યત્ર નાર્યસ્તુ પૂજયન્તે રમન્તે તત્ર દેવતા:

Image

આઠમી માર્ચનો દિવસ વિશ્વના નારી આંદોલનના સંદર્ભમાં મહત્વપૂર્ણ છે. મહિલાઓની સમસ્યાઓ વિશ્વના દરેક ભાગમાં વધતા ઓછા અંશે સમાન રહી છે. ૧૯ મી સદીમાં વિશ્વના ઘણાંદેશોમાં મહિલાઓને વેતન દર ચૂકવવામાં ભેદભાવ, ને કામના સ્થળે પૂરી પાડવામાં આવતી સુવિધાઓનો પણ સદંતર અભાવ, કામદાર યુનિયનોની પણ મહિલાઓના પ્રશ્નો બાબત ઉપેક્ષા જેવી બાબતો સામાન્ય હતી. ૮ માર્ચ, ૧૮૫૭ માં ન્યુયોર્કમાં કાપડ ઉદ્યોગમાં કામ કરતી મહિલાઓએ તેમની માગણીઓ સંદર્ભમાં અવાજ ઉંચો કર્યો. સત્તાવાળાઓ તેમજ કારખાનાના માલિકોએ તમામ શક્તિનો ઉપયોગ કરી ન્યાયની આ માગણીઓ દબાવી દેવા પ્રયાસ કર્યો પરંતુ આક્રોશની આ ચિનગારી સતત જવલંત રહી. ૮ માર્ચ, ૧૯૦૮ ના દિવસે ફરી એક વખત વિશેષ અસરકારક રીતે મહિલાઓની સામૂહિક શક્તિનું નિદર્શન તેમણે ન્યુયોર્કના રસ્તાઓ ગજાવીને કર્યું. તેમનો સત્યનો અવાજ તથા તેમના પ્રત્યેના ભેદભાવયુકત વલણને દૂર કરવા માટેની ચળવળને બળના ઉપયોગથી દબાવી દેવી મુશ્કેલ હતી. સરકારને કાયદાઓ સુધારવા ફરજ પડી. આ મહત્વના બનાવોને સ્થાયી સ્મૃતિ આપવા ૮ માર્ચને આંતરરાષ્ટ્રીય મહિલા દિન તરીકે ઉજવવા માટે નકકી કરવામાં આવ્યું.

              ભારતની સ્થિતિ પણ આ બાબતમાં મોગલ-બ્રિટીશ કાળમાં સંતોષકારક ન હતી. સમાજનુ એકંદર વલણ પણ નારીના સમાન હકકોની તરફેણ કરનારૂં નહતું. મહિલાઓના અનેક પ્રકારના તથા અનેક સ્વરૂપના શોષણ સામે કટલાંક સુધારકોએ જરૂર અવાજ  ઉઠાવ્યો. બ્રિટીશ સત્તાકાળ દરમિયાન પણ કેટલાંક કાયદાઓના માધ્યમથી મહિલાઓનું શોષણ અટકાવવા નોંધપાત્ર પ્રયાસો થયા. પરંતુ જ્યાં સુધી સમાજના વલણમાં પરિવર્તન ન થાય તેમજ મહિલાઓમાં આત્મવિશ્વાસ પ્રગટ ન થાય ત્યાં સુધી માત્ર કાયદાઓના ફેરફારથી મહિલાઓની વાસ્તવિક સ્થિતિમાં મૂળભૂત પરિવર્તન થઇ શકે નહિ તે વાત કદાચ મહાત્મા ગાંધી સ્પષ્ટ રીતે જોઇ શક્યા તેમ જણાય છે. આ સ્થિતિમાં વ્યાપક તેમજ સર્વગ્રાહી સ્વરૂપના ફેરફારો લાવવાનું કામ મહાત્મા ગાંધીએ કર્યું. મહિલાઓમાં આત્મવિશ્વાસ પ્રગટાવી તેમની સ્થિતિ આપોઆપ જ સુધરે તથા વ્યાપક રીતે જાગૃતિ આવે તેવી તરકીબ ગાંધીજીએ જ સફળતાપૂર્વક કરી બતાવી તેની અસર પણ વ્યાપક તથા સ્થાયી સ્વરૂપે થઇ.

