: સંસ્કૃતિ :: મહાવીર જયંતીના પાવન પર્વે શ્રીમદનું સ્મરણ :

વીસમી સદીના યુગપુરુષ તરીકે સમગ્ર વિશ્વ જેમના વિચારોનો આદર કરે છે તેવા મહાત્મા ગાંધી લખે છે :

” મારી ઉપર ત્રણ વ્યક્તિઓએ ઊંડી છાપ પાડી છે. તેમાં ટોલ્સટોય, રસ્કિન તથા રાયચંદભાઇ (શ્રીમદ્ રાજચન્દ્ર) નો સમાવેશ થાય છે…… રાયચંદભાઇ સાથેના સંબંધથી હું શાંતિ પામ્યો. હિન્દુ ધર્મમાં મને જે જોઇએ તે મળે તેમ છે એવો વિશ્વાસ બેઠો. “

વિધિનિર્માણની એ ભવ્ય ક્ષણો હશે કે, જ્યારે ખારા અફાટ જળરાશીની લગોલગ પ્રગટેલા આ બન્ને ક્રાંતદ્રષ્ટા સાધકો એકબીજાને મળ્યા હશે તથા અલગ અલગ માધ્યમોથી વિચારોનું આદાન પ્રદાન કર્યું હશે. શ્રીમદ્દને મળ્યા પછી ગાંધીજીને એ વાતની પુન: પ્રતિતિ થઇ કે સ્મરણશક્તિ નિશાળમાં નથી વેચાતી. તેજ રીતે જ્ઞાન પણ જિજ્ઞાસા હોય તો નિશાળની બહાર પ્રાપ્ત કરી શકાય છે. મહાત્માનું આ તારણ સત્યની સમિપે રહેલુ છે. એકલવ્ય નિષ્ઠા તથા જિજ્ઞાસા થકીજ અર્જુનને પણ દૂર્લભ હતું તેવું કૌશલ્ય પ્રાપ્ત કરી શક્યો હતો. મુમુક્ષુવૃત્તિ કેળવીને જીવનમાં ઉન્નતિને માર્ગે ચાલવું સંભવિત છે તે વાતની ઠોસ પ્રતિતિ શ્રીમદ્ તથા ગાંધીજીના જીવનમાં જોઇ શકાય છે. પૂ. રવિશંકર મહારાજે લખ્યું છે તેમ શ્રીમદ્દ રમણ મહર્ષિ જેવા યોગીની હરોળમાં નાની વયે પહોંચી ગયા હતા. ગાંધીજીને શ્રીમદ્દમાં સમ્યક્ દર્શનનો અનુભવ થયો હતો. શ્રીમદ્દના વિચારોમાં જૈન તત્વજ્ઞાનનું પ્રભુત્વ જરૂર રહેતું પરંતુ તમામ દર્શન પરત્વે તેમને આદર હતો. ગાંધીજી શ્રીમદ્દનું બહોળું શાસ્ત્રજ્ઞાન, શુદ્ધ ચારિત્ર્ય તથા આત્મદર્શન કરવાની શ્રીમદ્દની નિરંતર ધગશથી પ્રભાવીત થયા હતા. નિષ્કામ કર્મયોગનું ઉત્તમ ઉદાહરણ એ શ્રીમદ્દનું જીવન હતું. શ્રીમદ્દ મોટો વેપાર ખેડતા, હીરામોતીની પરખ એ પણ તેમની સાહજિક સૂઝ હતી અને વેપારની અનિવાર્ય આંટીઘૂંટીઓ પણ ઉકેલતા પરંતુ આ તમામ પ્રવૃત્તિએ શ્રીમદ્દની પૂર્ણ ઓળખ બની શકતી નથી. તેમની ખરી ઓળખ તો તેમના આત્મદર્શનની સતત રટણામાં રહેલી હતી. ગાંધીજીએ શ્રીમદ્દ પરના એક પ્રવચનમાં આપણું માર્ગદર્શન કરેલું છે. ગાંધીજી કહે છે કે, શ્રીમદ્દ તરફ જેમને આદરભાવ હોય તેમણે તેમના વિચારોનું અનુકરણ કરીને પોતાના વર્તન થકી તેનું નિદર્શન કરવું જોઇએ. સકળ સૃષ્ટિના કલ્યાણની વાતો તેમજ તેના ઉપાયોનું સાંગોપાંગ દર્શન શ્રીમદ્દની વાણી તેમજ તેમના પદોમાં પ્રગટ થયેલું છે. આ ભગવદ્દ દર્શનને કાળની કોઇ મર્યાદા નથી. સર્વ કાળે તે પ્રસ્તુત, પ્રાસંગિક તથા પથદર્શક છે.

