દન ગણંતા જેઠે ગયો
કાળી ઘટા ઘન કાઢ
એણી પેરે કાના આવજો !
આયો માસ અષાઢ.
આપણો નાળ સંબંધ – આપણો સહજ સંબંધ પ્રકૃતિ સાથે અભિન્ન રીતે બંધાયો છે. અષાઢી બીજનો દિવસ કોરો જાય અને વરસાદ રાહ જોવરાવે ત્યારે તમામ લોકોને મનમાં કંઇક ખટક્યા કરે છે. જીવનમાં કંઇક ખૂટતું હોય, કશુંક ઓછું હોય તેવો ભાવ થયા કરે છે. વરસાદ સાથે ગ્રામ જીવન – કૃષિ જીવનને તો આર્થિક પરિબળોને કારણે પણ એક જોડાણ હોય છે. વરસાદ આવે તો જ કૃષિકારને ખેતીની આબાદીનો અનુભવ થાય. પરંતુ આજે તો દેશની કૂલ વસતીનો ઘણો મોટો ભાગ શહેરો કે નાના નગરોમાં વસે છે. શહેરીકરણની અવિરત ચાલતી પ્રક્રિયાના કારણે ગામડાઓમાંથી નગરોમાં વસવાટ કરવા માટે જનાર લોકોની વણઝાર મંદ પડતી નથી. આથી ખેતીના વ્યવસાય સાથે કે પશુપાલનના વ્યવસાય સાથે કોઇ સીધો સંબંધ ન ધરાવતા હોય તેવા લોકોને વરસાદની પરવા નથી તેમ માની શકાય તેવું નથી. શહેરીજનો પણ અનેક કારણોસર વરસાદની કાગડોળેજ રાહ જોતા હોય છે. આ બાબત એ વાતનું આશ્વાસન આપે છે કે પ્રકૃતિ સાથેનો આપણો નાતો કોઇ મર્યાદિત ગણતરી પર આધારીત નથી. પૃથ્વી તથા પ્રકૃતિ સાથેનો આપણો સંબંધ ક્ષીણ થયો હોય તેમ કહેવું તે પૂર્ણ સત્ય નથી. વરસાદ થાય કે તરતજ વરસાદી મોજ લેવા આપણાં તમામ લોકો નીકળી પડે છે તે દ્રશ્ય જોવું આહલાદક હોય છે. ઋતુઓ સાથેનો આ સંબંધ જે કવિ કુલગુરુ કાળિદાસે ગાયો હતો તે આજે પણ અતીતની ધૂણી જેમ ધખી રહેલો છે, જીવંત છે. કવિ ગુરુ ટાગોરના ઉત્તમ વર્ષાગીતો ઝવેરચંદ મેઘાણીએ આપણી ભાષામાં કૂશળતાપૂર્વક ઉતારેલા છે. ‘‘મન મોર બની થનગાટ કરે’’ નો કવિગુરુનો ઉત્કટ ભાવ મેઘાણી સિવાય આપણાં સુધી પહોંચી શક્યો ન હોત. વરસાદની જેમ કુદરતી જળાશયો માટે પણ ગ્રામજનો તેમજ નગરજનોના મનમાં એક ખેંચાણ રહે છે. ભૂજ (કચ્છ) માં હમીસર તળાવ છલકાય (ઓગને) ત્યારે નગરજનોના ચહેરા પણ એક વિશેષ પ્રસન્નતાનો ભાવ આજે પણ નીરખી શકાય છે. પ્રકૃતિના આવા બદલાતાં સ્વરૂપને કળાત્મક રીતે વ્યક્ત કરતાં ઋતુગાનનો એક અનોખો મહિમા આપણાં સમાજ જીવન સાથે સૈકાઓથી જોડાયેલો રહ્યો છે. આપણાં ગુજરાતી ફીલ્મના નિર્માતાઓએ આવા ગીતો – પ્રસંગોને કેન્દ્રમાં રાખીને બોક્સ ઓફિસ હીટ ફિલ્મો બનાવી છે. પ્રકૃતિમાં પરિવર્તન થાય તેની નોંધ ગ્રામજનો લેતા હોય છે અને તેમના અંતરની લાગણી લોકજીભે ચડેલા ગીતોથી વહેતી થાય છે.
વા વાયા ને વાદળ ઉમટ્યાં –
ગોકુળમાં ટહુક્યા મોર….
મળવા આવો સુંદરવર શામળિયા-
તમે મળવા તે નાવો શા માટે
નહિ આવો તો નંદજીની આણ-
મળવા આવો સુંદરવર શામળિયા.
