: …વાટે…ઘાટે… : સ્વરાજ્ય મારો જન્મસિધ્ધ હક્ક છે : તે લઇનેજ જંપીશ :

‘‘ સ્વરાજ્ય એ મારો જન્મસિધ્ધ હક્ક છે અને હું તે લઇનેજ    જંપીશ ’’ એ સૂત્ર કોઇ વિધાન કરવા ખાતર વહેતું મૂકાયેલું ન હતું. આ સૂત્ર એ અવિરત સંઘર્ષ તથા સમર્પણના બળે કરવામાં આવેલો સિંહની ગર્જના સમાન પ્રભાવી નાદ હતો. સૂત્ર જગતના ચોકમાં નિર્ભયતાથી તથા છલોછલ આત્મવિશ્વાસથી રજૂ કરનાર નર કેસરી બાળગંગાધર એ ખરા અર્થમાં ‘લોકમાન્ય’ હતા. મહારાષ્ટ્રના રત્નાગિરી પ્રદેશનું આ રત્ન ગાંધીયુગ પહેલા ભારતીયોની શ્રધ્ધાનું કેન્દ્ર સમાન હતું. ‘કેસરી’ અખબારના સર્જક અને સંચાલક લોકમાન્ય તીલક હિન્દુસ્તાનની પ્રજામાં જોમ પેદા કરનાર મોભી હતા. ઇ.સ. ૧૮૫૬ ના જુલાઇ માસની ૨૩મી તારીખે ટિળકનો જન્મ થયો હતો. આથી લોકમાન્ય ટિળકની સવિશેષ સ્મૃતિ જુલાઇ માસમાં થાય તે સ્વાભાવિક છે. લાલ – બાલ અને પાલની ત્રિપુટીએ આઝાદી પ્રાપ્ત કરવા ગોરા શાસકોની ભીખ માંગવા માટે નહિ પરંતુ અવિરત સંઘર્ષ કરવા વ્યાપક લોકમત ઊભો કર્યો હતો. ૧૮૦૯ માં તીલકની ધરપકડ કરીને બ્રિટિશ સરકારે મુકદ્દમો ચલાવ્યો. આપણાં દેશના કેટલાક કાનૂની મુકદ્દમાઓ યાદગાર રહેલા છે. ટિળક સામેનો કેસ અને તેનો બચાવ એ પણ આપણાં ઐતિહાસિક તથા અનોખા દસ્તાવેજ સમાન છે. કેસ ચલાવનાર ન્યાયમૂર્તિઓની જૂરી સામે તેમણે પોતાનું ૨૧ કલાકનું જાનદાર તથા તર્કબધ્ધ સંબોધન રજૂ કર્યું. ટિળકની બુધ્ધિ પ્રતિભા તથા કાનૂની સમજ તેમાં સ્પષ્ટ રીતે તરી આવે તેવા હતા. આઝાદ થવા મથામણ કરતાં દેશના લોકોની અંતરની અકળામણને તિલક મહારાજે જાણે અદાલતના આંગણે શબ્દદેહ આપેલો હતો. તેમની સામે મૂકવામાં આવેલા તેમના અખબારી લખાણો અંગેના આરોપ સામે તેઓએ એક નિડર પત્રકારને છાજે તેવી દલીલ કરી. તેમણે અદાલતને જણાવ્યું કે પરિસ્થિતિ જ્યારે ઉગ્ર અને અશાંત હોય ત્યારે અશાંતિના કારણો સરકારના મનમાં ઠસાવવાની પત્રકાર તરીકે તેમની ફરજ હતી જે તેમણે નિષ્ઠાથી બજાવી હતી. આ બાબત લોકમાન્યના મતે પ્રજાના વ્યાપક હિત માટે કરવી જરૂરી હતી અને તેમનો અખબારી ધર્મ પણ હતો. તેમણે કેટલાક સરકારના ટેકામાં રહીને પ્રજાહિત વિરૂધ્ધ લખાણ કરતા અખબારોની નિષ્ઠા બાબતમાં સણસણતો પ્રશ્ન પણ રજૂ કર્યો. જુરીને ટિળકના લખાણો રાજદ્રોહથી ભરપૂર જણાયા. ટિળકની સત્ય હકીકતો પર આધારીત તર્કબધ્ધ દલીલો સામે એડવોકેટ જનરલની શાસન તરફી દલીલોને માનવા તરફ જૂરીનો ઝૂકાવ રહ્યો. ટિળકને દેશમાંથી બહાર મોકલવા માટે દેશ નિકાલની સજા કરવામાં આવી. આ સજા પણ છ વર્ષની લાંબી અવધિ માટે ફરમાવવામાં આવી. ટિળકના યાદગાર શબ્દોનો તે ક્ષણે દેશ શાક્ષી બન્યો. તેમણે ગર્જના કરી. 

‘‘ જૂરી ગમે તે કહે પરંતુ હું નિદોર્ષ છું. વ્યક્તિ તથા રાષ્ટ્રનું ભાગ્ય ઘડનાર આ અદાલત કરતા વધુ ઉચ્ચ શક્તિ અસ્તિત્વ ધરાવે છે. જે ધ્યેયના કારણે હું લડી રહ્યો છું તેનો ઉત્કર્ષ મારી મુક્તિ કરતા મારી યાતનાથી થશે. ’’ કાળની તે ક્ષણોને ટિળક મહારાજની વાણીએ પાવક બનાવી. રામપ્રસાદ ‘‘બિસ્મીલ’’ ના શબ્દો યાદ આવે.

