: ક્ષણના ચણીબોર : : અવિરત ઉદ્યમનો જાજરમાન ચરખો : : નિરંજન વર્મા :

આભના થાંભલા રોજ ઊભા રહે

વાયુનો વિંઝણો રોજ હાલે

ઉદય ને અસ્તના દોરડા ઉપરે

નટ બની રોજ રવિરાજ મહાલે

ભાગતી ભાગતી પડી જતી પડી જતી

રાત નવ સૂર્યને હાથ આવે

કર્મવાદી બધા કર્મ કરતા રહે

એમને ઉંઘવું કેમ ફાવે ?

ક્રાંતિકારી નિરંજન વર્મા (નાનભા બાદાણી – ગઢવી) જીવ્યા માત્ર ૩૪ વર્ષ. ટૂંકા આયખામાં પણ કવિ શ્રી દુલા ભાયા કાગે ઉપરના શબ્દોમાં લખ્યું છે તેવું કર્મશીલ જીવતર જીવીને ગયા. આટલા વર્ષોમાં પણ નવેક વર્ષ તો તેઓ બીમાર રહ્યા. શ્રી જયમલ્લ પરમારે લખ્યું : ‘‘કાળના હથોડે નિત્ય કોરાઇ રહેલા કલેવરને (નીરુભાઇએ) નવ વર્ષ સુધી જાળવીને લોહીના બુંદેબુંદનો હિસાબ ચૂકવ્યો. એકેય બુંદ વેડફવા ન દીધું. એકે એક શ્વાસોશ્વાસની પૂરી કિમ્મત આ વીરે વિધાતાના ચોપડે જમા કરાવી.’’  વિશ્વની તે સમયની સમર્થ બ્રિટીશ હકૂમતને પડકારનાર આ જન્મજાત વીર પુરુષે યમરાજા સાથેનું અંતિમ યુધ્ધ પણ સમાન ગૌરવ તથા દ્રઢતાપૂર્વક કર્યું. ૧૯૧૭ માં નિરૂભાઇનો જન્મ જામનગર જિલ્લાના કાલાવાડ તાલુકાના રાજડા ગામે થયો. ૨૦૧૭ નું વર્ષ આ યુવાન શહીદની જન્મશાતાબ્દીનું વર્ષ છે. સૌરાષ્ટ્ર – ગુજરાતના ઉજળા મુક્તિ સંગ્રામની વિગતો ધ્યાનથી જોનાર – સમજનાર અનેક લોકોના મનમાં નિરંજન વર્માની સ્મૃતિ ફરી ઝબકી જશે. નિરંજન વર્માના જીવન અને કાર્યનું આલેખન કરતી સુંદર તથા વિગતોથી ભરપૂર પુસ્તિકાનું સંપાદન ભાઇ રાજુલ દવેએ કર્યું છે. મેઘાણી લોક સાહિત્ય કેન્દ્ર રાજકોટના સહયોગથી પ્રવીણ પ્રકાશને (રાજકોટ) આ પુસ્તિકા સપ્ટેમ્બર-૨૦૧૬ માં સમાજ સામે અને સમાજ માટે પ્રસ્તુત કરી છે. આવા ઉપયોગી કાર્ય માટે આ બધા લોકો – સંસ્થાઓ આપણાં અભિનંદનને પાત્ર છે. 

નિરૂભાઇએ દેશ સેવાની સાથેજ વિસ્તૃત સાહિત્ય સેવા કરી. ઉત્તમ પ્રકારના અને મૂલ્ય નિષ્ઠ પત્રકારત્વમાં પોતાનું યોગદાન આપ્યું. બાળકોને રસ પડે તેવી અનેક વાર્તાઓ કરી. છેવાડાના માનવીઓના હમદર્દથી તેમના હામી બન્યા. ‘‘ફૂલછાબ’’ માં નિરૂભાઇનાયોગદાન વિશે શ્રી ઝવેરચંદ મેઘાણીએ ઉલટભેર પ્રશંસા લખી. ગ્રામસેવાના અભિનવ પ્રયોગમાં તરવડા (જિ.અમરેલી) ગામમાં રહીને સામાજિક ઉત્થાનનું કાર્ય કર્યું. જીવનના ફક્ત ત્રણ દાયકામાં કોઇ એક વ્યક્તિ આટલા કાર્યો કેવી રીતે કરી શકે ? મુક્ત હાસ્યના ધોધની સાથેજ નિરંજન વર્માના જીવનમાંથી શક્તિનો પણ પ્રચંડ ધોધ વહેતો રહ્યો.