મહાવીર સ્વામિની જયંતી પ્રસંગના શુભ દિવસોમાં ભગવાન મહાવીર તથા જૈન તત્વજ્ઞાનની તેમજ શ્રીમદ્ રાજચન્દ્ર જેવા પ્રજ્ઞાવાન મહાપુરુષની સ્મૃતિ થવી સ્વાભાવિક છે. ખારા સમુદ્રમાં મોતી પાકે છે. જે ધરામાં નજીકમાંજ ખારા પાણી અફાટ વિસ્તરેલા છે તેવા પ્રદેશમાં પણ જેના હૈયામાં મીઠપનો મહાસાગર ઘૂઘવતો હોય તેવા મહાપુરુષો જન્મ ધારણ કરે છે. એક તરફ કચ્છ તથા બીજી તરફ સૌરાષ્ટ્ર હોય તેવા ઐતહાસિક પ્રદેશમાં જેમણે પ્રાણીમાત્રના કલ્યાણ માટે જન્મ ધારણ કર્યો હતો તેવા શ્રીમદ્ રાજચંદ્રનો જન્મ થયો હતો. કચ્છ – સૌરાષ્ટ્રની આ ઐતિહાસિક ભૂમિ ખરા અર્થમાં બહુરત્ના વસુંધરા છે.

       માળીયા (મીયાણાં) પાસેના એક નાના ગામ વવાણીયામાં બાળક રાજચંદ્રને એક મૂંઝવણ ઊભી થઇ છે. બાળક જેને ઓળખે છે તેવા એક સ્નેહી – સ્વજનનું અવસાન થતાં આ મૃત્યુની ઘટનાને સમજવા મથતો બાળક દાદાજીને પૂછી બેસે છે : ‘‘ગુજરી જવું એટલે શું ?’’ ત્યારબાદ વવાણીયા ગામના પાદરમાંજ એક ઝાડ પર ચડીને બાળકે જોયું કે પરિચિત લોકોજ બાળક જેને સ્વજન તરીકે ઓળખે છે તેને ચિતા પર ગોઠવીને અગ્નિદાહ આપે છે. બાળી દેવાની આવી ક્રૂરતા પરિચિત લોકોજ કેવી રીતે કરી શકે ? શા માટે કરે ? મૃત્યુ શું છે તથા શા માટે છે ? રાજચંદ્રના બાળમનને આ પ્રશ્નો સતાવ્યા કરે છે. એ પણ એક યોગાનુયોગ છે કે આવાજ પ્રશ્નો આજ વિસ્તારમાં ડેમી નદીના કિનારે થોડે દૂર આવેલા ટંકારા ગામના બાળક મૂળશંકરને પણ થયા હતા. જ્ઞાન પ્રાપ્તિ પછી જેઓ મહર્ષિ દયાનંદ તરીકે સુવિખ્યાત થયા હતા. શ્રીમદ્ રાજચન્દ્ર પાછળથી વવાણીયાના આ પરિચિત જનના મૃત્યુના પ્રસંગને ટાંકીને કહે છે કે બાળસહજ કૂતુહૂલતામાંથી ઉદભવેલા આવા પ્રશ્નો થકી તેમની જ્ઞાનયાત્રા શરૂ થાય છે અને દેહોત્સર્ગ સુધી અવિરત ચાલતી રહે છે. આ કલ્યાણમયી યાત્રાનો લાભ કોઇપણ પ્રકારના ભેદભાવ સિવાય સમગ્ર સમાજને સમાજને મળતો રહેલો છે. આજે પણ શ્રીમદના વિચારો એટલાંજ મંગળમયી તથા પથદર્શક છે.