              ૧૨ મી માર્ચ, ૧૯૩૦થી જેનો આરંભ થવાનો હતો તે સુપ્રસિધ્ધ દાંડીકુચ માટે દેશ તૈયાર હતો. દાંડીકુચની તૈયારીઓ તેના સમગ્ર માર્ગ પર થાય તે સ્વાભાવિક ઘટના હતી. સાબરમતી આશ્રમથી જ તેની શરૂઆત એટલે ત્યાં વિશેષ ચહલપહલ જોવા મળતી હતી. ઉપરાંત આ કુચના નાયક મહાત્મા ગાંધી પણ આ જ આશ્રમમાં હતા. ગુજરાત તથા ગુજરાતની બહારના દેશના અન્ય ભાગો જ નહિ પરંતુ વિશ્વના ઘણાં લોકો પણ ગાંધી સાથે સંકળાયેલી ગતિવિધિઓને ઉત્સુકતાથી જોતા હતા તેમજ તેનું મૂલ્યાંકન પણ કરતાં હતાં. દાંડીકુચના  ૭૯ સૈનિકોના નામ જાહેર થયાં.આશ્રમના તમામ અંતેવાસીઓએ આ યાદી જોઇ પરંતુ બહેનોઆ યાદી જોઇને નિરાશ થઇ. એક પણ મહિલાનો સમાવેશ આ ૭૯ યાત્રિઓમાં થતો ન હતો. તેમની નારાજગી સ્વાભાવિક પણ હતી. બહેનોએ વિચાર્યું કે, બાપુને મળીને આ બાબતની સ્પષ્ટતા કરવી જ પડે. શ્રી નારાયણ દેસાઇ લખે છે કે, બહેનોનું એક પ્રતિનિધિમંડળ બાપુને મળવા ગયું. તેમાં નારાયણ દેસાઇના માતૃશ્રી પણ ખરા. બહેનોએ બાપુ સમક્ષ જઇનેકહ્યું કે, આપને કુચ કરવા લાયક એક પણ બહેન ન જડી ? બાપુએ હસીને કહ્યું કે, તમે આ બાબતે નારાજ થઇને પૂછશો એ હું જાણતો જ હતો. પરંતુ મારો નિર્ણય વિચારપૂર્વક કર્યો છે. મારી સાથે  સાબરમતીથી દાંડી ચાલતા જવામાં કોઇ મોટી બહાદૂરી નથી. આ તો હળવું કામ છે અને તેથી તે કામ બહેનોને હું સોંપવા માંગતો ન હતો. આપણી લાંબી તથા અહિંસક લડતમાં બહેનો પાસેથી મારી વિશેષ અપેક્ષાઓ છે. વધારે વીરતાના, વિશેષ પરાક્રમના કાર્યોમાં મારે બહેનોને જોડવી છે. બહેનોને બાપુમાં, તેમના વચનોમાં સંપૂર્ણ શ્રધ્ધા છે અને તેથી આ વાત બાપુ તેમના ગળે ઉતરાવી શકે છે. ત્યારબાદ બહેનોનું પરાક્રમ દેખાય તેવું અઘરૂં છતાં સમાજિક સુધારણા માટેનું