: સંતવાણી સમિપે : મંગલ મંદિર ખોલો દયામય ! :

કોઇ પણ ભાષામાં કેટલીક રચનાઓ એવી મળે છે કે જે હંમેશા જે તે ભાષાના આભૂષણ સમાન લાગ્યા કરે છે. કાળના કપરા પ્રવાહમાં પણ આવી રચનાઓ તથા તેના સર્જકો લોકસ્મૃતિમાં જીવંત રહે છે. નરસિંહની ‘‘જળકમળ છાંડી જાને બાળા’’ કે કલાપીની ‘‘યાદી ભરી ત્યાં આપની’’ જેવી રચનાઓ કે તેના મહાન સર્જકોનો પરિચય કયાં કોઇને આપવો પડે છે ? આવા કાવ્યો પોતાના આંતરિક સત્વને પ્રતાપે જ કોઇ પણ કાળે જીવતા તથા ધબકતા રહે છે. આવી રચનાઓની લોકપ્રિયતા કાળના સતત વહેતા પ્રવાહમાં પણ ઓછી થતી નથી. આવી જ એક ભાષાના ઘરેણારૂપ રચના કવિ નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા (૧૯૫૯-૧૯૩૭) ની છે. આમ તો નરસિંહરાવના તમામ સર્જનોનું અનોખું મૂલ્ય તથા વિશિષ્ટ છાપ છે. પરંતુ ‘‘મંગલ મંદિર ખોલો’’ તથા ‘‘પ્રેમળ જયોતિ તારો દાખવી’’ એ બે રચનાઓ લોકહ્રદયના સિંહાસને બિરાજે છે. અનેક સ્થળોએ શાળાઓની પ્રાર્થનાઓમાં આ રચનાનો ગૂંજારવ થયા કરે છે. ભાષાંતર-ભાવાંતરની પણ સૂર્યાદય પૂર્વેના આકાશ જેવી ભવ્ય તથા ભાતીગળ શોભા હોઇ શકે છે તેની પણ  આ રચનાઓ પ્રતીતિ કરાવે છે. ‘‘મંગલ મંદિર ખોલો’’ એ રચના જીવન તથા મરણના સંધિકાળની રમણિયતાનું દર્શન કરાવે 

છે.

મંગલ મંદિર ખોલો

દયામય ! મંગલ મંદિર ખોલો

જીવન-વન અતિ વેગે વટાવ્યું,

દ્રાર ઊભો શિશુ ભોળો,

તિમિર ગયું ને જયોતિ પ્રકાશ્યો,

શિશુને ઉરમાં લો.. લો… દયામય…

નામ મધુર તમ રટયો નિરંતર

શિશુ સહ પ્રેમે બોલો,

દિવ્યાતુષાતુર આવ્યો બાળક, 

પ્રેમ-અમીરસ ઢોળો..

દયામય ! મંગલ મંદિર ખોલો.

સામાન્ય વ્યવહારમાં જગતના લોકોનો અનુભવ તથા વલણ મૃત્યુની ક્ષણને આકરી તથા સંતાપ ઉત્પન્ન કરનારી ગણવાનું છે. મૃત્યુને એક અણગમતી તથા આઘાતજનક ઘટના તરીકે ઓળખવામાં આવે છે. આ રચનામાં આપણાં આ ઋષિદ્રષ્ટા કવિ તે ક્ષણને અંધારાથી અજવાળા તરફથી ગતિ તરીકે ગણાવીને મૃત્યુને પણ આદર સાથે અનિવાર્ય ઘટના તરીકે સ્વીકારીને તેની પણ ગરીમા વ્યક્ત કરે છે. અકાળે ગયેલા ભોળા શિશુ માટે પ્રેમ-અમીરસની પ્રાપ્તિ માટેની પ્રાર્થના જગતના નિયંતા સમક્ષ કરે છે. મરણની ઉપયોગિતા, અનિવાર્યતા તથા સૌંદર્યનો કવિ અનોખો મહિમા કરે છે. પોતાના જ પુત્રના અકાળ મૃત્યુ પ્રસંગની સહજ વેદનાને પચાવીને આવી મંગલમય પ્રાર્થના નરસિંહરાવ જેવા કવિજન જ કરી શકે. જીવન હોય ત્યાં સંકટ અને સંતાપ તો હોય પરંતુ મરણ તો ચિરસ્થાયી વિસામો આપતું મંગલ તથા તેજોમય દર્શન છે. જીવનના સળંગ અસ્તિત્વનો તે અનિવાર્ય મધ્યાન્તર છે. આ દર્શનની ક્ષણે પ્રાર્થના તો દયામય પાસે જ કરી શકાય. અંગત જીવનની આકરી કસોટીની ક્ષણે કવિનું આ દર્શન સમતાપૂર્ણ તથા અદ્વિતિય લાગે છે. મૃત્યુની ક્ષણે વ્યાકૂળતા કે શોક સંતાપને સ્થાન ન હોઇ શકે. મૃત્યુની પળને પણ એક તૃપ્તિકારક સુંદરતા છે તેનું કવિદર્શન ખૂબ જ રોચક તથા રમણિય છે. કવિ શ્રી કરશનદાસ માણેકના હંમેશા કહેવા સાંભળવા ગમે તેવા શબ્દો આ વિષયના સંદર્ભમાં યાદ આવે. 