લઘુ વયથી અદભુત થયો

તત્વજ્ઞાનનો બોધ,

એજ સૂચવે એમ કે,

ગતિ – અગતિ કાં શોધ ?

       દેવદિવાળીને દિવસે ૧૮૬૭ માં વવાણીયામાં જન્મેલા આ મહાપુરુષે જ્ઞાનની અનેકવિધ દિપશિખાઓ પ્રગટાવી છે જે આજે પણ પ્રેરણાનું સ્થાન છે. જેમને ગુજરાત ‘કળિકાળ સર્વજ્ઞ’ તરીકે ઓળખે છે તે શ્રીમદ્ હેમચન્દ્રાચાર્યનો જન્મ પણ દેવદિવાળીના શુભદિવસેજ થયો હતો. જૈન ધર્મની અસર માત્ર ગાંધીજી પુરતી મર્યાદિત ન હતી પરંતુ ગુજરાતમાં તેની સર્વ ક્ષેત્રોમાં વ્યાપક અસર થયેલી છે. શ્રીમદ્ રાજચન્દ્રની વિચારધારા તથા તેમાં રહેલું સત્વ અવિનાશી છે. શ્રીમદનું જીવન તો માત્ર ૩૩ વર્ષનુંજ પરંતુ તેમનું જ્ઞાનોર્પાજન તેમજ જ્ઞાનવિતરણનું કાર્ય સદીઓ સુધી ઝાંખું પડી શકે તેવું નથી. શ્રીમદ્ રાજચન્દ્ર આશ્રમ- અગાસ તેમજ રાજસોભાગ સત્સંગ મંડળ સાયલા જેવી ખ્યાતિપ્રાપ્ત સંસ્થાઓના કારણે જૈન સાહિત્ય તેમજ શ્રીમદ્ વિશેની વિસ્તૃત જાણકારી પુસ્તકોના માધ્યમથી સમાજમાં પહોંચી છે. શ્રી જયભીખ્ખુ, મુકુલભાઇ કલાર્થી તથા કુમારપાળ દેસાઇ જેવા સિધ્ધહસ્ત લેખકોએ પણ આ વિષયોમાં નોંધપાત્ર ખેડાણ કરેલું છે.

       શ્રીમદ્ રાજચન્દ્ર જેવા યુગપુરુષો ક્રાંતદ્રષ્ટા હોય છે. સર્વ ધર્મોનો સમન્વય તથા સર્વ ધર્મોનું સારતત્વ તેમના વચનોમાંથી સતત પ્રગટ થતું રહે છે. ‘‘ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવા, અંતેતો હેમનું હેમ હોયે’’ જ્ઞાનના નીચોડરૂપે ટપકતી આવી નરસિંહ વાણી શ્રીમદના પદોમાંથી પણ પ્રગટી છે. પરંતુ આ માત્ર લખવાની વાત નથી. આ વાતનીજ પૂર્તિ કરાવે તથા અનુભૂતિને દૃઢ કરે તેવા કિસ્સાઓ તેમના રોજબરોજના જીવનમાં જોવા મળે છે. અલગ પંથ કે સંપ્રદાયના લોકોને પણ સરખાજ સ્નેહ – સન્માનથી શ્રીમદે્ જોયા છે અને તેમને પણ ધર્મ વચનોનો લાભ કરાવ્યો છે. આથી શ્રીમદનું જીવન કોઇ ખંડોમાં વહેંચાયેલું નથી પરંતુ સર્વગ્રાહી –સર્વાશ્લેષી અભિગમ થકી તેઓ જીવ્યા છે. જન જન સુધી તેમના પદોની વાણી મારફત પહોંચ્યા છે.

