મહાકવિ શ્રી લાડુદાનજીની સવારી ધોરાજીથી જૂનાગઢ તરફ ગતિ કરી રહી છે. કચ્છ-ભૂજની વૃજભાષા પાઠશાળાના અમૂલ્ય રત્ન સમાન આ કવિરાજની સુખ્યાતિ સૌરાષ્ટ્ર – કચ્છના અનેક વિસ્તારોમાં પ્રસરેલી છે. કવિનું ધ્યાન રેવતાયાળ પર્વત (ગીરનાર) તરફ ગયું અને મનમાં જન્મભૂમિની સ્મૃતિનો મીઠો ભાવ પ્રસરી ગયો. આબુરાજની તળેટીનું ખાણ ગામ યાદ આવી ગયું. ‘ખાણ’ નો આ મૂલ્યવાન હીરો જ્યાં જ્યાં મુલાકાત કરે છે ત્યાં પોતાની ગરવી પ્રતિભા તથા કાવ્યશાસ્ત્રના બળે અજવાળા પાથરતો આવે છે. આજે કવિની સવારી જૂનાગઢના માર્ગે મોજથી વિચરણ કરે છે. જૂનાગઢના મજેવડી દરવાજે નવાબ સાહેબના અમીરો કવિને સત્કારવા વિનયપૂર્વક ઊભા છે. કવિનો સત્કાર કરી સરદાર બાગમાં ઉતારો આપવામાં આવે છે. કવિશ્રીના રસાલાના ઘોડા – ઊંટ તથા માણસોની સુચારુ વ્યવસ્થા રાજ્ય તરફથી કરવામાં આવી છે. નવાબ સાહેબ સાથેની મુલાકાતનો દિવસ નક્કી થાય છે. ભરાવદાર તેમજ વિશાળ વિરરસથી ભરપુર તેજસ્વી મુખારવિન્દ, અજાનબાહુ તેમજ બુલંદ અવાજની કુદરતી બક્ષિસ ધરાવતા કવિ લાડુદાનજી ઉત્તમ રાજવંશી પોષાકમાં જૂનાગઢના નવાબ સાહેબની રાજ્યસભામાં પ્રવેશ કરે છે. નવાબ સાહેબે સંપૂર્ણ વિવેક સાથે કવિને ઉજળો આવકાર આપ્યો. સૌની કૂશળતા પૂછીને કવિએ આશીર્વાદના વેણ ઉચ્ચાર્યા. સભામાં કાજી સાહેબનો પરિચય થયો. કવિના ધ્યાન પર કોઇએ એ બાબત મૂકી હતી કે કાજી સાહેબ જાણકાર છે તથા પોતાની જાણકારીનું ગુમાન ધરાવે છે. નવાબના કહેવાથી કવિ કાજી સાહેબ તરફ એક નજર કરીને પોતાની છટાદાર શૈલીમાં કવિત સંભળાવે છે.
દિયા હૈ ખૂદાને ખૂબ
ખૂશી કર ગ્વાલ કવિ,
ખાના પીના લેના દેના,
ઓહી રહ જાના હૈ.
કેતેક અમીર ઉમરાવ
બાદશાહ ગયે,
કર ગયે કૂચ તાકા
લગા ના ઠિકાના હૈ.
હિલો મિલો પ્યારે જાન
બંદગીકી રાહ ચલો,
જિંદગી જરાસી તામે
દિલ બહલાના હૈ.
આવ પરવાના બને
એક હુન બાના,
યા તેં નેકી કર જાના
ફિર આના હૈ ન જાના હૈ.
છટાદાર ચારણી શૈલીમાં બુલંદ કંઠથી પ્રગટ થયેલા આ અર્થપૂર્ણ કવિતના શબ્દો સાંભળી નવાબ સાહેબ તથા કાજીને કોઇ ખુદાઇ ફિરસ્તાની પાવક વાણીના પડઘા સંભળાયા. સુભાન અલ્લાહ ! કહી બાદશાહે પ્રસન્નતા વ્યક્ત કરી. કાજી સાહેબ જાણતલ હતા તેથી આ પ્રવાસી કવિની વિદ્દવતાને નમી પડ્યા.
