
સૌરાષ્ટ્ર રાજ્યના સચિવાલયમાં એક મહત્વની તથા દીર્ઘકાલીન અસરો ધરાવતી મીટીંગ ચાલી રહી હતી. રાજ્ય સરકારના પ્રતિનિધિ તરીકે ખુદ મુખ્યમંત્રી ઢેબરભાઇ હતા. સામી બાજુ અનેક ગિરાસદારોના પ્રતિનિધિ તરીકે તેમના આગેવાન ધ્રોળ ઠાકોર સાહેબ ચન્દ્રસિંહજી બેઠા હતા. વાતાવરણમાં ગંભીરતા તથા તનાવ સ્પષ્ટ જોઇ શકાય તેવા હતા. પરંપરાગત ગિરાસદારો તથા સામી તરફ ઘરખેડ કરતાં ખેડૂતો અને ગણોતિયાના હિત આ નિર્ણય થકી નિર્ધારિત થવાના હતા. બેઠકમાં લગભગ તમામ મુદ્દે સમજૂતી સધાયા બાદ એક મહત્વના મુદ્દે વાત અટકી પડી હતી. ઠાકોર સાહેબ જો પોતાની વાત જતી કરે તો ગિરાસદારોના રોષનો ભોગ બનવું પડે. ઢેબરભાઇ આ મુદ્દા અંગે બાંધછોડ કરી શકે તેમ ન હતા. અણીના સમયે જ્યારે તમામ પ્રયાસો નિષ્ફળ ગયા ત્યારે મુત્સદ્દી નાગર ઢેબરભાઇએ એક કલ્પનામાં પણ ન આવે તેવી સોગઠી મારી. ઢેબરભાઇએ સ્વસ્થતાથી કહ્યું : ‘‘ એક બ્રાહ્મણની નાની એવી માગણી ક્ષત્રિય ઠાકોર સાહેબ પૂરી નહિ કરે ? ’’ જવાબમાં ચન્દ્રસિંહજીનું ગરવાઇથી ભરેલું હાસ્ય સૌએ જોયું. એ કહેવાની ભાગ્યેજ જરૂર છે કે એ હાસ્યમાં ‘‘હા‘‘ હતી. આપણાં વહીવટકર્તાઓ પણ કેવા દ્રષ્ટિ સંપન્ન હશે તેમજ Presence of mind ધરાવતા હશે તેની પ્રતિતિ આ એક નાની પણ મહત્વની ઘટના પરથી સ્પષ્ટ થાય છે. આવી અનેક વાતો રૂચિપૂર્ણ રીતે ‘‘વહીવટની વાતો ’’ માં શ્રી કુલિનચન્દ્ર યાજ્ઞિકે નોંધી છે. આ પુસ્તકનું પ્રકાશન કરીને દર્શક ઇતિહાસ નિધિએ આપણાં પર ઋણ ચઢાવેલું છે. રંગદ્વાર પ્રકાશને આ પુસ્તકના વિતરણની જવાબદારી સંભાળી છે. યાજ્ઞિક સાહેબની સાડાત્રણ દાયકાની સુદીર્ધ સેવાઓના અનેક કડવા – મીઠા અનુભવો લેખમાળા તરીકે છપાયા હતા. આ બાબતને સુગ્રથિત કરી પુસ્તક સ્વરૂપે રજૂ કરવામાં આવી છે. યાજ્ઞિક સાહેબે એક સાચું તથા સુંદર અવલોકન આમુખમાંજ લખેલું છે. આ પુસ્તકના લેખક લખે છે : આપણાં સમાજમાં જાહેર વહીવટના વિષયમાં ઘણો ઓછો તથા ઉપરછલ્લો રસ લેવાય છે. રાજસત્તા, ચૂંટણી, આંદોલનો તથા ફરિયાદો તથા તેને લગતો ઉહાપોહ લોકોને આકર્ષે છે…. અલ્પજીવી તથા તત્કાલિન મુદ્દાઓ લોકોને ઉત્તેજિત કરે છે પણ શાસનના હાથપગ જેવા તંત્ર વિષે ઝાઝી વિચારણા થતી નથી… પ્રસાર માધ્યમો તથા વિદ્યાપીઠો આ ક્ષેત્રમાં ઘણું કરી શકે.’’ અંગ્રેજીમાં આ વિષય પરના લખાણોમાં ઠીક ઠીક કામ થયું છે. બી. કે. નહેરુ, રિબેરો તથા પી. સી. એલેકઝાંડર જેવા તંત્ર સાથે સંકળાયેલા લોકોએ આવા સંભારણા લખીને જાહેર વહીવટના વિષય અંગે ઇનસાઇટ પૂરી પાડી છે. ગુજરાતીમાં આવું કાર્ય ખૂબ સારી રીતે લલિતચન્દ્ર દલાલે કરેલું છે. પ્રસ્તુત પુસ્તક થકી યાજ્ઞિક સાહેબે એક સુંદર અને અર્થપૂર્ણ ઉમેરો કર્યો છે. આ માટે તેઓ અભિનંદનને પાત્ર છે.