મહત્વનું કાર્ય ગાંધીજીએ બહેનોને પૂરી શ્રધ્ધા સાથે બતાવ્યું. ગાંધીજીએ બહેનોને દારૂની દૂકાનો પર પીકેટીંગ કરવાનું કામ સોંપ્યું. અસામાજીક તત્વોનો સીધો જ સામનોકરવાનું કામ બહેનોએ અસાધારણ ખૂમારી તથા બહાદૂરીપૂર્વક ઉપાડી લીધું. એક તરફ ધરાસણામાં મીઠાના કાયદાનો ભંગ કરવાનું ચાલતું હતું. બીજી તરફ દારૂના પીઠાઓ પર બહેનો વિરતાપૂર્વક સંઘર્ષ કરતી હતી. આમ, ગાંધીજીએ દેશની કુલ જનસંખ્યાના એક મહત્વના તથા વિશાળ જથ્થાને દેશની સામાજીક ચેતના જગાવવાના કાર્યમાં ખૂબીપૂર્વક જોડી, પડદામાં રહેનાર, ઓઝલ પાળનાર કે મુંગા મોઢે સહન કરના બહેનો-માતાઓ આત્મવિશ્વાસપૂર્વક આગળ આવી અને લડતનું નેતૃત્વ કર્યું. બહેનો આત્મવિશ્વાસ કેળવે અને ત્યારબાદ આત્મનિર્ભર બને તેવા પ્રયાસો મહાત્માના રહયાં. ગાંધીજીની નોઆખલીની યાત્રા દુષ્કર હતી એ સુવિદિત છે. તે સમયે પણ હિંસક તથા કલુષિત વાતાવરણમાં નાની ઉંમરના મનુબેન ગાંધી સહિત અનેક બહેનો હિંસાની આગને ઠારવા ગામેગામ નિર્ભયતાનું કવચ પહેરીને ફરતી રહી. પોતાનું મહિલા હોવાનું ગૌરવ તેમણે સ્થાપ્યું. વિભાજનના કપરા સમયમાં મૃદુલાબહેન સારાભાઇ તથા કમળાબહેન પટેલે અનેક બહેનોને અસામાજીક તત્વોની પકડમાંથી છોડાવી. વિનોબાજી લખે છે કે, મહિલાનો અર્થ જ થાય છે મહાન. આથી મહિલાને અલ્પશક્તિ ગણી શકાય નહીં. મહિલાઓની ઉન્નતિ માટે, તેમને આત્મવિશ્વાસની પ્રતિતિ કરાવવા માટેના ગાંધીજીના ઉપાયોએ જાદુઇ પરિવર્તન કરેલું છે. પ્રતિકાર કરવાની મહિલાઓની શક્તિ દરેક કાળે અને દરેક સંઘર્ષમાં જોવા મળી છે. આઝાદ ભારતમાં પણ થોડા વર્ષો પહેલાં આંધ્રપ્રદેશમાં દેશી દારૂ(અરક)નું વેચાણ પ્રતિબંધિત કરવા માટે મહિલાઓએ કરેલું શક્તિ પ્રદર્શન સ્મૃતિમાં સચવાય તેવું ઉજવળ છે.

