: ક્ષણના ચણીબોર : મરને તળિયે જીવીએ : દુનિયા દેખે નૈ : 

કેટલાંક વ્યક્તિત્વ એવા હોય છે કે જેમને સદેહે જોવાની તક ન મળી હોય છતાં તેમનું નામ સ્મરણ કરીએ અને તરત જ અંતરમાં આનંદ અને ઉલ્લાસ આપમેળે પ્રગટ થાય છે. આવું એક ધન્યનામ એટલે મુકુન્દરાય પારાશર્ય. ૨૦૧૪ નું વર્ષ તેમની જન્મશતાબ્દીનું વર્ષ હતું. પહેલાં મે-૨૦૧૫ માં તેમણે લખેલી સત્યકથાઓ પુન: પ્રકાશિત કરવામાં આવી.  

‘‘ મરને તળિયે જીવીએ, દૂનિયા દેખે નૈં,

મકના, એવી છીપ થા કે મોતી પાકે મૈં. ’’

પ્રસિધ્ધિની રજમાત્ર પરવા કર્યા સિવાય માત્ર કર્મની કેડીએ ડગ માંડવાના સંસ્કાર આ ભાવનગરી કવિને વિચક્ષણ દિવાન સર પ્રભાશંકર પટ્ટણીના જીવનમાંથી મળ્યા હોય તે બનવા જોગ છે. સંસારમાં રહીને, સાંસારીક જવાબદારીઓ નિભાવીને પુષ્પની જેમ સતત સંસ્કારની સુગંધ પ્રસરાવતા આ નખશીખ સૌજન્યશીલ અને સૌમ્ય સર્જકને ગુજરાતીઓ કદી વિસરી શકશે નહીં. એમની ભાતીગળ સ્મૃતિ એમના સર્જનો થકી રંગ રેલાવતી રહેશે. મકરંદી ગુલાલ એમણે રેલાવી જાણ્યો છે

અમે તો જઇશું અહીંથી પણ આ

અમે ઉડાડયો ગુલાલ રહેશે.

‘ સત્યં પરમ્ ધીમહિ ’નો મંત્ર જીવી જનાર આ સર્જક સત્યકથાઓ લખીને સમાજ પર પોતાનું રૂણ ચડાવીને ગયા છે. તેઓએ માત્ર સત્યકથાઓ લખી હોત તો પણ અમરત્વને વર્યા હોત એ નિર્વિવાદ છે. સત્યકથાઓ લોકો સુધી પહોંચી શકે તે માટે ‘ કુમાર ’ સામયિક તથા તેના તંત્રીશ્રી બચુભાઇ રાવતે ભજવેલો ભાગ સરાહનિય છે. સારા સામયિકો સત્વવાળું વાચન સમાજ સુધી પહોંચાડીને ઘણી મોટી સેવા કરતા હોય છે. આ વાતની પ્રતિતિ કદાચ આપણને થતી નથી પરંતુ આવી સેવાનું મૂલ્ય ઘણું છે. મૂળ કચ્છના અને મુંબઇમાં વસતા હાજી મહમ્મદ અલારખિયા શીવજીએ ગુજરાતીમાં ‘‘ વીસમી સદી ’’ જેવું એક સારું સામયિક આપવા પ્રયાસ કર્યો તે જાણીતી ઘટના છે. મહેન્દ્રભાઇ મેઘાણીએ ૧૯૫૦ થી શરૂ કરેલું ‘ મિલાપ ’ આજે પણ યાદ આવે ત્યારે તેની ખોટ વરતાયા કરે છે. કવિ ઉમાશંકર જોશીનું ‘ સંસ્કૃતિ ’ પણ લગભગ ચાર દાયકાની મજલ કાપીને વિરામ પામ્યું. એક સમાજ તરીકે આપણે આવા સુરુચિપૂર્ણ અને સંસ્કારી વાચન પીરસતા સામયિકોને ચલાવવા માટેનો ટેકો કેમ પૂરો પાડી શકતા નથી તે બાબત વિચારણા માગી લે તેવી છે. બચુચાઇ રાવતે સત્યકથાઓ આગ્રહપૂર્વક લખાવી અને ‘ કુમાર ’ માં નિયમિત રીતે પ્રકાશિત કરવામાં આવી. સત્યકથાની આ વાતો સમાજની સ્વસ્થતાને સાચવવામાં અને સંકોરવામાં મદદ કરે તેવી બળવત્તર અને અસરકારક છે. વિશ્વ સાહિત્યમાં ગૌરવભેર મૂકી શકાય તેવી આ કૃતિ છે. સદ્દભાગ્યે મે-૨૦૧૫ માં તે પુન: પ્રકાશિત પણ કરવામાં આવી છે. મુકુન્દરાય પારાશર્યે સત્યકથાઓ સહિત અનેક સર્જનો થકી આપણા સાહિત્યની શોભા વધારી છે. એમની રચનાઓમાં ભાવ સહજતા તથા પ્રવાહીતાનો સુભગ સમન્વય જોવા મળે છે. 