ભિન્ન ભિન્ન મત દેખીએ

ભેદ દ્રષ્ટિનો એહ,

એક તત્વના મૂળમાં,

વ્યાપ્યા માનો તેહ.

       ગાંધીજીની એક મહત્વની ચિંતા જે તેમણે લખાણોમાં કે તેમના ઇન્ટરવ્યુમાં એકથી વધારે વખત પ્રગટ કરી હોય તો તે સમાજમાંથી ઓછી થતી જતી સંદેનશીલતા અંગેની છે. જેની પાસે સમૃધ્ધિ છે તે સાધન વિહોણા વ્યક્તિની અવગણના કરે કે ઉપેક્ષાનો ભાવ ધરાવે તો તેવી બાબતને ગાંધીજી સૌથી મોટી ચિંતાનો વિષય ગણતાં હતા. અનેક પ્રસંગોએ આવી સ્થિતિ જોઇને તેનો ઉકળાટ પણ તેમણે ખૂલ્લી રીતે વ્યક્ત કર્યો છે. શ્રીમદના જીવન તથા વ્યવહારમાં પારાવાર કરુણતા તથા જરૂરિયાત હોય તેવા લોકોને ઉપયોગી થવાની તીવ્ર વૃત્તિ હતા. શ્રીમદના જીવનકાળ દરમિયાનજ (વિ.સં.૧૯૫૫) તેમણે કેટલાક પ્રદેશમાં અછત તથા દુષ્કાળની સ્થિતિ જોઇ ત્યારે તેમના ચિત્તમાં પરાવાર વ્યથા ઉત્પન્ન થઇ છે. મુંગા પશુઓને આ ભયાનક સ્થિતિમાંથી રાહત આપવા માટે ઘાસ તથા કપાસિયાની સુરેખ વ્યવસ્થા કરવાનું તેઓ આયોજન કરાવે છે. પોતાની અંગત મૂડી પણ સર્વપ્રથમ તે કામ માટે ઉપયોગમાં લઇને કામને વેગ આપે છે. મહાજન પરંપરાને મજબૂત બનાવવામાં આ પ્રયાસો મહત્વના પુરવાર થયા છે. સંવેદનશીલતાના ઉજળા ઉદાહરણ જેવું શ્રીમદનું જીવન હતું. પોતાની સેવામાં રહેલા પગારદાર માણસની માંદગીમાં પણ સેવા – સુશ્રુષા કરવાનું તેઓ ચૂકતા નથી તેના પ્રસંગો નોંધાયેલા છે. આથી ગાંધીજીએ યથાર્થ રીતે શ્રીમદને એક પ્રસંગે અંજલિ આપતાં કહેલું કે રાયચંદભાઇનો દેહ આટલી નાની ઉમ્મરેપડી ગયો તેનું કારણ તેમનું દર્દ કે બીમારી તો ખરાજ પરંતુ જગતના તાપનું શ્રીમદને રહેતું સતત સ્મરણકે તે અંગેની વેદના એ વિશેષ કારણભૂત હશે તેમ ગાંધીજીએ કહેલું. શ્રીમદના દયાળુ સ્વભાવનું તથા તેને અનુરૂપ કર્તુત્વનું ગાંધીજીને સવિશેષ મહત્વ હતું. ર૪મા તીર્થંકર મહાવીરની દયા તથા કરૂણાના ભાવ શ્રીમદ્ તેમજ ગાંધીજીના જીવનમાં ધરબાઇને પડેલાં છે તથા સતત જાગૃત રહેલા છે. શ્રીમદના જીવનમાં દયાધર્મના સતત વહેતા ઝરણાંનો ગાંધીજીએ ખાસ ઉલ્લેખ કરેલો છે. તીર્થંકરોનીવાણી શ્રીમદ્ જીવીને ગયા છે. વિચાર-વર્તનના ઐક્યના ગુરૂશિખર સમ શ્રીમદનું જીવન છે. પંડિત સુખલાલજીએ યથાર્થ કહેલું છે કે શ્રીમદ્ જેવી વ્યક્તિ ઉત્પન્ન કરવા માટે માત્ર જૈન સંસ્કૃતિ પ્રત્યેજ નહિ પરંતુ ગુજરાતની સંસ્કૃતિ પ્રત્યે પણ માથું આપમેળે નમી જાય છે. શ્રીમદના પદો ખળખળ વહેતા ઝરણાં સમાન છે. વિચારની અભિવ્યક્તિ આવી સરળ ભાષામાં કરવાની તેમની ક્ષમતા અહોભાવ ઉપજાવે તેવી છે. પોતાની અનુભૂતિ તેમણે જગતના કલ્યાણ માટે શબ્દોમાં રમતી મૂકી છે. પદોમાં રહેલી ભાવના નિરંતર પરમપદની પ્રાપ્તિ માટે રહેલી છે.

