: ક્ષણના ચણીબોર: લહેરી છે એ, લહેરી રહે રાખે સૌને લહેરમાં: 

એક સમયે ધીકતા બંદર તરીકે વેપાર-ઉદ્યોગથી ધબકતા ધોલેરા નગર કાળના પ્રવાહમાં થોડું સુમસામ બનેલું ભાસતું હતું. અહીંના અનેક રહેવાસીઓ –વેપારીઓ બહાર સ્થળાંતર કરી ગયા હતા. તેમ છતાં કેટલાક મહત્વના કારણોસર ગુજરાત પ્રાંતિક કોંગ્રેસ સમિતિએ મહાત્મા ગાંધીજીની નમક સત્યાગ્રહના એલાનના સંદર્ભમાં સૌરાષ્ટ્રમાં બે સ્થળે નમક સત્યાગ્રહના મોરચા ખોલવાનો નિર્ણય કર્યેા હતો. આ સ્થળો એટલે વીરમગામ તથા ધોલેરા. ધોલેરાના સમૃદ્ર કિનારે કુદરતી રીતે જ મીંઠુ પાકતુ હોવાથી સૌરાષ્ટ્રના સિંહ ગણાતા નીડર પત્રકાર અમુતલાલ શેઠની આગેવાની હેઠળ ધોલેરા સત્યાગ્રહના મોરચેથી રણભેરીનો નાદ બુલંદ કરવામાં આવ્યો. સૂર્યના આકરા તાપથી સુકાઇ જતા ખારા પાણીમાંથી કુદરતી રીતે જ મીંઠુ પાકે, પરંતુ બ્રિટિશ હકૂમતે કાયદાથી નક્કી કર્યા મુજબ તે પ્રદેશનાજ લોકોને આ મીંઠુ લેવાનો અધિકાર નહિ ! મીંઠુ તો તેમની રોજીંદી તથા અનિવાર્ય જરૂરિયાત હોવાથી જોઇએ. આથી તેમણે સરકારે નક્કી કરેલા મીંઠુ પકવવાના ઇજારદારો પાસેથી મોંઘા ભાવે મીંઠુ ખરીદીને વાપરવું પડે તેવી વિચિત્ર તથા અન્યાયી સ્થિતિ પેદા થઇ. ગાંધીજીએ વ્યાપક જન સમુહને સીધો જ સ્પર્શ કરે તેવા આ મુદ્દાને લઇને દાંડીકૂચનું એલાન કર્યું. અન્યાયી કાયદા સામેની આ ઐતિહાસિક લડત હતી. છઠ્ઠી એપ્રિલ ૧૯૩૦ના મંગળ પ્રભાતે સૂર્યનારાયણ દેવની જીવંત શાક્ષીએ તથા હજારોની માનવ મેદનીના બુલંદ નારાઓ સાથે ગાંધીજીએ  સમુદ્રસ્નાન કરીને દાંડીના દરિયાકિનારેથી મીંઠુ ઉપાડી ગોરી સરકારના અન્યાયી કાયદાનો છડેચોક ભંગ કર્યેા. ધોલેરા સહિત દેશના અનેક સ્થળોએથી પણ આ લડતના એક પગલા તરીકે મીઠાના કાનૂનનો સવિનય ભંગ કરવામાં આવ્યો. લડતના આ દિવસોમાં લોકોના અપ્રતિમ જુસ્સાનું દર્શન થયું હતું. ધોલેરાના અમ્રુત ચોકમાં પણ દસ બાર હજારની જંગી માનવ મેદની વચ્ચે રાષ્ટ્રિય શાયર મેઘાણીભાઇએ તેમના બુલંદ કંઠેથી લડતની શરૂઆતની ક્ષણે લલકાર કર્યો.  

કંકુ ધોળજો જી રે કેસર રોળજો !

પીઠી ચોળજો જી કે માથા ઓળજો !