       ગુજરાતે દેશને જેમ કસ્તુરબા જેવા અસામાન્ય મહિલા રત્નની ભેટ આપી તે જ રીતે અનેક મહિલા અગ્રણીઓએ મહિલાઓના સશક્તિકરણના સુઆયોજીત કાર્યોથી રાજયનું તથા દેશનું ગૌરવ વધાર્યું છે. મૃદુલાબહેનના મજબૂત સાથીદાર એવા પુષ્પાબહેન મહેતાનું નામ તેમના કાર્યો થકી ખૂબ ઉજવળ રહ્યું છે. પુષ્પાબેનના પિતા વન વિભાગના અધિકારી પરંતુ તેમનું નામ તેમની કાર્ય કરવાની શક્તિને કારણે ઘણું જાણીતું હતું. પ્રભાસપાટણ તથા અમદાવાદમાં પુષ્પાબેનનો  અભ્યાસ થયો. તે સમયમાં સામાન્યત: બનતું તેમ તેમના લગ્ન નાની ઉંમરમાં થયાં. તેમના પતિ જનાર્દનરાય મહેતા પણ ઉચ્ચ હોદ્દાપરના સરકારી અમલદાર હતા. પુષ્પાબહેનને ભરયુવાનીમાં જ વૈધવ્યનો યોગ લખાયેલો હતો. પરંતુ મજબૂત મનોબળ તેમજ આંતરિક શક્તિને કારણે તેઓ કપરાકાળને પણ પડકારીને પૂર્ણ જીવન અર્થપૂર્ણ રીતે જીવ્યા. થોડો અભ્યાસ બાકી હતો તે પતિના અવસાન બાદ પૂરો કર્યો. પોતે સ્નાતક તથા અનુસ્નાતક પણ થયા. તેમના  જીવનનો એક પરિવર્તનનો તબકકો મૃદુલાબહેન સારાભાઇના પરિચય પછી આવ્યો. મૃદુલાબહેનને લાગ્યુંકે જયોતિસંઘની સ્થાપના કરીને મહિલાઓના અનેક કાર્યો કરવાની તેમની ઉમેદ છે તે માટે પુષ્પાબહેનસર્વથા યોગ્યતથા શક્તિશાળી છે અને ખરેખર મૃદુલાબહેનની કલ્પના સંપૂર્ણપણે સાચી પડી. જયોતિસંઘના મહિલા ઉત્કર્ષના તમામ કાર્યોમાં પુષ્પાબહેને રસ લીધો એટલું જ નહિ આ કામોને તેમણે દિપાવ્યા. જયોતિસંઘની પ્રવૃત્તિ તથા પહોંચ તેના કાર્યકરોની નિષ્ઠાને કારણે વધતા રહયાં. અનેક બાળાઓ, નાની-મોટી ઉંમરની મહિલાઓ જેઓ અસામાજીક તત્વોનો ભોગ બન્યા હોય તેમને દોજખમાંથી છોડાવી લાવવાનું કામ આ બહેનો ખરા અર્થમાં વીરાંગના બનીને કરતી હતી. ત્યારબાદ તેમને પગભર કરવાની યોજના પણ મૃદુલાબહેન – પુષ્પાબહેનની જોડીએ વિચારી. આ રીતે ‘‘વિકાસગૃહ’’ સંસ્થાની શરૂઆત થઇ. એ વાતની અહીં નોંધ લેવી જોઇએ કે, મૃદુલાબહેન સારાભાઇનો જન્મ તો ગર્ભશ્રીમંત કુટુંબમાં થયો. મોજશોખ તથા સાધન સામગ્રીની કોઇ મણા તેમને નહતી. છતાંપણ તેઓ સતત વિચારપૂર્ણ તથા સાદગીપૂર્ણજીવન જીવ્યા. પુષ્પાબહેન પણ સુખી-સંપન્ન ઘરના હોવા છતાં આ બન્ને બહેનોને ગાંધી વિચારની ચિનગારી લાગી ચૂકી હતી. એક મીશન લઇને જીવ્યા અને સૌના કલ્યાણમાં જ પોતાનું શ્રેય જોયું. કામ વધ્યું તેમ વિકાસગૃહની બીજી શાખાઓસૌરાષ્ટ્રમાંશરૂ કરવાનું આયોજન પુષ્પાબહેને વિચાર્યું. પૂ. બાપુના આશિર્વાદથી ૧૯૪૫ માં વઢવાણ વિકાસ વિદ્યાલય શરૂ કરવામાં આવ્યું. વિકાસગૃહ વઢવાણની સંપૂર્ણ જવાબદારી પુષ્પાબહેનના જ ભત્રીજી અરૂણાબહેન દેસાઇએ ઉપાડી. તે સમયના વઢવાણના વાતાવરણમાં સામાજીક ક્ષેત્રે અને તેમાં પણ મહિલાઓના ઉત્કર્ષ માટે ચેતના પ્રગટાવવાનું કામ પડકારરૂપ હશે જ પરંતુ ફોઇની પ્રેરણા તથા તેમના માર્ગદર્શનથી પુષ્પાબહેન જેટલી જ દ્રઢ વૃત્તિવાળા અરૂણાબહેન આ કામ કરી શકયા.

