જીવનના સંધ્યાકાળે સર પ્રભાશંકર પટ્ટણી ભાવનગર રાજ્યના ગામડાઓમાં ફરતા હતા. સ્થાનિક પરિસ્થિતિનો તાગ મેળવવા કાગળ ઉપરના ‘‘અહેવાલો’’ નો આધાર લઇને નિર્ણય કરે એવા આ વહીવટદાર ન હતા. ત્રાપજ તથા તળાજા વિસ્તારના ગામો પૈકી પટ્ટણી સાહેબ ભંડારિયા નામના એક નાના ગામમાં ગયા. ભંડારિયા ગામના બે માથાભારે વ્યક્તિઓ વિશે ગામલોકોએ સર પટ્ટણી સમક્ષ રજૂઆત કરી. લોકોએ એવી પણ રજૂઆત કરી કે આ બન્ને ભાઇઓ ગામમાં ઘણી રંજાડ કરે છે. આ ભાઇઓ હાલમાં ભાવનગરની જેલમાં છે તે બાબતની પણ તેમને જાણ કરવામાં આવી. પટ્ટણી સાહેબના મનમાં આ વાત નોંધાય છે. પટ્ટણી સાહેબની આ યાત્રાનો કાર્યક્રમ ચાલુ હતો તે દરમિયાન સ્વરુપરાણી નહેરુ (પંડિત જવાહરલાલના માતા)ના અવસાનના સમાચાર મળે છે. સ્વરુપરાણીના નિધન અંગે ભાવનગરમાં શોકસભાનું આયોજન (જાન્યુઆરી-૩૮) કરવામાં આવે છે. શહેરના અગ્રણીઓની વિનંતી તથા આગ્રહથી પટ્ટણી સાહેબ આ સભામાં હાજરી આપવા ભાવનગર આવે છે. ઉપરોક્ત શોકસભામાં નહેરુ પરિવારના ત્યાગ અને બલિદાન અંગે પટ્ટણી સાહેબે વિગતવાર વાતો કરી. સભાનું કામ પૂરું થયા પછી જેલના વડા અધિકારીને સાથે લઇને પટ્ટણી સાહેબ ભાવનગર જેલની મુલાકાત માટે જાય છે. જેલમાં ભંડારિયા ગામના બે ભાઇઓ પગમાં ભારે બેડીઓ સાથે સર પટ્ટણીને મળ્યા. આ બન્ને ભાઇઓની રંજાડ વિશેજ થોડા દિવસો પહેલા ગ્રામજનોએ પટ્ટણી સાહેબ સમક્ષ ફરિયાદ રજૂ કરી હતી. બન્ને ભાઇઓ જેલમાં હતા. કારણ કે તેમની રીઢા ગુનેગારો તરીકેની છાપને કારણે કોઇ તેમના જામીન થવા તૈયાર ન હતા. બન્ને કેદી ભાઇઓએ પટ્ટણી સાહેબ સમક્ષ આર્ત સ્વરે રજૂઆત કરી કે હવે તેઓ ગામમાં જશે ત્યારે તેમની કોઇ ફરિયાદ લોકોએ કરવી ન પડે તેવું વર્તન તેઓ કરશે. આટલું કહેતા તેઓ પટ્ટણી સાહેબના પગમાં પડી ગયા. બન્ને ભાઇઓએ કહ્યું કે તેમની મથરાવટી મેલી હોવાના કારણે ગામની કોઇ વ્યક્તિ તેમના જામીન થવા તૈયાર નથી. હવે ભાવનગર રાજ્યના ગૌરવ સમાન આ તેજસ્વી વૃધ્ધ બોલ્યા : ‘‘તમારો જામીન હું થાઉં છું. કાલે સવારે તમે જેલમાંથી મુક્ત થશો.’’ પછી સર પટ્ટણી બે મહત્વના શબ્દો બન્ને ભાઇઓને સંબોધીને કહે છે : જો જો હો ! હું જામીન થાઉં છું એ વાતનો ખ્યાલ રાખજો. પટ્ટણી સાહેબ બન્નેના જામીનખત ઉપર સહી કરીને જેલ અધિક્ષકને આપે છે. કેટલાક લોકોને સર પટ્ટણીનો આ નિર્ણય ઉચિત કે વ્યવહારુ લાગ્યો નહિ. ઘણાં એમ પણ માનતા કે પટ્ટણી સાહેબને પસ્તાવાનો વખત આવશે. સર પટ્ટણીને કઠોર અને રુક્ષ દેખાતા પથ્થરો નીચે પણ નાનું એવું સ્નેહ તથા સદભાવનાનું ઝરણું કલકલ કરતું વહે છે તે તરફ દ્રષ્ટિ છે. આ માનવતાનું ઝરણું સાવ સૂકાઇ ગયું હોય તે વાત આ ક્રાંતદ્રષ્ટા મનિષિને ગળે ઉતરે તેવી નથી. સર પટ્ટણીની શ્રધ્ધાનો વિજય થાય છે. જામીન પર છૂટેલા બન્ને ભાઇઓના જીવન બદલાઇ ગયા હતા. ગામલોકોને તેમના તરફ કોઇ ફરિયાદ રહી ન હતી. દુનિયાને અને દુન્વયી ચીજોને અલગ દ્રષ્ટિ અને ભૂમિકાએ જોનારા આવા નરરત્નો દુર્લભ હોય છે. કલાપીએ આવી ભાવના વ્યક્તકરતાં લખ્યું છે :
જહાંથી જે થયું બાતલ
અહીં તે છે થયું શામીલ
અમે તો ખાકની ભરી મૂઠ્ઠી ભરી
રાજી થનારાઓ !
સર પટ્ટણી અને ભંડારિયા ગામના બે કેદી ભાઇઓની ઘટના શ્રી જયંતીલાલ મોરારજી મહેતાએ ચોકસાઇપૂર્વક લખેલા પ્રસંગોને કારણે આપણાં સુધી પહોંચી છે. સર પટ્ટણીના જીવનની આ છેલ્લી મુસાફરીના દરેક નાના મોટા પ્રસંગોનું આલેખન જયંતીભાઇએ પ્રવાસમાં સાથે રહીને કરેલું છે.
સર પ્રભાશંકર પટ્ટણીનો જન્મ ઇ.સ. ૧૮૬૨ ના એપ્રિલની ૧૫મી તારીખે – ચૈત્રી પૂનમે – થયો હતો. આથી એપ્રિલ માસમાં આ ઋષિ પુરુષની વિશેષ સ્મૃતિ થાય તે સ્વાભાવિક છે. દાદા હરિરામે પૌત્રના જન્માક્ષર માંડ્યા. જન્માક્ષરના આધારે દાદા કહે છે : ‘‘ આ છોકરો રાજા જેવો સંપત્તિવાન થશે. એ દીન ગરીબનો બેલી થશે. પરંતુ તે સ્વભાવે સાવ અકિંચન બ્રાહ્મણ રહેશે. ’’ દાદાના આશીર્વાદના શબ્દો જાણે શીલાલેખ સમાન પુરવાર થયા.
જીવનના છેલ્લા દિવસોમાં પણ નબળી તબિયત હોવા છતાં તેઓ તા.૦૬-૦૧-૧૯૩૮ થી તા.૧૬-૦૨-૧૯૩૮ (તેમના સ્વધામ ગયાનો દિવસ) સુધી ગામડાઓમાં ફર્યા અને રાજ્યની પ્રજા કલ્યાણલક્ષી યોજનાઓનો વાસ્તવિક અમલ કેવો થાય છે તેની ચકાસણી કરી. જરૂર લાગી ત્યાં સૂચનાઓ આપી સુધારા કરાવ્યા. નાદુરસ્ત તબીયત છતાં આવી આકરી રઝળપાટ એ રાજ્ય તથા તેની પ્રજા તરફની તેમની અપ્રતિમ નિષ્ઠાનું દર્શન કરાવે છે. કવિ શ્રી દુલા ભાયા કાગ આ સાધુ ચરિત દિવાનની શારીરિક સ્થિતિ જોઇને અકળાય છે અને લખે છે.
ભાવેણું માંગણું માગે છે
બુઢ્ઢો સૌ સુખડા ત્યાગે છે
દેયેં ડગમગતો લાગે છે
આમ સાદો આમ સોયલો રે
એનું ખોખલું ખોખું અંગ
(પણ) કોઇ ભાવેણાની આળ કરે તો
બદલે બુઢ્ઢાનો રંગ…
ભાવેણું માંગણું માગે છે.
વી. એસ. ગઢવી
ગાંધીનગર.
Leave a comment