જોધ્ધા જાગિયા જી કે કાયર ભાગિયા

ડંકા વાગિયા જી કે હાંકા લાગિયા

નમક સત્યાગ્રહની શાનદાર તથા જાનદાર શરૂઆતની નોંધ વિશ્વભરના માધ્યમોએ લીધી. ઘર આંગણે જનજનનું વ્યાપક સમર્થન આ સત્યાગ્રહને મળતું થયું. ‘‘ મીઠાના સત્યાગ્રહથી શું ફેર પડવાનો છે ?’’ એવી દ્વિધા અનુભવનારા પંડિત મોતીલાલ નહેરુ જેવા લોકો               ‘‘ પોરબંદરના વાણિયા’’ ની વ્યૂહરચનાથી દિગ્મૂઢ થઇ ગયા અને લડતમાં જોડાઇ ગયા. ધોલેરા સત્યાગ્રહમાં અમૃતલાલ શેઠ તથા રતુભાઇ અદાણી જેવા તે સમયના પ્રસિધ્ધ લોક સેવકો સાથે કનુભાઇ લહેરી પણ આ મહાસંગ્રામની એક મજબૂત તથા અસરકારક કડી તરીકે જોડાયા હતા. અમરેલીથી આવેલા ચાલીસેક ઉત્સાહી તથા મરજીવા યુવાનોમાં કનુભાઇનો પણ સમાવેશ થયેલો હતો. રતુભાઇ અદાણીએ આ સબંધમાં નોંધેલા તેમના સંસ્મરણોમાંથી કેટલોક ભાગ ફરી ફરી વાંચવો –સાંભળવો ગમે તેવો છે. 

‘‘ કનુભાઇ (લહેરી) અને હું (રતુભાઇ) ધોલેરા સત્યાગ્રહના એકજ મોરચે લાંબા સમય સુધી રહ્યા. બેવડિયો બાંધો અને ખડતલ શરીર ધરાવતા કનુભાઇ સત્યાગ્રહ અંગે આકરામાં આકરી કસોટીમાં રમતા રમતા અને હસતા હસતા પાર ઊતરે. નાનપણથીજ એમને અજબની વક્તૃત્વ કળા વરેલી. સત્યાગ્રહનો સંદેશો ફેલાવવા કનુભાઇ ગામડાઓમાં ઘુમતા અને સભાઓ યોજી પોતાની લાક્ષણિક શૈલીથી સભાજનોને ડોલાવતા હતા. સભાજનો એમના વાણિપ્રવાહમાં તણાય તથા મુગ્ધ બની જાય. બરવાળા પંથકના ગામડાઓમાં તેઓ ખૂબ લોકપ્રિય બની ગયા. આ પંથકના જ એક ગામે તો કનુભાઇ તરફનો પોતાનો આદરભાવ વ્યક્ત કરવા માટે તે ગામના મુખ્ય ચોકને ‘‘ લહેરી ચોક’’ એવું નામ પણ આપેલું. ’’ 

ગાંધીયુગની આકાશગંગાના કનુભાઇ લહેરી એક તેજસ્વી તારલા હતા. પોતાના યોગદાન થકી તેમણે મુક્તિ માટેના મહા સંગ્રામને બળ તથા ગતિ પૂરા પાડ્યા હતા. કનુભાઇ લહેરીના જાહેર જીવનના અનેક કાર્યો જોઇને જાફરાબાદના નવલભાઇ વ્યાસે  લખેલા શબ્દો ખૂબ જ યથાર્થ લાગે છે. 

કલ્યાણકારી જીવન જેનું

નુકસાન કદી ન કો’નું કરવું

ભાવિ પ્રબળ છે મનમાં માની

ઇર્ષા દોષથી ડરવું.

લખ્યા લેખ મીટે નવ કો’ થી

હેતે હરિ ધ્યાનને ધરવું

રીસ કદી નવ કોથી કરવી

કનુભાઇ લહેરી કહેવાવું.