કુલીનચન્દ્ર યાજ્ઞિકના સેવાકાળના અનેક પ્રસંગો તથા અનુભવો વાંચતા જાહેર વહીવટમાં મુખ્યત્વે નીચે મુજબના પડકારો કે સમસ્યાઓ સામે આવે છે તેની પ્રતિતિ થાય છે.
૧. બે સમાંતર જૂથ વચ્ચેના હિતોના ટકરાવ સમયે વસ્તુનિષ્ઠ નિર્ણય કરવાની ક્ષમતા. આ પુસ્તકમાં ગિરાસદારો તથા ગણોતીયાઓ વચ્ચેના સંઘર્ષમાં આ બાબત જોઇ શકાય છે.
ર. અણધાર્યા તથા આકસ્મિક સંજોગોમાં Crisis Management ગુજરાતના વહીવટીતંત્રે આ સદીની શરૂઆતમાં આવેલા ભીષણ ભૂકંપમાં જે વ્યવસ્થાપન કર્યું તે દેશ અને દુનિયામાં વખણાયું છે. આ ઉદાહરણ નજર સામે છે.
૩. કોઇ પ્રસંગે ટોળાશાહી જોવા મળે તો તેના નિવારણ માટેની શક્તિ Crowd Management.
૪. ટીમવર્કની ભાવનાથી તમામ સહકર્મીઓને Motivate કરવાની શક્તિ.
પ. છેલ્લા એકાદ દાયકાથી જે બાબત વિશેષ સામે આવી છે તેવું Media Management આ પ્રશ્નની તીવ્રતા યાજ્ઞિક સાહેબના સમયમાં આટલી વ્યાપક હોય તેમ લાગતું નથી.
ઉપર જણાવેલું છે તેવી દરેક સમસ્યાના શક્ય એટલા ત્વરીત તથા વાજબી ઉકેલ માટે યાજ્ઞિક સાહેબે વર્ણવેલા અનુભવો આજની તથા ભાવી પેઢીના વહીવટકર્તાઓને માર્ગદર્શક તથા ઉપયોગી બની શકે તેવા છે. કેટલાક રમૂજ પ્રેરે તેવા ટૂચકાઓએ પણ આ કથામાં રંગ પૂરણી કરી છે. જેતપુરના મામલતદાર ડાહ્યાભાઇને રેવન્યુ કમિશનરની કચેરીમાંથી એક તાર – Telegram – મળે છે. મામલતદારને આદેશ છે કે કમિશનરશ્રી બીજા દિવસે જેતપુરથી ટ્રેઇનમાં પસાર થવાના છે. આથી તગાવી વસૂલાતના આંકડા સાથે બીજા દિવસે સવારે સ્ટેશન પર હાજર રહેવાની મામલતદારને સૂચના છે. મામલતદાર ડાહ્યાભાઇ મહેનતુ અધિકારી પરંતુ સીધા સાદા સ્વભાવના છે. આથી Telegram માં between the lines તેઓ કદાચ નહિ સમજી શક્યા હોય. ટ્રેઇન નિર્ધારીત સમયે સ્ટેશન પર આવીને ઊભી રહે છે. ડાહ્યાભાઇએ તો ઉજાગરો કરીને પણ વસૂલાતના આંકડા ગોખી રાખેલા હતા. કમિશનર સાહેબને નમસ્તે કરીને તેઓ વસૂલાતના આંકડા ફટાફટ બોલવા લાગ્યા. થોડી ક્ષણોમાંજ કમિશનરશ્રીએ પોતાની સાથેના ચિટનીસને કહ્યું : ‘‘ આ મામલતદાર કંઇ સમજ્યા છે કે નહિ ? ’’ કમિશનરને ધારણા હતી કે મહેમાનનવાઝી માટે જાણીતા આ વિસ્તારમાં સવારના સમયે ચા અને ગરમ ગાંઠિયાની લિજ્જત લઇ શકાશે. સમજદાર