નિરૂભાઇના સમગ્ર જીવન તથા તેમના લેખનને જોતાં તે કાળની તાસીર સ્પષ્ટ કરતી અમુક હકીકતો ધ્યાનમાં આવ્યા સિવાય રહેતી નથી. એક તો સૌરાષ્ટ્રના (અને સમગ્ર દેશના પણ) મુક્તિ સંગ્રામમાં લોક સાથેનો સંપર્ક કેળવીને મજબૂત બનાવવામાં સાહિત્યનો આધાર નિર્ણયાત્મક રીતે લેવામાં આવેલો છે. ૧૯૩૦ ના સુપ્રસિધ્ધ નમક સત્યાગ્રહમાં ધોલેરા (ભાલ) છાવણીના સમગ્ર વિસ્તારમાં જે લોક જુવાળ સત્તાધિશો સામે યુધ્ધે ચડવા માટે ભભૂકી ઊઠ્યો તેમાં લોકકવિ શ્રી મેઘાણીના કાવ્યોની ઘણી મોટી અસર હતી. ‘‘સિધૂંડા’’ (૧૯૩૨) નામથી પ્રસિધ્ધ થયેલી યુધ્ધગીતોની પુસ્તિકાને બ્રિટીશ સરકારે પ્રતિબંધિત કરી હતી. આ પુસ્તિકા વાંચવી કે તેનું વિતરણ કરવું તે ગુનાહિત બાબત ગણાતી હતી. પુસ્તિકાનું વિતરણ કરનારની પોલીસ ધરપકડ કરતી હતી. છતાં પણ આ શૌર્ય ગીતો તો વાયુવેગે લોકમાં પ્રસરી ગયા. આ ગીતો ગવાયા તથા વ્યાપકપણે ઝીલાયા. નિરંજન વર્મા તથા જયમલ્લ પરમારે પણ પોતાની સાહિત્યની જાણકારીનો લાભ લઇ લોકસંપર્ક માટે તથા લોકજાગૃતિ માટે વ્યાપક રીતે લોકસાહિત્યના વિવિધ સ્વરૂપોનો અસરકારક ઉપયોગ કર્યો. આ બન્ને મિત્રોએ ગાંધી વિચારની ઊંડી અસરને કારણે મુક્તિ સંગ્રામ માટેની જાગૃતિ સાથેજ સામાજિક જાગૃતિ માટે પણ સભાનપણે પ્રયાસો કર્યા. લોકસાહિત્યની ઉપાસક આ બેલડીને તેમની સાહિત્ય સૂઝ તથા ઉજળા જીવનને કારણે લોકોએ વધાવી અને તેમના નવજાગૃતિના સંદેશને ઝીલવાના પ્રયાસો કર્યા. આ કાળનું સાહિત્ય સર્જન અને સાહિત્યનો પ્રસાર મુક્તિ મેળવવાના ઉમદા હેતુ માટે સુઆયોજિત રીતે થયો. 

કવિ ઉમાશંકર જોશીની કલમે પણ નિરંજન વર્મા તથા જયમલ્લ પરમારનું રેખાચિત્ર સ્મૃતિમાં રહી જાય તેવી ઢબે લખાયેલું છે. કવિ લખે છે : ‘‘ ૧૯૩૯ માં રાણપુર ગયો. ફૂલછાબ કાર્યાલયમાં બે જુવાનોનો પરિચય થયો. (ફૂલછાબ તે સમયે રાણપુરથી પ્રકાશિત થતું હતું) રાણપુર કાર્યાલયમાં એ..ઇ બસ બાજરીના રોટલા ને છાશના ધુબાકા ! પેલા બે ભેરૂઓ (જયમલ્લભાઇ – નિરૂભાઇ) એવું વાતાવરણ જમાવે કે તમે તાજામાજા થઇ જાઓ. આ બે ભેરૂમાંથી એક જયમલ્લ પરમાર અને બીજો એકવડિયા બાંધાનો, ગૌરવર્ણ, ઊંચો તથા તરવરિયો જુવાન એ નિરંજન વર્મા. નિરંજન વર્મામાં ચેતન એવું નિરંતર હલમલ થતું  લાગતું હતું. એને જોઇને એમ થાય કે આવો જીવ ઝાઝું આપણી વચ્ચે શેનો ટકે ? ભાઇ નિરંજનની શક્તિનો ગુજરાતી ભાષાને અનેકવિધ લાભ મળવાની આશા અકાળે લુપ્ત થઇ ! ’’ ખરેખર આ જીવ અકાળે આપણી વચ્ચેથી ઊઠી ગયો. તેમની સ્મૃતિને વાગોળવાનો અવરસ છે.

હાલો હૈડાં જીરાણમેં

શેણાંને કરીએ સાદ,

મિટ્ટી સે મિટ્ટી મિલી

(તોય) હોંકારો દિયે હાડ.

કાલાવાડ તાલુકાના રાજડા ગામથી શરૂ થયેલી એક ભવ્ય અને ભાતીગળ જીવનયાત્રા ૧૯૫૧ માં આંધ્રપ્રદેશના મદનપલ્લી ગામના આરોગ્યવરમ્ સેનેટોરિયમમાં પૂર્ણ થઇ. માણસ જીવનની છેલ્લી ક્ષણોમાં નિયતિના નિર્ણયની જાણકારી હોવા છતાં પણ કેવી અસાધારણ સ્વસ્થતાથી રહી શકે તેનું અસામાન્ય ઉદાહરણ નિરૂભાઇ મૂકીને ગયા. મિત્રોની હૂંફમાં અને સ્વાભિમાનના ઉત્કટ ભાવથી નિરૂભાઇ જીવ્યા. નિરૂભાઇ – જયમલ્લભાઇ પરમાર તથા ઇશ્વરભાઇ દવેની દોસ્તીને ‘‘લોકસંસ્કૃતિના ત્રિદલ બીલીપત્ર’’ તરીકે ઓળખવામાં આવી છે તે યથાર્થ છે. આવા વીરો કોઇની પ્રશંસાના મહોતાજ ન હતા. જે અંતરમાંથી ઊગ્યું તેનેજ માર્ગદર્શક ગણીને તેઓ નવા ચિલા પાડીને ગયા. 

બિંદુએ બિંદુએ રક્ત દીધાં ગણી,

ચૂકવી દેહની પળેપળે કણી કણી.

વી. એસ. ગઢવી 

ગાંધીનગર. 

તા.૧૭/૦૪/૨૦૧૬.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