વક્ત આને દે બતા દેંગે

તુજે ઐ આસમાં

હમ અભીસે ક્યા બતાયે

ક્યા હમારે દિલ મેં હૈ

સરફરોશી કી તમન્ના

અબ હમારે દિલ મેં હૈ.

લોકમાન્યને ક્રાંતિકારીઓ તરફ એક વિશેષ લગાવ હતો. શિર ઉપર કફન બાંધીને પૂર્ણ બલિદાનની ભાવના સાથે નીકળી પડેલા આ મરજીવાઓના દબાણની અસર ગોરી સરકારે વખતો વખત અનુભવી છે. ટિળક યુવાન હતા ત્યારે પુનામાં વાસુદેવ બળવંત ફડકેને તેમણે ક્રાંતિની મશાલ ઉપાડતા નીરખ્યા હતા. ટિળકના મન પર આવી ઘટનાઓની ઊંડી અસર હતી. રાસબિહારી બોઝ, નાના સાહેબ પેશ્વા તેમજ વિખ્યાત ક્રાંતિકારી ચાફેકર બંધુઓ તરફ તેમની અંતરની શ્રધ્ધા હતી. આમછતાં અવિરત અને દીર્ઘ બંધારણીય લડત દેશને મુક્ત કરવા માટે અનિવાર્ય છે તેની પણ પ્રતિતિ તેમને હતી. ‘કેસરી’ સમાચાર પત્રના માધ્યમથી તેઓ દેશના મુક્તિ સંગ્રામમાં પૂરકબળ બને તેવી ઘટનાઓ –વિગતો સીફતપૂર્વક પ્રકાશિત કરતા હતા. અખબારના માધ્યમથી વ્યાપક જનસમૂહને જાગૃત કરવાની આ અસરકારક પ્રથા તરફ બ્રિટીશ અમલદારોની હમેશા કરડી નજર રહી હતી. ક્રાંતિવીરોના કાર્યોનો ટિળકનો બચાવ તર્કબધ્ધ અને પ્રભાવી રહેલો હતો. ૧૮૫૬ માં ટિળકનો જન્મ થયેલો. ૧૮૫૭ માં બ્રિટીશ સત્તાને ઉથલાવી નાખવાનો પ્રયાસ થયેલો. આ ઐતિહાસિક પ્રયાસને મળેલી નિષ્ફળતાના કારણોના ટિળક ઊંડા અભ્યાસુ હતા. ભવિષ્યની લડતમાં આવી ક્ષતિઓ ન રહે તેવા સ્વસ્થ વિચારો તેમણે અનેક યુવાનોમાં મનમાં ઊંડે સુધી રોપ્યા હતા. દાદાભાઇ નવરોજી અને લોકમાન્ય તરફથી મુક્તિ માટેની ચળવળના મજબૂત પાયા નાખવામાં આવ્યા હતા. તેણે ગાંધીજીના કાર્યને થોડું સુગમ બનાવ્યું હતું. 

જાણીતા વિદ્વાન શ્રી એન. સી. કેલકરના મતે ટિળકે નૂતન રાષ્ટ્રીય ઉત્સવોની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી. લોકમાન્યને સાંપડેલી અનેક યશ કલગીઓમાં આ એક મહત્વની યશ કલગી છે. લોકમાન્યની આ કામગીરી વ્યૂહાત્મક રીતે પણ ખૂબજ અસરકારક પુરવાર થઇ હતી. ‘ગણપતિ બાપા મોરીયા’ અને સ્વાભિમાની વીર શિવાજી મહારાજની સ્મૃતિમાં ઉત્સવોના માધ્યમથી ઉજવણી થાય અને તેમાં દેશની મુક્તિના કાર્યને વેગ મળે તેવું આયોજન થાય તેવી ચોક્કસ ગણતરી ટિળકની હતી. ઇતિહાસકારોના મતે ટિળકનું ચાતુર્ય ઉત્સવો શરૂ
કરવામાં તો છેજ પરંતુ તેને એક સામુદાયિક સ્વરૂપ આપીને પ્રજામાં રાષ્ટ્રીય ઉત્સાહનું સર્જન કરવામાં સવિશેષ છે. ઉત્સવો થકી સામાન્ય લોકો પણ એક અલગ ખુમારી સાથે મુકિત સંગ્રામમાં જોડાયા. તિલક પહેલી ઓગસ્ટ ૧૯૨૦ ના દિવસે અનંતની યાત્રાએ ઉપડી ગયા. ગાંધીજીએ નોંધ કરી : ‘‘ અભિનવ ભારતના જનક તરીકે તેમનું નામ અજરામર થશે. તિલક જેવું ભવ્ય મૃત્યુ આજ લગી કોઇ લોકનાયકના ભાગે નથી આવ્યું. ’’ ટિળક મહારાજ ગીતા રહસ્ય લખીને પણ આવનારી અનેક પેઢીઓ પર ઋણ ચડાવીને ગયા છે. હિન્દુસ્તાન કદી આ લોકમાન્ય ‘બાલ’ ને વિસરી શકશે નહિ.

વી. એસ. ગઢવી

ગાંધીનગર.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