: ક્ષણના ચણીબોર : રાજ વિનાના મહારાજ : પરિવ્રાજક ઋષિ : રવિશંકર મહારાજ :

૧૯૪૪માં બનેલી આ વાસ્તવિક ઘટનાની વાત ફરી ફરી સાંભળવી ગમે તેવી છે. ગાંધીજીનો એક સંદેશ રવિશંકર મહારાજને મળે છે : ‘‘જ્યાં હો ત્યાંથી અહીં (સેવાગ્રામ આશ્રમ – મહારાષ્ટ્ર) આવી જાઓ’’ બાપુના સંદેશાનો તો અમલ જ કરવાનો હોય. મહારાજ સેવાગ્રામમાં હાજર થાય છે. બાપુની સૂચના મહારાજને મળે છે : ‘‘આભા – કનુના લગ્ન તમારેજ કરાવવાના છે.  કરાવશોને ?’’ (કનુ ગાંધી – ગાંધીજીના ભત્રીજા અને જાણીતા ફોટોગ્રાફર) મહારાજ ત્વરિત ઉત્તર આપતા કહે છે : ‘‘એમાં પૂછવાનું શું હોય ? આપની ઇચ્છા તો મારે શિરોધાર્ય જ હોય !’’ હવે બાપુ બીજી સૂચના ફરમાવે છે. બાપુ મહારાજને કહે છે કે તેમણે આ લગ્નવિધિ કરાવવી તથા તે વિધિ કાકાસાહેબે લખેલી પુસ્તિકા અનુસાર કરાવવી. કાકાસાહેબની લગ્નવિધિ અંગેની પુસ્તિકા બાપુએ મહારાજને આપી. ફરી એક સૂચના આપતાં બાપુ કહે છે કે આ લગ્નવિધિ ૩૦ મિનિટમાં પૂરી કરવાની રહેશે. દાદાએ ઝડપભેર પુસ્તિકાના પાના ફેરવ્યા. પુસ્તિકા જોયા પછી મહારાજ બાપુને કહે છે કે કાકાસાહેબે પુસ્તિકામાં દર્શાવેલી વિધિ તેમનામાટેતો નવી છે. આ વિધિ ૩૦ મિનિટમાં કેમ પતશે ? ઉપરાંત ઉતાવળ કરવામાં ભૂલ થવાના સંભવ તરફ પણ મહારાજે ધ્યાન દોર્યું. બાપુ હાજર જવાબી છે. કહે છે કે ભૂલ થશે તો પણ હું ભૂલ નહિ કાઢું ! પછી આ પ્રશ્નનો ઉકેલ થાય તે માટે મહારાજને સૂચવે છે કે આ પુસ્તિકા ત્રણ – ચાર વખત વાંચી જવી. ત્યારબાદ વરઘોડીયા (આભાબેન તથા કનુભાઇ)ને બોલાવી તેમની સામે આ પુસ્તિકા વાંચીને તેનો અર્થ તેમને બરાબર સમજાવવો. બન્નેને લગ્નવિધિથી માહિતગાર કરવા. આમ કરવાથી સમય બચશે તેમ બાપુએ મહારાજને સમજાવ્યું. બધું સમજાવ્યા બાદ દરેક મિનિટનો હિસાબ રાખનાર આ મહાત્માએ ફરમાન કર્યું : ‘‘વિધિ ૩૦ મિનિટમાંજ પૂરી કરવાની છે.’’ મહારાજનો જવાબ : ‘‘જેવી આપની ઇચ્છા.’’ હવે લગ્નના સમયને માત્ર એક દિવસની વાર છે ! મહારાજે બાપુની ઇચ્છા અનુસારની તૈયારી અક્ષરસ: કરી. આ પ્રસંગની વાત લખતા આભાબહેન કહે છે કે મહારાજે તે બન્નેને (ભાવિ દંપતિને) બોલાવી દરેકે દરેક શ્લોકની તથા લગ્નવિધિની સંપૂર્ણ જાણકારી આપી. સ્વભાવ પ્રમાણે બાપુએ સાંજે ખરાઇ પણ કરી કે તેમની સૂચનાનો અમલ કેટલો તથા કેવો થયો છે.  બીજા દિવસે લગ્નવિધિ સમયસર શરૂ થઇ.  લગ્નવિધિ મહારાજે બરાબર ૨૯ મિનિટમાં પૂરી કરાવી. કોઇપણ પ્રકારની ઉતાવળ પણ મહારાજે કરાવી ન હતી. બાપુ પૂરો સમય વિધિમાં હાજર હતા. માત્ર બાપુનેજ નહિ પરંતુ લગ્નવિધિમાં હાજર રહેનારા સરોજિની નાયડુ, રાજાજી, ડૉ. ઝાકીર હુસેન, ઠક્કરબાપા તેમજ ઘનશ્યામદાસ બિરલા જેવા મહાનુભાવોને પણ મહારાજની સ્વસ્થતા – એકાગ્રતા તથા કાર્યદક્ષતાએ ચકિત કરી દીધા હતા. બાપુએ આવા અનેક કાર્યો જોઇને પોતાના આ એકનિષ્ઠ સાથી રવિશંકર મહારાજને બિરદાવતાં યાદગાર શબ્દોમાં કહ્યું : ‘‘મહારાજની આ જ ખૂબી છે. તેમને જે કામ સોંપો તેમાં તે પોતાનો આત્મા રેડી દે છે. મહારાજનું કરેલું દરેક કામ તેથીજ ઝળકી ઊઠે છે.’’ બાપુનું આવું ઉત્તમ પ્રમાણપત્ર કાર્યનિષ્ઠાના બળે મેળનાર રવિશંકર મહારાજનું પવિત્ર સ્મરણ ભોળા શિવજીની પૂજા – અર્ચનાના તહેવાર શિવરાત્રીના પ્રસંગે વિશેષ થાય છે. મહારાજનો જન્મ શિવરાત્રીના દિવસે માતર તાલુકાના રઢુ ગામે તા.૨૫/૦૨/૧૮૮૪ ના રોજ તેમના મોસાળમાં થયો હતો. માતા તરફથી નીરોગી શરીર રહે તેવી જીવનશૈલી તથા લાંબા અંતર સુધી ચાલવાની આદતની ભેટ પિતા તરફથી વારસામાં મળી હતી. રાજ વિનાના આ મહારાજની ઘસાઇને ઊજળા થવાની જીવનપધ્ધિત આજે પણ આશ્ચર્ય તથા અહોભાવ ઉપજાવે તેવી છે. ૧૯૫૯ માં મહારાજને ૭૫ વર્ષ પૂરાં થયા ત્યારે કવિ ઉમાશંકરે શ્રેષ્ઠ શબ્દગુચ્છથી મહારાજને વધાવ્યા. 