એવું જ માગું મોત ,

હરિ હું તો એવું જ માગું મોત !

અંતિમ શ્વાસ લગી આતમની

અવિરત ચલવું ગોત

ઓતપ્રોત હોઉ આપ મહી જયારે

ઉડે પ્રાણકપોત !

હરિ, હું તો એવું જ માગું મોત ! 

કવિ નરસિંહરાવ આમ તો સીવીલ સર્વિસના અધિકારી પરંતુ મોટા ગજાના સર્જક તેમજ નિવૃત્તિ બાદનું તેમનું અધ્યાપન કાર્ય વર્ષો સુધી એકનિષ્ઠાથી ચાલ્યું. જીવનના અનેક અંગત આઘાતોને કવિએ ઝીલ્યા અને જીરવ્યા પણ ખરા. ‘‘આ વાદ્યને કરૂણગાન વિશેષ ભાવે’’ એવી તેમની સહજ અભિવ્યક્તિ કવિના જીવનમાં અસાધારણ મનોબળની સાક્ષી પૂરે છે. બ્રિટિશરો તરફની તેમની નિષ્ઠા ગાંધીજીના સંપર્કના પ્રતાપે ઓછી થઇ હતી. વિપુલ માત્રામાં તેમનું સાહિત્યસર્જન છે તથા વૈવિધ્યસભર છે. શ્રી સુન્દરમ્ યથાર્થ રીતે નરસિંહરાવને    ‘‘પ્રતિભાશીલ કવિ કરતા કવિતાના એક અતિ સહ્રદય ભક્ત’’ તરીકે ઓળખાવે છે. કવિની ‘‘મંગળ મંદિર ખોલો’’ રચના અમર રહેવા સર્જાયેલી છે. મરણની આ મૂલ્યવાન ક્ષણ માટે કહેવાયેલા જનાબ ગની દહીંવાલાના શબ્દો યાદ કરવા ગમે તેવા છે. 

અહીં શ્વાસ છોડયા કે બીજી જ ક્ષણમાં

લપેટાઇ જાશું નવા આવરણમાં

ગીતાકારે અગ્નિ બાળી શકતો નથી તથા જેને શસ્ત્રો છેદી શકતા નથી તેવા આત્માના સળંગ અસ્તિત્વની વાત કરી છે. જેને પરહરવામાં આવે છે તે તો સ્થૂળ શરીર છે. શાસ્ત્રોની વાતો આપણાં લોકકવિઓએ સરળ રીતે તથા નજર સામેના ઉદાહરણ સાથે સમજાવવા પોતાના શબ્દોમાં મૂકી છે. તળાવના નીરનું રૂપક લઇ કવિ શ્રી દુલા ભાયા કાગ કહે છે : 

નીર નવાને સ્થાન તમારું, 

સોંપી સાગરને મળજો, 

સૂર્ય તણે ચૂલે સળગીને, 

‘કાગ’ ફરીથી આવી જજો. 

(વી. એસ. ગઢવી)

ગાંધીનગર.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