મરુભૂમિના પ્રથમ પડાવે તીર્થરાજ આબુની તળેટીમાં આશિયા શાખાના ચારણ કુટુંબમાં વિક્રમ સંવત ૧૮૨૮ ના મહા સુદ પાંચમ – વસંત પંચમીના વાસંતી મહોલમાં કવિએ જન્મ ધારણ કર્યો હતો. ઉપર જણાવ્યું છે તેમ જૂનાગઢની જેમ સૌરાષ્ટ્ર – કચ્છ તથા મારવાડના અનેક રજવાડાઓની કવિની મુલાકાત યાદગાર તથા ઐતિહાસિક બની છે. કવિની કાવ્યશાસ્ત્રમાં નિપુણતા તથા ઉત્તમ પ્રકારની રહેતી કરણીને કારણે જે જે રાજ્યોમાં તેઓ ગયા ત્યાં તેમનો અનોખો સત્કાર થયો હતો. તેમની વિદ્દવતાનો પ્રભાવ વિસ્તરતો જતો હતો. રાજા-મહારાજાનો વિશેષ પ્રભાવ તેમના રાજ્ય પૂરતો મર્યાદિત હોય છે. જ્યારે વિદ્વાન વ્યક્તિનો પ્રભાવ રાજ્યની કે કાળની સીમા બંધનમાં નથી. એક સુંદર સંસ્કૃત સુભાષિતમાં છંદ અનુષ્ટુભમાં આ વાત સુંદર રીતે રજૂ થઇ છે.
વિધ્વત્વં ચ નૃપત્વં ચ
નૈવ તુલ્યં કદાચન !
સ્વદેશે પૂજ્યતે રાજા
વિધ્વાન્સર્વત્ર પૂજ્યતે !!
મારવાડના કવિ લાડુદાનજીનો પ્રભાવ આ કારણસરજ અનેક પ્રદેશોમાં વિસ્તરેલો હતો. અનેક રાજવીઓએ કવિને પોતાના રાજ્યમાં સ્થાયી થવા વિનંતીઓ કરી હતી. પરંતુ વિધિ નિર્માણ આ રાજવી પુરુષ માટે કંઇક અલગજ હતું. કવિના ચરિત્ર અનેક રીતે લખાયા છે અને વંચાયા છે. પરંતુ આ બધામાં રાજ્યકવિ માવદાનજી રત્નુનું ‘‘ બ્રહ્મસંહિતા ’’ વિસ્તૃત તથા વિગતોથી ભરપૂર છે.
બ્રહ્મસંહિતા ભાવથી અર્પે
માવ કવિ આજ
સ્વીકારો શુભ સ્નેહથી
મણિરૂપ મહાજ
સ્વામિનારાયણ ગુરૂકુળ – સુરેન્દ્રનગરના વિદ્વાન શાસ્ત્રી નારાયણ સેવાદાસજીએ પણ સત્સંગીઓના લાભાર્થે બ્રહ્મમુનીના સાહિત્યનું નોંધપાત્ર પ્રકાશન કરેલું છે. આ પણ એક ઉમદા પ્રયાસ છે. સંસારી લાડુદાનજી સ્વામિનારાયણ દેવના પારસમણી સ્પર્શથી બ્રહ્માનંદ સ્વામી બનીને વિશેષ ઝળકી ઉઠ્યા. પરંતુ મૂળમાં સ્વામિની એક મોટા ગજાના સર્જક તરીકેની શક્તિ માટે ગુજરાતી સાહિત્ય પરિષદના સાહિત્યકોશ ખંડ-૧ માં લખ્યું છે :
‘‘ કવિએ રચેલાં ભક્તિ તથા વૈરાગ્યના પદો શૌર્યસભર શૈલીથી વિશિષ્ટ ખુમારીનો અનુભવ કરાવે છે. સૌરાષ્ટ્રની બોલીનો રણકો, પ્રાસ-અનુપ્રાસ મેળવવાની સહજશક્તિ, પદરચનાના સફાઇ કે માધુર્ય સ્વામિનારાયણ સંપ્રદાયની કવિતામાં તો મોખરાનું સ્થાન ભોગવે છે. પરંતુ ગુજરાતી પદ્યસાહિત્યમાં પણ વિશષ્ટ બની રહે છે. ’’ સહજાનંદ સ્વામીને કેન્દ્રમાં રાખીને સુંદર, ગેય તથા અર્થપૂર્ણ પદોનું સર્જન બ્રહ્માનંદ સ્વામી ઉપરાંત મુક્તાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી તથા ભૂમાનંદ સ્વામી જેવા પુણ્યશ્લોક સંતોએ કરેલું છે. આપણાં સાહિત્યના ભાતીગળ સંતવાણી સાહિત્યમાં સ્વામીનારાયણ સંપ્રદાયના સંતોનું મહત્યનું પ્રદાન છે.