અપૂર્વ અવસર એવો ક્યારે આવશે ?

ક્યારે થઇશું બાહ્યાંતર નિર્ગ્રંથ જો ?

સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને,

વિચરશું કવ મહત્પુરુષને પંથ જો ?

અપૂર્વ અવસર એવો ક્યારે આવશે ?

સર્વભાવથી ઔદાસીન્યવૃત્તિ કરી

માત્ર દેહને સંયમ હેતુ હોય જો

અન્ય કારણે અન્ય કશું કલ્પે નહિ

દેહે પણ કિંચિત્ મૂર્છા નવ જોય જો…

મન વચન કાયા ને કર્મની વર્ગણા

છૂટે જહાં સકળ પુદગલ સંબંધ જો

એવું અયોગી ગુણસ્થાનક ત્યાં વર્તતું,

મહાભાગ્ય, સુખદાયક પૂર્ણ અબંધ જો.

એહ પરમપદપ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં

ગજા વગર ને હાલ મનોરથરૂપ જો

તો પણ નિશ્ચય રાજચન્દ્ર મનને રહ્યો

પ્રભુ આજ્ઞાએ થાશું તેજ સ્વરૂપ જો

અપૂર્વ અવસર એવો ક્યારે આવશે ?

       જીવનના પરમપદની પ્રાપ્તિની અભિલાષા રાખી મુમુક્ષુ જીવન વ્યતિત કરે તથા જીવનની પવિત્રતા જાળવે તો આ અપૂર્વ તક દરેક માનવને ઉપલબ્ધ છે. મન – વચન – કાયાના બંધનોને વેગળા રાખવા તો મુનિઓને પણ દૂર્લભ છે. પરંતુ ઈશ્વર પ્રત્યેની દૃઢ નિષ્ઠા તેમજ પ્રભુની કૃપાથી જીવનમાં ઉન્નતિના માર્ગે આગળ વધી શકાય છે તેવો શ્રીમદનો સહિયારો સમગ્ર માનવજાત માટે છે. શ્રીમદનો વિવેક તથા તેમની અસાધારણ આધ્યાત્મિક ઊંચાઇ તેમની વાણી તથા તેમના પદોમાં સ્પષ્ટ રીતે અનુભવી શકાય છે. ર૪મા તીર્થંકર ભગવાન મહાવીરની ઉપાસના કરીએ ત્યારે આપણી શ્રધ્ધા તથા ભક્તિ અખંડ રહે તે માટે શ્રીમદના શબ્દો હમેશા પથદર્શક બની રહે તેવા છે. શ્રીમદ્ રામચન્દ્રના જ્ઞાનનો અગ્નિકૂંડ આજે પણ પ્રજ્વલિત છે. સ્વ તરફની યાત્રાનું ડગલું તો આપણે વ્યક્તિગત રીતેજ ભરવું પડશે.

દીવો રે દીવો પ્રભુ મંગલિક દીવો,

શ્રીમદ્ સદગુરૂ શાશ્વત જીવો.

***

Leave a comment

Blog at WordPress.com.

Up ↑