       આરઝી હકુમતની ઐતિહાસિક લડાઇમાં પણ પુષ્પાબહેને મહત્વનો ભાગ ભજવ્યો. આખરે દેશ આઝાદ થયો. શાસકોના તરંગી નિર્ણયથી જૂનાગઢમાં આવેલો ઉભરો પણ શામળદાસ ગાંધી જેવા સબળ નેતૃત્વ હેઠળ થયેલ સંઘર્ષને કારણે સમી ગયો. સૌરાષ્ટ્ર સરકાર બની. પુષ્પાબહેન મહેતા સૌરાષ્ટ્રની ધારાસભાના પહેલાં સ્પીકર તરીકે વરાયા. નિષ્ઠાપૂર્વક કાર્ય કરનાર નારીરત્નનું આ સુયોગ્ય સન્માન તો હતું જ પરંતુ મહિલાઓની શક્તિની સમાજ દ્રારા સ્વીકૃતિ પણ હતી.

              પુષ્પાબહેનના વ્યક્તિત્વનું એક મહત્વનું પાંસુ એ તેમની સંવેદનશીલતા તથા વિશાળ અને વ્યાપક દ્રષ્ટિ હતાં. કચ્છ-સૌરાષ્ટ્રમાં પશુપાલકોનો મોટો વર્ગ તથા તેમની સમસ્યાઓ પણ અન્ય લોકોથી ભિન્ન હતી. પુષ્પાબહેનને આ વર્ગ તરફ વિશેષ લાગણી બતાવી માલધારીઓના બાળકોને નૂતન યુગનું શિક્ષણ મળતું થાય તે માટે પણ તેઓએ ઘણાં પ્રયાસો કર્યાં. તેમના માટે તમામ પ્રયાસો કરીને આશ્રમશાળાઓ શરૂ કરાવી. માલધારીઓને પુષ્પાબહેનમાં પોતાની માંના દર્શન થતા હતાં. આવું જ બીજું એક વિશિષ્ટ કાર્ય તેમની યશસ્વી કામગીરીમાં નોંધાયેલું છે. માળિયા (મિયાણા) ના અમૂક વર્ગના લોકોને ગુનેગારો ઠરાવીને પોલીસ સ્ટેશને હાજરી ફરજિયાત રીતે પૂરાવવાની રહેતી હતી. આ પ્રથામાં પુષ્પાબહેનને માનવગરિમાની હાની થતી લાગી. આથી જેમ રવિશંકર મહારાજે પાટણવાડિયાઓની હાજરી રદ કરાવી હતી તે જ રીતે પુષ્પાબહેને પણ આવી અમાનવીય પ્રથા માળિયામાંથી દૂર કરાવી હતી. વિધાનસભાના સભ્ય તરીકે પણ તેઓ લાંબો સમય રહયાં. રાજયસભાના સભ્ય તરીકે પણ સમગ્ર દેશને તેમની અનુભવસિધ્ધ શક્તિઓનો લાભ આપ્યો. ભારત સરકારે તેમને પદ્મવિભૂષણના ખિતાબથી નવાજયા તે સર્વથા ઉચિત છે. પુષ્પાબેન મહેતા કે અરૂણાબેન દેસાઇ જેવા સંપૂર્ણ સમર્પિત મહિલા આગેવાનોનું સ્મરણ મહિલા અધિકાર દિવસના સંદર્ભમાં થાય તે સ્વાભાવિક છે. કાર્ય કરવાની તેમની પદ્ધતિ તથા તેમની સિધ્ધિઓની વિસ્તૃત વિગતો આજે પણ આ ક્ષેત્રમાં કામ કરતી બહેનો માટે ઉદાહરણરૂપ કે પ્રેરણારૂપ બની શકે તેવી છે.

              આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે સમાજ પુન: આત્મનિરીક્ષણ કરે તો જ એવાતનો ખરો હિસાબ મળે કે, ગાંધીપ્રેરીત પ્રયાસો કેટલા અંશે સફળ થયા છે. મૃદુલાબહેન, પુષ્પાબહેન કે અરૂણાબહેન તો પોતાની તમામ શક્તિઓ લગાવીને મહિલાઓના પ્રશ્ને ઝઝૂમ્યા, મહદઅંશે સફળ પણ થયાં. પરંતુ આખરે તો સમગ્ર સમાજે તેની માનસિકતા બદલવી પડશે. આ બાબતમાં સુધારો જરૂર થયો છે પરંતુ હજુ લક્ષ દૂર લાગે છે. સૌના પ્રયાસો એ પાયાની બાબત છે. મહિલાઓના મા તથા બહેનના સ્વરૂપને કવિઓએ સુપેરે બિરદાવ્યું છે. આથી સમાજે મહિલાઓને તેમના યોગદાનના મૂલ્યને તેમજ તેમના મૂક બલિદાનના મૂલ્યને ખરેખર ઓળખ્યું છે કે કેમ તેમજ પ્રમાણ્યું છે કે કેમ તેની નિરંતર સમિક્ષાજ સ્વસ્થ સમાજના નિર્માણમાં ઉપયોગી બની શકે.