કચ્છ-ભૂજની મહારાવશ્રી લખપતજી વ્રજભાષા પાઠશાળા નામની કાવ્ય શિક્ષણ સંસ્થા, ૧૮મી સદીના ઉત્તરાર્ધમાં સ્થપાયેલી એક વિશિષ્ટ સંસ્થા હતી. ઇ.સ. ૧૭૪૯ થી ૧૯૪૮ સુધીના લગભગ બે સૈકા સુધી આસંસ્થા ધબકતી રહી હતી. કચ્છના રાજવી મહારાવ શ્રી લખપતજી તેમજ તે સમયના રાજ્યકવિ હમીરજી રત્નુની દીર્ઘદ્રષ્ટિ તથા સાહિત્ય પ્રીતિને કારણે આ સંસ્થા સ્થાપવામાં તથા વિકસાવવામાં આવી. આચાર્યપદે બીરાજેલા અનેક જૈન મુનીઓએ પણ પોતાના વિશાળ જ્ઞાનથી આ સંસ્થાનું સંવર્ધન કર્યું હતું. વ્રજભાષા પાઠશાળાના તેજસ્વી આચાર્યોની પરંપરાના છેલ્લા મણકા સમાન રાજ્યકવિ શંભુદાનજી હતા. બ્રહ્માનંદ સ્વામી જેવા અનેક મોટા ગજાના વિદ્વાન કવિઓનુંનિર્માણ ભૂજની આ ભાતીગળ પાઠશાળામાં થયેલું છે. બ્રહ્માનંદ સ્વામિની કવિત્વ શક્તિને પારખીને સંત અવિશાનંદજીએ યથાર્થ લખ્યું છે.
બ્રહ્મમુનિ કવિ ભાનુસમ
પ્રેમમુક્ત દોઉ ચન્દ્ર,
ઔર કવિ ઉડુગણ સમ,
કહે કવિ અવિશાનંદ.
સ્વામી બ્રહ્માનંદ જીવનના સંધ્યાકાળે મૂળી (જિ. સુરેન્દ્રનગર) મંદિરમાં નિવાસ કરતા હતા. મુળી મંદિરના નિર્માણ ઉપરાંત વડતાલ તથા જૂનાગઢના મંદિરો પણ બ્રહ્માનંદ સ્વામીએ ટાંચા સાધનોના એ કાળમાં શ્રીજી મહારાજની કૃપાથી પૂર્ણ કર્યા હતા. પોતાનું સહજ કર્મ એજ તેમની ભક્તિ હતી. રાજા-રજવાડાના અનેક આભૂષણોનો અનાસક્તભાવે અને સ્વેચ્છાથી ત્યાગ કર્યા પછી ભક્તિ અને નિષ્ઠાના અમૂલ્ય અલંકારોથી તેઓ શોભતા હતા. વસંત પંચમીના વાસંતી માહોલમાં સ્વામીના અનેક પદોનું સ્મરણ કેટલાય હરિભક્તોને ભીંજવતું રહે છે. સદગુરુ દેવાનંદ સ્વામીને શ્રીજી તરફના નિરંતર સ્નેહની તથા પોતાને પ્રિય એવા સંગીતની સ્વામીએ દીક્ષા આપી હતી તેમજ મૂળી મંદિરના વહીવટની સોંપણી કરી હતી. નિષ્કુળાનંદ સ્વામી સહીતના અનેક સંતો બ્રહ્માનંદ સ્વામીના સૂર્ય સમાન તેજસ્વી જીવનના સૂર્યાસ્તનું દર્શન કરવા મૂળી મંદિરમાં એકઠા થયા હતા. સાધુઓ તથા સત્સંગીઓને સંપ રાખવાની અમૂલ્ય શીખ તેમણે અંતકાળે આપી હતી. જીવનના સંધ્યાકાળે ‘‘ અધમ ઓધરણ અવિનાશી તારા બીરદની બહિલારી રે ’’ ગાઇને શ્રીજી મહારાજની ઉત્કટતાથી અનુભૂતિ કરી હતી. શ્રીજી મહારાજ સ્વધામ પધાર્યા હતા તેજ તિથિએ બ્રહ્મમુની પણ અક્ષરધામ નિવાસી થયા. જીવનના છ દાયકાનું કર્મનિષ્ઠ તથા અખંડ ભક્તિનિષ્ઠ જીવન તેમની વૈચારીક સજ્જતાનો પરિચય કરાવે છે. વીરને છાજે તેવું જીવન વ્યતિત કરનાર આ સાધુના અનેક સર્જનોમાં પણ વીરરસ છલકે છે.
રે શિર સાટે નટવરને વરીએ
રે પાછું તે પગલું નવ ભરીએ..
રે સમજ્યા વિના નવ નીસરીએ
રે રણમધ્યે જઇને નવ ડરીએ
ત્યાં મુખ પાણી રાખી મરીએ..
રે પહેલુંજ મનમાં ત્રેવડીએ
રે હોડે હોડે જુધ્ધે નવ ચડીએ
જો ચડીએ તો કટકા થઇ પડીએ..
રે રંગ સહિત હરિને રટીએ
રે હાક વાગે પાછા નવ હઠીએ
બ્રહ્માનંદ કહે તાં મરી મટીએ..
શિર સાટે નટવરને વરીએ.
વી. એસ. ગઢવી
ગાંધીનગર.
Leave a comment