: સંસ્કૃતિ : : ક્યાંક જાગે કલંદરી ગાફિલ : એ ન હો તો કલામ ખાલી છે

manubhai-trivedi-sarod-gafil

‘‘ સૌરાષ્ટ્રના કોઇ નાનકડા ગામને પાદર આવેલા નાના શા મંદિરના ઓટા પર બેસી ખોળામાં રામસાગર લઇ, ધીમા સૂરે, સૂઝે તેવા ભજનો ગાતા કોઇ અલ્હડ બાવાનો હું સીધો વારસદાર છું. તે વારસો જાળવવો કઠણ છે, છતાં અણઘડ વાણીમાં જેવાં આવડે તેવા ભજનો ગાઇ મારો રામ રીઝવવા મથું છું. ’’ લગભગ ચાર દાયકા પહેલા આપણી વચ્ચેથી આચિંતાજ ‘‘પછેડી ઝાટકીને ઊભા થઇ ગયેલા’’ આ સર્જક સાહિત્ય પ્રેમીઓના દિલમાં સ્થાયી સ્થાન જમાવીને બેઠા છે. સરોદ તથા ગાફિલના સુંદર ઉપનામોથી જાણીતા આ સર્જક શબદની અખંડ સરવાણી વહાવીને જીવી ગયા છે. કવિ સરોદ તેમની રચનાઓ થકી અસંખ્ય ભાવકોના દિલમાં જીવંત તથા ધબકતા રહેવાના છે તે બાબત નિર્વિવાદ છે. જુલાઇની ૨૭મી તારીખ કવિ સરોદની જન્મજયંતિ છે. તેથી તેમનું વિશેષ સ્મરણ થાય તે સ્વાભાવિક છે.

સંતવાણીની અસરકારતા તથા તેની વ્યાપક લોકસ્વીકૃતિ આજે પણ અસ્તિત્વમાં છે. કવિ શ્રી હરિકૃષ્ણ પાઠક કહે છે તેમ મધ્યકાલિન સંતવાણીની ઉજળી પરંપરાની એક અભિન્ન કડીની જેમ ભક્તિકવિતા અર્વાચીન કવિતામાં પણ ઉતરી આવી છે. આવી ભજનવાણીના એક મીઠા સર્જક એટલે કવિ શ્રી મનુભાઇ ત્રિવેદી (સરોદ). (૧૯૧૪-૧૯૭૨) સ્વામીદાદા (સ્વામી આનંદ) પોતાની અનોખી શૈલિમાં લખે છે કે સરોદના ભજનો અંતરની આરત તથા આકુળ વ્યથામાંથી જન્મેલા છે. યોગાનુયોગ કવિ શ્રી મનુભાઇ ત્રિવેદી (સરોદ) ની જન્મશતાબ્દીનું વર્ષ બે વર્ષ પહેલાજ ગયું. તેમનું સ્મરણ તો સાહિત્યપ્રેમીઓમાં ચિરકાળ સુધી રહેશે. વ્યવસાયે ન્યાય કરનારા (ન્યાયાધિશ) આ ન્યાયપ્રિય કવિએ કાવ્યતત્વને પણ ઉચિત ન્યાય કર્યો છે. ભજનો અને ગઝલો – એ બન્ને સ્વરૂપોમાં કવિશ્રીએ પોતાના આગવા       રંગ પૂર્યા છે. કાવ્યના આ બન્ને સ્વરૂપોની ઉપાસના કેમ કરી ? કવિની આ અંગેની કેફિયત કાન માંડીને સાંભળવા જેવી છે.

‘‘ ન ગાઉં કેમ હું ભજનોની સાથે ગઝલો પણ ગાફિલ ?

અહીં ખેંચે છે મીરાંબાઇ, તો ત્યાં મીર ખેંચે છે. ’’

      કવિ શ્રી મનુભાઇ ત્રિવેદીના ભજનોમાં ‘‘ ઘૂંટેલી ભાષાના ઊંડાણ ’’ છે તથા ગહન વાતોને, તેના મર્મને સહજ રીતે શબ્દોમાં ઢાળવાની કવિની શક્તિ સૌની દાદ મેળવે તેવી છે.

આપ કરી લે ઓળખાણ

એ સાચા શબદના પરમાણ.

સાકર કહે નહિ, હું છું મીઠી,

વીજ ન પૂછે, મુજને દીઠી ?

મોત બતાવે ન યમની ચીઠ્ઠી,

પેખ્યામાંજ પિછાણ

એ સાચા શબદના પરમાણ.

કોયલ ટહુકે આંબા ડાળે

અંગ ન તોડે કંઠ ન વાળે

ગંગા વહતી સમથળ ઢાળે

ખેંચ નહિ, નહિ તાણ

એ સાચા શબદનાં પરમાણ.

ફૂલ ખીલે નિત નવ જેમ ક્યારે,

શ્વાસ લીએ ને સૌરભ સારે

અંતરથી જેમ ઊઠે ત્યારે

વહે સ્વયંભૂ વાણ

એ સાચા શબદનાં પરમાણ.

