: ક્ષણના ચણીબોર : ભાઈ! તારો બહેકે ફૂલડાંનો બાગ!

ભાઈ! તારો બહેકે

ફૂલડાંનો બાગ જી…..

બહેકે ફૂલડાંનો બાગ

એનો પાણતિયો રૂડો રામ……

‘કાગ’ વાણીની વેલડીયુંને લાગે,

પ્રભુજળની પ્યાસ જી..

ખીલે શબદના ફૂલડાં

ભાઈ! એમાં કરણીની સુવાસ….

બહેકે ફૂલડાંનો બાગ.

મજાદરની માટીની સુગંધ દાઢીવાળા દુલા કાગના મોહક સ્વરૂપે તેમજ કવિના સમૃધ્ધ શબ્દ ફૂલડાં થકી જગતમાં પ્રસરી છે. કવિના ‘બાવન ફૂલડાંના બાગ’ ને સાહિત્ય પ્રેમીઓએ ખોબે અને ધોબે વધાવેલો છે. કવિ કાગની પાવન સ્મૃતિને નિરંતર સંકોરવાનું પુણ્ય કાર્ય પૂજ્ય. મોરારીબાપુ દરેક વર્ષે નિયમિતતાથી અને નિજાનંદે કરે છે. કવિની ભોમકામાં બેસીને ‘કાગના ફળિયે કાગની વાતું’ નો આ મોરારીબાપુએ શરૂ કરાવેલા તથા ટકાવી રાખેલા ઉપક્રમ તરફ અનેક કાગ પ્રેમી સાહિત્ય રસિકોનું ધ્યાન ખેંચાયું છે. અનેક લોકો આ ભાવતર્પણના પ્રસંગની રાહ જોતા હોય છે. ગયા વર્ષે ફેબ્રુઆરી-૨૦૧૫માં ‘માનસ કાગરૂષિ’ નો રામકથા યજ્ઞ કરીને મોરારીબાપુએ આ પ્રવૃત્તિને સોનેરી કીર્તિ શિખર ચડાવેલું છે. આ વર્ષે (૨૦૧૬) પણ ૧૨ મી માર્ચના દિવસે ભગતબાપુના આંગણે કવિને વધાવવાનો પ્રસંગ યોજવામાં આવેલો છે. બળવંતભાઈ જાની, રામભાઈ સોયા (યુ.એસ.એ.) તથા જવાહરભાઈ ગઢવી (જાંબુડા) જેવા કાગ સાહિત્યના મર્મજ્ઞ લોકો કાગબાપુની ભાતીગળ વાતોનો ધોધ વહેતો કરવાના છે. સૌ સાહિત્ય પ્રેમીઓ માટે આ એક અનેરો આનંદોત્સવ છે. કાગ પરીવાર તથા મજાદર ગામ સમસ્તના ઉજળા આવકારથી પ્રસંગની ગરીમા દિનપ્રતિદિન વધતી રહેલી જોવા મળે છે. 

સાર્વત્રિક રીતે એક હકીકત જોવા મળી છે કે, કવિઓની રચનામાં જે તે સમયની પરિસ્થિતિનું વધતે-ઓછે અંશે પ્રતિબિંબ પડે છે. ભગત બાપુ થયા તે અગાઉ થઈ ગયેલા ચારણ કવિઓની રચનામાં જે તે સમયની સ્થિતિનું વિહંગાવલોકન કરી વીરતા, ત્યાગ,  બલિદાન અને ભક્તિના ઉત્તમ રંગો વિશિષ્ટ શૈલી અને અનોખી છટાથી પ્રગટ થયા છે. ભગત બાપુનો સમય, એ સમય પરિવર્તનની એક અનોખી ક્ષણ હતી. ગોરા હાકેમો સામે દેશના અધિનાયક ગાંધીએ રણશીંગું ફુંકી દીધુ હતું. ગણ્યાગાંઠ્યા લોકોના હાથમાં કેન્દ્રિત થયેલી સત્તા, લોકશાહીની મર્યાદા સ્વીકારીને જનજનમાં વિકેન્દ્રિત થવાની અસાધારણ ક્ષણ આવી પહોંચી હતી. સરદાર વલ્લભભાઈ પટેલની ચાણક્ય નીતિના ચમત્કારિક પરિણામો પણ દ્રષ્ટિમાન થતાં હતાં. રાજા-મહારાજાઓના સ્થાને પ્રજાએ ચૂંટેલા પ્રતિનિધિઓએ શાસનની ધુરા સંભાળી હતી. ભગત બાપુએ કાળના આ ઐતિહાસિક પરિવર્તનને ખૂબીપૂર્વક પોતાની રચનાઓમાં ઝીલ્યું. સમાજને આ કાળમાં દોરવણી આપનારા મહાન નાયકોને તેમણે તેમની રચનાઓમાં ગાયા તથા બિરદાવ્યા. વિચારના નૂતનતંતુને કાવ્યોમાં ઝીલીને સમાજમાં વહેતો કર્યો. ગાંધીજીના આદર્શોને લોકભાષમાં વહેતા મૂકવાના ભગત બાપુના પ્રયાસોનો જોટો જડે તેવો નથી તે વાત મેઘાણીભાઈએ કરેલી તે સર્વથા ઉચિત છે.