પ્રકૃતિમાં પહેલા વરસાદની સુગંધ પ્રસરે અને તરતજ લોકસમુહને આ નર્તન સાથે જોડાયેલા નંદલાલનું સ્મરણ થાય છે. આમ જૂઓ તો જીવનનો ઉલ્લાસ આવા લોકજીભે ચડેલા ગીતોમાં ઊભરાતો જોઇ શકાય છે. આ ગીતોની સરળતા એજ કદાચ તેની ભવ્યતા છે. વૃંદગાનની આવી સરળતા અને પ્રસંગને અનુરૂપ ભાવ ઉત્કટતાને કારણે તેઓ ચિરંજીવી થયા છે. ગવાતા રહ્યા છે. હમેશા ઝીલાતા રહ્યા છે અને કદાચ બદલાતા સમયમાં પણ તેમનો ઠસ્સો ભવિષ્યમાં અકબંધ રહેશે. આ ગીતો માનવ સંબંધોને જોડનારા રહ્યા છે. આથીજ કાકાસાહેબ જેવા વિદ્વાન લોકગીતને ‘સાહિત્યનું મૂળ ધન’ કહે છે. ગીતો થકીજ આપણાં લોકનૃત્યો અસ્તિત્વમાં આવ્યા છે અને ટકી શક્યા છે. લોકગીતોની રચના કોણે કરી હશે તેનો કોઇ ઉત્તર મળી શકતો નથી. લોકગીતોના ઉદ્દગમનો સ્ત્રોત ‘જ્ઞાત છતાં અજ્ઞાત’ તેવું શ્રી જયમલ્લ પરમારે નોંધેલું છે. મેઘાણીભાઇએ એક પીઢ સંશોધક તરીકે લખેલા શબ્દો ફરી ફરી સાંભળવા ગમે તેવા છે. :
‘‘ જગતના ઉત્તમ ગણાતા કાવ્યની આછી ઘેરી રેખાઓ ધારણ કરતી આ કંઠસ્થ કૃતિઓ ઉપર કયા અથવા તો એકસામટા કેટલા સર્જકોનો હાથ ફર્યો હશે તેની ગમ આપણને પડતી નથી. ’’
મેઘો ચડિયો રે કાળી
કાંઠીનો મેઘ, આજનો
ચઢાઉ મેઘ વરસિયો.
પહેલો વરસ્યો મારા
દાદાને દેશ,પછી
વરસ્યો બધાયે દેશમાં.
કાળી કાંઠીનો મેઘ વરસ્યો છે તેનો અપૂર્વ આનંદ દૂર સુદૂર બેઠેલી દીકરીને થાય છે. પરંતુ મેઘ પહેલા તો મારા દાદાના દેશમાં વરસ્યો છે તેમ કહીને ક્યારના છૂટી ગયેલા પિતૃગ્રહ સાથેનું દીકરીનું સ્નેહ જોડાણ મેઘના આવા મીઠા આગમન સાથે જોડાય છે. નારી જીવનના ભાવો આપણાં લોકગીતોમાં એક અનોખી ઉત્કટતાથી ઝીલાયા છે. વરસાદમાં પ્રિયજનની વિદાય અનેક કોડ જેના મનમાં છે તેવી માનુનીને ખટકે છે. આ સમય ચાકરી (નોકરી)એ જવાનો નથી તેની સ્મૃતિ તાજી કરાવે છે.
આભમાં ઝીણી ઝબૂકે
વીજળી રે, ઝીણા ઝરમર
વરસે મેહ, ગુલાબી
નહિ જાવા દઉં ચાકરી રે.
પરમેશ્વર તથા પ્રકૃતિની એકસૂત્રતા કે અભિન્નતા નરસિંહે નીહાળી છે. આવા દર્શન પછી નરસિંહના ગજાના કવિને જે ઊર્મિ ઉછાળ થયો તેનો પ્રસાદ આપણી ભાષાના અસંખ્ય લોકોએ મનભરીને આરોગ્યો છે. નરસિંહનું મેઘ અને માધવનું આ ભાતીગળ દર્શન અમર રહેવા સર્જાયું છે.
મેહુલો ગાજે ને માધવ
નાચે, રુમઝુમ વાગે પાયે
ઘૂઘરડી રે, તાલ પખાલ
વજાડે રે ગોપી, વહાલો
વજાડે વેણુ વાંસલડી રે.
ધન બંસીવટ ધન જમનાતટ
ધન ધન આ અવતાર રે
ધન નરસૈયાની જીભલડી ને
જેણે ગાયો રાગ મલ્હાર રે.
નરસિંહને મેઘ તથા માધવના દર્શનની ધન્યતાનો અનુભવ થયો. વર્ષાઋતુના દર્શનથી ધન્ય થવાનો આ સમય છે. શરત માત્ર કુદરતની આ ભવ્યતા નીરખવા સજ્જતા કેળવવાની છે. આવી સજ્જતા – દ્રષ્ટિ કેળવવાનો યથાશક્તિ પ્રયાસ સૌએ કરવા જેવો છે. આ સર્વસુલભ સૌંદર્ય આપણી સામુહિક સંપદા છે.
વી. એસ. ગઢવી
ગાંધીનગર.
Leave a comment