તથા અનુભવી ચિટનીસે ડાહ્યાભાઇને કહ્યું : ‘‘ ચા નાસ્તો તૈયાર નથી ? ’’ ડાહ્યાભાઇએ કહ્યું કે બીલકુલ તૈયાર છે પરંતુ મને થયું કે પહેલા સૂચના અનુસાર તગાવી – વસૂલાતની વાત કરી લઉં’’ ચિટનસે કહ્યું કે હવે બહુ થયું, ચા-નાસ્તો જલ્દીથી આવે તેવું કરો. ગણતરીની ક્ષણોમાંજ ચા અને ગરમાગરમ ગાંઠિયાની પ્લેટ કમિશનરના હાથમાં મૂકવામાં આવી. ગરમ નાસ્તાની સાથે ચા ની લિજ્જત માણતા કમિશનરે ડાહ્યાભાઇ મામલતદારને સૂચના આપી. ‘‘ તગાવીના જે પત્રકો તમે લાવ્યા છો એ મારી સાથે પ્રવાસમાં રહેલા ચિટનીસને આપી દેજો ! ડાહ્યાભાઇને ઘેરાયેલું સંકટ ટળ્યું હોય તેવી અનુભૂતિ થઇ.
યાજ્ઞિક સાહેબના આ પુસ્તકમાં દેશ સ્વાધીન થયો તે પછીના પ્રથમ સાડાત્રણ-ચાર દાયકામાં સત્તાસ્થાને હોય તેવા પદાધિકારીઓની સાદગીની વાતો ઊડીને આંખે વળગે તેવી છે. સૌરાષ્ટ્ર રાજ્યની સ્થાપના થયા પછી પ્રથમ મુખ્યમંત્રી તરીકે ઢેબરભાઇએ શપથ ગ્રહણ કર્યા. સૌરાષ્ટ્ર એ પરંપરાગત રીતે બ્રિટીશ શાસકો માટે મહત્વનો વિસ્તાર હતો. આથી રાજકોટમાં બ્રિટીશ પોલીટીકલ એજન્ટનું થાણું હતું. સત્તાના આ ગોરા અમલદાર માટે ભવ્ય મહાલય જેવી હવેલી બાંધવામાં આવી હતી. જે આજે પણ હયાત છે અને ઉપયોગમાં લેવામાં આવે છે. સ્વાભાવિક રીતેજ મુખ્યમંત્રી તરીકે ઢેબરભાઇને આ મહાલયની ફાળવણી કરવામાં આવી. ઢેબરભાઇએ પૂરા વિવેક સાથે આ ફાળવણીનો અસ્વીકાર કર્યો. તેના બદલે તેઓ રાજકોટના સેનિટોરિયમમાં ત્રણ રૂમ અને ખુલ્લી ઓસરીવાળા મકાનમાં રહેતા હતા. આ જોઇને ગાંધીજીની હ્રદયકુંજની સ્મૃતિ થઇ આવે. મુખ્યમંત્રીને કોઇપણ વ્યક્તિ સવારે તેમના નિવાસસ્થાને મળી શકે. નાગરિકો તેમજ કાર્યકરો સાથે ગાઢ સંપર્કમાં રહે. સીધો તથા સરળ વ્યવહાર. યાજ્ઞિક સાહેબને આવા મુખ્યમંત્રી સાથેની મુલાકાત હૈયામાં કોતરાઇ ગઇ. જોકે સાદગીના અંચળા હેઠળ કદી કોઇ પ્રકારની બીનકાર્યક્ષમતાને ત્યાં સ્થાન હતું નહિ.
કુલીનચન્દ્ર યાજ્ઞિક (જન્મ ૧-૯-૧૯૨૬)ને શ્રી રઘુવીર ચૌધરીએ ‘‘નિર્વ્યાજ સાહિત્ય પ્રીતિના માણસ’’ તરીકે ઓળખાવ્યા છે તે યથાર્થ છે. આવા અનેક ગુણોથી વિભૂષિત સાક્ષરની નડિયાદમાં સ્વસ્થ તથા કાર્યરત ઉપસ્થિતિ આપણાં માટે સામુહિક ગૌરવનો વિષય છે.
Leave a comment