‘‘ઢાળ ભાળીને સૌ દોડવા માંડે, એ તો ઢાળનાં નહિ દોડનારો,

પોતે ચણેલામાં પોલ ભાળે તો પાયામાંથી જ પાડનારો….

ગાંધી મારો સો સો વાતોનો જાણનારો.’’

ગાંધીજીના આદર્શો, વિચારો તથા કાર્ય પધ્ધતિનું લોકભાગ્ય ભાષામાં વર્ણન કાવ્યની એક વિશેષ ઉંચાઈને આંબે છે. ભૂદાન ચળવળના તત્વને લોકો સુધી પહોંચાડવામાં ભગત બાપુની રચનાઓને અસાધારણ સફળતા મળી હતી. રવિશંકર મહારાજની પ્રવૃત્તિઓમાં ભગત બાપુને ઉપકારી આત્માનાં દર્શન થયાં. ભગત બાપુની રચનાઓની સરળતાએ તેમને ખૂબ જ લોકપ્રિય બનાવી. તેઓ ખરા અર્થમાં લોકકવિ તરીકે પ્રકાશ્યા. ગામડે ગામડે ભાંગતી રાત્રે ગવાતાં ભજનોમાં ભગત બાપુની રચનાઓ લોકસમૂહમાં ઝીલાઈ:

‘‘આશરે તારે ઈંડા ઉછેર્યા….., ફળ ખાધાં રસવાળાં,

મરતી વખતે સાથ છોડે, મોઢાં હોય મશવાળાં…,ઉડી જાવ પંખી પાંખુંવાળાં

પૂજય મોરારીબાપુની ફેબ્રુઆરી-માર્ચ-૨૦૧૫ની કથામાં ‘માનસ કાગરુષિ’ ને કેન્દ્રમાં રાખી અનેક સર્જકો-કવિઓને ગૌરવપૂર્ણ ભાવાંજલિ આપવામાં આવી હતી. ભગત બાપુને ‘સૂત્રદ્રષ્ટા’ ગણાવીને મોરારીબાપુએ નીલગિરિના કાગભુશંડિથી લઈને મજાદરના કવિ કાગ વચ્ચે સંવાદના ઉજળા સેતુંનું રસદર્શન કરાવ્યું હતું.

યહ પ્રભુ ચરિત પવિત્ર સુહાવા

કહહુ કૃપાલ કાગ કહૅં પાવા !

કહહુ કવન વિધિ ભા સંવાદા

દોઉ હરિભગત કાગ ઉરગાદા !!

માનસ કાગર્ષિની મોરારીબાપુએ નિજાનંદે ગાયેલી આ પ્રેમ કથાના પડઘા સમયના પ્રવાહને અતિક્રમીને દુનિયાના અનેક સાહિત્ય પ્રેમીઓના અંતરમાં અનંત કાળ, સુધી જીવંત તથા ધબકતા રહેશે તે નિર્વિવાદ છે. કવિ કાગ માટે લખાયેલા આંગણકાના ગીગાભાઈ કુંચાળાના શબ્દો વિસ્મૃત થઈ શકે તેવા નથી.

દાઢીવાળા દેખીયાં નર

એક રવીન્દ્રનાથ,

‘(દુજો) સર પટ્ટણી સમરથ

દેવ ત્રિજો તું દુલીયા.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