એની ગાંઠે ત્રણ ભોમનું નાણું

સાધુડા ! જેના મનડામાં મોતી બંધાણું

મોતી બંધાણું એનું દળદર દળાણું વ્હાલા !

છુટયું સંસારનું સરાણું,

હું પદના બંધવાળુ, કંચનકામિનીવાળું

જીવતર છે રાખનું છાણું …. સાધુડા ! ….

મોતી બંધાણુ એથી ગોકુળ વસાણું વ્હાલા !

જમુનાના નીરમાં નવાણું,

માધવની સંગે વ્રજમાં રાસે રમાણું વ્હાલા !

માધવના રહીને જિવાણું .. સાધુડા ! …

મોતી બંધાણું એનું અંતર છલકાણું વ્હાલા !

એથી સચરાચર ધરાણું,

એની પદરજને છોડી, મનને વૈકુંઠે જોડી,

નહીં રે મુકુન્દથી જવાણું …….

સાધુડા ! જેના મનડામાં મોતી બંધાણું.

બંસીધર કૃષ્ણના રંગે રંગાઇને આકંઠ મહોરી ઉઠેલી ગોપી જે ઉર્મિ વ્યકત કરે છે તે આ રચના વાંચીને ફરી યાદ આવે. 

વ્રજ વ્હાલું રે ! હું વૈકુંઠ નહી આવું. 

ત્યાં નંદકુંવર કયાંથી લાવું ? વ્રજ વ્હાલુ રે !

પ્રિતમના રંગે રંગાયેલાને તો અહીં જ ‘અનન્તનું લ્હાણું’ છે તેને વળી વૈકુંઠની વાટે જવાની, એષણા કયાં છે ? માધવની સંગે જે વ્રજમાં વસે એનું દળદર તો આપમેળે ફિટતું હોય છે જેના મનમાં મોતી બંધાણું છે અને પરમતત્વની અનુભૂતિનો અહેસાસ છે તેની ગાંઠે ત્રણે ભોમનું નાણું છે. આવો નિજાનંદે જિવનાર કોઇનો ઓશિયાળો નથી.

સંતવાણીની આ સરળતાએજ જ્ઞાન માર્ગના ઉત્તમ તત્વો સહજ રીતે ધારણ કરીને જનજન સુધી પહોંચાડ્યા છે. આવા સ્નેહથી ભરેલા સંતો તથા કવિજનોની સત્વપૂર્ણ વાણીએ ભાવકના દિલમાં સ્નેહ, શ્રધ્ધા તથા ભક્તિના દીવા પ્રગટાવ્યા છે. રાધાનું સમર્પણમય જીવન જોતાંજ કૃષ્ણમયતાની અનુભૂતિ થાય છે. રાધાની ભક્તિની મસ્તી સમજવા કોઇ ગ્રંથ ક્યાં વાંચવો પડે છે ? આવી સહજ ભક્તિ અને પ્રસન્નતાનો ભાવ સંતોની સરળ વાણી થકી થતો રહે છે. કવિ મુકેશ જોશીના સુંદર શબ્દો યાદ આવે છે. 

કૃષ્ણ નામે ગ્રંથ ના સમજાય તો પણ

સાવ સીધો ને સરળ અનુવાદ રાધા

મુકુન્દભાઇએ લખેલા કથા, પ્રસંગો, વ્યક્તિત્વ દર્શન કે કાવ્યો સત્વશીલ છે. મનડામાં બંધાયેલું આ મોતી એ બાહ્ય જીવનની શોભા વધારવા માટેનું નથી કે નથી દેખાવ કરવા માટેનું આભુષણ. એ મહામૂલા મોતીના ઘેરા રંગોએ કવિને અંતરથી ભીંજવ્યા છે. તેથી જ કવિ કહે છે તેમ માધવના રહીને જીવી જવાનો કિમીયો તેમને હાંસલ થયો છે. કવિ નિજાનંદમય તથા હર્યુંભર્યું જીવન જીવીને તથા અમૂલ્ય પ્રદાન કરીને ગયા. તેમના અનેક સર્જનો આપણી ભાષાના સુશોભિત મહાલયો જેવા મક્કમ તથા નકોર થઇને ટકી રહેશે. પ્રકૃતિનું સત્વ તથા તેનું સ્થાયીપણું મુકુન્દભાઇના સાહિત્યમાં સુપેરે વણાયેલું છે. કવિ કલાપી લખે છે તેમ કવિની સ્મૃતિના તથા તેમના સર્જનોના સંભારણા સમગ્ર પ્રકૃતિનો હિસ્સો બનીને શોભી રહેલા છે.

કુરંગો જયાં કૂદે ભોળાં, પરિન્દાના ઉડે ટોળાં,

કબૂતર ઘૂઘવે છે જયાં, અમારા મહેલ ઉભા ત્યાં !

વી. એસ. ગઢવી

ગાંધીનગર.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