: ક્ષણના ચણીબોર : લોકસાહિત્ય : આપણી મોંઘેરી તથા જાળવવા જેવી વિરાસત :

લોકસાહિત્ય તથા લોકકળાના વિષયમાં તેમજ તેના વિકાસ અને સંવર્ધન બાબતમાં ઘણાં વર્ષોથી અનેક મહાનુભાવોએ વ્યાપક ખેડાણ કર્યું છે. લોકસાહિત્યના બળૂકા માધ્યમથી લોકોના રીતરિવાજ, પરંપરાઓ, ઉત્સવો તેમજ તેમની સમગ્ર અસ્મિતાના દર્શન થાય છે. કલકત્તામાં નોકરી માટે ગયેલા મેઘાણીભાઇ આ સાહિત્યના તીવ્ર આકર્ષણને કારણે ૧૯૨૧ માં સૌરાષ્ટ્રમાં આવ્યા અને લોકસાહિત્યના સંશોધનની અભૂતપૂર્વ કામગીરી કરી. તળના આ સાહિત્યની સુગંધને કારણેજ બંગાળના લોકગીતો તેમજ નાવિકોના ભાવગીતો એકઠા કરવાનું કાર્ય સચિનદેવ બર્મને પણ વર્ષો સુધી કર્યું. બાઉલ ગીતોને ઉજાગર કરવામાં ક્ષિતિમોહન સેને પણ વણથાકી રઝળપાટ કરી. કવિગુરુ ટાગોર સુધી ક્ષિતિબાબુએ બાઉલ ગીતોનો ખજાનો પહોંચાડ્યો. મેઘાણીભાઇ ઉપરાંત સર્વશ્રી રતુભાઇ અદાણી, ડોલરરાય માંકડ, જયમલ્લભાઇ પરમાર, ગોકળદાસ રાયચુરા તથા રતુભાઇ રોહડિયા જેવા આ ક્ષેત્રમાં પડેલા મોટા ગજાના માનવીઓએ પણ પોતાની તમામ સમય તથા શક્તિ લગાવીને લોકસાહિત્યના પ્રચાર અને દસ્તાવેજીકરણના કામમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું. સમર્થ કવિ અને વક્તા શ્રી દુલા કાગ, શ્રી મેરૂભા ગઢવી, શ્રી દુલેરાય કારાણી તથા શ્રી પિંગળશીભાઇ લીલા જેવા મર્મી લોકોએ દેશ અને દુનિયાના અનેક સ્થળોએ લોકસાહિત્યમાં રહેલા સત્વની વાતો કરી અને લોકોએ તેમની વાતોને ખૂબજ સ્નેહપૂર્વક વધાવી લીધી. શ્રી સુલેમાન જુમા અને શ્રી નાનજી મિસ્ત્રી જેવા કસબીઓએ તેમની કળાથી લોકસાહિત્યમાં આકર્ષક રંગો પૂર્યા. લોકો એ વાત સમજતા – સ્વીકારતા થયા કે આ સાહિત્ય એ આપણોજ અમૂલ્ય ખજાનો છે અને તેનું આકર્ષક આજે પણ એટલુંજ અકબંધછે. આપણાં નેક – ટેક અને ખમીરની વાતો આ સાહિત્યમાં સંઘરાયેલી છે. જે વર્ષો વીત્યા છતાં આજે પણ આપણને પ્રેરણા આપે છે. 

લોકગીતોની તેમજ લગ્નગીતોની એક મોટી શક્તિ એ છે કે તેમાં પૂર્ણત: સમરસતાના ભાવ છે. આપણી સામાજિક સમરસતાનો તાણો-વાણો ગૂંથવામાં અને તેને સબળ બનાવવાના પુણ્યકાર્યમાં લોકગીતોનો સિંહફાળો છે. સૌરાષ્ટ્રમાં ગવાતા એક જાણીતા લગ્નગીતમાં કેવા નાજુકભાવ સંઘરાઇને પડ્યા છે તે ફરી સાંભળવા ગમે તેવા છે.

ઊંભા રે ઊંચા દાદા ગઢ રે ચણાવ્યા

ગઢ રે સરીખા ગોખ મેલીયા,

ગઢ રે ચડીને બાઇનો દાદોજી જૂએ

કન્યા ગોરાને રાઇવર શામળા !

નિર્દોષતા તથા સુંદરતા ધરાવતી વહાલી દિકરીને પરણવા આવતા વરરાજા શામળા હોવાથી તે બાબત દાદાની ચિંતાનો વિષય બને છે. પરંતુ દિકરીને તરતજ દાદાજીની આ ચિંતાનો ભાવ ધ્યાનમાં આવે છે અને તેનો કેવો ચતુરાઇથી ભરેલો જવાબ આપીને પોતાને પ્રિય એવા દાદાની ચિંતા દૂર કરવાનો પ્રયાસ કરે છે. 

એના ઓરતડા ન કરજો દાદા,

દ્વારકામાં રણછોડરાય શામળા !

મેઘાણીભાઇએ સરસ લખ્યું છે કે આ ગીતોમાં લાવણ્ય ભારોભાર પડેલું છે. નીચેની પંક્તિઓમાં પણ આજ બાબતનો ભાવ અન્ય રીતે ઉઘડે છે. 

મેડીને મોલ બેઠાં મોંઘીબા બોલે,

કાં રે દાદાજી વર શામળો !

દાદાજી યુક્તિપૂર્વક વહાલી દિકરીને મનાવે છે. 

છેટેથી આવ્યો રજે ભરાણો

રજનો ભરાણો રાયવર શામળો !

આજે જ્યારે સામૂહિક માધ્યમો મારફત કેટલીકવાર અર્થહિન તથા વિકૃતિપૂર્ણ ગીતોનો મારો ચલાવાતો હોય તેવું લાગે ત્યારે આપણાં આ પરંપરાગત લોકગીતો તરફ અચૂક ધ્યાન જાય છે. માત્ર એ જૂનું છે માટે સારું છે તેવી વાત નથી. આ ગીતોમાં સંઘરાઇને પડેલા ભાવ તથા લોકજીવનના અભિન્ન તાણાંવાણાંની જેમ વણાયેલા પ્રસંગો – સમાજજીવનની સ્વાસ્થતા દર્શાવવા તેમજ તેને ટકાવી રાખવા માટે એક શાસ્વત મૂલ્ય ધરાવે છે તેની પ્રતિતિ થાય છે. લોકગીતોનો ઉષાકાળ તેજ સાહિત્યનો ઉષાકાળ છે તેવું રણજીતરામ વાવાભાઇનું વિધાન યથાર્ય છે.      

વી. એસ. ગઢવી 

ગાંધીનગર. 

Leave a comment

Blog at WordPress.com.

Up ↑