      શબ્દોની શક્તિ કેવી પ્રચંડ હશે ? સાચા શબ્દો કોઇની ઓળખના મહોતાજ નથી. શબ્દો સ્વયં પોતાની ઓળખ ઊભી કરે છે, પ્રસરાવે છે તથા તેની આંતરિક શક્તિથીજ ટકી રહે છે. સાકરને ક્યારેય સોગંદનામું રજૂ કરવું પડતું નથી કે હું મીઠી છું ! વીજળીનેય ક્યાં તેના આગમનની જાણ કરવા કોલબેલ દબાવવી પડે છે ? શબ્દોતો સ્વયં પ્રકાશિત છે, પ્રભાવી છે. કુદરત સર્જીત વિવિધ ઘટનાઓ ખૂબજ સરળ – સહજ રીતે મોટાભાગે આપણી નજર સમક્ષ પ્રગટ થતી હોય છે. કોયલને તેના મધુર ગાનની કર્ણપ્રિયતા સિધ્ધ કરવા કોઇ ખાસ પ્રયાસ કરવા પડતા નથી. તેનો ટહૂકોજ સૃષ્ટિમાં પ્રસન્નતાનો ભાવ પેદા કરે છે. દ્રષ્ટિ હોય તો આ કુદરતની ઘટનાઓનો સીલસીલો આંખવગો – કાનવગો છે. દરેકને તે સહેજે ઉપલબ્ધ છે. શબ્દ કેવો અનેક રૂપ-સ્વરૂપે વિલસી રહે છે તેની વાત કવિએ કરી છે. માત્ર તેની ઓળખ કરવાની દ્રષ્ટિ કેળવવાની વાત છે. પુષ્પના ખીલવાની તથા તેની વિશિષ્ટ સૌરભના પ્રસરવાની ઘટના પણ આજ ક્રમની એક અભિન્ન કડી છે. ફૂલના જીવનની સાર્થકતા પણ તેની આ સ્વયંભૂ સૌરભ પ્રસરાવવાના કામમાં છે. તેની સ્વૈચ્છિક પ્રતિબધ્ધતામાં છે. કવિ શ્રી મકરંદ દવે કહે છે તેમ ફૂલ તો ફોરમ પ્રસરાવીનેજ પ્રસન્નતા પામે છે.

ફૂલતો એની ફોરમ ઢાળી રાજી

એક ખૂણામાં આયખું નાનું,

કેવું વીતી જાય મજાનું

કોઇનું નહિ ફરિયાદી ને

કોઇનું નહિ કાજી !

ફૂલ તો એની ફોરમ ઢાળી રાજી.

      ગુજરાતમાં અનેક સ્થળોએ કવિશ્રીએ સેવાઓ આપેલી છે. છેલ્લે ૧૯૭૨ માં તેઓ અમદાવાદ સ્મોલ કોઝ કોર્ટમાં જજ તરીકે ફરજ બજાવતા હતા. આ દરમિયાન તેઓ એક દિવસ અમદાવાદના ટાઉનહોલમાં યોજવામાં આવેલા મુશાયરામાં શ્રોતા તરીકે ગયા હતા. મિત્રોના આગ્રહને કારણે મંચ પર જઇને ગઝલ રજૂ કરી. દુર્ભાગ્યવશ આ પછી તરતજ કવિની તબિયત લથડી અને તેઓ નવમી એપ્રિલ-૧૯૭૨ ના રોજ અનંતની યાત્રાએ ઉપડી ગયા. જીવનની ઢળતી સંધ્યાએ તેમણે લખેલી ગઝલ સંકેતમય બની રહી.

જુદી જિંદગી છે મિજાજે મિજાજે

જુદી બંદગી છે નમાજે નમાજે.

છે એકજ સમંદર થયું એટલે શું ?

જુદા છે મુસાફર જહાજે જહાજે.

જીવન જેમ જુદા છે, કાયામાં જુદી

છે મુત્યુય જુદા જનાજે જનાજે.

કવિ શ્રી ‘સરોદ’ ના આંતરિક જીવનસત્વનું પ્રતિબિંબ તેમની રચનાઓમાં ઝીલાયું છે. શ્રી બચુચાઇ રાવત લખે છે તેમ આ સત્વની પ્રાપ્તિ તેમણે અનેક સાધકો – સંતોના સમાગમથીજ કરેલી હશે. કવિને કલંદરીનો મોટો મહિમા છે.

જગતને કરી દે ગમે ત્યારે જાગૃત

કલંદરના નારા છે મારી ગઝલમાં

ક્યાંક જાગે કલંદરી ગાફિલ

એ ન હો તો કલામ ખાલી છે.

      જીવનમાં જે મળ્યું છે તે ઇશ્વરની દેન છે. કવિનો ભાવ તેના સંપૂર્ણ સ્વીકાર તરફનો છે. નીચેના શબ્દોમાં કવિના આવા ભાવની અસરકારક અભિવ્યક્તિ છે.

અમને ભલા શું હોય ખુશી,

હોય યા ગમી ? એણે દીધી,

સ્વીકાર કર્યો એ દશા ગમી.