કનુભાઇ લહેરીનો જન્મ ૨૬ મે ૧૯૧૪ના રોજ થયો હતો. મે મહીનો એટલે આપણાં રાજ્યની સ્થાપનાનો પણ માસ છે. આથી આ માસમાં કનુભાઇના અનેક સ્નેહીઓના મનમાં તેમની મધૂર સ્મૃતિ ઝબકી જતી હશે તેમ ચોક્કસ માની શકાય. કનુભાઇ લહેરી સદેહે ભલે આપણી વચ્ચે ન હોય પરંતુ તેમણે કરેલા સુકૃત્યોની લહેર આજે પણ જોઇ- અનુભવી શકાય છે.

કનુભાઇ લહેરીની કામગીરીને જો એક વહીવટકર્તા તરીકે મૂલવીએ તો પણ તેમાં કનુભાઇની સૂઝ તથા કાબેલિયતના ભારોભાર દર્શન થાય છે. પ્રજાની મૂખ્ય તથા અનિવાર્ય જરૂરિયાત કઇ છે તેને લક્ષમાં રાખીને જ તેઓ પોતાના કામની અગ્રતા નક્કી કરતા હતા. પ્રજા જીવનમાં તેમના મૂળ ધરબાયેલા  હોવાથી તેઓ જે નિર્ણયેા કરતા તેમાં લોક-હિતનું પ્રભુત્વ સ્પષ્ટ રીતે જોઇ શકાતુ હતું. અમરેલી જિલ્લા લોકલ બોર્ડના પ્રમુખ તરીકે કનુભાઇએ અમરેલી જિલ્લાના સર્વગ્રાહી વિકાસ માટે મજબૂત પાયો નાખ્યો હતો. ગ્રામ વિસ્તારમાં અને સ્થળોએ વિવિધ પ્રકારની સેવાઓ ઉપલબ્ધ કરાવે તેવા દવાખાનાઓ (હેલ્થ સેન્ટર) તેમણે શરૂ કરાવ્યા હતા. આરોગ્ય ઉપરાંત ગામડાઓ તથા નગરોમાં પીવાના શુધ્ધ પાણીની ઉપલબ્ધી માટે તેમજ શિક્ષણ તથા માર્ગોના મજબૂત માળખાનો વિકાસ કરવાની દિશામાં કનુભાઇએ નોંધપાત્ર કામગીરી કરી હતી. ગામડાઓના સામાન્ય લોકો જિલ્લાના કોઇ કામ માટે અમરેલી આવે તો તેમને રહેવાની વ્યવસ્થા મળી રહે તે હેતુને ધ્યાનમાં રાખીને સુવિધાયુક્ત પથિકાશ્રમ બંધાવ્યું હતું. વહીવટમાં કાર્યક્ષમતા સાથે જ કરકસરનો સુભગ સમન્વય જોવા મળતો હતો. અમલદારો પાસેથી કામ લેવાની એક આગવી સૂઝ પણ કનુભાઇ ધરાવતા હતા. આથી જ માનભાઇ ભટ્ટ (શિશુવિહાર – ભાવનગર) કનુભાઇને ‘‘ સાચા મહાજન ’’ તરીકે ઓળખાવે છે. 

કનુભાઇના પ્રિય બંધુ અમુભાઇએ અંતરના ભાવથી અનુભવ્યું તથા લખ્યું છે કે નિ:સ્વાર્થ સેવાના ઉચ્ચ ધોરણો જાહેર જીવનમાં સ્થાપીને કનુભાઇ ભાવી પેઢીઓને દરેક સમયે ઉપયોગી થઇ શકે તેવું માર્ગદર્શન આપી ગયા છે. સમગ્ર સમાજે ઉમંગ તથા ઉત્સાહથી કનુભાઇ લહેરીનો અમુત મહોત્સવ ઉજવ્યો તે પ્રસંગે ગુણવંતભાઇ પંડ્યા (પથિક) એ લખેલા શબ્દો વિસરી શકાય તેવા નથી. 

લોકસેવા કાર્યમાં અવિરત જે ઝૂઝતા રહ્યા

લક્ષ્મી અને સત્તા થકી દૂર જે ફરતા રહ્યા

જીવે ઘણું તંદુરસ્તીમાં ઇશ્વર કૃપાની લહેરમાં

લહેરી છે એ લહેરી રહે રાખે સહુને લહેરમાં.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