ન માનુષાત શ્રેષ્ઠતરં હિ કિંચિત

મનુષ્યથી ના અદકું કંઇજ

મનુષ્યમાંયે શિર જેનું ઉર્ધ્વ,

મૂર્ધન્ય તે.

માનવી એ કુદરતનું અદભુત છતાં જટિલ સર્જન છે. સમાજ તરીકે આપણે સામાન્ય રીતે સારા અને નરસા એવા બે ભાગમાં તેને વહેંચી લઇએ છીએ. નરસા માની લીધેલા ભાંડુંઓ તરફ અનેક પ્રકારના પૂર્વગ્રહો સહિત વ્યવહાર કરીએ છીએ. માણસાઇના દીવાની વાતો આવા પ્રસ્થાપિત થયેલા વલણને પડકારે છે. આવા ગમા – અણગામાની નિરર્થકતા સિધ્ધ કરી બતાવે છે. 

મહારાજ એક સદીનું ગૌરવયુક્ત તથા ઉજળું જીવન જીવીને ગયા. ગુજરાત રાજ્યનું ઉદઘાટન મહારાજના કરકમળોથી થયું તે રાજ્યનું સદભાગ્ય છે. વિમલાજી (ઠકાર) લખે છે કે ‘‘મહારાજને મળું છું ત્યારે ગંગાસ્નાનની શુચિતા લઇને પાછી આવું છું’’ કવિ કાગે મહારાજને વધાવતા લખ્યું : 

જય જય રવિશંકર પાપ ખયંકર

પુરુષોત્તમનર ગુર્જર કા.

નમો ભવ્ય ભૂદેવ ! નમો તપ –પુંજ નિરંતર,

નમો નયન નિકલંક, નમો ભવ – ભૂખ – દુ:ખહર !

વી. એસ. ગઢવી 

ગાંધીનગર. 

Leave a comment

Blog at WordPress.com.

Up ↑