કાંઠો ઊતરતાં કહેવું પડ્યું વિશ્વસિંધુને,

જીવન ગમ્યું જુવાળ ગમ્યો, જાતરા ગમી.

અધ્યાત્મ શિખરની ઊંચાઇને સહજતાથી આંબી જનાર કવિ અસામાન્ય વિવેક ધરાવતા હતા. સ્વામી આનંદે એક વખત તેમને ‘ભક્તરાજ’ કહીને બીરાદાવ્યા તો તરતજ તેનો વિરોધ કરેલો. સૌજન્ય તથા વિવેક જાણે તેમના ઘટઘટમાં પ્રસરેલા હતા. આથીજ કવિ સરોદ મકરંદભાઇ – સ્વામીદાદા તથા અનેક સાહિત્યપ્રેમીઓના પ્રિય પાત્ર સમાન હતા.

      મધ્યયુગના ભજનીક સંતોને મેઘાણીભાઇએ ‘‘કવિભક્તો’’ કહ્યાં છે તે સર્વથા ઉચિત છે. આ સંતવાણીના સર્જકો તથા વાહકોજ ખરાં અર્થમાં મીરાં – કબીર અને નરસિંહના અનુગામીઓ હતા. ઊર્મિના ઊંડા આવેશથી તેમની રચનાઓ હરી ભરી રહી છે. કોઇ પ્રસિધ્ધિ કે કીર્તિ માટે તેમની કલમ ચાલી નથી. અખંડ ધણી સાથેના અનુસંધાન માટેની જ ભક્ત-કવિઓની આજીવન શબદ ઉપાસના રહી છે. ઘણાં સંત-કવિઓ સામાન્ય ગ્રહસ્થજીવન ગાળીને તથા પોતાની સાંસારીક જવાબદારીઓ પાર પાડતા પાડતા હરઘડી ભજન મસ્તીમાં રત રહેલા છે. આડંબર કે મોટાઇનો કોઇ ભાવ તેમના જીવન કે કવનમાં લેશમાત્ર જોવા મળતો નથી. આતમને જગાડતી તેમની વાણી કાળજયી છે. અલખ ધણીને પોતાની પૂજા સ્વીકારી લેવાની તેમાં આર્તવાણી છે.

પૂજા મારી માની લેજો

સ્વામી સૂંઢાળા રે…

ગણપતિ દેવા રે…

ખોલો મારા રુદિયાના તાળાં રે…

      ભક્તિ આંદોલનનો આ પ્રવાહ સદીઓ સુધી આપણી સંસ્કૃતિ અને પરંપરાને સાચવીને ઊભો છે. ત્યાં કોઇ જાતિ પાતિને સ્થાન નથી. ઊંચ-નીચનો વિચાર સુધ્ધા નથી.

જાતિ – પાતિ પૂછે નહિ કોઇ

હરિ કો ભજે સૌ હરિકા હોઇ.

વીજળીના ચમકારે સંતવાણીના આ સર્જકોએ મોંઘેરા મોતી આતમ સૂઝથી પરોવ્યા છે. તેમણે જે શબ્દ થકી ઉપાસના કરી છે તે સૂર તો તેમને ભીતરથી પ્રાપ્ત થયેલા છે. દોરંગી દુનિયાની ગલીકૂંચીમાં આ સર્જક ભૂલો પડ્યો નથી. જગતના વ્યવહારોની કડવી-મીઠીનો કાવો કરીને આ સર્જકોએ હોંશભેર પીધો છે. સરોદ સાહેબ લખે છે :

દુનિયા દોરંગી એને દવલી ન લાગે

એ તો મોતનોય  કરતો મલાવો

કહે છે કે દુનિયાની કડવી ને મીઠી ભાઇ

હોંશે પી જાવ કરી કાવો

હેજી ! મારે ભીતર બોલે કોઇ બાવો

સહુને કહે છે આવો આવો.

      કવિ ઓચિંતા જ ગયા તેનો આઘાત અનેક સાહિત્યપ્રેમીઓને લાગ્યો. પરંતુ આ સર્જક તો મુત્યુનો પયગામ વહેલા સાંભળી ગયો હોય તેમ લખે છે :

ઊઠતી બજારે હાટ હવે કેટલો વખત ?

વહેવારના ઉચાટ હવે કેટલો વખત ?

કાનાએ કાંકરી હવે લીધી છે હાથમાં,

અકબંધ રહેશે માટ કેટલો વખત ?

      સરોદની ભવજનવાણીના સુંદર સર્જનોને સાંઇ મકરંદે ‘‘ જીવનના તાજાં, શેડકઢા દૂધની સોડમ આપતાં ’’ કહ્યા છે તે સર્વથા ઉચિત છે. જન્મ-શતાબ્દીનું વર્ષ તો આવ્યું અને ગયું પરંતુ આ સોરઠના કવિની શ્રેષ્ઠ રચનાઓની સૌરભ તો દરેક કાળે પ્રસરતી રહેશે, લોક હ્રદયમાં ધબકતી રહેશે.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