ગાંધીજીએ માત્ર દેશને આઝાદી પ્રાપ્ત થાય તેને લક્ષ બનાવીને જ જીવનકાર્યો હાથ ધર્યા હોત તો પણ એ બાબતને વ્યાપક સ્વીકૃતિ મળી હોત. પરંતુ ગાંધીજીને માત્ર દેશ આઝાદ થાય તેમાં જ ઇતિશ્રી લાગતું ન હતું. સમગ્ર સમાજના સર્વતોમુખિ વિકાસનું આયોજન એ ગાંધીની અગ્રિમતા હતી. શ્રમ-સાદગી સાથે સ્વચ્છતાના કામો પર તેમની નજર હતી. શિક્ષણમાં પરિવર્તન હોય કે શોષિતોના કલ્યાણની વાત હોય તેમા પણ મહાત્માનું અમૂલ્ય યોગદાન હતું. છોટુભાઇ દેસાઇ (મહાદેવ દેસાઇના ભાઇ) કે ઠકકરબાપા જેવા સમર્થ લોકોનું જીવન વંચિતોની વેદના ઠારવામાં ખર્ચાયું હતું. નાનાભાઇ અને દર્શક જેવા ગાંધી વિચારધારાના ચાહકોએ આપણી ભૂમિને અનુરૂપ તેવું શિક્ષણ બાળવયથી જ તમામને મળી રહે તે માટે વ્યવસ્થા ઊભી કરવાનો નિષ્ઠાપૂર્ણ પ્રયાસ કર્યો હતો. ભાવનગર શિશુવિહાર સંસ્થાના સ્થાપક માનભાઇ ભટ્ટ પણ આ ગાંધી ઘરાનાના જ વીરલા હતા. મોટાભાગે માનવ માત્રને નામ કમાવાની તથા પોતાની નામના જીવંત રહે તેવી એષણા રહેતી હોય છે. માનભાઇ નોખી માટીના માનવી હતા. પોતાના મરણ બાદ દુનિયાના સામાન્ય રિવાજ પ્રમાણે દિવંગતના ફોટાને હારતોરા કરવામાં આવે છે તેની ના પાડીને માનભાઇ ગયા. કોઇ સ્મારકની વાત તો તેમની નજીક પણ કયાંથી ફરકી શકે ? પોતે જ લખીને ગયા કે તેમના મરણ બાદ સંસ્થાની કોઇ પણ પ્રવૃત્તિ બંધ ન રાખવી. પોતાના મૃત શરીરની ભસ્મ શિશુવિહારના પ્રાંગણમાં છાંટી દેવી કે જેથી અનેક ભૂલકાઓ તેની પર ખેલકૂદ કરી આનંદપ્રમોદ પ્રાપ્ત કરે. વિચારોની આ ઊંચાઇ જીવનભરની સાધના સિવાય પ્રાપ્ત થઇ શકે તેવી નથી.
સંસ્કૃતિ : : માનભાઇ ભટ્ટઃ નોખી માટીના મહામૂલા માનવી

Leave a comment