલા પુસ્તકો આપેલા છે તે બાબત તેમને સમર્થ ગદ્યકાર તરીકે પ્રસ્થાપિત કરે છે. ઇ.સ.૧૯૮૮ના જૂલાઇ માસની ચોથી તારીખે તેઓ અનંતની યાત્રાએ ઉપડી ગયા. તેથી જૂલાઇ માસમાં તેમનું વિશેષ સ્મરણ થવું સ્વાભાવિક છે. તેમની વિદાયને ત્રણ દાયકા થવા આવ્યા છે. પરંતુ તેમના અનેક સર્જનોને કારણે તેઓ અક્ષરદેહે હંમેશા આપણી વચ્ચે-આપણી સાથે જીવંત રહેશે. ર્ડા. ઉષાબેન પાઠકે તેમના વિદ્વાન પિતાશ્રીની સ્મૃતિમાં ‘‘સ્મરણોની પાંખે’’ નામથી સ્મૃતિગ્રંથ પ્રગટ કરીને પિતૃતર્પણનું એક ઉજળું અને યાદગાર કામ કરેલું છે. રામભાઇ તથા તેમના ધર્મપત્ની નર્મદાબેનના ચરિત્ર ભાવિ પેઢીઓને જીવતરનું ઘડતર કરવામાં માર્ગદર્શક બને તેવા છે. રામભાઇ જેવા ગાંધીના ગોવાળોએ બાપુની વિદાય પછી પણ બાપુને પ્રિય હતા એવા સમાજસેવાના કાર્યો કરીને ગાંધી-વિચારને સતત જીવંત તથા ધબકતા રાખ્યા છે. ગાંધી ગયા તે પછીના સમયમાં પરિવર્તનના વિવિધ સ્વરૂપો સમાજ જીવન સામે આવ્યા. તેમાંના કેટલાક આવકારદાયક તો કેટલાક લાંબા ગાળે સમાજ માટે હિતકારી ન હોય તેવા હતા. આવા વિધ વિધ પ્રવાહો વચ્ચે પણ રામભાઇ-નર્મદાબેન જેવા સાધકોએ સાચી દિશા પારખીને ગાંધી વિચારનો દિવો ઝળહળતો રાખ્યો. સમસ્યાઓને સમજીને વ્યાપક સમાજહિતમાં તેના ઉકેલ માટે યથાશકિત અને અવિરત પ્રયાસ કર્યા. બાપુને પ્રિય એવી સતત કર્મ કરતા રહેવાની વૃત્તિ તેમણે જીવતરથી સહેજ પણ અળગી ન કરી. કવિ વેણીભાઇ પુરોહિતના શબ્દો આ સંદર્ભમાં યાદ આવે છે.
થાકે ન થાકે છતાંયે
હો માનવી, ન લેજે વિસામો
ને ઝૂઝજે એકલ બાંયે
હો માનવી, ન લેજે વિસામો
રામભાઇ તથા નર્મદાબેન વિશે લખતા પ્રા. પુરોષત્તમ ગણેશ માવળંકરે તેમને ‘‘ભાવ-ભૂખ્યાં’’ અને ‘‘ભાવ-સમૃધ્ધ’’ દંપતી તરીકે ઓળખાવીને પોતાનો આદર વ્યકત કર્યો છે. ગાંધી ગુણે આ દંપતીનું જીવન હંમેશા ભવ્ય તથા શોભાયમાન રહયું. રામભાઇએ જે પુસ્તકો લખ્યા તેમાં રહેલા ઊંડાણ તથા સત્વની અનેક સાહિત્યકારોએ મુકત મને પ્રશંસા કરેલી છે.
ગાંધીયુગની આકાશગંગાના રામનારાયણ નાગરદાસ પાઠક જેવા તેજસ્વી તારલાઓને જોઇને અહોભાવ થાય સિવાય રહે નહિ. આ તેજસ્વી વ્યક્તિઓના જીવન કર્મઠ રહયા. તેમણે શ્રમનું ગૌરવ કર્યું. ગમે તે ભોગે અને ગમે તેવા કપરા સંજોગોમાં પણ તેમણે જીવનના મૂલ્યોને જાળવી રાખ્યા. અડગ થઇને-અડગ રહીને જીવ્યા અને સમાજને તેનો ખોબે અને ધોબે લાભ પણ થયો. શાયર ‘ગની’ દહીંવાલાએ લખ્યું છે તેમ આવા લોકોની હંમેશા ખોટ વર્તાયા કરશે.
જો અડગ રહેવાનો નિશ્ચય
ધરતીના જાયા કરે, એ
પડે તો એનું રક્ષણ
એના પડછાયા કરે,
જિંદગીનો એજ સાચેસાચ
પડધો છે ‘ગની’, હોય ના વ્યકિત
ને એનું નામ બોલાયા કરે.
વી. એસ. ગઢવી
ગાંધીનગર.
Leave a comment