       બાળકને જોઇ જે રીઝે, રીઝે બાળક જોઇ જેને

       વત્સલમૂરત સ્નેહલ સૂરત હ્રદય હ્રદયના વંદન તેને

                                                       (ઉમાશંકર જોષી)

                                                                                                        તેજ-તણખો

       શિવરાત્રિએ શિવનું સ્મરણ એ સ્વાભાવિક ઘટના છે. પરંતુ શિવરાત્રિના પવિત્ર દિવસે દરેક જીવમાં શિવના દર્શન કરી તેમને માટે કઇંક કરી છુટવું તે વિશિષ્ટ ઘટના છે. આવી એક ઘટનાની જાણકારી સુરેન્દ્રનગર સ્થિત સેવાભાવી સદ્દગ્રહસ્થ અને સ્નેહી શ્રી ભુપેન્દ્રભાઇ દવે પાસેથી જાણવા મળી. વઢવાણ નજીક પંખીના માળા જેવું ગામ માલોદ આવેલું છે. નાના ગામના વતની પણ મોટા મનના માનવી શ્રી મોહનલલા પટેલે આવું વિશિષ્ટ કામ કરીને શિવપુજા ખરા અર્થમાં સાર્થક કરી. શિવરાત્રિ તથા ર૭ મી ફેબ્રુઆરી-ર૦૧૪ ના દિવસે ગામ તથા લગભગ ૩૦૦૦ જેટલા ઉમંગ તથા ઉત્સાહથી ભરેલા સ્વયંસેવકોની મદદથી તેઓ આ કાર્ય સંપન્ન કરી શક્યા. કાર્ય ખરેખર વિશિષ્ટ છે. તેમણે એક લાખ અગિયાર હજાર અને અગિયાર શ્રીફળમાં આંખ કરીને (હૉલ પાડીને) અંદર ખાદ્ય પદાર્થો ભર્યા. ત્યારબાદ લગભગ ૪૦૦ ટ્રેકટરોની મદદથી આ શ્રીફળ માલોદ આસપાસના ગામોની સીમમાં અલગ અલગ જગ્યાઓએ કાળજીપૂર્વક મૂકાવ્યા. સુક્ષ્મ જીવજંતુઓના નિર્વાહ માટેનું જાણે શાહી ભોજન ! લગભગ ૪૦૦ મણ ઘઉં તથા મોટા પ્રમાણમાં ઘી તથા સાકર તેમાં વપરાયા. કિડીયારૂ પૂરવાની પ્રથા તો આપણે ત્યાં છે જ પરંતુઆ રીતે પધ્ધતિસરનું આયોજન કરીને કોઇ કાર્ય નિજાનંદ માટે કરવું તે દરેક રીતે વિશિષ્ટ ઘટના છે. જીવજંતુ, વનરાજી – નદી કે તળાવો સહિતના તમામ પર્યાવરણ માટે સંવેદના રાખીને જીવવું તે વાત આપણી પરંપરામાં છે. ગળથૂથીમાં મળેલા આ સંસ્કાર છે. તેનું એક મોટું મૂલ્ય છે. નિરાશા કે હતાશા પ્રેરે તેવા અનેક સમાચારોની વચ્ચે આવા સેવાયજ્ઞના ધૂણા હજુ પણ ધખે છે એ એક આશ્વાસન મળે તેવી ઘટનાછે. ખરેખર, આ ભૂમિની તાસીર જૂદી છે. કવિ દાદના શબ્દોમાં યથાર્થ કહેવાયું છે.

               શબ્દ એક શોધુંને

                     સંહિતા નીકળે

               કૂવો એક ખોદુંને

                     સરિતા નીકળે

               સાવ અલગ તાસીર છે

                     આ ભૂમિની

               અહીં મહાભારત વાવોને

                     ગીતા નીકળે

               જનક જેવા આવી

                     હજી હળને હાંકે

               તો આ ભૂમિમાંથી સીતા નીકળે !

               હજી કયાંક ધબકે છે

                     લક્ષ્મણની રેખા

               હજી રાવણો ત્યાંથી

                     બીતા બીતા નીકળે.

માલોદ તેમજ મોહનભાઇ અભિનંદનના અધિકારી છે. 

Leave a comment

Blog at WordPress.com.

Up ↑